Tuesday, Aug 11, 2026

80 વર્ષ જૂનું રહસ્ય ફરી ચર્ચામાં! નેતાજીના અવશેષો ભારત લાવવાની માગ પર સુપ્રીમ કોર્ટમાં ફરી ચર્ચા

3 Min Read

80 વર્ષથી વધુ સમયથી રહસ્ય બનેલા નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતિમ અવશેષો હવે ભારત લાવવામાં આવશે ?
આ સવાલે એકવાર ફરી દેશનું ધ્યાન ખેંચ્યું છે. નેતાજીની પુત્રી અનીતા બોઝ ફાફે જાપાનના ટોક્યો સ્થિત રેન્કોજી મંદિર ખાતે રાખવામાં આવેલા તેમના પિતાના કથિત અવશેષો ભારત પરત લાવવાની માંગ સાથે આજે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને ત્યારબાદ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાએ અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને નોટિસ પાઠવી છે. અનીતા બોઝ ફાફ તરફથી વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ દલીલ કરી હતી કે આ મામલે નેતાજીની પુત્રી પોતે કોર્ટ સમક્ષ આવી છે. કોર્ટે પહેલાં કેન્દ્રનો જવાબ સાંભળવાનો અભિગમ અપનાવ્યો હતો.

આ કેસનો એક મહત્વનો વળાંક માર્ચ 2026માં આવ્યો હતો. તે સમયે નેતાજીના સંબંધીએ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે જો નેતાજીના અવશેષો ભારત લાવવાની માગ કરવી હોય તો તેમની સીધી વારસદાર અનીતા બોઝ ફાફે પોતે અરજી કરવી જોઈએ. ત્યારબાદ હવે તેમણે પોતાના નામે અરજી દાખલ કરી છે.

અનીતા બોઝ ફાફ લાંબા સમયથી પોતાના પિતાના અવશેષો ભારત લાવીને અહીં અંતિમ સંસ્કાર કરવાની માગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે નેતાજીને તેમના વતનની ધરતી પર અંતિમ સન્માન મળવું જોઈએ.

નેતાજીના મૃત્યુ અંગેનો ઇતિહાસ જોકે આજે પણ વિવાદોથી ઘેરાયેલો છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇહોકુ, હાલના તાઇપેઈમાં વિમાન દુર્ઘટના બાદ નેતાજીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમની માનવામાં આવતી અસ્થિઓ જાપાનના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવી હતી. જોકે આ મુદ્દે તપાસ પંચોના તારણોમાં મતભેદ રહ્યા છે. 1956ની શાહનવાઝ સમિતિ અને 1974ના ખોસલા કમિશને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ અને રેન્કોજી મંદિરની અસ્થિઓને નેતાજીની ગણાવી હતી. બીજી તરફ, 2005ના મુખર્જી કમિશને નેતાજી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ન હોવાનું અને રેન્કોજીની અસ્થિઓ તેમની ન હોવાનું તારણ આપ્યું હતું. ભારત સરકારે આ બંને તારણો સ્વીકાર્યા નહોતા.

હવે સુપ્રીમ કોર્ટમાં અનીતા બોઝ ફાફની અરજી બાદ કેન્દ્ર સરકારનો જવાબ આ લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દામાં આગામી મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

Share This Article