Saturday, Feb 7, 2026

જલંધરમાં ગુરુદ્વારા બહાર AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, વિસ્તારમાં ભયનો માહોલ

1 Min Read

પંજાબના જલંધરમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આપ નેતા લકી ઓબેરોય પર મોડલ ટાઉનના ગુરુદ્વારા સાહિબની બહાર ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ધોળા દિવસે નેતા પર ફાયરિંગની આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ગુના માટે જવાબદાર શખ્સોને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે.

હુમલો કેવી રીતે થયો?
પ્રાથમિક જાણકારી મુજબ, ઓબેરોય જ્યારે ગુરુદ્વારાની બહાર પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક બાઇક પર ધસી આવેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાંથી ઓબેરોયને પાંચ ગોળીઓ વાગી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજકીય પૃષ્ઠભૂમિ
અત્રે ઉલ્લેખનીય છે કે, લકી ઓબેરોયની પત્નીએ આમ આદમી પાર્ટી તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. લકી ઓબેરોય કેન્ટ મતવિસ્તારના ઈન્ચાર્જ રાજવિંદર કૌર થિયાડાના અત્યંત નજીકના નેતા છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે. જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે અને તેઓની ઝડપી લેવામાં આવે.

Share This Article