સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે રાહતના સમાચાર. 69 દિવસથી બંધ રહેલો રાંદેર વિયર-કમ-કોઝવે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાતા લોકોને લાંબા વૈકલ્પિક માર્ગો પરથી ફરવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે. તાપી નદીનું જળસ્તર ઘટતાં સુરત મહાનગરપાલિકાએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
ચોમાસા દરમિયાન તાપી નદીમાં પાણીની આવક વધતા સુરક્ષાના કારણોસર કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. હવે નદીનું જળસ્તર સુરક્ષિત સપાટીની નીચે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આંકડા મુજબ 8 સપ્ટેમ્બરે તાપીનું જળસ્તર 5.52 મીટર નોંધાયું હતું, જ્યારે કોઝવે ઓવરફ્લોની સપાટી 6 મીટર છે.
કોઝવે બંધ હોવાથી રાંદેર અને સિંગણપોર વચ્ચે અવરજવર કરતા લોકોને વૈકલ્પિક બ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો. તેના કારણે કેટલાક વાહનચાલકોને 3થી 4 કિલોમીટર સુધીનો વધારાનો ચકરાવો મારવો પડતો હતો. હવે કોઝવે શરૂ થતા સમય અને ઇંધણ બંનેમાં બચત થશે.
કોઝવે ખુલવાથી આસપાસના વૈકલ્પિક માર્ગો પરનું વધેલું ટ્રાફિક ભારણ પણ ઘટવાની શક્યતા છે. રોજિંદા નોકરી-ધંધા અને અન્ય કામ માટે આ માર્ગનો ઉપયોગ કરતા નાગરિકોને સીધો અને સરળ માર્ગ ફરી ઉપલબ્ધ થયો છે.





