લશ્કર-એ-તૈયબાના વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા

Share this story

ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી છે. હંજલા ૨૦૧૬માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં ૮ જવાનો શહીદ થયા હતા, જ્યારે ૨૨ જવાનો ઘાયલ થયા હતા.

હંઝલા અદનાનને ૨ અને ૩ ડિસેમ્બર દરમિયાન રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીઓથી ઠાર માર્યો. તેને કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અદનાન ૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ટ લશ્કર પ્રમુખ હાફિઝ સઈદનો ખુબ નજીકનો મનાતો હતો. અદનાનને તેના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી, જ્યારબાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં તેને મૃત જાહેર કરાયો.

હંજલા અદનાને વર્ષ ૨૦૧૫માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં બીએસએફના ૨ જવાન શહીદ થયા હતા જ્યારે ૧૩ બીએસએફ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને ૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજલા અદનાન પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.

આ પણ વાંચો :-