Wednesday, Mar 25, 2026

નવું આવકવેરા બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, જાણો સંપૂર્ણ અપડેટ

2 Min Read

સંસદમાં આવતીકાલે નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવી શકે છે. આવકવેરા કાયદાઓને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટના ભાષણમાં નવું આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ નવું બિલ 1961ના 62 વર્ષ જૂના આવકવેરા કાયદાનું સ્થાન લેશે અને તેને આવકવેરા કાયદા 2025 તરીકે ઓળખવામાં આવશે.

નવા આવકવેરા બિલમાં પાનાની સંખ્યા ઓછી કરવામાં આવી છે. 63 વર્ષ અગાઉ 1961માં લાગુ કરાયેલા આવકવેરા બિલમાં 880 પાના હતા, જે હવે ઘટાડીને 622 કરી દેવાયા છે. અલબત્ત, બિલમાં પ્રકરણોની સંખ્યા જેમની તેમ જાળવી રખાઈ છે. આ બિલમાં પણ 23 પ્રકરણ છે. બિલમાં કુલ 536 વિભાગો છે.

નવું આવકવેરા બિલ જૂના બિલની તુલનામાં સરળ છે. જૂનામાં હતા એવા ઘણા અઘરા શબ્દોને સ્થાને સમજવામાં સરળ હોય એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, હવેથી નાણાંકીય વર્ષના આખા 12 મહિનાને ‘કરવેરા વર્ષ’ કહેવામાં આવશે; ‘આકારણી વર્ષ’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એ ઉપરાંત આ બિલમાં ‘સ્ટાન્ડર્ડ ડિડક્શન’ અને ‘કેપિટલ ગેઈન ટેક્સ’ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

સંસદમાં ખરડાને મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની જાય, ત્યારે આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે. જૂનો કાયદો દાયકાઓનો સમય વિત્યા બાદ અને સમય સમય પર થયેલા વિવિધ સુધારાઓને કારણે તે ખૂબ જટિલ બની ગયો છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા કાયદામાં આવકવેરા અધિનિયમ, 1961માં ઉલ્લેખિત ‘પાછલું વર્ષ એટલે કે નાણાકીય વર્ષ શબ્દને ‘કર વર્ષ’ માં બદલી નાખવામાં આવ્યો છે. આ સાથે, મૂલ્યાંકન વર્ષ (AY)ની વ્યાખ્યા નાબૂદ કરવામાં આવી છે.

આ નવા બિલમાં, પાછલા વર્ષ અને મૂલ્યાંકન વર્ષના ખ્યાલને દૂર કરીને સરળ કરવા માટે ફક્ત કર વર્ષની વિભાવનાને સ્વીકારવામાં આવી છે. આ નવા બિલમાં વર્તમાન આવકવેરા કાયદાની 298 કલમોને સ્થાને 536 કલમો સમાવેશ કરવામાંઆ આવી છે. હાલના કાયદામાં 14 અનુસૂચીઓ છે જે નવા કાયદામાં વધીને 16 થશે. આ નવા બિલ મુજબ, CBDT હવે કલમ 533 મુજબ વારંવાર કાયદાકીય સુધારાની જરૂર વગર ટેક્સ વહીવટ નિયમો જાહેર કરી શકે છે, પાલન માટેના પગલાં રજૂ કરી શકે છે અને ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ્સ લાગુ કરી શકે છે.

Share This Article