Friday, Oct 24, 2025

પુણામાં ૭૪ લાખ લિટરની ટાંકી બનાવીને નવા વિસ્તારમાં પાણી પહોંચાડવાનું આયોજન

2 Min Read

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ થયા બાદ નવા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે પાલિકા આયોજન કરી રહી છે. પુણા વિસ્તારમાં ૭૪ લાખ લીટરની ભુર્ગભ ટાંકી બનાવી વરાછા-લિંબાયતની છ લાખની વસ્તીને પાણી પુરવઠો પૂરો પાડવા માટે આયોજન કરવામા આવ્યું છે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવવા માટે આયોજન કરાયું છે તેના માટે પાણી સમિતિની કમિટિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર આગામી દિવસોમાં નિર્ણય કરવામા આવશે.

સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં સમયાંતરે પાણીની અછતની ફરિયાદ થઈ રહી છે. પાલિકા દ્વારા આપવામા આવતા પાણી પુરવઠામાં વધુ સુવિધા માટે પાલિકા દ્વારા સતત આયોજન કરવામા આવી રહ્યું છે. હદ વિસ્તરણ બાદ વરાછા અને લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા માટે કવાયત શરૂ થઈ છે. પુણા અને લિંબાયતની છ લાખની વસ્તીને અવિરત પાણી પુરવઠો મળે તે માટે પુણા ખાતે બનાવવામા આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં આગામી દિવસેમાં ૭૪ લાખ લીટર પાણીનો સંગ્રહ થાય તે માટેની ભુગર્ભ પાણીની ટાંકી બનાવવા આયોજન કરવામા આવ્યું છે.

વરાછા ઝોનમાં આવેલા પુણા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે બનનારી ૭૪ લાખ લીટરની ભૂગર્ભ ટાંકીને કારણે ભવિષ્યમાં આ વિસ્તારમાં ૨૪ કલાક યોજના હેઠળ પણ શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પુરો પાડવામાં સરળતા રહેશે. પાણી સમિતિની બેઠકમાં પાણીની ટાંકી બનાવવા માટેના અંદાજ પર નિર્ણય કરવામાં આવશે. આ ટાંકી બની ગયા બાદ પુણા અને લિંબાયતની છ લાખની પ્રજાને પાણી પુરવઠો અવિરત મળે તેવી ગણતરી થઈ રહી છે.

આ પણ વાંચો :-

Share This Article