માલેગાંવ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પહેલાં એક દુર્લભ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. એકબીજાના કટ્ટર વિરોધી મનાતા ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ મળીને નવો મોરચો રચ્યો છે. કોંગ્રેસના ત્રણ અને BJPના બે કોર્પોરેટરોએ મળીને ‘ભારત વિકાસ આઘાડી’ નામે સ્વતંત્ર જૂથ બનાવ્યું છે.
‘ભારત વિકાસ આઘાડી’ની રચનાથી 84 સભ્યો ધરાવતી મહાનગરપાલિકામાં સત્તા સંતુલનના ગણિતમાં મોટો ફેરફાર થઈ શકે છે. હાલની સ્થિતિમાં કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર નવા મોરચાનું નેતૃત્વ કોંગ્રેસના કોર્પોરેટર એજાજ બેગ કરશે. જોકે માલેગાંવ મહાનગરપાલિકાનાં ચૂંટણી પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હજુ બાકી છે. આવી સ્થિતિમાં નવગઠિત મોરચો આવનારી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે સૌની નજર એ પર છે કે ‘ભારત વિકાસ આઘાડી’ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોને સમર્થન આપે છે અને માલેગાંવની સત્તાની ચાવી કોના હાથમાં જશે.
માલેગાંવ નગર નિગમમાં કુલ 84 બેઠકો છે અને બહુમતી માટે 43 બેઠકોની જરૂર પડે છે. મેયરનું પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત છે. બેઠકોના ગણિત મુજબ માલેગાંવ નગર નિગમમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઇસ્લામ પાર્ટી સામે આવી છે, જેની પાસે 35 બેઠકો છે. AIMIM પાસે 21 બેઠકો, એકનાથ શિંદેની શિવસેના પાસે 18 બેઠકો, સમાજવાદી પાર્ટી પાસે પાંચ બેઠકો, કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો અને ભાજપ પાસે બે બેઠકો છે. આવી સ્થિતિમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં ઇસ્લામ પાર્ટીને મેયર બનાવવા માટે અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડશે.
બીજી તરફ, AIMIMના નેતા અને ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલે દાવો કર્યો છે કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ માલેગાંવ સહિત કેટલાક નગર નિગમોમાં AIMIM પાસે સમર્થન માગ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી ન તો ભાજપ સાથે જશે અને ના તો શિવસેના (શિંદે જૂથ) સાથે. તેમણે એ પણ કહ્યું છે કે માલેગાંવમાં શિંદે જૂથને કોઈ પણ પરિસ્થિતિમાં સમર્થન આપવામાં નહીં આવે.