બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે ભારતના ચિકન નેક કોરિડોર એટલે કે સિલીગુડી કોરિડોર પર નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો છે. હાલમાં જ ચીનની મુલાકાત દરમિયાન યૂનુસે દાવો કર્યો હતો કે, ‘ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક છે. આથી બાંગ્લાદેશ જ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે.’ જેથી આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમા બાદ હવે વિદેશ મંત્રી એસ જયશંકરે યૂનુસને આર્થિક અને ભૌગોલિક રાજકીય ગતિવિધિઓથી વાકેફ કરાવ્યા હતા.
આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ‘ભારત બંગાળની ખાડી મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ઇનિશિયેટિવ (BIMSTEC)ના સંબંધોમાં પોતાની જવાબદારી સારી રીતે જાણે છે. તેમજ બંગાળની ખાડી અંદાજે 6,500 કિ.મી.નો એટલે કે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો પણ ધરાવે છે.’
થાઈલેન્ડમાં 6ઠ્ઠી BISMTEC સમિટને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘બંગાળની ખાડીમાં અમારી પાસે લગભગ 6500 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો છે. અમારો ઉત્તર-પૂર્વ વિસ્તાર BIMSTEC માટે રસ્તા, રેલવે, જળમાર્ગો, ગ્રીડ અને પાઇપલાઇન્સના અસંખ્ય નેટવર્ક સાથે કનેક્ટિવિટી હબ તરીકે ઉભરી રહ્યો છે.’
આ અંગે વધુમાં વાત કરતા જયશંકરે કહ્યું કે, ‘ત્રિપક્ષીય હાઇવે બની જવાથી ભારતના ઉત્તર પૂર્વને પેસિફિક મહાસાગર સાથે જોડવામાં આવશે, જે એક ગેમ ચેન્જર છે. અમે જાણીએ છીએ કે આ વિશાળ ભૂગોળમાં માલસામાન, સેવાઓ અને લોકો માટે અમારો સહકાર અને સગવડ એ જરૂરી શરત છે. આ ભૌગોલિક-વ્યૂહાત્મક પરિબળને ધ્યાનમાં રાખીને, અમે છેલ્લા એક દાયકામાં BIMSTECને મજબૂત કરવા માટે વધતી ઊર્જા અને ધ્યાન સમર્પિત કર્યું છે.’