છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ભારતીય બેંકોએ માત્ર ’મિનિમમ એવરેજ બેલેન્સ’ (MAB) જાળવી ન રાખવાના બહાને ગ્રાહકો પાસેથી અંદાજે ₹19,083 કરોડ જેટલી મોટી રકમ પેનલ્ટી તરીકે વસૂલ કરી છે. દેશના સામાન્ય ખાતા ધારકો માટે આ સૌથી મોટો આઘાત છે. ડિજીટલ ઇન્ડીયાની આ કરૂણતા છે.
લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે આર્થિક રીતે સધ્ધર ગણાતી ખાનગી બેંકો અને સરકારી બેંકો બંને આ લૂંટમાં સક્રિય છે. આ આંકડાઓ એ વાત પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કે શું બેંકિંગ સેવાઓ સામાન્ય ગ્રાહકો માટે એટલી મોંઘી થઈ ગઈ છે કે નાની રકમની ગેરહાજરીમાં પણ તેમના પર દંડનો બોજ નાખવામાં આવે છે?
આંકડાઓની સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય છે કે ખાનગી બેંકો આ મામલે સરકારી બેંકો કરતા અનેકગણી આગળ છે. ત્રણ વર્ષના ગાળામાં સરકારી બેંકોએ ₹8,092.83 કરોડ વસૂલ્યા છે, જ્યારે ખાનગી બેંકોએ આ સમયગાળામાં ₹10,990.91 કરોડ જેટલી માતબર રકમ ગ્રાહકોના ખાતામાંથી દંડના સ્વરૂૂપમાં કાપી લીધી છે. ખાનગી બેંકોમાં પણ HDFC બેંક આ યાદીમાં સૌથી મોખરે છે, જેણે માત્ર FY 2024-25 માં જ ₹1,518 કરોડથી વધુની પેનલ્ટી વસૂલી છે. તેની પાછળ Axis બેંક અને ICICI બેંક જેવી મોટી સંસ્થાઓ પણ સામેલ છે.
બેંકો જ્યારે ગ્રાહકનું ખાતું ખોલે છે, ત્યારે તેઓ ‘મિનિમમ બેલેન્સ’ રાખવાની શરત મૂકે છે. મોટાભાગના ગ્રાહકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગ્રામીણ વિસ્તારોના લોકો, ઘણીવાર તેમના ખાતામાં જરૂૂરી રકમ જાળવી શકતા નથી. બેંકના નિયમો મુજબ, જો સરેરાશ બેલેન્સ મર્યાદાથી નીચે જાય, તો બેંક ઓટોમેટિક પેનલ્ટી કાપી લે છે. અનેકવાર ગ્રાહકને જાણ પણ નથી હોતી કે તેમના ખાતામાંથી કયા કારણોસર પૈસા કપાયા છે.
બેંકોનો તર્ક હંમેશા એવો હોય છે કે ‘મિનિમમ બેલેન્સ’ જાળવવું એ ખાતાના નિભાવ માટે જરૂૂરી છે અને જો ગ્રાહક તે નિયમ પાળી ન શકે, તો વહીવટી ખર્ચ કાઢવા માટે પેનલ્ટી વસૂલવી પડે છે. પરંતુ, આટલી જંગી રકમ એક અત્યાચાર છે.
ગ્રાહકો માટે માર્ગદર્શિકા
આટલી મોટી રકમની પેનલ્ટી બાદ હવે ગ્રાહક સુરક્ષા અંગે અવાજ ઉઠાવવાની જરૂૂર છે. રિઝર્વ બેંકે પણ સમય-સમય પર બેંકોને સલાહ આપી છે કે તેઓ ગ્રાહકો પર બિનજરૂૂરી દંડ ન લાદે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ગ્રાહકોએ હવે વધુ સ્માર્ટ બનવાની જરૂૂર છે.
નિષ્ણાંતોના કેટલાક સુચનો ધ્યાનમાં લેવા જેવા છે.
- ઓછા ખાતા રાખો: માત્ર જરૂૂરી હોય તેટલા જ ખાતા રાખો, જેથી મિનિમમ બેલેન્સ જાળવવાનું સરળ રહે.
- નિયમો વાંચો: જ્યારે પણ બેંક નવા નિયમો કે ચાર્જમાં ફેરફાર કરે ત્યારે તે વાંચો.
- ડિજિટલ એલર્ટ: તમારા મોબાઈલ પર બેંકના મેસેજ એલર્ટ ચાલુ રાખો જેથી નાની કપાતની પણ તમને જાણ થાય.
- ફરિયાદ કરો: જો તમને લાગે કે ખોટી રીતે ચાર્જ વસૂલાયો છે, તો બેંકના ગ્રીવન્સ રિડ્રેસલ સેલમાં ફરિયાદ કરો.