મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માનખુર્દના મંડાલા વિસ્તારની જનતાનગર પાંચમી ગલીમાં રવિવારે રાત્રે આશરે 8:30 વાગ્યે એક ત્રણ માળની ચાલનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ચાલના બીજા અને ત્રીજા માળના કેટલાક રૂમ તૂટી પડતા કાટમાળ નીચે અનેક લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા અને પાંચ બાળકો સહિત કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને NDRFની સંયુક્ત ટીમોએ કલાકો સુધી કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું હતું.
આજે પણ સાવચેત રહેજો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોલાબામાં 48.8 મીમી અને સાંતાક્રુઝમાં 66.4 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સાથે જ જુલાઈ મહિનાના સરેરાશ વરસાદના લગભગ 85 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન વિભાગે આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દિવસભર ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાયગડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.