Thursday, Mar 26, 2026

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 4 લોકોના મોત, 50 થી વધુ લોકો ગુમ

2 Min Read

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાથી પહાડ પરથી નીચાણવાળા વિસ્તારો તરફ પાણી ખૂબ જ ઝડપથી વહેતું હતું, જેના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાણી સાથે કાટમાળ પણ આવ્યો છે, જેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 50 થી વધુ લોકો ગુમ થવાની માહિતી છે.

ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિમી દૂર છે. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત – સીએમ પુષ્કર સિંહ ધામી

વાદળ ફાટ્યા પછી જોરદાર પાણીના પ્રવાહથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, હવે વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

Share This Article