બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત સાથે સંસદના નીચલા ગૃહમાં કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષોને ગૃહમાં પ્રશ્નકાળનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. લોકસભા શરૂ થતાં જ વિપક્ષે ગૃહમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષ દ્વારા મણિપુર સળગી રહ્યું છે તેવા નારા લગાવવામાં આવ્યા હતા. જેને લઇ સંસદમાં હંગામો મચી ગયો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં મતદાર યાદીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. આ સત્રની શરૂઆત હંગામા સાથે થઈ છે. આ વખતે વિપક્ષે યુએસ ટ્રેડ ટેરિફ, મતદાર યાદીમાં કથિત હેરાફેરી, વક્ફ બિલ, સીમાંકન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં ત્રણ ભાષાના નિયમ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.
કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદ સભ્યો ચેરની નજીક આવ્યા અને હોબાળો મચાવ્યો. ઉપ સભાપતિ હરિવંશે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને મત રજૂ કરવાની મંજૂરી આપી. ખડગેએ બોલવાનું શરૂ કર્યું હતું ત્યારે ઉપ સભાપતિએ કહ્યું કે તેઓ નકારી કાઢવામાં આવેલી નોટિસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવી શકે નહીં. આ પછી, વિપક્ષી સાંસદોએ થોડા સમય માટે વિરોધ કર્યો અને પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
વિપક્ષ મતદાર યાદીમાં કથિત છેડછાડ, મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટના અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભારતનું વલણ જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. જ્યારે સરકારનું ધ્યાન ગ્રાન્ટની માંગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા તેમજ બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા, મણિપુર બજેટ માટે મંજૂરી મેળવવા અને વકફ સુધારા બિલ પસાર કરવા પર રહેશે.