Wednesday, Mar 4, 2026

ઉત્તરાયણમાં ઉજવણી વચ્ચે દુર્ઘટનાઓ: 108ને 5,897 કોલ્સ, 400થી વધુ પક્ષીઓ ઘાયલ

2 Min Read

ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણની ઉજવણી આ વર્ષે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, પરંતુ તેની પાછળ અકસ્માતો અને કરુણાંતિકાઓનો એક ભયાનક ચહેરો પણ સામે આવ્યો છે. ૧૪ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં પતંગબાજીના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓએ ઇમરજન્સી સેવાઓને દોડતી કરી મૂકી હતી. એક તરફ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કોલ્સનો વરસાદ થયો હતો, તો બીજી તરફ ઘાતક દોરીઓએ આકાશમાં અબોલ પક્ષીઓના લોહી વહેવડાવ્યા હતા.

માનવીય ઈમરજન્સી: ૧૦૮ સેવા પર કેટલા કોલ?
૧૪ જાન્યુઆરીના રોજ માત્ર ૨૪ કલાકના ગાળામાં રાજ્યની ‘૧૦૮’ ઇમરજન્સી સેવાને રેકોર્ડબ્રેક ૫,૮૯૭ ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ આંકડો ઘણો ઊંચો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉતરાયણના દિવસે ઊંચાઈ પરથી પડી જવાના ૪૮૮ કિસ્સા નોંધાયા હતા. પતંગ પકડવાની લ્હાયમાં અથવા અગાશી પર સંતુલન ગુમાવવાને કારણે નાના બાળકો અને યુવાનો ધાબા પરથી પટકાયા હતા, જેમાં અનેકને ગંભીર ફેક્ચર કે માથામાં ઈજાઓ પહોંચી હતી.

પક્ષીઓ માટે ‘કાળ’ બની પતંગની દોરી
તહેવારની સૌથી મોટી સજા નિર્દોષ પક્ષીઓને ભોગવવી પડી છે. અમદાવાદ શહેરમાં કાચ પાયેલી ઘાતક દોરીએ અનેક પક્ષીઓને આકાશમાં જ કાપી નાખ્યા હતા. ૧૪ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યા સુધીમાં શહેરમાં ૪૦૦થી વધુ પક્ષીઓની ઇમરજન્સી નોંધાઈ હતી. આકાશમાં પેચ લડાવતી વખતે વપરાતી ચાઇનીઝ કે સિન્થેટિક દોરીઓએ કબૂતર, ઘુવડ અને સમળી જેવા પક્ષીઓની પાંખોને ચીરી નાખી હતી. અનેક પક્ષીઓ લોહીલુહાણ હાલતમાં રસ્તાઓ અને ધાબા પર પટકાયેલા જોવા મળ્યા હતા.

સેવાયજ્ઞ: ૨૨ ઓપરેશન થિયેટર સાથે જીવદયા ટ્રસ્ટ સજ્જ
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદના પાંજરાપોળ સ્થિત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. સંસ્થાએ પક્ષીઓની સારવાર માટે ૨૨ જેટલા ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા હતા. તબીબો અને સ્વયંસેવકોની ટીમે સતત કામ કરી પક્ષીઓની પાંખોનું સર્જરી દ્વારા રિપેરિંગ કર્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અનેક પક્ષીઓ આજીવન અપંગ બની ગયા છે.

Share This Article