Home Blog Page 78

સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું કથિત અપહરણ, પરિવારના 6 સભ્યો સામે ગુનો નોંધાયો

ડાયમંડ સિટી સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના જ પરિવારજનોએ કથિત રીતે અપહરણ કરી લઈ જતાં ભારે ચકચાર મચી છે. પોલીસ ફરિયાદ બાદ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, યુવતી અને યુવકે થોડા સમય પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ હિંદુ રીતિ-રિવાજ મુજબ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ બાદમાં સમાધાનનો દેખાવ કરીને દંપતીનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

માતાની માનતા પૂર્ણ કરવાના બહાને બોલાવ્યા
પરિવારજનોએ માતાની માનતા પૂર્ણ કરવાની વાત કહી યુવતી, તેના પતિ અને સાસરિયાઓને ઘરે બોલાવ્યા હતા. નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ તમામ લોકો યુવતીના કાકાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

ત્યારબાદ બીજી જગ્યાએ દીવાબત્તી કરવા જવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક યુવતીને બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીના પતિએ વિરોધ કરતાં તેની સાથે ઝપાઝપી થઈ હતી અને તેને ધક્કો મારી દૂર કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

યુવતીને કારમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ ગયા
ફરિયાદ મુજબ, ત્યારબાદ યુવતીને તેની ઇચ્છા વિરુદ્ધ લિફ્ટ મારફતે નીચે લઈ જઈ કારમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી હતી. એટલું જ નહીં, યુવતીના કાકા, દાદા અને ફોઈએ યુવકના માતા-પિતાને ઘરમાં રોકી રાખી ધમકી આપી હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાથી યુવક અને તેના પરિવારજનોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

પોલીસ ફરિયાદ બાદ કાર્યવાહી શરૂ
ઘટના બાદ યુવકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવતીના પિતા સહિત પરિવારના કુલ 6 સભ્યો અને અન્ય સંડોવાયેલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે-પિંપરી ચિંચવડમાં 13 લોકોના મોતથી હાહાકાર

0

મહારાષ્ટ્રમાં ફરી એક વાર ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે. પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પુણેના કાલે પડલ વિસ્તારમાં ત્રણ અને હડપસર વિસ્તારમાં બે લોકોના મોત થયા છે. આ સાથે કુલ પીડિતોની સંખ્યા 13 થઈ ગઈ છે.

એવું જાણવા મળ્યું છે કે આ ઝેરી, દારૂ ભેળવવામાં આવેલો દારૂ યોગેશ વાનખેડે નામના વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે પુણે અને પિંપરી-ચિંચવડના વિવિધ વિસ્તારોમાં વેચાતો હતો. દાપોડી, ફુગેવાડી, હડપસર અને કાલે પડલના લોકોએ દારૂનું સેવન કર્યું. થોડા સમય પછી, તેમની હાલત અચાનક બગડી ગઈ અને તેમના મોંમાંથી ફીણ આવવા લાગ્યા. થોડા સમય પછી, તેઓ મૃત્યુ પામ્યા, સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલાં જ તેઓ ઘાયલ થયા.

યોગેશ વાનખેડે એક ગેરકાયદેસર દારૂ વેચનાર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

ફુગેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર હાથભઠ્ઠી અને દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલતા હોવાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે અને ગણગણાટ ચાલી રહ્યો છે કે આ મોત ઝેરી દારૂના કારણે થયા છે. જોકે, દાપોડી પોલીસે આ વાતને અફવા ગણાવી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે દાવો કર્યો છે કે આ તમામ મોત અલગ-અલગ અને સ્વતંત્ર કારણોસર થયા છે.

  • પાંડુરંગ ફુગે (57): તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.
  • વિજય રાઠોડ (31) અને રાજેન્દ્ર રાઠોડ (34): આ બે સગા ભાઈઓના મોત હૃદયરોગના હુમલાથી થયા હોવાની આશંકા છે.
  • રાજેન્દ્ર રાજપૂત (51): તેમનું મૃત્યુ બાથરૂમમાં ચક્કર ખાઈને પડી જવાને કારણે થયું હતું.
  • અકબર પઠાન (52): તેઓ છેલ્લા 15 વર્ષથી વધુ પડતો દારૂ પીવાની આદત ધરાવતા હતા.

રાજૌરીના જંગલોમાં આતંકીઓ ઘેરાયા, છઠ્ઠા દિવસે ઓપરેશન શેરુવાલી તેજ થયું

0

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ચાલી રહેલું ‘ઓપરેશન શેરુવાલી’ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચતું દેખાઈ રહ્યું છે. ડોરીમલ અને ગંભીર મુગલાનના ગાઢ જંગલોમાં છુપાયેલા પાકિસ્તાની આતંકવાદી કમાન્ડરોની શોધમાં સુરક્ષા દળોએ પોતાની કોર્ડન વધુ મજબૂત કરી છે. ગુરુવારે, ભારે ગોળીબાર અને વિસ્ફોટના અવાજો ઘણા કલાકો સુધી આખા વિસ્તારમાં ગુંજતા રહ્યા, જેણે પર્વતીય પ્રદેશને હચમચાવી નાખ્યો.

ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમ છેલ્લા છ દિવસથી સતત આ મોટા આતંકવાદ વિરોધી ઓપરેશનને અંજામ આપી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ પ્રશિક્ષિત અને સારી રીતે તૈયાર થઈને આવ્યા છે, જેમના સરહદ પાર બેઠેલા આતંકવાદી નેટવર્ક સાથે જોડાણ હોઈ શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે માંજાકોટ સેક્ટરના ડોરીમલ અને ગંભીર મુગલાન વિસ્તારમાં કેટલાક પાકિસ્તાની આતંકવાદી કમાન્ડર તેમના સહયોગીઓ સાથે છુપાયેલા છે. આ પછી સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તલાશી દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં આવ્યા બાદ સુરક્ષા દળોએ જંગલના ઘણા ભાગોને ચારે બાજુથી ઘેરી લીધા હતા.

ઉત્તર પ્રદેશ: ભારે વાવાઝોડા વચ્ચે વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી, 6 મજૂરોના કરૂણ મોત

0

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં ભારે વાવાઝોડા વચ્ચે એક મોટો અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ જતા ઓછામાં ઓછા છ મજૂરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક કામદારો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ હમીરપુરના મોરા કંદર અને કુરારા વિસ્તારોને જોડવા માટે નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે વિસ્તારમાં અચાનક જોરદાર પવન અને ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ દરમિયાન પુલનો વિશાળ સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર કામદારોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો અને અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ દળોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી માટે ભારે મશીનોની મદદ લેવામાં આવી રહી છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

વાવાઝોડા અને વરસાદ દરમિયાન કૌશાંબીના દુની ગામ પૂર્વ શારીરામાં કાદવનું મકાન તૂટી પડ્યું હતું. 26 વર્ષીય મંગર સરોજ, તેની ચાર વર્ષની પુત્રી શ્વેતા અને ત્રણ વર્ષનો પુત્ર અનુભવ, જે ઘરની અંદર તેમના બાળકો સાથે સૂઈ રહ્યા હતા, કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા. સિરાથુ તહસીલ વિસ્તારના પહારપુર ગામમાં ટીન શેડ નીચે દબાઈ જવાથી 50 વર્ષીય ચંદ્રભવનનું મૃત્યુ થયું.

પ્રયાગરાજ જિલ્લાના કોરાઓન નગર પંચાયતના યમુનાપર વિસ્તારમાં સુભાષ નગર વિસ્તારના રહેવાસી બિહારી લાલ સિંહના પુત્ર 55 વર્ષીય વિજય કુમાર સિંહનું પાડોશીના ઘરની બાલ્કની નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું. વિજય કુમાર સિંહ રાત્રે પોતાના ટીન શેડ નીચે સૂતા હતા. સવારે લગભગ 3 કલાકે વાવાઝોડા દરમિયાન, પડોશીના ઘરના બીજા માળની બાલ્કની તૂટી પડી, જેના કારણે તે કાટમાળ નીચે દટાઈ ગયો.

મેજા પોલીસ સ્ટેશન વિસ્તારના ગડેવારા ગામના આદિવાસી વસાહતમાં શુક્રવારે સવારે જોરદાર વાવાઝોડા અને વરસાદ દરમિયાન ભોલા આદિવાસી પરિવારના ઘર પર મહુઆનું ઝાડ પડી ગયું. ઘર ધરાશાયી થયું. અંદર સૂતી બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

વિનેશ ફોગાટના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, હવે લઈ શકશે આ ગેમમાં ભાગ

0

રેસલર વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને એશિયન ગેમ્સ સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની અરજી પર નોટિસ જારી કરી છે. વધુ સુનાવણી 1 જૂને થશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ દિલ્હી હાઈકોર્ટના ઓલિમ્પિક રેસલર વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સ માટે સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જે શનિવારે નવી દિલ્હીમાં યોજાવાની છે. WFI એ તેની સ્પેશિયલ લીવ પિટિશન (SLP) માં દિલ્હી હાઈકોર્ટના 22 મેના ડિવિઝન બેન્ચના આદેશને પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાવ્યો હતો. WFI એ દલીલ કરી હતી કે વિનેશના પક્ષમાં આદેશ જારી કરતા પહેલા ફેડરેશનને વિગતવાર જવાબ દાખલ કરવાની પૂરતી તક આપવામાં આવી ન હતી.

ફેડરેશને સંકેત આપ્યો હતો કે જો ફોગાટ ટ્રાયલમાંથી ક્વોલિફાય થાય છે, તો પણ લોજિસ્ટિકલ સમસ્યાઓ હોઈ શકે છે, કારણ કે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓની યાદી આ મહિનાની શરૂઆતમાં જાપાન મોકલવામાં આવી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે જો અમે કોઈક રીતે તેને એક આઈકોનિક ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરી લઈએ છીએ તો પણ તેણે ફક્ત 50 કિગ્રા શ્રેણીમાં જ સ્પર્ધા કરવી પડશે.

વિનેશે 2023 માં WFIના તત્કાલીન પ્રમુખ અને ભાજપ નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોને લઈને મહિલા કુસ્તીબાજો સાથે ધરણામાં ભાગ લીધો હતો. 2024માં પેરિસ ઓલિમ્પિકમાં નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને 50 કિગ્રા શ્રેણીની ફાઇનલમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

રાજકોટની સોની બજારમાં ભીષણ આગથી હાહાકાર, ગેસ સિલિન્ડરના ધડાકાથી લોકોમાં દહેશત

રાજકોટની સોની બજારમાં ગતરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ એસીના કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ કારખાનામાં રાખેલા ગેસ સિલિન્ડરોમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. જુના રાજકોટની સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જોકે, ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ 3 કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે ઈદની રજા હોવાના કારણે કારખાનામાં કોઈ કારીગર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં ‘દિયા ગોલ્ડ પોલિશિંગ’ નામના સોનાના દાગીના પોલિશિંગ કારખાનામાં 28 મેની મોડીરાત્રે અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાના ગોટેગોટા લગભગ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં કારખાનામાં રહેલા ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો, ‘એ’ ડિવિઝન પોલીસ, પીજીવીસીએલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. પોલીસે સાંકડી ગલીઓમાં ટ્રાફિક નિયંત્રણ રાખીને ફાયર વાહનોને રસ્તો અપાવ્યો હતો. જૂના રાજકોટના વિસ્તારની સાંકડી શેરીઓના કારણે ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખરે સતત 3 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગની શરૂઆત એસીના કમ્પ્રેસરમાં થયેલા શોર્ટ સર્કિટથી થઈ હતી. કારખાનામાં સોનાના ઘરેણાં બનાવવા અને પોલિશિંગ માટે ગેસના 3 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. આગ સિલિન્ડર સુધી પહોંચતા 2 સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જ્યારે એક સિલિન્ડરને ફાયર વિભાગે સમયસૂચકતા દાખવી સુરક્ષિત બહાર કાઢી લીધો હતો.

તહેવારની રજા હોવાના કારણે કારખાનામાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી, જોકે આગમાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આણંદમાં બોટાદ DYSPની કારનો કહેર, શેરડીનો રસ પીતા 2ના મોત; 3 ઘાયલ

આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક એક માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બોટાદ જિલ્લાના DySP એ.એ. સૈયદની કાર બેફામ રીતે લોકો પર ફરી વળતા બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ DySP એ.એ. સૈયદ વડોદરાથી આણંદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અડાસ ગામ નજીક હાઇવે પર રસ્તાની સાઇડમાં કેટલાક લોકો શેરડીનો રસ પી રહ્યા હતા. તે સમયે અચાનક DySPની કાર બેકાબૂ બની ગઈ અને સીધી લોકો પર ચડી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, રસ કાઢવાનું મશીન લગભગ 40 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.

આ દુર્ઘટનામાં શીતલ તળપદા અને સંજય તળપદાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા અને ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.

વાસદ પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, કાર ચલાવતા સમયે DySP એ.એ. સૈયદને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. અકસ્માતમાં DySP પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા હતા, જેને પગલે તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વાસદ પોલીસે DySP એ.એ. સૈયદ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અમેરિકામાં ગુજરાતી યુવકની ધરપકડ, દારૂની દુકાને ગ્રાહક પર હુમલો પડ્યો ભારે

અમેરિકામાં દારૂની દુકાને કામ કરતા એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, દુકાને એક ગ્રાહક પર હુમલો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ સામે આવ્યું કે આરોપી ગુજરાતી શખ્સ અમેરિકામાં ઘણા સમયથી ગેરકાયદે રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના મેસેચૂસેટ્સમાં રહેતા ગુજરાતી ધવલ અમરતભાઇ પટેલની વોરસેસ્ટર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધવલ પટેલ પર દારૂની દુકાનમાં એક ગ્રાહક સાથે તકરાર અને બાદમાં બેઝબોલ બેટથી માર મારવાનો આરોપ છે. પોલીસના દાવા મુજબ પટેલ દારૂની દુકાને કામ કરે છે જ્યાં આવેલા એક ગ્રાહક સાથે તકરાર થઇ હતી જેણે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ અસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના એક ગેરકાયદે રહેતા નાગરિકને એમ હશે કે તે ખુલ્લેઆમ કોઇની પણ સાથે મારપીટ કરી શકે છે, જોકે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં તેને પોલીસ દ્વારા છોડી પણ મુકવામાં આવેલ છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે સહયોગ ના મળતા આરોપીને છોડી મુકવામાં આવેલ જોકે બાદમાં તેની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઇસ દ્વારા ધરપકડ કરાઇ હતી.

અમૃતસરમાં AAP નેતા જયપાલ બાઉ પર ધોળા દિવસે ફાયરિંગ, વિસ્તારમાં દહેશત

0

પંજાબના અમૃતસરમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને વોર્ડ 42ના પ્રભારી જયપાલ સિંહ બાઉને ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. ઘાયલ બાઉને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાઉએ તાજેતરમાં જ મ્યુનિસિપલ ચૂંટણી લડી હતી. આ ઘટનાએ વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરોની શોધખોળ તેજ કરી હતી. ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના અમૃતસરના કોટ આત્મા રામ વિસ્તારમાં બની હતી, જ્યાં પાર્કિંગને લઈને થયેલા નાના વિવાદે લોહિયાળ અથડામણમાં પરિણમી હતી. બંને પક્ષો વચ્ચે થયેલા ફાયરિંગમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા જયપાલ સિંહ ઘાયલ થયા હતા. તેમને પગમાં ગોળી વાગી હતી. જયપાલ સિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જયપાલ સિંહનો પાર્કિંગને લઈને ભૂતપૂર્વ પોલીસ અધિકારી સાથે વિવાદ થયો હતો, જેના કારણે તેમણે અચાનક તેમના પર બે થી ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ અકસ્માતમાં ફક્ત આપ નેતા જયપાલ સિંહ જ નહીં, પરંતુ નરેન્દ્ર સિંહ નામના એક વ્યક્તિને પણ ઈજા થઈ છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપ નેતા જયપાલ પર ગોળીબાર થયાની જાણ થતાં, દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના આપ ધારાસભ્ય ડૉ. ઈન્દ્રવીર સિંહ નિજ્જર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટરો પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

આ ઘટના બાદ પોલીસે તેમની તપાસ તેજ કરી છે. બંને પક્ષો દ્વારા અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જયપાલ સિંહ અને નરેન્દ્ર સિંહને ગોળી વાગતાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કેન્યાની ગર્લ્સ સ્કૂલના હોસ્ટેલમાં ભીષણ આગ, 16 વિદ્યાર્થીનીઓના મોત; 79 ઘાયલ

કેન્યાના નાકુરુ કાઉન્ટીના ગિલગિલમાં આવેલી ઉતુમિશી ગર્લ્સ એકેડેમીના ડોર્મિટરીમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 16 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 79 અન્ય ઘાયલ થયા છે. અને તેમની સારવાર ચાલુ છે. કેન્યાના ગિલગિલમાં આવેલી ઉતુમિશી ગર્લ્સ સ્કૂલના ડોર્મિટરીમાં ગઈકાલે રાત્રે અચાનક આગ લાગી હતી. આગનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.

શિક્ષણ મંત્રી જુલિયસ ઓગામ્બાએ જણાવ્યું હતું કે, 79 અન્ય ઘાયલ થયા છે. ગિલગિલ વિસ્તારમાં આવેલી બોર્ડિંગ સ્કૂલ, ઉતુમિશી ગર્લ્સ સ્કૂલના ડોર્મિટરીમાં આગ લાગી હતી. શાળામાં 800 થી વધુ વિદ્યાર્થીઓ છે. આ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્યાની બોર્ડિંગ સ્કૂલોમાં આગ લાગવી સામાન્ય છે, કેટલીક આગ લાગવાથી થાય છે, જ્યારે કેટલીક ઇલેક્ટ્રિકલ શોર્ટ-સર્કિટ અથવા ખામીને કારણે થાય છે.

કેન્યા રેડ ક્રોસના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતાં જ ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે.