Tuesday, Mar 31, 2026

ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માગતા તહવ્વુર રાણાને મોટો ઝટકો, યુએસ કોર્ટે અરજી ફગાવી

2 Min Read

અમેરિકાના સુપ્રીમ કોર્ટે 2008 મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાને મોટો ઝટકો આપ્યો હતો. ભારતને પ્રત્યાર્પણ કરવાની રોક લગાવવાની તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાએ યુએસ ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં ઇમરજન્સી અરજી કરી દાવો કર્યો હતો કે જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેના પર અત્યાચાર કરવામાં આવશે.

હ્યુમન રાઈટ્સ વોચ 2023ના વર્લ્ડ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. જોકે સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દેતા મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરને મોટો ઝટકો લાગ્યો હતો.

આ ઉપરાંત અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ભારત સરકાર સતત તાનાશાહ થઈ રહી છે અને ભારત સરકારને સોંપવામાં આવ્યા બાદ તેના પર અત્યાચાર નહીં કરવામાં આવે તેનું કોઈ ચોક્કસ કારણ નથી. તહવ્વુર રાણાએ કહ્યું, તે અનેક પ્રકારની બીમારીથી પીડાય છે. પાર્કિંસંસની સમસ્યા પણ છે. જ્યાં રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે નિશાન બનાવવામાં આવે તેવી જગ્યાએ ન મોકલવો જોઈએ.

કોણ છે તહવ્વુર હુસૈન રાણા?

તહવ્વુર હુસૈન રાણા મૂળ પાકિસ્તાની છે, જે હવે કેનેડિયન નાગરિક છે. આ પહેલા તેઓ શિકાગોના નાગરિક પણ રહી ચૂક્યા છે. તેમણે લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કર્યું, પરંતુ બાદમાં તેમણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયા. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર તે 2006 થી 2008 દરમિયાન પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના અન્ય કાવતરાખોર ડેવિડ હેડલી સહિત અનેક આતંકવાદી જૂથોના સંપર્કમાં હતો. તેણે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જીહાદ-એ-ઇસ્લામીને મુંબઈ પર હુમલો કરવામાં મદદ કરી જ નહીં, પરંતુ સમગ્ર આયોજનનો પણ એક ભાગ હતો. પરિણામે,પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈની તાજ હોટેલ સહિત અનેક સ્થળોએ એક સાથે આતંકવાદી હુમલાઓ કર્યા. આમાં લગભગ 179 લોકો માર્યા ગયા હતા. ડેવિડ હેડલી હવે આ કેસમાં સરકારી સાક્ષી બની ગયો છે.

Share This Article