ભારતીય શેરબજારમાં રોનક પાછી ફરી છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ આજે 21 મે, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 835 પોઈન્ટ વધી 82000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 10.45 વાગ્યે 746.78 પોઈન્ટના ઉછાળે 81933.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટીએ પણ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 25000નું લેવલ ગુમાવ્યા બાદ આજે ફરી 25000 નજીક પહોંચ્યો છે. જે 10.46 વાગ્યે 228.50 પોઈન્ટ ઉછળી 24915.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 400 પોઈન્ટ ઉછળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મોટાપાયે ખરીદી કરી બુલને ટેકો આપી રહ્યા છે.
આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સન ફાર્મા, એચડીએફસી બેંક, એમ એન્ડ એમ, એચયુએલ અને નેસ્લેના સ્ટોક ટોપ ગેઈનરમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે શાશ્વત, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સના સ્ટોક ટોપ લૂઝરમાં નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ગઈકાલે જેપી મોર્ગને ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષા છે. બીજી બાજુ માર્કેટમાં ઘટાડા સામે નીચા મથાળે ખરીદી પણ વધી છે. મીડકેપ અને સ્મોલકેપ શેર્સ બુલિશ રહેતા ઈન્ડેક્સ 1 ટકા સુધી ઉછળ્યા છે. એકંદરે માર્કેટ આજે ગ્રીન ઝોનમાં છે.