Friday, Feb 13, 2026

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાના બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો

3 Min Read

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે તેમના પરિવારજનોએ પોલીસમાં એક મહિલા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ મહિલા તુષાર ઘેલાણીને ત્રાસ આપતી હતી. હાલ તો પોલીસ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. તુષાર ઘેલાણીને એક મહિલા બ્લેક મેલિંગ કરતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તેવી તુષાર ઘેલાણીના પરિવારે પોલીસને અરજી આપી છે. મહિલા વિરુદ્ધ થયેલી અરજીની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 4 ફેબ્રુઆરીએ આ જ મહિલાએ હોસ્પિટલમાં આવી હોબાળો પણ મચાવ્યો હોવાનો અરજીમાં જણાવાયુ છે.

મળતી માહિતી મુજબ, સુરતના જાણીતા ઘેલાણી ગ્રુપના માલિક અને 55 વર્ષીય તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ પોતાના નિવાસસ્થાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી માથામાં ગોળી મારી હતી. 9 એમએમની ગોળી મગજને ભેદીને આરપાર નીકળી ગઈ હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 5 ફેબ્રુઆરીના રોજ તેમનું મોત થયું હતું. નોંધનીય છે કે એ જ દિવસે તેમની દીકરીના લગ્ન નક્કી કરાયેલા હતા અને લગ્નની કંકોત્રી બાબતે પરિવાર સાથે થયેલી તકરાર બાદ આત્મહત્યાની વાતો પણ સામે આવી હતી.

હવે, તુષાર ઘેલાણીની બારમીની વિધિ પણ પૂર્ણ થઈ નથી ત્યાં વેસુ વિસ્તારમાં રહેતી મહિલાએ દાવો કર્યો છે કે આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે. મહિલાએ સુરત શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

આ મામલે સુરત ડીસીપી નિધિ ઠાકુરએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તુષાર ઘેલાણીના પરિવારજનો તરફથી મહિલાની હેરાનગતિ અને બ્લેકમેઈલિંગના કારણે આપઘાત થયો હોવાનો આક્ષેપ કરતી અરજી મળી છે. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જો પુરાવા સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાએ પોતાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે તુષારભાઈ હરજીભાઈ ઘેલાણી છેલ્લા 15થી 16 વર્ષથી તેમના ખૂબ નજીકના મિત્ર હતા અને તેઓ તેમની સાથે અંગત તથા પારિવારિક બાબતો શેર કરતા હતા. તેણીએ જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની સવારે લગભગ 6 વાગ્યે તેને જાણ થઈ હતી કે તુષાર ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી છે અને તેમને મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળતાં તેણીને થોડી આશા જગી હતી, પરંતુ બાદમાં તેમના અવસાનના સમાચારથી તે ખૂબ દુઃખી અને વ્યથિત બની ગઈ હતી.

Share This Article