Sunday, May 3, 2026

નવી સિવિલમાં પતંગોત્સવ સાથે અંગદાન મહાદાનનો સંદેશ: 5000 પતંગો દ્વારા જનજાગૃતિ અભિયાન

3 Min Read

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 18 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરી નવી સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ ઘાતક દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલમાં મેયર દક્ષેશભાઈ માવાણી અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, નિર્દોષ અને અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસ દિવસીય ‘કરુણા અભિયાન’ યોજવામાં આવે છે, જે માનવતા અને જીવદયાની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અંગદાન મહાદાન’ અભિયાન પણ માનવ જીવન બચાવવાની સર્વોચ્ચ સેવા છે, જેમાં એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે. સમાજમાં જીવદયા અને માનવતાની આ ભાવના વધુ વિસ્તરે તે માટે આવા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે.

મેયરએ નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 18 વર્ષથી હેલ્પલાઈન સેવાની જ્યોત પ્રજ્વલિત રાખવા બદલ પ્રશંસા વ્યક્ત કરી અને સુરતવાસીઓને પક્ષી સંરક્ષણ સાથે સાથે અંગદાન જેવા મહાન કાર્ય માટે પણ આગળ આવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓના રક્ષણ-સારવારની સાથોસાથે અંગદાન-મહાદાન અભિયાનને જોડવામાં આવ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખ દ્વારા નવી સિવિલમાં અંગદાન મહાનદાનના સ્લોગન અંકિત કરેલા 5000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ દરેક લોકોને પંતગ આપી અંગદાનના મહત્વ વિશેની સમજ અપાઈ છે. અંગદાન મહાદાન અભિયાન થકી લોકોના જીવ બચાવવાનો ઈશ્વરીય હેતુ છે. મારા 34મા જન્મદિવસે ૩૫ લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ કરી, ફોર્મ ભરી અંગદાનના અભિયાનને વેગ આપવાનું કાર્ય કર્યું છે, એવી જ રીતે દરેક યુવાનો અંગદાનના અભિયાન જોડાઈને સમાજહિત માટે આગળ આવવું જોઈએ.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતાથી કાર્યરત આ હેલ્પલાઈન સેવાનું સમગ્ર આયોજન કરીએ છીએ. ઉત્તરાયણના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીઓ, ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર સેવા કરવામાં આવે છે. આ સાથે અંગદાન મહાદાનના અભિયાનને વેગવાન બનાવીશું. અંગદાનથી અનેક લોકોનો જીવ બચી શકે છે, જેથી આ મહત્વપૂર્ણ અભિયાનમાં સૌએ અવશ્ય જોડાવવું જોઈએ.

Share This Article