આખા મંત્રી મંડળ સહિત સીએમ જ્યાં હાજર રહેવાના છે, ધડાકાભેર તૂટી પડયું એ સ્ટેજનું સ્ટ્રક્ચર

Share this story

The structure

  • જામનગરમાં પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવાની હોય અને જુદા જુદા કાર્યક્રમોમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સમગ્ર મંત્રીમંડળ સહિત હજારોની જનમેદની ઉપસ્થિત રહેવાના છે. એ કાર્યક્રમ સ્થળે જ બની મોટી દુર્ઘટના.

જામનગરમાં (Jamnagar) આગામી પહેલી મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની હોય જેના પગલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી એવા સમયે ગતરાત્રિના પ્રદર્શન ગ્રાઉન્ડમાં (Exhibition Ground) સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ પરનું લાઈટિંગ સ્ટ્રક્ચર અચાનકત તુટી પડતા અફરાતરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં એક બાળકી સહિત કુલ પાંચ જેટલા લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય અને આવા સમયે આવી દુર્ઘટના સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે જામનગરના ગ્રાઉન્ડમાં એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણી કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા નિર્માણધીન સ્ટેજ પરનું લાઈટિંગ સ્ટ્રક્ચર તૂટી પડતા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જો કે સદનસીબે મોટી જાનહાની થઈ નથી. હાલ તો ઈજાગ્રસ્તને શહેરની સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તમાં ચિંતન રાઠોડ, અંકિત વોરા, પિયુષ પંડયા અને અનસુમી પંડયા સહિત પાંચને ઈજા પહોચી હતી. હાલ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

No description available.

આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ તંત્રની બેદરકારી કહી શકાય તેમ કામગીરીમાં ચૂક રહી જતા દુર્ઘટથી હાલ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે કાર્યક્રમના સમયે જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો ? માત્રને માત્ર આ વિચારથી જ એક બિહામણું દ્રશ્ય સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો :-