Sunday, May 17, 2026

દેશના ‘રતન’નું નામ ભારત રત્ન માટે પ્રસ્તાવિત, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

2 Min Read

ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે તેમને ભારત રત્ન આપવાની માગ કરી છે. એના માટે મહારાષ્ટ્રની શિંદે કેબિનેટે ઠરાવ પસાર કર્યો છે. એ ઠરાવમાં દેશના ‘રતન’ને મરણોપરાંત ભારત રત્ન આપવાની માગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર હવે મહારાષ્ટ્ર કેબિનેટના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેશે.

દેશના દિગજ્જ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે 86 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. વિનમ્ર ઉદ્યોગપતિની નામના ધરાવતા રતન ટાટાના અવસાનના અહેવાલથી સામાન્ય માણસથી લઈને નેતાઓ તથા ઉદ્યોગજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમરને લગતી સમસ્યાઓને પગલે ભારતીય ઉદ્યોગજગતના પિતામહ તરીકેની નામના દરાવતા ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ટાટા જૂથે મીઠાથી લઈને સોફ્ટવેર સહિતના વિવિધ ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું હતું.

‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારત રત્ન સમ્માન માટે તમામ વ્યક્તિ, જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વગર પાત્ર છે. આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે.

ભારત રત્ન આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કરી હતી.સૌથી પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રમનને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article