ભારતીય રમતજગત માટે આજનો દિવસ સન્માન અને ચર્ચા બંને લઈને આવ્યો છે. એક તરફ તેજસ્વિન શંકર, દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાથી સહિત 17 ખેલાડીઓના નામ અર્જુન પુરસ્કાર માટે જાહેર થયા, તો બીજી તરફ દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે આ વર્ષે કોઈ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો નથી. 2025ના નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની આ જાહેરાતે રમતપ્રેમીઓનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025ની જાહેરાત કરી હતી. પસંદગી પ્રક્રિયા પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. અર્જુન પુરસ્કાર સતત ચાર વર્ષના ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉપરાંત નેતૃત્વ, રમતગમતની ભાવના અને શિસ્ત માટે આપવામાં આવે છે.
આ વર્ષે અર્જુન પુરસ્કાર મેળવનાર 17 ખેલાડીઓમાં એથ્લેટિક્સના તેજસ્વિન શંકર, મુહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામી, બેડમિન્ટનની ટ્રીસા જોલી અને પુલેેલા ગાયત્રી ગોપીચંદ, બોક્સિંગના નરેન્દ્ર, ચેસના વિદિત સંતોષ ગુજરાથી અને દિવ્યા જિતેન્દ્ર દેશમુખનો સમાવેશ થાય છે. ઉપરાંત ધનુષ શ્રીકાંત, લાલરેમસિયામી, રાજકુમાર પાલ, સુર્જીત, પૂજા, રુદ્રાંશ ખંડેલવાલ, એકતા ભ્યાન, અરવિંદ સિંહ અને અખિલ શેઓરાનને પણ સન્માન મળશે.
ફૂટબોલમાં લાંબા સમયની સેવાઓ બદલ આઈ. અરુમૈનાયગમને અર્જુન પુરસ્કાર (લાઇફટાઇમ) આપવામાં આવ્યો છે. તેમના સિવાય ત્રણ નિયમિત અને બે લાઇફટાઇમ કેટેગરીમાં કુલ પાંચ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર મળશે. પુણેની આર્મી પેરાલિમ્પિક નોડને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવી છે.
આ રીતે 2025ના એવોર્ડ્સમાં અનેક ખેલાડીઓ અને કોચની સિદ્ધિઓને માન્યતા મળી, પરંતુ Khel Ratna માટે કોઈ નામ જાહેર ન થવું આ વર્ષની સૌથી મોટી ચર્ચા બની છે.