મહાકુંભમાં દેશ-વિદેશના લોકો આવી રહ્યા છે અને આસ્થાની પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે બોલીવુડના પણ અનેક સિતારાઓ ઉદ્યોગપતિઓ ક્રિકેટ જગતના મહારથીઓ વગેરે અનેક લોકો મહાકુંભમાં પધારીને પવિત્ર સ્નાનનો લહાવો લઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી પણ તાજેતરમાં મહાકુંભમાં આવ્યા હતા અને તેમણે આસ્થાની પવિત્ર ડુબકી લગાવી હતી.
પ્રયાગરાજમાં સંગમ તીર્થે પહોંચ્યા બાદ તેમણે સ્નાન પણ કર્યું હતું. તેમણે આ ક્ષણને દિવ્ય ક્ષણ ગણાવી હતી. આ સમય દરમિયાન તેઓ મહાકુંભની ભવ્યતાથી પ્રભાવિત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે એવું લાગી રહ્યું છે જાણે તેમણે ખરેખર ગંગાસ્નાન કર્યું હોય.
સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘મહાકુંભ માટે જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અદ્ભુત અને દૈવી છે. કરોડો લોકોનું આગમન અને મા ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ ખરેખર સનાતનની શક્તિ છે. અભિનેતાએ આગળ કહ્યું હતું કે, ‘દર કલાકે લાખો લોકો સ્નાન કરે છે અને જતા રહે છે. આવી વ્યવસ્થા ક્યાંય ન બની શકે. મહાકુંભમાં આવવું અને ગંગામાં ડૂબકી લગાવવી એ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ છે.
મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવ્યા બાદ સુનિલ શેટ્ટીએ મીડિયા સાથે વાત પણ કરી હતી અને તેમણે મેળાની વ્યવસ્થા વિશે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ સમય દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને યુપીના મુખ્યપ્રધાન યોગ્ય આદિત્યનાથના નેતૃત્વમાં યોજાયેલા મહાકુંભમાં કરોડો ભક્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની દિલ ખોલીને પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.