પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં કહ્યું કે મહાકુંભ હવે ‘મળત્યુ કુંભ’ માં ફેરવાઈ ગયો છે. તેમણે યોગી આદિત્યનાથની સરકાર પર આકરો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો કે મહાકુંભમાં VVIP લોકો માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, તેમણે મહાકુંભમાં થયેલી નાસભાગના મામલે પણ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.
મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું, “આ ‘મળત્યુ કુંભ’ છે. હું મહાકુંભનો સન્માન કરું છું. હું પવિત્ર ગંગા માતાનું પણ સન્માન કરું છું, પરંતુ અહીં કોઈ યોગ્ય યોજના નથી, કેટલાં લોકોનો બચાવ થયો છે? અમીર અને VVIP લોકો માટે એક લાખ રૂપિયા સુધીના ટેન્ટની સુવિધા છે, પરંતુ ગરીબ લોકો માટે અહીં કોઈ વ્યવસ્થા નથી. મેળામાં નાસભાગ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ તેને રોકવા માટે વ્યવસ્થા કરવી ખૂબ જ અગત્યની છે. શું સરકારે તેના માટે કઈ યોજના બનાવી છે?”
પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા અંગે ભાજપ સરકારની ટીકા કરી. તેમણે કહ્યું કે મહાકુંભ હવે ‘મળત્યુ કુંભ’માં ફેરવાઇ ગયું છે. મંગળવારે, મમતા બેનર્જીએ વધુ એક ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના વિધાયકો દ્વારા તેમના પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે મળી જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે અંગે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરશે.
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું, ‘સંત સમાજ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સખત નિંદા કરે છે. મહાકુંભ સનાતન સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે.’ જયારે સ્વામી અધોક્ષજાનંદ દેવ તીર્થે કહ્યું, ‘મમતા બેનર્જીએ પોતે પ્રયાગરાજ મહાકુંભમાં આવવું જોઈએ અને તેનું અવલોકન કરવું જોઈએ. મહાકુંભ કહેવાય છે, જેમાં 50 કરોડથી વધુ સનાતનીઓએ પુણ્ય પ્રાપ્ત કર્યું અને દિવ્ય અનુભવ મેળવ્યો, તેને મૃત્યુનો કુંભ કહેવો તે અત્યંત નિંદનીય છે.’