Home Blog Page 90

રાંચીમાં ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન: ઉડ્ડયન મંત્રીએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે આપ્યું મોટું અપડેટ

0

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડૂ બુધવારે તેમની પ્રથમ મુલાકાતે રાંચી પહોંચ્યા હતા. અહીં તેમણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને લઈને દેશને સતર્ક રહેવાની સલાહ આપી હતી. મંત્રીએ જણાવ્યું કે હાલ ભારત માટે પરિસ્થિતિ ચિંતાજનક નથી, પરંતુ કોઈપણ સંભવિત અસરનો સામનો કરવા માટે તૈયાર રહેવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન સહિત દરેક ક્ષેત્રે પોતાની જવાબદારી સમજવી પડશે. સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછી અસર પડે તે માટે અગાઉથી આયોજન કરવું જરૂરી છે. તેમણે વિભાગને ટૂંકાગાળાની અને લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરવાની સૂચના આપી છે.

વધતા હવાઈ ભાડા અંગે મંત્રીએ શું કહ્યું?
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વધી રહેલા હવાઈ ભાડા અંગે મંત્રીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઘરેલુ મુસાફરોને મોંઘા ભાડાથી બચાવવા માટે અનેક પગલાં લીધા છે. સરકારે વિમાન ઈંધણ (ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે. સાથે જ એરપોર્ટ પર વિમાનોની લેન્ડિંગ અને પાર્કિંગ ફી પણ ઓછી કરવામાં આવી છે. તાજેતરમાં દિલ્હી સરકારે પણ ATF પર લાગતો વેટ 25 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. દેશમાં દરરોજ લગભગ પાંચ લાખ લોકો હવાઈ મુસાફરી કરે છે. સરકાર સતત ભાડાની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો મુસાફરોની સંખ્યા વધશે તો વિમાનોની સંખ્યા અને કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે શું કહ્યું?
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે મંત્રીએ જણાવ્યું કે તપાસ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અનેક દેશોના મુસાફરો સામેલ હોવાથી આ આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસ છે. તેની અંતિમ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જે વૈશ્વિક ધોરણો મુજબ તૈયાર કરવામાં આવશે.

ઉડાન યાત્રી કેફેની શરૂઆત
રાંચી એરપોર્ટ પર મંત્રીએ મુસાફરો માટે ‘ઉડાન યાત્રી કેફે’ સહિત અનેક સુવિધાઓની શરૂઆત કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ મુસાફરોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે જણાવ્યું કે દેશના અનેક એરપોર્ટ પર આ પહેલ સફળ રહી છે અને સરકારનું લક્ષ્ય હવાઈ મુસાફરીને સામાન્ય લોકો માટે વધુ સરળ અને આરામદાયક બનાવવાનું છે. રાંચી પહોંચતા જ મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ એરપોર્ટથી કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ સાથે બાઈક પર પાછળ બેસીને રવાના થયા હતા.

ઝારખંડમાં હવાઈ સેવાઓના વિસ્તરણ પર ભાર
મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાંચીના બિરસા મુંડા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સાથે જોડવું સરકારની પ્રાથમિકતા છે. સાથે જ ઝારખંડના દુમકા, હજારીબાગ, ચાઇબાસા અને ડાલ્ટનગંજમાં પણ હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે દેશના તમામ એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કેફે’ શરૂ કરવામાં આવશે, જ્યાં મુસાફરોને સસ્તા દરે ખાણીપીણીની વસ્તુઓ મળશે. ઉપરાંત ‘ઉડાન 2’ યોજના પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય આગામી 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાનું છે, જેથી સામાન્ય જનતા માટે હવાઈ મુસાફરી વધુ સુલભ બની શકે.

સુરતમાં રખડતા કૂતરાનો આતંક: માસૂમ બાળકને બચકું ભરી ગાલમાંથી માંસનો લોચો કાઢી નાખ્યો

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે ભયાનક બનતો જઈ રહ્યો છે. લિંબાયત વિસ્તારમાં બાળકો પર થયેલા હુમલાના CCTV વીડિયો વાયરલ થયા બાદ 24 કલાકમાં જ પીપોદરા વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક હડકાયા કૂતરાએ અઢી વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેના ગાલ પર ગંભીર ઈજા પહોંચાડી છે.

સુરતના પીપોદરા ખાતે આવેલી એક ફેકટરીમાં મજૂરી કામ કરતા એક યુવકનો અઢી વર્ષનો દીકરો ફેક્ટરીની અંદર રૂમ પાસે રમતો હતો. તે વખતે એક હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકના ગાલે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે ત્યાંથી માસૂમનો માંસનો લોચો નીકળી ગયો હતો.

ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકના ચહેરા પર ગંભીર ઈજા થતાં પરિવારજનોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી. જે કૂતરાએ હુમલો કર્યો તે હડકાયું હોવાની શંકા છે, જેના કારણે પરિવાર વધુ ભયમાં મુકાયો હતો.

સૂત્રો મુજબ, આ વર્ષે શહેરમાં ડોગ બાઈટના જાન્યુઆરીમાં 1148 કેસ, ફેબ્રુઆરીમાં 974 કેસ, માર્ચમાં 1136 કેસ, એપ્રિલમાં 1026 કેસ અને ચાલુ મહિને અત્યાર સુધીમાં 570થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા લિંબાયત વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. અચાનક જ 3થી 4 હિંસક શ્વાન ભસતા-ભસતા ધસી આવ્યા હતા અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કર્યો હતો. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ એક હિંસક શ્વાન દોડીને આવ્યો હતો એક બાળકનો હાથ પકડી લીધો હતો.

સુરતના ડીંડોલીના નવાગામમાં વીજકરંટથી યુવકનું મોત

0

આધુનિક વિકાસ સાથે આગળ વધી રહેલા સુરત શહેરમાં સેફ્ટીના અભાવે નિર્દોષ લોકોના જીવ જતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના ડીંડોલીના નવાગામ વિસ્તારમાં બની છે, જ્યાં કેક શોપમાં કામ કરતા એક શ્રમિક યુવકનું વીજ કરંટ લાગતાં કરુણ મોત થયું છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

મળતી માહિતી મુજબ, શૈલેષ તિવારી નામના યુવક સ્થાનિક ‘ક્રિશ કેક શોપ’માં કામ કરતા હતા. રોજની જેમ તેઓ દુકાનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન ઇલેક્ટ્રિકલ સાધન ચાલુ કરવા માટે તેઓ પાવર પ્લગ લગાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો હાથ લાઈવ વાયર અથવા શોર્ટ સર્કિટ થયેલા બોર્ડ સાથે અડી ગયો હતો. હાઈ વોલ્ટેજ કરંટના કારણે તેમને જોરદાર આંચકો લાગ્યો અને તેઓ જમીન પર પટકાઈ ગયા હતા.

હોસ્પિટલ પહોંચાડાયા પહેલા જ મોત
ઘટનાની જાણ થતાં જ દુકાનના અન્ય કર્મચારીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક મેઈન સ્વીચ બંધ કરીને શૈલેષભાઈને કરંટમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે ફરજ પરના તબીબોએ તેમને હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત જાહેર કર્યા હતા.

પરિવાર પર તૂટ્યો આફતોનો પહાડ
મૃતક શૈલેષ તિવારી પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા. તેમના પરિવારમાં પત્ની અને બે નાના સંતાનો છે. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. ઘરે જ્યારે મોતના સમાચાર પહોંચ્યા ત્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શૈલેષભાઈ ખૂબ જ મહેનતુ અને શાંત સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતા અને કોઈ સાથે વિવાદ કરતા નહોતા. મૃતકના મોટા પપ્પાના દીકરા આનંદ તિવારીએ જણાવ્યું હતું કે બેકરીમાં કામ દરમિયાન પાવર બંધ કરવા જતા શૈલેષભાઈને કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું મોત થયું છે.

રાજકોટમાં 14 વર્ષની છોકરી સાથે સામુહીક દુષ્કર્મ, 8 સામે ફરિયાદ, 4ની ધરપકડ

રાજકોટના સોરઠીયાવાડી આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાએ આઠ શખ્સો સામે ગેંગરેપ, જાતીય સતામણી અને ધમકીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી ચાર આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં દેવીલ ઉર્ફે સાહિલ, સાહિલ ઉર્ફે ઝેરી, મિહીર કુગશીયા, રજાક ઠેબા, ધવલ, આસીફ શાહમદાર અને અન્ય શખ્સોના નામ સામે આવ્યા છે.

સગીરાને ઓળખાણ મારફતે ફસાવવામાં આવી
ફરિયાદ મુજબ, સગીરાને તેની સખી દ્વારા કેટલાક યુવકો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ મિત્રતા અને ફરવા જવાના બહાને તેને અલગ અલગ સ્થળોએ બોલાવી હતી. સગીરાએ જણાવ્યું કે એક આરોપી તેને જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ઘરે લઈ ગયો હતો, જ્યાં છરી બતાવી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને કોઈને વાત ન કરવા ધમકી આપવામાં આવી હતી.

હોટેલ અને કારમાં વારંવાર દુષ્કર્મના આક્ષેપ
સગીરાના જણાવ્યા મુજબ, બાદમાં અન્ય આરોપીઓએ પણ તેને અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એક આરોપીએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી બસ સ્ટેશન પાછળની હોટેલમાં લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. અન્ય આરોપીઓએ પણ હોટેલ અને કારમાં લઈ જઈ ધમકી આપી વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પરિવારને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
સગીરાએ જણાવ્યું કે સતત મળતી ધમકીઓના કારણે તે લાંબા સમય સુધી ડરી ગઈ હતી અને કોઈને વાત કરી શકી નહોતી. આખરે સમગ્ર ઘટનાની જાણ તેણે પોતાના માતા-પિતાને કરતાં તેઓ તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ ભક્તિનગર પોલીસે મહિલા પોલીસ અને શી ટીમની હાજરીમાં એફઆઈઆર નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

ચાર આરોપીઓની ધરપકડ, અન્યની શોધખોળ ચાલુ
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મિહીર કુગશીયા અગાઉ પણ નકલી પોલીસ બની લૂંટ ચલાવવાના ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. સમગ્ર મામલે ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

PM મોદી અંગેના સવાલથી વિદેશ મંત્રાલયમાં ખળભળાટ: વિદેશી પત્રકારના પ્રશ્ને વધારી રાજકીય ગરમાવો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન નોર્વેમાં યોજાયેલા એક પ્રેસ કાર્યક્રમ બાદ સવાલ-જવાબને લઈને રાજકીય અને મીડિયા જગતમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ નોર્વેના પીએમ સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, પરંતુ મીડિયાના સવાલોના જવાબ આપ્યા ન હતા.

આ ઘટના બાદ યોજાયેલી ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં નોર્વેના એક મહિલા પત્રકારે ભારતમાં માનવાધિકાર અને પ્રેસની સ્વતંત્રતાને લઈને ખૂબ જ આક્રમક સવાલો પૂછ્યા હતા. આ સવાલો સામે વિદેશ મંત્રાલયના પશ્ચિમી મામલાના સચિવ સિબી જ્યોર્જે કડક શબ્દોમાં ભારતનો પક્ષ રજૂ કરીને સણસણતો જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે પીએમ મોદી હાલ પાંચ દેશોના પ્રવાસે છે, જેમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ, નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત લીધા બાદ નોર્વે તેમનો ચોથો પડાવ છે અને આ પછી તેઓ ઇટાલી જવાના છે.

નોર્વેની પત્રકારનો વીડિયો વાઇરલ થયો
નોર્વેના પત્રકાર હેલે લિંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સંયુક્ત નિવેદન આપ્યા બાદ ત્યાંથી બહાર જતા જોવા મળે છે. આ વીડિયોમાં એક મહિલાનો અવાજ સંભળાય છે, જે પૂછે છે કે ‘દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?’ એટલું જ નહીં, બાદમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘નોર્વે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ (પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં પ્રથમ ક્રમે છે જ્યારે ભારત 157મા ક્રમે છે. સરકારોને સવાલ પૂછવા એ જ પત્રકારોની મુખ્ય જવાબદારી છે.’

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં ઉગ્ર ચર્ચા
આ ઘટના પછી યોજાયેલી વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જ મહિલા પત્રકાર હાજર રહ્યાં હતાં. તેમણે સિબી જ્યોર્જને સવાલો કર્યા કે ‘દુનિયા ભારત પર કેમ ભરોસો કરે, શું ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન બંધ થશે અને શું પીએમ મોદી ભારતીય મીડિયાના અઘરા સવાલોના જવાબો આપશે?’

આ સવાલો બાદ સિબી જ્યોર્જે ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું કે ‘ભારત માત્ર એક દેશ નથી, પણ પાંચ હજાર વર્ષ જૂની અવિરત વહેતી સભ્યતા છે, જે પોતાની વસ્તી, સરકાર અને સંપ્રભુતા સાથે દુનિયામાં અડીખમ ઊભી છે.’

તેમણે કોરોના મહામારીનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે ‘એ કપરા સમયમાં પણ ભારતે દુનિયાથી અલગ થવાને બદલે જરૂરિયાતમંદ દેશોની મદદ કરી હતી અને આ જ સેવાભાવ વૈશ્વિક સ્તરે ભારત પરનો ભરોસો મજબૂત કરે છે.’

‘વચ્ચે ના ટોકો… અધિકાર ભંગ થાય તો કોર્ટ જાઓ’
આ દરમિયાન પત્રકાર સતત વચ્ચે બોલીને અટકાવતી હોવાથી સિબી જ્યોર્જ નારાજ થયા હતા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘કૃપા કરીને મને વચ્ચે ન ટોકો. તમે સવાલ પૂછ્યો છે તો મને જવાબ આપવા દો. સવાલ પૂછનારી વ્યક્તિ એ નક્કી ન કરી શકે કે જવાબ કઈ રીતે આપવો, મારા દેશનો પક્ષ કઈ શૈલીમાં રજૂ કરવો એનો મને અધિકાર છે.’

માનવાધિકારોના મુદ્દે ભારતીય સચિવે સણસણતો જવાબ આપતા કહ્યું કે ‘ભારત દુનિયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ છે, પરંતુ તે દુનિયાની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી. ભારતનું બંધારણ દરેક નાગરિકને મૌલિક અધિકારો આપે છે અને દેશમાં મહિલાઓને સમાન દરજ્જો મળેલો છે. ભારતે 1947માં આઝાદીની સાથે જ મહિલાઓને મતદાનનો અધિકાર આપી દીધો હતો, જ્યારે દુનિયાના ઘણાં દેશોમાં આ અધિકાર દાયકાઓ પછી મળ્યો હતો.’

તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘અમે સમાનતા અને માનવાધિકારમાં વિશ્વાસ રાખીએ છીએ અને જો કોઈના અધિકારોનું ઉલ્લંઘન થાય તો તેને કોર્ટ જવાનો સંપૂર્ણ અધિકાર છે. અમને અમારા લોકશાહી દેશ પર ગર્વ છે.’

ભારતની મીડિયા વ્યવસ્થા અને પીએમના સવાલો પર સ્પષ્ટતા
સિબી જ્યોર્જે વધુમાં જણાવ્યું કે, ‘અનેક લોકો ભારતની મીડિયા વ્યવસ્થાના વિશાળ કદ અને જટિલતાને સમજ્યા વિના જ ટિપ્પણીઓ કરવા લાગે છે. માત્ર દિલ્હીમાં જ સેંકડો ન્યૂઝ ચેનલો જુદી-જુદી ભાષામાં સતત કામ કરી રહી છે. કેટલાક NGOના અહેવાલો વાંચીને લોકો ભારતની વાસ્તવિકતા જાણ્યા વિના સવાલો ઉઠાવે છે.’

આ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે ‘પીએમ પોતે મીડિયાના સવાલો કેમ નથી લેતા?’ ત્યારે સિબી જ્યોર્જે જવાબ આપ્યો હતો કે, ‘આ વિદેશ પ્રવાસ દરમિયાન મીડિયાને તમામ જરૂરી માહિતી આપવાની જવાબદારી વિદેશ મંત્રાલયની છે અને તેઓ તે કામ ખૂબ જ જવાબદારીપૂર્વક સતત કરી રહ્યા છે.’

પત્રકારે સોશિયલ મીડિયા પર આપી સફાઈ
આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયા બાદ નોર્વેના પત્રકાર હેલે લિંગે વધુ એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું કે ‘હું કોઈ વિદેશી સરકારની જાસૂસ નથી. મને ક્યારેય એવું લાગ્યું ન હતું કે મારે મારા દેશમાં જ આવી કોઈ સ્પષ્ટતા કરવી પડશે, હું નોર્વેમાં પ્રોફેશનલ પત્રકાર તરીકે કામ કરું છું અને મેં માત્ર પોતાના વ્યવસાયના ભાગરૂપે જ આ સવાલો પૂછ્યા હતા.’

સુરતની સચિન GIDCમાં 20 ફૂટ ઊંડાં તળાવમાં ડૂબવાથી 12 વર્ષના બાળકનું મોત

સુરતના સચિન GIDC વિસ્તારમાં દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે, જ્યાં 12 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બિહારનો રહેવાસી બાળક થર્મોકોલના સહારે પાણીમાં ઉતર્યો હતો, પરંતુ અચાનક થર્મોકોલ તૂટી જતા તે આશરે 20 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ડોલર સામે રૂપિયો સતત ગગડ્યો: છઠ્ઠા સત્રમાં ફરી ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો

0

ભારતીય રૂપિયામાં સતત નબળાઈ જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો સતત છઠ્ઠા સત્રમાં ઘટ્યો છે. આજે રૂપિયો 96.37 પર ખુલ્યો હતો, જ્યારે અગાઉના સત્રમાં તે 96.35 પર બંધ થયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને શેરબજારમાં શરૂઆતથી જ સુધારો જોવા મળ્યો હોવા છતાં રૂપિયામાં દબાણ યથાવત રહ્યું. સોમવારે ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 96.39 સુધી ગગડી ગયો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર માનવામાં આવે છે.

2026માં રૂપિયો સૌથી નબળું એશિયન ચલણ બન્યો
રૂપિયામાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. 2026 દરમિયાન રૂપિયો એશિયાનું સૌથી નબળું પ્રદર્શન કરતું ચલણ બની ગયું છે. માત્ર આ મહિનામાં જ તેમાં 1.5 ટકા અને સમગ્ર વર્ષ દરમિયાન 7 ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો યુએસ ડોલર સામે 96.38 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન વધુ ઘટીને 96.47 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો. આ અગાઉના બંધની સરખામણીએ 27 પૈસાનો ઘટાડો દર્શાવે છે. સોમવારે રૂપિયો 96.20 પ્રતિ ડોલરના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, ડોલર ઇન્ડેક્સમાં પણ 0.03 ટકાનો ઘટાડો નોંધાઈ 99.16 પર આવી ગયો હતો.

રૂપિયો ફરી સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો
રૂપિયામાં ઘટાડાનો સિલસિલો અટકતો નથી. સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે રૂપિયો 96.47ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો. અગાઉ તેનો સૌથી નીચો સ્તર 96.3875 નોંધાયો હતો. સોમવારે ટ્રેડિંગ દરમિયાન પણ રૂપિયો આ સ્તરે તૂટી પડ્યો હતો. નિષ્ણાતોના મતે ઈરાન યુદ્ધ બાદથી અત્યાર સુધી રૂપિયામાં લગભગ 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ડોલર સામે રૂપિયો 18 પૈસા નબળો પડ્યો
મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 18 પૈસા ઘટીને 96.38 પર પહોંચ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે રૂપિયો વધુ સંવેદનશીલ બન્યો છે. ગલ્ફ દેશોમાંથી થતી આયાત અને નિકાસ પર પણ તેની અસર પડી રહી છે.

રૂપિયો કેમ સતત નબળો પડી રહ્યો છે?
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાચા તેલના ભાવમાં સતત વધારો થવાથી રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. બજારમાં રૂપિયા પ્રત્યેનો વ્યાપક મત નબળો છે અને રોકાણકારો સરકારના તેલના ભાવ ઘટાડવા તથા પુરવઠા નિયંત્રણ સંબંધિત પગલાં પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, રૂપિયાને 96.55ની આસપાસ સપોર્ટ મળી રહ્યો છે, જ્યારે તાત્કાલિક પ્રતિકાર 96 થી 96.10ની વચ્ચે જોવા મળી રહ્યો છે.

બિહારમાં ખનિજ ખજાનાની મોટી શોધ: જામુઈમાં સોનાના સંકેત, 14 બ્લોકની હરાજી ટૂંક સમયમાં થશે હરાજી

0

બિહારના ખાણ અને ભૂ-તત્ત્વ મંત્રી પ્રમોદ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં દુર્લભ ખનિજ તત્ત્વોના ભંડાર મળ્યા છે અને તેમના વ્યાવસાયિક ખનનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ દુર્લભ ખનિજોના 14 બ્લોકોની ઓળખ કરી છે, જેના માટે ટૂંક સમયમાં હરાજી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે. પ્રમોદ કુમારે કહ્યું કે તેમાં પેલેડિયમ, ટાઇટેનિયમ, ગ્લોકોનાઇટ, કોબાલ્ટ સહિતના અન્ય ખનિજોનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી કે બાંકા જિલ્લામાં કોબાલ્ટ મળ્યો છે અને તેની પણ ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે. ભાગલપુર જિલ્લાના બટેશ્વર સ્થાન વિસ્તારમાં રેર અર્થ એલિમેન્ટ્સ (REE)ના મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. ઉપરાંત જિલ્લામાં ક્રોમાઇટના ભંડાર હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આરઈઈ શું છે અને તેનો ક્યાં ઉપયોગ થાય છે?
ઉલ્લેખનીય છે કે આરઈઈ એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સ 17 કુદરતી ધાતુ તત્ત્વોનો સમૂહ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મિસાઈલ, રડાર, લડાકૂ વિમાનો, ડ્રોન અને સૈન્ય સંચાર સાધનોમાં થાય છે. ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન, લેપટોપ, ટીવી સ્ક્રીન, સ્પીકર, કેમેરા લેન્સ અને હાર્ડ ડિસ્ક જેવા ઉપકરણોમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ તત્ત્વો પૃથ્વીની સપાટી પર પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ તેમના આર્થિક રીતે ઉપયોગી ગાઢ ભંડાર પ્રમાણમાં ઓછા પ્રમાણમાં મળે છે. તેમાં લેન્થેનમ, સેરિયમ, પ્રાસીઓડિમિયમ, નીઓડિમિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસપ્રોસિયમ, હોલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, યિટરબિયમ, લ્યુટેશિયમ, સ્કેન્ડિયમ અને યિટ્રિયમ જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે.

20 મે બાદ શરૂ થશે હરાજી પ્રક્રિયા
કેન્દ્ર સરકાર નવાદા જિલ્લામાં વેનેડિયમ યુક્ત મેગ્નેટાઇટ અને ઇલ્મેનાઇટના એક ખનન બ્લોક તેમજ રોહતાસ જિલ્લામાં ગ્લોકોનાઇટના ત્રણ બ્લોકોની હરાજી કરવાની તૈયારીમાં છે. જાહેર ક્ષેત્રની એકમ મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન (MSTC) દ્વારા આ માટે ખનન બોલીઓ મંગાવવામાં આવી છે અને 20 મે પછી હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને ઝારખંડની સીમા સાથે જોડાયેલા દક્ષિણ બિહારના વિસ્તારોમાં વ્યાપક ખનિજ શોધખોળ કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત હવાઈ સર્વે, ઉપગ્રહ ચિત્રો, જૂના આંકડાઓનું વિશ્લેષણ અને જમીન સ્તરે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

જામુઈ જિલ્લામાં સોનાના ભંડાર મળવાના સંકેત
રાજ્યના ખાણ અને ભૂ-તત્ત્વ મંત્રી પ્રમોદ કુમારે જણાવ્યું કે જામુઈ જિલ્લાના સોનો વિસ્તારમાં સોનાના ભંડાર હોવાના સંકેત મળ્યા છે. ત્યાં હાલ સર્વેક્ષણ ચાલી રહ્યું છે અને તેની અંતિમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ઉપરાંત બાંકા જિલ્લાના પિંડારક વિસ્તારમાં તાંબાના ભંડાર પણ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેના ખનનની શક્યતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડૂરીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

0

ઉત્તરાખંડના રાજકારણમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવન ચંદ્ર ખંડૂરીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પરિવારે આપી નિધનની માહિતી
પૂર્વ સીએમના પરિવારે તેમના અવસાનની સત્તાવાર માહિતી આપી હતી. ખંડૂરીના પરિવારમાં પત્ની અરુણા, પુત્ર મનીષ અને પુત્રી ઋતુ ખંડૂરી ભૂષણ છે. તેમની પુત્રી અને ઉત્તરાખંડ વિધાનસભાની અધ્યક્ષ ઋતુ ખંડૂરી ભૂષણે જણાવ્યું કે ભુવન ચંદ્ર ખંડૂરીએ રાત્રે લગભગ 11 વાગ્યે દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રાજકારણમાં આગવી ઓળખ ઉભી કરી
ભુવન ચંદ્ર ખંડૂરી ઉત્તરાખંડના દિગ્ગજ નેતાઓમાં ગણાતા હતા. તેઓ પોતાની સાદગી, શિસ્ત અને વિકાસલક્ષી રાજકારણ માટે જાણીતા હતા. તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અમેરિકાના સાન ડિએગોમાં ઇસ્લામિક સેન્ટર પર હુમલો, સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકોના મોત

અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઇમ સાથે જોડાયેલો એક ખૂબ જ ડરામણો કિસ્સો સામે આવ્યો છે. કેલિફોર્નિયાના સેન ડિએગો કાઉન્ટીમાં આવેલા સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર સોમવારે બે સગીર બંદૂકધારીઓએ આડેધડ ફાયરિંગ કર્યું હતું.

આ ભયાનક હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પણ નજીકની એક ગલીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સી જા અને સ્થાનિક પોલીસ આ ઘટનાને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવેલો ‘શંકાસ્પદ હેટ ક્રાઇમ’ માનીને તપાસ કરી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, આ ઘટના બપોરે આશરે ૧૨ વાગ્યાની થોડી જ વાર પહેલાં બની હતી, જ્યારે લોકો મસ્જિદ પરિસરમાં હાજર હતા. અચાનક ગોળીઓનો અવાજ આવતા નમાઝીઓ અને પરિસરની અંદર ચાલતી શાળાના બાળકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.

સેન ડિએગોના પોલીસ વડા સ્કોટ વાહલે જણાવ્યું કે હુમલો થયા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ મોરચો સંભાળી લીધો હતો અને મસ્જિદ પરિસરની અંદર ડે-સ્કૂલમાં ભણતા તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, કોઈ પણ બાળકને ઈજા થઈ નથી.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેને મસ્જિદની ઇમારત બહાર ત્રણ પુરુષોના મૃતદેહ મળ્યા, જેમને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. મૃતકોમાંના એક મસ્જિદના સિક્યોરિટી ગાર્ડ (સુરક્ષા કર્મચારી) હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ બહાદુર સુરક્ષા કર્મચારીએ પોતાના જીવનું જોખમ ખેડીને હુમલાખોરોને મુખ્ય ઇમારતની અંદર ઘૂસતા રોક્યા હતા, જેના કારણે એક બહુ મોટો નરસંહાર થતા રહી ગયો.

હુમલાના થોડા જ સમય બાદ, સુરક્ષા એજન્સીઓએ નજીકના એક રોડ પર પાર્ક કરેલી શંકાસ્પદ કારની અંદર બે કિશોરો (ઉંમર ૧૭ અને ૧૯ વર્ષ) ના મૃતદેહ મળ્યા. પોલીસનું માનવું છે કે આ બંને જ મસ્જિદ પર હુમલો કરનારા મુખ્ય શૂટર (બંદૂકધારી) હતા, જેમણે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાને ગોળી મારી દીધી હતી.