એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ, 4 ફેકલ્ટીને શો-કોઝ નોટિસ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડો. હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત બાદ સમગ્ર મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ઉચ્ચસ્તરીય તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ મામલે સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટરો તેમજ મૃતકના પિતાના નિવેદનો નોંધ્યા હતા. ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન અને સફાઈકર્મીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.
રાત્રે 8:30 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે પોતાનો રિપોર્ટ કમિટીને સોંપ્યો હતો.
રિપોર્ટના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ, માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. જેમાં ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતનો સમાવેશ થાય છે.
એન્ટી રેગિંગ કમિટીના અહેવાલને કોલેજ કાઉન્સિલે સર્વાનુમતે મંજૂરી આપી છે. સમગ્ર મામલે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ પણ સોંપવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંસ્થાકીય સ્તરે વધુ કડક પગલાં ભરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોલીસે મૃતક ડો. હર્ષ પંડ્યાના સાથી 9 જેટલા ડોક્ટરોના નિવેદનો નોંધાયા હતા. જેમાં સસ્પેન્ડ કરાયેલા ચાર રેસીડેન્ટ ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. ડોક્ટર હર્ષને કામ બાબતે જાહેરમાં અપમાનિત કરવામાં આવતા હતા. વગર કામે તેને બેસાડી રાખવામાં આવતા હતા. તદુપરાંત ડોક્ટરને ન છાજે તેવા અપશબ્દો હર્ષને અપશબ્દો બોલવામાં આવતા હતા. જેથી હર્ષ માનસિક રીતે પડી ભાંગ્યો હતો. પોલીસની આ તપાસના કારણે નવી સિવિલ હોસ્પિટલના તંત્રએ ચાર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. પોલીસની તપાસ હાલ આગળ ચાલી રહી છે જ્યારે રેસીડેન્ટ ડોક્ટરો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ શકે તેવી શક્યતા પણ છે.