ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી સમિતિની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે આ દરોને ૬.૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તમારી EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. બેઠકમાં હાજર છમાંથી પાંચ સભ્યો રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા.
મહત્વપૂર્ણ છે કે આરબીઆઈની નાણાકીય નીતિની આ જાહેરાત યુએસ ફેડરલ રિઝર્વ બેંકે તેના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ આવી રહી છે જેમાં તેણે બેન્ચમાર્ક વ્યાજ દરોને ૫.૨૫ ટકા પર યથાવત રાખ્યા છે અને દરોમાં ફેરફાર ન કરવા સૂચવ્યું છે. બજારે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ બેંક આ વર્ષે માર્ચથી વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ગયા વર્ષે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારબાદ RBIએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35% પર સ્થિર રાખ્યો છે. MSF દર અને બેંક દર ૬.૭૫% પર યથાવત છે. જ્યારે, SDF રેટ ૬.૨૫% પર સ્થિર છે.
રેપો રેટને સ્થિર રાખવાની જાહેરાતની સાથે RBI ગવર્નર શક્તિદાન કાંતે મોંઘવારી અંગે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી ખાદ્ય ચીજોની કિંમતો પર નજર રાખી રહી છે. મોંઘવારીમાં નરમી જોવા મળી રહી છે. આ જોતાં MPCની બેઠકમાં મોંઘવારીનો લક્ષ્યાંક ૪ ટકા જાળવવામાં આવ્યો છે. GDP વૃદ્ધિ અંગે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, FY૨૪માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ ૭ ટકાથી ઉપર રાખવામાં આવ્યો છે. અગાઉના અંદાજમાં પણ રિઝર્વ બેન્કે તેને ૭.૩ટકા પર રાખ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત મજબૂતી બતાવી રહી છે.