ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બદલાપુર વિસ્તારમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા, એવી પોલીસે માહિતી આપી હતી.
પહેલા માર્ગ અકસ્માતમાં ભક્તોને લઈને જૌનપુરથી અયોધ્યા જતી ટાટા સુમો કાર રાત્રે લગભગ દોઢ વાગે વારાણસી લખનઊ હાઇવે પર સરોખાનપુર અંડરપાસ પાસે એક અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા હતા, જેમને નજીકના સારવાર કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા, જેમાંથી ડૉક્ટરોએ પાંચ જણને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, એક પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. અન્ય છ લોકોને જિલ્લા હૉસ્પિટલ જૌનપુર ખાસે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બધા જ મૃતકો ઝારખંડના રહેવાસી હતા.
આ અકસ્માત થયાના લગભગ દોઢેક કલાક બાદ એક ટ્રેલર ટ્રકે વારાણસીથી અયોધ્યા જતી બસને પાછળથી ટક્કર મારી હતી, જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 50 જણમાંથી ત્રણના મૃત્યુ થયા હતા અને 27 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બસના ડ્રાઇવર અને બસમાં મુસાફરી કરી રહેલી બે મહિલાનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ બધા દિલ્હીના રહેવાસી હતા.