ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન (6, ફ્લેગ સ્ટાફ રોડ) ના નવીનીકરણ અને આંતરિક સુશોભન પર વધુ પડતા ખર્ચ અંગે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે ફરિયાદમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલે કરદાતાઓના કરોડો રૂપિયા તેમના નિવાસસ્થાન પર ખર્ચ્યા હતા. લક્ઝરી વસ્તુઓ પરનો આ ખર્ચ તાર્કિક મર્યાદાની બહાર છે અને ભ્રષ્ટાચારની ગંભીર શંકાને જન્મ આપે છે.’
અરવિંદ કેજરીવાલ લીકર પોલીસી કેસ વિવાદમાં પહેલેથી જ ફસાયેલા છે. ‘શીશ મહેલ’ બંગલો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મહત્વનો મુદ્દો રહ્યો હતો, જેના કારણે આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થયું હતું. હવે ચૂંટણી પરિણામોમાં AAPની હાર બાદ CVCએ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ લખાય છે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ કે AAPએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
નોંધનીય છે કે ગયા વર્ષે જ ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ CVCને પત્ર લખીને બંગલાની તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘરના રીનોવેશન અને બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પત્રમાં દલીલ કરવામાં આવી હતી કે બાંધકામ દરમિયાન ગ્રાઉન્ડ કવરેજ અને ફ્લોર એરિયા રેશિયોની નિર્ધારિત મર્યાદાનું પાલન કરવામાં આવ્યું ન હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભવ્ય બંગલો બનાવવા માટે નજીકની ઘણી સરકારી ઈમારતો તોડી પાડવામાં આવી હતી.