Home Blog Page 9

પહેલીવાર ઓપરેશન સિંદૂર પર NSA અજિત ડોભાલનો ચોંકાવનારું નિવેદન

0

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર અંગે પહેલી વખત આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતની ઉદારતા અને સહનશીલતાને નબળાઈ સમજવી મોટી ભૂલ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે ભારત કડક નિર્ણય લેવા અને જરૂર પડે ત્યારે મોટું જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.

ડોભાલના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂરનો મુખ્ય હેતુ પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકી કેમ્પો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો હતો. ભારતે 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. સરકારે તેને નિયંત્રિત કાર્યવાહી ગણાવી હતી.

આ કાર્યવાહી 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી, જેમાં 26 લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો અને 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્રમાં સૈન્ય કાર્યવાહી રોકવા બંને દેશો વચ્ચે સહમતિ થઈ હતી.

ડોભાલનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારતની નીતિમાં સંયમ છે, પરંતુ જરૂર પડે ત્યારે જવાબ આપવાની ક્ષમતા પણ એટલી જ મજબૂત છે.

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો ડ્રીમ બન્યું મુશ્કિલ! વર્ક પરમિટ ન મળતાં હવે આ વિકલ્પો બાકી

કેનેડામાં અભ્યાસ પૂરો કરીને નોકરીના સપના જોતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગી શકે છે. અલ્બર્ટામાં Portage College સાથે જોડાયેલા અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) અરજીઓ નકારી કાઢવામાં આવતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. તેમના મતે, અભ્યાસ દરમિયાન તેમને PGWP માટે પાત્ર હોવાની આશા હતી, પરંતુ બાદમાં કાર્યક્રમની પાત્રતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ઇમિગ્રેશન,રેફઉજિસ એંડ સિટિઝનશીપ કેનેડા (IRCC)એ સ્પષ્ટ કર્યું છે કે PGWP માટે અભ્યાસક્રમ ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ તરફ દોરી જતો અને નિર્ધારિત શૈક્ષણિક સંસ્થા (DLI)માં પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. ઇમિગ્રેશન,રેફઉજિસ એંડ સિટિઝનશીપ કેનેડાના જણાવ્યા અનુસાર, 2026માં નિયમોમાં મૂળભૂત ફેરફાર કરાયો નથી; જૂની પાત્રતા શરતોને વધુ સ્પષ્ટ કરવામાં આવી છે, ખાસ કરીને non-credit કાર્યક્રમો અંગે.

પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) અરજી રદ થયા પછી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફેલાતી “90 દિવસની આપમેળે રાહત” જેવી માહિતીથી સાવચેત રહેવું જરૂરી છે. 90 દિવસનો નિયમ સામાન્ય રીતે પહેલેથી ગુમાવેલા ટેમ્પરરી રેસિડન્ટ સ્ટેટસને પુનઃસ્થાપિત કરવા માટે લાગુ પડે છે; તે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) રદ થયા પછી મળતી સ્વતંત્ર 90 દિવસની છૂટ નથી.

વિદ્યાર્થીઓએ સૌથી પહેલા પોતાનો હાલનો સ્ટડી પરમિટ અથવા અન્ય કાયદેસર સ્ટેટસ તપાસવો જોઈએ. પાત્રતા હોય તો status સ્ટેટસ રીસ્ટોરેશન માટે અરજી કરી શકાય છે. જે વિદ્યાર્થીઓને લાગે છે કે તેમનો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) નિર્ણય કાયદેસર રીતે ખોટો છે, તેઓ અધિકૃત ઇમિગ્રેશન વકીલ અથવા Regulated Canadian Immigration Consultantની સલાહ લઈ શકે છે.

Video: સ્વતંત્રતા દિવસ પહેલાં આ રાજ્યમાં હાઈ એલર્ટ, 6 મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી

0

સ્વતંત્રતા દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને એ જ સમયે દિલ્હીમાં એકસાથે અનેક મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા ચકચારમાં આવી ગઈ છે. દિલ્હી હાઈકોર્ટથી લઈને IGI એરપોર્ટ સુધી ધમકી પહોંચતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

મળતી માહિતી મુજબ, દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સની મદદથી હાઈકોર્ટ પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ દિલ્હી પોલીસ સાથે સતત સંપર્કમાં છે. હાઈકોર્ટના જોઈન્ટ સેક્રેટરી એડવોકેટ કુણાલે ધમકીને પ્રથમ નજરે ખોટી હોવાનું જણાવ્યું છે, જોકે સુરક્ષા પ્રક્રિયા મુજબ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

દિલ્હી ફાયર સર્વિસ અનુસાર હાઈકોર્ટ ઉપરાંત જામનગર હાઉસ, ઝંડેવાલાન ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ, સાકેત સ્થિત ડીએમ કાર્યાલય, IGI એરપોર્ટના ટર્મિનલ-3 અને દિલ્હી કેન્ટના SDM કાર્યાલયને પણ બોમ્બની ધમકી મળી હતી. તમામ સ્થળોએ ફાયર ટેન્ડર અને સુરક્ષા ટીમો મોકલવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નથી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટ પહેલાં દિલ્હીના સંવેદનશીલ સ્થળો, સરકારી ઇમારતો, જાહેર વિસ્તારો અને ટ્રાન્સપોર્ટ હબ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે તપાસ અને પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે.

રાહુલ ગાંધી સામેનો સાવરકર માનહાનિ કેસ કેમ થયો રદ? સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું કારણ

0

રાહુલ ગાંધીની સાવરકર અંગેની ટિપ્પણીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં જ સમાપ્ત થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ સરકારે જરૂરી મંજૂરી જ આપી ન હોવાના કારણે સર્વોચ્ચ અદાલતે લખનઉની અદાલતમાં ચાલી રહેલી ફોજદારી માનહાનિની કાર્યવાહી અને સમન્સ બંને રદ કરી દીધાં છે. આ ચુકાદાથી કોંગ્રેસ નેતાને મોટી કાનૂની રાહત મળી છે.

આજે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી સરકારી મંજૂરી આપી હોવાનું ઉત્તર પ્રદેશ સરકારના એફિડેવિટમાં દર્શાવવામાં આવ્યું નથી. કોર્ટે નોંધ્યું કે મંજૂરી વિના શરૂ થયેલી કાર્યવાહી કાયદેસર રીતે આગળ વધી શકે નહીં અને તેથી ફરિયાદ તથા મેજિસ્ટ્રેટનો આદેશ રદ કરવામાં આવે છે.

આ કેસની શરૂઆત વકીલ નૃપેન્દ્ર પાંડેની ખાનગી ફરિયાદથી થઈ હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે 2022માં મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વી.ડી. સાવરકર અંગે બ્રિટિશ સરકાર સાથે જોડાયેલી ટિપ્પણીઓ કરી હતી. લખનઉની અદાલતે ત્યારબાદ તેમને સમન્સ પાઠવ્યું હતું. રાહુલ ગાંધીએ આ કાર્યવાહી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ 4 એપ્રિલ 2025ના રોજ રાહત મળી નહોતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

એપ્રિલ 2025માં સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવતી વખતે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ અંગે કડક નારાજગી વ્યક્ત કરી હતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે જવાબદારીપૂર્વક નિવેદન આપવા ચેતવણી આપી હતી. જોકે હવે જરૂરી મંજૂરીના અભાવે સમગ્ર ફરિયાદ જ રદ થતાં મામલો કાયદાકીય રીતે સમાપ્ત થયો છે.

લાલ કિલ્લા ખાતે 80મો સ્વતંત્રતા દિવસ બનશે ઐતિહાસિક,જાણો આ વર્ષની ઉજવણીમાં શું હશે ખાસ?

0

15 ઓગસ્ટ 2026ના રોજ દેશ જ્યારે સ્વતંત્રતાના 80 વર્ષ પૂર્ણ થવાનો ગૌરવપૂર્ણ અવસર ઉજવશે. આ વર્ષની ઉજવણીમાં ખાસ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષના ઐતિહાસિક વારસાને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 7 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2026 સુધી ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠનું વર્ષભરનું રાષ્ટ્રીય સ્મરણોત્સવ પણ શરૂ કર્યું છે.

લાલ કિલ્લા ખાતે પ્રધાનમંત્રીના આગમન બાદ ઇન્ટર-સર્વિસિસ અને દિલ્હી પોલીસનો સંયુક્ત ગાર્ડ તેમને જનરલ સેલ્યુટ આપશે અને ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની પરંપરા મુજબ સશસ્ત્ર દળોની સંયુક્ત હાજરી વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને 21 તોપોની ઔપચારિક સલામી આપવામાં આવશે. અગાઉના સત્તાવાર કાર્યક્રમોમાં 1721 ફિલ્ડ બેટરી દ્વારા સ્વદેશી 105 મિમી લાઇટ ફિલ્ડ ગન્સથી આ સલામી આપવામાં આવી હતી.

ધ્વજવંદન બાદ ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર દ્વારા ફૂલવર્ષા પણ કાર્યક્રમનો આકર્ષક ભાગ બનશે. ત્યારબાદ પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરશે. ઉજવણીમાં યુવાનોની ભાગીદારીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને ‘માય ભારત’ તથા NCCના કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ગીત તથા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવાની યોજના છે.

આ અવસર પર દેશભરના વિવિધ વર્ગોમાંથી આશરે 5,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવાની પરંપરા પણ ચાલુ રહેશે. ખેડૂત, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, કારીગરો, યુવાનો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને આવા કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવે છે.

આ વર્ષની ઉજવણીનો સંદેશ માત્ર સ્વતંત્રતાની ઉજવણી પૂરતો નહીં, પરંતુ 2047 સુધી ‘વિકસિત ભારત’ના લક્ષ્યમાં યુવા શક્તિ અને નાગરિક ભાગીદારીની ભૂમિકાને ઉજાગર કરવાનો પણ રહેશે. ‘વંદે માતરમ’ની 150 વર્ષની ગાથા સાથે જોડાયેલી આ ઉજવણી સ્વતંત્રતા, રાષ્ટ્રભાવના અને નવા ભારતના સંકલ્પને એક જ મંચ પર રજૂ કરશે.

15 ઑગસ્ટે ભારત જ નહીં, વિદેશમાં પણ લહેરાશે તિરંગો; જાણો અમેરિકાના કયા શહેરોએ જાહેર કર્યો ‘India Day’

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ધૂમ હવે માત્ર દેશની સરહદો સુધી સીમિત નથી રહી. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સે તિરંગા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ સમારોહ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે. ભારતીય સમુદાય પણ આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયો છે.

અમેરિકાના વિવિધ શહેરોમાં 15 ઑગસ્ટને ‘ઇન્ડિયા ડે’ તરીકે ઉજવવા માટે સત્તાવાર ઘોષણાઓ કરવામાં આવી છે. સિએટલ અને નેબ્રાસ્કામાં ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું છે. શિકાગોમાં ઐતિહાસિક કલ્ચરલ સેન્ટરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો, જ્યારે ન્યૂયોર્ક અને એટલાન્ટામાં પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન નવી દિલ્હીના લાલ કિલ્લા પર 15 ઑગસ્ટે યોજાનારી મુખ્ય ઉજવણી માટે પણ તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 80મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ની ભૂમિકાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર વિવિધ ક્ષેત્રોના આશરે 5,000 વિશેષ મહેમાનોને પણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

હિમાચલમાં ચોમાસાનું તાંડવ યથાવત, કરોડોનું નુકસાન; શિમલાના રહેવાસીઓમાં ડર કેમ?

0

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની તીવ્ર અસર હજુ પણ યથાવત છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતોના કારણે રાજ્યમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલતા વરસાદી તાંડવે રાજ્યના અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યા છે, જ્યારે શિમલાના કેટલાક વિસ્તારોમાં ભૂ-ધસાવની આશંકાએ સ્થાનિક લોકોની ચિંતા વધારી દીધી છે.

રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળના આંકડા મુજબ 30 જૂનથી 13 ઑગસ્ટ દરમિયાન કુદરતી આફતો અને માર્ગ અકસ્માતોની વિવિધ ઘટનાઓમાં 177થી વધુ લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન જાહેર અને ખાનગી સંપત્તિને મળીને અંદાજે ₹955.52 કરોડથી વધુનું નુકસાન નોંધાયું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યભરમાં 136 જેટલા માર્ગો અવરોધિત થયા છે, જેના કારણે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત બન્યું છે.

શિમલા ગ્રામ્ય વિસ્તારના શકરાલા-મલ્યાણા વિસ્તારમાં ભૂ-ધસાવની આશંકાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં 100થી વધુ મકાનો આવેલાં છે અને કેટલાક મકાનોમાં વારંવાર તિરાડો જોવા મળી રહી છે. જોકે પ્રશાસનના પ્રાથમિક નિરીક્ષણમાં હાલમાં માત્ર ત્રણ મકાનોમાં હળવી તિરાડો નોંધાઈ હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ દરમિયાન કિન્નૌર જિલ્લાના રૂપી પંચાયત વિસ્તારમાં વીજળી પડતાં એક પશુપાલકના અંદાજે 150 ઘેટાં-બકરાંના મોત થયા હતા. ધર્મશાલા અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસતાં નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે.

ભૂ-ધસાવના સંભવિત કારણોની તપાસ માટે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જમીનની સ્થિતિ, પાણીની નિકાસ વ્યવસ્થા અને ભૌગોલિક પરિસ્થિતિઓના અભ્યાસ બાદ જ સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા હોવાથી પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

હોર્મુઝ બન્યું અમેરિકા માટે ‘બર્મુડા ટ્રાએંગલ’? અમેરિકાના કરોડો ડોલરના ડ્રોન થયા નિષ્ફળ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલા લાંબા સૈન્ય સંઘર્ષ દરમિયાન હોર્મુઝ જળમાર્ગ અમેરિકાના અદ્યતન ડ્રોન માટે જાણે ‘બર્મુડા ટ્રાએંગલ’ સાબિત થયો હોય તેવી ચર્ચા તેજ બની છે. અમેરિકાએ પોતાના સૌથી મહત્વપૂર્ણ MQ-9 રીપર ડ્રોનમાંથી ઓછામાં ઓછા 45 ગુમાવ્યા છે. આ નુકસાન માત્ર સૈન્ય શક્તિ માટે જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ અમેરિકાને ભારે પડ્યું હોવાનું માનવામાં આવે છે. ડ્રોનના નુકસાન પાછળ ઈરાનની હવાઈ સુરક્ષા ક્ષમતા અને ટેકનિકલ પડકારો બંને જવાબદાર હોવાનું જણાવવામાં આવે છે.

યુદ્ધની શરૂઆત વખતે અમેરિકી સેનાના કાફલામાં કુલ 185 MQ-9 રીપર ડ્રોન હતા. તેમાંના લગભગ એક ચોથા ભાગ જેટલા ડ્રોન હવે ગુમાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ તમામ ડ્રોનની અંદાજિત કિંમત 1.3 અબજ ડોલરથી વધુ હોવાનું માનવામાં આવે છે, જે ભારતીય ચલણમાં આશરે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા ડ્રોન હોર્મુઝ જળમાર્ગ ઉપર મિશન દરમિયાન નિશાન બન્યા હતા. કેટલાક કિસ્સાઓમાં ઈરાનની સુરક્ષા વ્યવસ્થાએ ડ્રોનને સફળતાપૂર્વક પાડી દીધા હોવાનું કહેવાય છે. જોકે તમામ નુકસાન શત્રુ હુમલાના કારણે થયું નથી. કેટલાક ડ્રોનનો તેમના ઓપરેટરો સાથેનો સંચાર તૂટી જતાં તેઓ ક્રેશ થયા હોવાનું પણ જણાવાયું છે.

MQ-9 રીપર અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ માનવરહિત હવાઈ પ્રણાલીઓમાંનું એક ગણાય છે. આ ડ્રોન લાંબા સમય સુધી દેખરેખ રાખવા, ગુપ્તચર માહિતી એકત્ર કરવા અને જરૂર પડે ત્યારે ચોક્કસ હુમલા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 2007થી અમેરિકી સેનામાં સામેલ આ પ્લેટફોર્મનો ઉપયોગ અફઘાનિસ્તાન, ઇરાક અને પશ્ચિમ એશિયાના અનેક અભિયાનોમાં થયો છે.

ડ્રોનના આ મોટા નુકસાનથી અમેરિકાના સૈન્ય ભંડાર પર વધતા દબાણ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. રક્ષણ નિષ્ણાતો માને છે કે ગુમાવાયેલા ડ્રોન, મિસાઇલ અને અન્ય સૈન્ય સાધનોની ભરપાઈ કરવામાં વર્ષો લાગી શકે છે, જેના કારણે ભવિષ્યની વ્યૂહરચનાઓ પર પણ અસર પડી શકે છે.

કારગિલ વિજય દિવસની યાદમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સુરત રીજન દ્વારા સેવાકીય કાર્યક્રમો યોજાયા

સુરત: કારગિલ વિજય દિવસની યાદમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સુરત રીજન દ્વારા તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ ગર્વ અને શ્રદ્ધા સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ONGC ફેઝ-II કોલોની ખાતે CISF અને ONGCના સ્ટાફ તથા તેમના પરિવારજનો માટે મફત આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.

કિરણ હોસ્પિટલ, સુરતના તબીબો અને સ્ટાફ દ્વારા આયોજિત આ આરોગ્ય કેમ્પમાં 111થી વધુ સભ્યોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પનું ઉદ્ઘાટન યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના સુરત પ્રાદેશિક વડા શ્રી ગોવિંદ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ONGC હજીરા પ્લાન્ટ કેમ્પસમાં 101 છોડનું વાવેતર કરી વૃક્ષારોપણ અભિયાન પણ યોજાયું હતું. CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી વિજય ચકોર અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક વડા શ્રી ગોવિંદ મિશ્રા દ્વારા વૃક્ષારોપણ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે યુનિયન બેંકના એજીએમ શ્રી સંગ્રામ સિંહ રાણા, એજીએમ શ્રી અનંત શાનભાગ, ચીફ મેનેજર શ્રી ઈશ્વર ચપલોટ સહિત બેંક અને CISFના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બંને કાર્યક્રમોનું સંકલન તથા મહેમાનોના સન્માનની કામગીરી CISFના ઇન્સ્પેક્ટર શ્રી દીપક કુમાર ઝા દ્વારા કરવામાં આવી હતી. કારગિલ વિજય દિવસની ભાવનાને સેવાકાર્ય અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતા આ કાર્યક્રમો દ્વારા દેશપ્રેમ, સમાજસેવા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ચઢાવાને લઈને મોટો આરોપ, કરોડોની હેરાફેરી પર તપાસ

0

જ્યારે એક બાજુ રામ મંદિરમાં દાન ચોરીનો વિવવાદ શમતો નથી, ત્યાં એક એવા મંદિરનું સત્ય સામે આવી રહ્યું છે જે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્રબિંદુ રહ્યું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તો જે શ્રદ્ધાથી દાનપેટીમાં ચઢાવો મૂકે છે, એ જ રકમના હિસાબને લઈને હવે મોટો સવાલ ઊભો થયો છે. દર વર્ષે અંદાજે ₹18 કરોડની હેરાફેરી થતી હોવાના આરોપ બાદ મહારાષ્ટ્ર સરકારે મામલાની તપાસનો આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરમાં મળતા ચઢાવામાંથી દર વર્ષે લગભગ ₹18 કરોડની રકમ ગેરરીતિ બહાર આવી છે. આ આરોપો બાદ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ તપાસની માંગ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંદિરના નાણાકીય રેકોર્ડની વિગતવાર તપાસના નિર્દેશ આપ્યા હતા. તપાસમાં છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડને પણ ધ્યાને લેવાની વાત સામે આવી છે.

આ મામલો માત્ર રાજકીય આરોપો સુધી સીમિત નથી. માર્ચ 2026માં મંદિરના એક કર્મચારી પર દાનપેટીમાંથી રોકડ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો અને દાદર પોલીસે તેની ધરપકડ કરી હતી. CCTV તપાસ દરમિયાન દાનની રકમ કાઢવાની ગતિવિધિઓ સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ સાપ્તાહિક ચઢાવો અગાઉ આશરે ₹40-45 લાખ હતો, જે તાજેતરમાં વધીને ₹95-98 લાખ સુધી પહોંચ્યો છે. ટ્રસ્ટના નાણાકીય આંકડા મુજબ 2025-26માં મંદિરની આવક ₹182 કરોડ રહી, જે અગાઉના વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો છે. ટ્રસ્ટનું કહેવું છે કે દાનની ગણતરી દર બુધવારે કરવામાં આવે છે અને તે જ દિવસે બેંકમાં જમા થાય છે.

હવે સરકારની તપાસથી સૌથી મોટો સવાલ એ છે કે ₹18 કરોડની હેરાફેરીનો આરોપ માત્ર શંકા છે કે ખરેખર લાંબા સમયથી નાણાકીય ગેરરીતિ ચાલી રહી હતી? તેનો જવાબ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.