Thursday, Mar 26, 2026

યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી

4 Min Read

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ યમનના સ્થાનિય અધિકારીઓએ નિમિષા પ્રિયાને મળનારી ફાંસીની સજા સ્થગિત કરી છે. જણાવી દઈએ કે યમનમાં નિમિષા પ્રિયાને બુધવારે 16 જુલાઈ 2025ના ફાંસીની સજા આપવાનો નિર્ણય કરાયો હતો.

આ નિર્ણય કેવી રીતે શક્ય બન્યો?
માહિતી અનુસાર, ભારત સરકાર આ કેસની શરૂઆતથી જ નિમિષા પ્રિયાને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તાજેતરમાં નિમિષા પ્રિયાના પરિવારને બીજા પક્ષ સાથે પરસ્પર સંમતિથી ઉકેલ શોધવા માટે વધુ સમય આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. સામેલ સંવેદનશીલતાઓ હોવા છતાં, ભારતીય અધિકારીઓ સ્થાનિક જેલ સત્તાવાળાઓ અને ફરિયાદીની કચેરી સાથે નિયમિત સંપર્કમાં રહ્યા છે, જેના કારણે સજા સ્થગિત કરવાનો નિર્ણય શક્ય બન્યો છે.

અબ્દો મેંહદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી
નિમિષા પ્રિયા કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી છે. તેણીને 2017માં તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મેંહદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. યમનની કોર્ટનું કહેવું છે કે નિમિષાએ તલાલને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીને મારી નાખ્યો હતો અને તેના શરીરને ટુકડા કરી પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. નિમિષાએ દાવો કર્યો હતો કે તલાલે તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કર્યો હતો અને તેનો પાસપોર્ટ છીનવી લીધો હતો, જેના કારણે તેણે સ્વ-બચાવમાં આ પગલું ભર્યું હતું.

સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, નિમિષાને યમનમાં 16 જુલાઈએ ફાંસીની સજા આપવાની છે. તેના ઉપર તલાલ અબ્દો મહદીના નામના યમનના નાગરિકની હત્યાના મામલે નિમિષા દોષિત સાબિત થઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ છે… અમારી પણ એક મર્યાદા આવી જાય છે. વધુમાં સરકારે કહ્યું કે હવે એક જ રસ્તો છે, યમની નાગરિકનો પરિવાર બ્લડ મનીને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. બ્લડ મની અંતર્ગત પીડિત પરિવારને પૈસા આપવામાં આવે છે. જો કે કેટલા પૈસા આપવા એ બંને પક્ષો મળીને નક્કી કરે છે.

એટોર્ની જનરલ આર વેંકટરમણીએ કોર્ટને કહ્યું કે, ભારત આ મામલે આટલુ જ કરી શકે. અને હવે સરકારની મર્યાદા આવી ગઈ છે. તેમણે કહ્યું કે, સરકાર વધારે કાંઈ ન કરી શકે. યમનની સંવેદનશીલતાને જોતા એ કૂટનિતિક રીતે માન્ય નથી. બ્લડ મની એક ખાનગી કરાર છે. બ્લડ મની એક પ્રકારનું આર્થિક વળતર છે જે પીડિતોના પરિવારને આપવામાં આવે છે.

કેરળના પલ્લકડ જિલ્લાની નિમિષા પ્રિયા મહદી હત્યાના આરોપમાં દોષિત સાબિત થઈ છે. તેણે એક નર્સ સાથે મળીને હત્યા કરી હતી. માહિતી અનુસાર બંનેએ કથિતરીતે એક યમની નાગરિકના મૃતદેહના ટુકડા કર્યા અને એક અંડરગ્રાઉન્ડ ટેંકમાં નાખી દીધો. આ પહેલા નિમિષા પ્રિયાએ આરોપોને ઘણીવાર પડકાર્યા હતા, પરંતુ કોર્ટે તેની અપીલને ફગાવી દીધી હતી.

કોણ છે નિમિષા પ્રિયા
કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયા 2017 થી યમન જેલમાં છે. નિમિષા 2011 માં નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યમન ગઈ હતી. તેના માતાપિતાએ તેમની પુત્રીને મજૂરી કરીને યમન મોકલી હતી, જ્યાં તેણીએ નર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2015 માં, તેણીએ યમનની રાજધાની સનામાં એક મેડિકલ ક્લિનિક ખોલ્યું, જેમાં તલાલ અબ્દો મહદીએ તેને મદદ કરી. વર્ષ 2014 માં, તેના પતિ અને નાની પુત્રી આર્થિક તંગીને કારણે ભારત પાછા ફર્યા. ત્યારબાદ યમનમાં નિમિષાનું જીવન ભયાનક બની ગયું.

તેના સાથી તલાલ અબ્દો મહદીએ બનાવટી દસ્તાવેજો દ્વારા ખુદને તેનો પતિ ગણાવીને નિમિષા પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેણે નિમિષાનો પાસપોર્ટ જપ્ત કર્યો, પૈસા પડાવ્યા અને વારંવાર ધમકી આપી. આનાથી કંટાળીને, 2017 માં નિમિષાએ તલાલથી છુટકારો મેળવીને યમનથી ભાગી જવાનો પ્રયાસ કર્યો અને તેને બેભાન કરવા માટે દવાનો ઓવરડોઝ આપ્યો, જેના કારણે તલાલનું મૃત્યુ થયું. આ પછી, નિમિષાની ધરપકડ કરવામાં આવી અને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો. વર્ષ 2018 માં, કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી.

Share This Article