સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરો અને મિલકતો તૂટી જશે તેવી આશંકામાં ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે. કતારગામની ટીપી સ્કીમ નં. 49, 50 અને 51 હેઠળ કેટલીક રહેણાંક મિલકતોને રિઝર્વેશનમાં મૂકવામાં આવતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે. રહેવાસીઓ રિઝર્વેશન દૂર કરવા માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમને કોઈ ઠોસ ઉકેલ મળ્યો નથી.
કતારગામ ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે 2002ના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે તમામ ચકાસણી બાદ તેમણે કાયદેસર રીતે મકાનો ખરીદ્યા હતા. હવે અચાનક જ તેમની મિલકતોને રિઝર્વેશન હેઠળ મૂકવામાં આવતાં લગભગ 60 સોસાયટીમાં રહેતા એક લાખથી વધુ લોકો પ્રભાવિત થવાના છે. તાજેતરમાં હજારો રહેવાસીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ન્યાય માટે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
કતારગામના રહેવાસીઓએ જણાવ્યું કે મકાન તૈયાર થયા બાદ કોઈ નોટિસ આપ્યા વગર તેમના ઘરના સ્લેબ તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તેમણે કહ્યું કે સરકાર આવાસની વાત કરે છે, જ્યારે અમારી પાસે તમામ દસ્તાવેજ હોવા છતાં મકાન તોડી પાડવાની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે પરિવાર માનસિક તણાવમાં જીવે છે.
ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ પણ આરોપ લગાવ્યો કે ઝોનલ ઓફિસમાં સહી કરાવી લેવામાં આવે છે અને પછી પ્રક્રિયાનો બહાનો બતાવવામાં આવે છે. મુખ્ય મંત્રી તાજેતરમાં સુરત આવ્યા ત્યારે પણ આ મુદ્દો સ્થાનિક નેતાઓએ રજૂ ન કર્યો હોવાનો રહેવાસીઓનો આક્ષેપ છે.
વધુમાં જણાવ્યું કે તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મેયર, ધારાસભ્યો, શહેરી વિકાસ મંત્રી તથા મુખ્ય મંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે 2004ના ડ્રાફ્ટ પ્લાન દરમિયાન અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને મ્યુનિસિપલ કચેરીમાં તમામ ચકાસણી બાદ લોકોએ પ્લોટ અને મકાન ખરીદ્યા હતા.
કતારગામ વિસ્તારમાં ઘણા લોકોએ બેંક લોન લઈને મકાન લીધાં છે અને હજુ પણ હપ્તા ભરી રહ્યા છે. તમામ કાગળો હોવા છતાં જો મકાન રિઝર્વેશનમાં મૂકવામાં આવશે તો તેઓ ક્યાં જશે તે સૌથી મોટો પ્રશ્ન છે. અન્ય એક રહેવાસીએ જણાવ્યું કે તેમના ઘરના ભાગ પર પહેલેથી જ તોડફોડ કરવામાં આવી છે અને આગળ પણ તોડવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે પરિવાર સતત ડરમાં જીવે છે.
ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું કે અન્ય શહેરોમાં જેમ કે જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં ટીપી સ્કીમમાં ખામીઓના કારણે વેરિયેશન કરવામાં આવ્યા છે. એ જ રીતે કતારગામની ટીપી સ્કીમમાં પણ સુધારો કરી તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડવું જોઈએ. તેમણે દાવો કર્યો કે ઘણા મકાનો પર ઇમ્પેક્ટ ફી પણ ભરવામાં આવી છે, જેનો હેતુ લોકોને ઘર બચાવવાનો હતો, પરંતુ આજે તો મકાન તૂટી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
આ મુદ્દો છેલ્લા ચાર વર્ષથી સુરતમાં સળગતો રહ્યો છે અને તેમાં ભ્રષ્ટાચારના આરોપો પણ સામે આવ્યા છે. વર્ષ 2023માં ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા મંત્રી નાનુભાઈ વાનાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દાવો કર્યો હતો કે રહેણાંક મકાનો, કોમ્યુનિટી હોલ અને સોસાયટીના રોડને રિઝર્વેશન હેઠળ મૂકી જમીનના માલિકોને નબળી જગ્યાએ પ્લોટ આપીને સારી જગ્યાના પ્લોટ ફાળવવામાં આવ્યા, જે સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની આશંકા દર્શાવે છે.