ગુજરાતના ભૂકંપ ઝોન-છમાં સમાવાયેલા રણ અને સમુદ્ર ધરાવતા કચ્છના અશાંત પેટાળમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે ત્યારે લાંબા બ્રેક બાદ શુક્રવારે બપોરે 12 વાગેની આસપાસ કચ્છના પેટાળમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની આંશિક અસર કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં અનુભવાઈ હતી. સિસ્મોલોજીલકલ કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પૂર્વ કચ્છના ભચાઉથી 15 કિલોમીટર દૂર વોંધ ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ પર 2.9 તીવ્રતાનો આંચકો ઉદભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ છે અને ભૂકંપના હળવાથી મધ્યમ તીવ્રતાના સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. એશિયન પ્લેટોનોમિક ઝોનમાં સમાવિષ્ટ ઈરાન,પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ધરતીકંપના આંચકાઓ સતત ધરતીને ધ્રુજાવી રહ્યા છે.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય