પ્રયાગરાજના પ્રખ્યાત ઉમેશ પાલ ટ્રિપલ મર્ડર કેસમાં કથિત રીતે સંડોવાયેલા ૫૦ વર્ષીય નફીસ બિરયાની નું રવિવારે મોડી રાત્રે હૃદય બંધ થવાથી મૃત્યુ થયું હતું. નફીસને માફિયા અતીક અહેમદનો નજીકનો પણ માનવામાં આવતો હતો અને તેનો ફાયનાન્સર હોવાનું પણ માનવામાં આવતું હતું. નૈની સેન્ટ્રલ જેલમાં બંધ નફીસ બિરયાનીને રવિવારે સાંજે ખરાબ તબિયતના કારણે એસઆરએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રારંભિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક માનવામાં આવે છે. પોલીસે પંચનામા કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓ પર હુમલા વખતે જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કથિત રીતે નફીસ બિરયાનીની હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. ઉમેશ પાલ હત્યા કેસમાં હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.
હકીકતમાં, નફીસ બિરયાની ઉમેશ પાલ મર્ડર કેસમાં આરોપી હતો અને તેને નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અનાપુર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન ૨૨ નવેમ્બરની મોડી સાંજે ધરપકડ કરાઈ હતી. ફાયનાન્સર નફીસ બિરયાની પર ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરાયું હતું. પોલીસ એન્કાઉન્ટર દરમિયાન નફીસને પગમાં ગોળી વાગી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી ૯ ડિસેમ્બરે તેને સારવાર બાદ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.’
ઉમેશ પાલ મર્ડર કેસ સહિત ૧૦૦ થી વધુ ગુનાહિત કેસોમાં નામાંકિત અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની આ વર્ષે ૧૫ એપ્રિલે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અતીકની પત્ની શાઇસ્તા પરવીન, ગુડ્ડુ મુસ્લિમ, અશરફની પત્ની ઝૈનબ સહિત ઘણા આરોપીઓ ફરાર છે. પોલીસ આ આરોપીઓને શોધી રહી છે.
આ પણ વાંચો :-