Friday, May 15, 2026

સંસદમાં ધક્કામુક્કી કેસમાં તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, ભાજપ-કોંગ્રેસે કરી સામસામે ફરિયાદ

2 Min Read

રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવેલું નિવેદન મોટા વિવાદનું કારણ બની ગયું છે. આ અંગે સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષના વિરોધ દરમિયાન બોલાચાલી બાદ ધક્કા મુક્કી થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. સાંસદોએ રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પણ આવા જ આક્ષેપો કર્યા હતા. બંનેએ દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ટીમ તપાસ કરશે.

ભાજપના બે સાંસદોને ઈજા થવા અંગે પક્ષની ફરિયાદના આધારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ FIR કેસ ક્રાઈમ બ્રાન્ચને મોકલવામાં આવ્યો છે. આટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોંગ્રેસે કરેલી ફરિયાદની પણ તપાસ કરશે. રાહુલ સામેના આરોપો ગંભીર રીતે ઈજા પહોંચાડવાથી લઈને બળનો ઉપયોગ કરવા અને ધમકી આપવા સુધીના છે.

પુરાવા તરીકે મીડિયા કેમેરાના ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવશે. ફૂટેજ એકત્રિત કરવા માટે લોકસભા સ્પીકરની પરવાનગી લેવામાં આવશે. નિવેદન અને ફૂટેજ પ્રાપ્ત કર્યા પછી, ઘટના સ્થળ પર દ્રશ્ય ફરીથી રિક્રીએટ કરવામાં આવશે. રાહુલ ગાંધી અને અન્ય સાંસદોને નોટિસ મોકલવામાં આવશે. નિવેદન નોંધ્યા બાદ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસની ફરિયાદમાં ભાજપના સાંસદો પર મલ્લિકાર્જુન ખડગેને ધક્કો મારવાનો અને એસસી/એસટી એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ આ ફરિયાદની પણ તપાસ કરી રહી છે.

આ સમગ્ર વિવાદ ત્યારે થયો જ્યારે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ભાષણ દરમિયાન કોંગ્રેસ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના વારંવાર ઉલ્લેખ પર ટિપ્પણી કરી. શાહે કોંગ્રેસ પર આંબેડકરના નામનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આંબેડકરનું નામ લેવું કોંગ્રેસ માટે ‘ફેશન’ બની ગયું છે. આ પછી કોંગ્રેસે અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. આ નિવેદનને લઈને ગૃહમાં હોબાળો થયો હતો અને ભાજપના બે સાંસદો પણ ઘાયલ થયા હતા. જેમાં ઓડિશાના બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા અને ફર્રુખાબાદના સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article