Home Blog Page 77

પાકિસ્તાનને મોટો ઝટકો! ચિનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ માટે ભારતે નક્કી કરી 2029ની ડેડલાઇન

0

કેન્દ્ર સરકારે ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિન તરફ વાળવા માટે 31 જુલાઈ 2029ની સમયમર્યાદા નક્કી કરી છે. આશરે ₹2352 કરોડના ખર્ચે તૈયાર થનારી આ મહત્ત્વાકાંક્ષી ચિનાબ-બિયાસ લિંક ટનલ યોજના હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લામાં સ્થિત છે. 8.7 કિલોમીટર લાંબી આ ટનલ દ્વારા ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિન સિસ્ટમ તરફ વાળવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહમાં ઘટાડો થશે. નોંધનીય છે કે ચિનાબ પશ્ચિમ તરફ વહેતી નદી છે, જેના પર સિંધુ જળ સંધિ હેઠળ ભારતને મર્યાદિત અધિકારો પ્રાપ્ત હતા. પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદથી ભારતે આ સંધિના નિયમોને અનુસરવાનું બંધ કર્યું છે.

લાહૌલ-સ્પીતીમાં બનશે વિશાળ જળ પરિવહન ટનલ
એક અહેવાલ અનુસાર, લિંક-3 પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લાના લાહૌલ ખીણ વિસ્તારમાં ચિનાબ નદી પર પ્રસ્તાવિત છે. હાલની યોજના મુજબ ચિનાબ નદી પર 19 મીટર ઊંચો બેરેજ, ઇન્ટેક સ્ટ્રક્ચર અને લગભગ 8.7 કિલોમીટર લાંબી જળ પરિવહન ટનલનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, પ્રોજેક્ટના બીજા તબક્કામાં જળવિદ્યુત ઉત્પાદનની પણ સંભાવના છે.

સરકારના આ નિર્ણયનો હેતુ શું છે?
જળ પરિવહન સ્થળ કોસ્કર ગામ નજીક અને અટલ ટનલ રોહતાંગના ઉત્તર પ્રવેશદ્વારથી ઉપરની તરફ આવેલું છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ યોજના માત્ર જળવિદ્યુત ઉત્પાદન અથવા એન્જિનિયરિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ પશ્ચિમ તરફ વહેતી નદીઓના પાણીનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો પણ તેનો મુખ્ય હેતુ છે.

પાકિસ્તાન માટે મોટો ફટકો
સિંધુ જળ સંધિ રદ થયા બાદ પાકિસ્તાન તરફ વહેતા પાણીનો ઉપયોગ પોતાના હિત માટે કરવાની દિશામાં ભારતનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત વધુ પાણીનો ઉપયોગ કરી શકશે, જ્યારે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહમાં ઘટાડો થશે.

ભારત સરકારના આ નિર્ણયથી આશરે 4000 મેગાવોટ વધારાની જળવિદ્યુત ઊર્જાનું ઉત્પાદન શક્ય બનશે. સાથે જ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં સિંચાઈ તથા પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.

સિંધુ જળ સંધિ પછી ભારતને થઈ રહ્યો છે ફાયદો

  • 1960ની સિંધુ જળ સંધિ હેઠળ ચિનાબ નદીનું મોટાભાગનું પાણી પાકિસ્તાનના હિસ્સામાં ફાળવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ તે પોતાની વિશાળ નહેર પ્રણાલીઓ દ્વારા સિંચાઈ માટે કરતું હતું.
  • પરંતુ પહેલગામ હુમલા બાદ સંધિ અસરહીન બનતા હવે ભારત પોતાની સીમામાં ચિનાબના પાણીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. ભારત વધારાના પાણીને ટનલ મારફતે પોતાના વિસ્તારમાં વાળવા માટે વિવિધ યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
  • આ પ્રોજેક્ટના અમલીકરણથી ભારતની જળ સુરક્ષા અને ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે, જ્યારે પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આંધ્રપ્રદેશમાં હૃદયદ્રાવક દુર્ઘટના, સગીરાને બચાવવા જતાં 5 લોકોનું ડૂબી જવાથી મોત

0

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં તુંગભદ્રા નદીમાં એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં 5 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ બહાદુરીના પ્રયાસમાં સગીરાનો જીવ તો બચી ગયો છે, પરંતુ તેને બચાવવા ગયેલા તમામ પાંચેય લોકોના નદીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

શું છે આ સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત શનિવારે સાંજે અંદાજે 4:30 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. એક સગીર બાળકી તુંગભદ્રા નદીના કિનારે પગ ધોઈ રહી હતી. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ઊંડા પાણીમાં તણાવવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર પાંચ લોકો તેને બચાવવા માટે તાત્કાલિક નદીના પાણીમાં કૂદી પડ્યા હતા.

સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે અને નદીની ઊંડાઈનો અંદાજ ન આવતા આ પાંચેય લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, સ્થાનિકો અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી બાળકીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને SDRF ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. નદીના તેજ પ્રવાહમાં લાપતા થયેલા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નદીમાંથી તમામ મૃતકોના શવ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકો આસપાસના ગામના અને સગા-સંબંધીઓ હતા, જેઓ એક પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.

IMDની ચેતવણી: ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા

0

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ત્યારે આજે 1 જૂને પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે.

આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે.

1 જૂનથી 2 જૂન: વાવાઝોડું અને ભારે વરસાદ
સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો (રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ)માં પણ 40થી 50 કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં આ દિવસે ભારે વરસાદ થવાની સંભાવના છે.

દેશમાં ચોમાસા ક્યાં પહોચ્યું?
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ધોળા દિવસે રાજસ્થાનમાં અંધકાર, વાવાઝોડા-વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી; 48નાં મોત

0

ઉત્તર ભારતના રાજ્યોમાં શનિવારે અચાનક હવામાનમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો. પાકિસ્તાન તરફથી આવેલા ધૂળભર્યા વાવાઝોડા અને પશ્ચિમ વિક્ષોભના પ્રભાવથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ ધોળા દિવસે જ અંધારું છવાઈ ગયું હતું અને દૃશ્યતા લગભગ શૂન્ય જેવી બની ગઈ હતી.

રાજસ્થાનમાં ધૂળના તોફાનથી દિવસમાં રાત જેવું દૃશ્ય
રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર અને સીકર જિલ્લામાં શનિવારે બપોર બાદ અચાનક ધૂળના તોફાન સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ કારણે આકાશમાં ધૂળના ઘન પડળ છવાઈ ગયા અને દિવસ દરમિયાન જ અંધારું છવાઈ ગયું. લોકોએ જણાવ્યું કે આ દૃશ્ય એટલું ભયંકર હતું કે વાહનોને દિવસમાં પણ હેડલાઇટ ચાલુ કરવી પડી. રસ્તાઓ પર અચાનક ધૂળ ઉડતા લોકો દોડીને ઘરો અને દુકાનોમાં છુપાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો અને ઘરનાં દરવાજા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.

શ્રીગંગાનગરમાં સવારે 11 વાગ્યાની આસપાસ વાવાઝોડું શરૂ થયું હતું, જે થોડા જ સમયમાં શહેરને ધૂળથી ઢાંકી ગયું. ચુરુ અને બિકાનેરમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી. સીકર જિલ્લાના ફતેહપુર અને લક્ષ્મણગઢ વિસ્તારમાં ધૂળના વંટોળે દૃશ્યતા સંપૂર્ણ રીતે ઘટાડીને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાં સવારે વરસાદ પણ નોંધાયો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

હવામાન વિભાગે રાજ્યના લગભગ 30 જિલ્લાઓમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે. પશ્ચિમ વિક્ષોભ સક્રિય થતા રાજ્યભરમાં હવામાન અસ્થિર બની ગયું છે. શુક્રવારે પણ ચુરુ, હનુમાનગઢ, બિકાનેર, સીકર, અલવર, જયપુર, ભરતપુર, ઝુનઝુનુ અને કરૌલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા. અનેક જગ્યાએ તાપમાનમાં અચાનક 8થી 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગરમીમાંથી અચાનક રાહત મળી છે.

ભારતના ચાર મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદે સામાન્ય જનજીવનને સંપૂર્ણ રીતે ખોરવી નાખ્યું છે. અનેક જગ્યાએ અંધારું છવાઈ જવાથી લોકોમાં ભયનો માહોલ છે, જ્યારે પ્રશાસન તરફથી એલર્ટ જાહેર કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. રાજસ્થાનમાં 30 જિલ્લાઓમાં વાવાઝોડા, કરા અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અનેક વિસ્તારોમાં કરા પડતાં તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી ગયું છે. મધ્યપ્રદેશમાં પણ ગ્વાલિયર સહિત 9 જિલ્લાઓમાં કરા અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ભોપાલ સહિત અનેક શહેરોમાં ગરમીથી રાહત મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 31 લોકોના મોત થયા છે.

રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં આજે પણ વરસાદનું એલર્ટ યથાવત છે. બીજી તરફ બિહારમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં 17 લોકોના જીવ ગયા છે. ખરાબ હવામાનના કારણે પટનામાં 4 ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી અને 18 ફ્લાઇટ મોડેથી ઉડાન ભરી હતી, જ્યારે અનેક ટ્રેનો પણ કલાકો સુધી અટવાઈ રહી હતી. સમગ્ર વિસ્તારમાં બદલાયેલા હવામાનને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2026: વિનેશ ફોગાટને હરાવનાર મીનાક્ષી ગોયત કોણ? સેમિફાઇનલમાં કર્યો મોટો ઉલટફેર

0

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવાનું સપનું શનિવારે અધૂરું રહી ગયું. નવી દિલ્હીના આઈજીઆઈ સ્ટેડિયમમાં યોજાયેલા એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સ દરમિયાન સેમિફાઇનલ મુકાબલામાં તેમને નિરાશાજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

53 કિલોગ્રામ વજન વર્ગની સેમિફાઇનલ મેચમાં મીનાક્ષી ગોયતે વિનેશ ફોગાટને 6-4ના સ્કોરથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ હાર સાથે વિનેશ ફોગાટની એશિયન ગેમ્સ 2026માં રમવાની આશાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

મહત્વનું છે કે વિનેશ ફોગાટ ભારતની સૌથી સફળ મહિલા કુસ્તીબાજોમાંની એક માનવામાં આવે છે, પરંતુ આ મહત્વપૂર્ણ ટ્રાયલ્સમાં સેમિફાઇનલ સુધીનો જ તેમનો સફર રહ્યો હતો. મીનાક્ષી ગોયતના શાનદાર પ્રદર્શનના કારણે વિનેશને બહારનો રસ્તો જોવો પડ્યો હતો.

50 ડિગ્રી ગરમીથી બચવા લોકો પહાડોમાં પહોંચ્યા, મનાલીમાં કલાકો લાંબો ટ્રાફિક જામ

0

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. દેશના અનેક શહેરોમાં તાપમાન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. ગરમીથી રાહત મેળવવા માટે લાખો લોકો હવે પહાડી વિસ્તારો તરફ રવાના થઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના મનાલી અને રોહતાંગ પાસથી લઈને ઉત્તરાખંડના નૈનીતાલ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ઓલી અને જોશીમઠ સુધી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી રહી છે. પરંતુ વધતી ભીડ હવે સ્થાનિક વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની રહી છે. પ્રવાસન સ્થળો પર હોટલો હાઉસફુલ થઈ ગઈ છે, પાર્કિંગની જગ્યાઓ ઓછી પડી રહી છે અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબા ટ્રાફિક જામ જોવા મળી રહ્યા છે.

મનાલી-રોહતાંગ માર્ગ પર મહાજામ
હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પણ રોહતાંગ પાસ ખાતે બરફ જોવાની ઘેલછા પ્રવાસીઓને આકર્ષી રહી છે. સમુદ્ર સપાટીથી આશરે 13 હજાર ફૂટની ઊંચાઈએ આવેલો રોહતાંગ પાસ હાલ બરફની ચાદરથી ઢંકાયેલો છે.

પરંતુ વધતી ભીડના કારણે મનાલી-રોહતાંગ રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. શનિવારે આ માર્ગ પર મહાજામની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એવી હતી કે સવારે 6 વાગ્યે મનાલીથી નીકળેલા પ્રવાસીઓ બપોરે 1 થી 2 વાગ્યાની આસપાસ રોહતાંગ પહોંચી શક્યા હતા. સામાન્ય રીતે 50 કિલોમીટરની આ સફર પૂરી કરવામાં 7 થી 8 કલાકનો સમય લાગી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ મઢીથી ગ્રામફૂ વચ્ચે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રસ્તાની બાજુમાં વાહનો પાર્ક કરી દે છે, જેના કારણે ટ્રાફિક જામ વધુ ગંભીર બની જાય છે.

નૈનીતાલમાં પ્રવાસીઓની ભારે ભીડ
સરોવરોના શહેર તરીકે ઓળખાતા નૈનીતાલમાં પણ પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વીકેન્ડ દરમિયાન માલ રોડ, સ્નો વ્યુ, ચિડીયાઘર અને કેવ ગાર્ડન જેવા સ્થળો પ્રવાસીઓથી ખચોખચ ભરાયેલા હતા. નૈની તળાવમાં બોટિંગનો આનંદ માણવા માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પહાડોની ઠંડી હવા અને સુહાવના વાતાવરણથી લોકો આકર્ષાઈ રહ્યા છે. વધતી ભીડને કારણે હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટે સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

કૈંચીધામમાં સ્થાપના દિવસને લઈ વધતી ભીડ
બીજી તરફ, બાબા નીમ કરૌલી મહારાજના પ્રસિદ્ધ કૈંચીધામ આશ્રમમાં પણ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આગામી દિવસોમાં કૈંચીધામ સ્થાપના દિવસના કાર્યક્રમો યોજાનાર હોવાથી અહીં ભીડમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચારધામ યાત્રાના કારણે જોશીમઠમાં 20 કિમી લાંબો જામ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચારધામ યાત્રા હાલ ચરમસીમા પર પહોંચી છે. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની યાત્રાની સાથે મોટી સંખ્યામાં લોકો ઓલી તેમજ નીતિ-માણા ઘાટી તરફ જઈ રહ્યા છે. આ કારણે જોશીમઠ વિસ્તાર સૌથી વધુ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યો છે. મારવાડીથી ગોવિંદઘાટ અને જોશીમઠથી સેલંગ સુધીના માર્ગો પર 15 થી 20 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ જોવા મળી રહ્યા છે. વહીવટીતંત્રે વન-વે સિસ્ટમ લાગુ કરી હોવા છતાં વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ગેટ ખુલવાની રાહમાં 2 થી 3 કલાક સુધી ઉભા રહેવું પડે છે.

લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ પણ હળવો વરસાદ અને બરફવર્ષા ચાલુ છે, છતાં ભક્તોની આસ્થા અડગ છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે, જ્યારે સમગ્ર ચારધામ યાત્રામાં કુલ યાત્રીઓની સંખ્યા 24 લાખને પાર પહોંચી ગઈ છે.

ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી
રેકોર્ડબ્રેક ભીડ વચ્ચે બદ્રીનાથ ધામ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની તબિયત બગડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોની અતિશય ગરમીમાંથી લોકો સીધા જ ઊંચાઈવાળા ઠંડા વિસ્તારોમાં પહોંચી જાય છે. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ, થાક અને એક્યુટ માઉન્ટેન સિકનેસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે પ્રવાસીઓએ સીધા ઊંચા સ્થળોએ જવાને બદલે થોડો સમય તળેટી વિસ્તારોમાં રોકાવું જોઈએ જેથી શરીર નવા વાતાવરણને અનુકૂળ થઈ શકે.

ભવિષ્યમાં કાયમી ઉકેલની જરૂર
વધતી ભીડને જોતા નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં પહાડી પ્રવાસન સ્થળો પર કાયમી પાર્કિંગ વ્યવસ્થા, સુવ્યવસ્થિત ટ્રાફિક પ્લાનિંગ અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. હાલની સ્થિતિ દર્શાવે છે કે પ્રવાસનના વધતા દબાણને પહોંચી વળવા માટે આધુનિક સુવિધાઓ વિકસાવવી સમયની માંગ બની ગઈ છે.

દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ: ISI અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા 9 આતંકીઓ ઝડપાયા

0

દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના નવ એજન્ટોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ આતંકવાદીઓ દેશની રાજધાનીમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેમનો હેતુ દિલ્હી અને મુંબઈ સહિત મુખ્ય શહેરોમાં આતંકવાદી હુમલા કરવાનો હતો. ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ દિલ્હી, મુંબઈ અને પંજાબના છે. કેટલાક વિદેશી પણ છે. મુંબઈના અંડરવર્લ્ડ સાથે જોડાણો પણ બહાર આવ્યા છે. ધરપકડ કરાયેલા તમામ શંકાસ્પદ આતંકવાદીઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારતમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા.

હથિયારો, ગ્રેનેડ, વિસ્ફોટકો જપ્ત
પોલીસે શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા તમામ આતંકવાદીઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઈશારે ભારતમાં હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો તેમજ પાકિસ્તાનથી આયાત કરાયેલા વિસ્ફોટકો જપ્ત કર્યા છે. તેમની પાસેથી ગ્રેનેડ અને અન્ય ઘણા શસ્ત્રો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ સ્થળો પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ ગયું
ધરપકડ કરાયેલા નવ શંકાસ્પદ આતંકવાદીઓ દેશના પાવર પ્લાન્ટ, પરમાણુ પ્લાન્ટ, વીજળી ઘર, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનોને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા, જેમાં મોટાભાગે વધુ ભીડ રહેતી હોય છે.

પાકિસ્તાનથી મોકલવામાં આવેલા વિસ્ફોટકો પણ જપ્ત કરાયા
પાકિસ્તાનથી મોકલવામાં આવેલા વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ભારતીય નાગરિકોનો ઉપયોગ કરીને દેશમાં આતંક મચાવતા હતા. આનો અર્થ એ થયો કે તે વિદેશથી લોકોને મોકલવાનું જોખમ ટાળશે અને તેના નાપાક આયોજનોમાં સરળતાથી સફળ થઈ શકશે. જોકે દિલ્હી પોલીસે આ યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી અને તમામ નવ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

અમેરિકા સામે જવાબી હુમલાની તૈયારી? ચીનના વિશાળ મિસાઇલ બેઝનો મોટો ખુલાસો

0

ચીનના દૂરવર્તી રણપ્રદેશ વિસ્તારમાં એક વિશાળ મિલિટરી કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે બેઇજિંગ પોતાના પરમાણુ ભંડારની નજીક લોન્ચ પેડ, બંકર અને કમ્યુનિકેશન નોડ્સનું વિશાળ નેટવર્ક ઊભું કરી રહ્યું છે. આ ભંડારમાં ચીની સેનાની સૌથી લાંબા અંતરની મિસાઇલો રાખવામાં આવી છે. ચીનની પરમાણુ મિસાઇલો પહેલેથી જ અમેરિકાના કોઈપણ શહેર સુધી પહોંચી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સે આ સેટેલાઇટ તસવીરોની તપાસ કરી છે.

સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે આ મિલિટરી કોમ્પ્લેક્સ એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે ચીનના પરમાણુ હથિયારો પર અમેરિકા દ્વારા કરવામાં આવતો કોઈપણ પ્રથમ હુમલો બેઇજિંગની જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતાને સંપૂર્ણપણે ખતમ ન કરી શકે. ચીનના શસ્ત્રાગારમાં પહેલેથી જ એવી મિસાઇલો છે જે અમેરિકાના કોઈપણ શહેર સુધી પહોંચી શકે છે.

80થી વધુ લોન્ચ પેડની માહિતી સામે આવી
સેટેલાઇટ તસવીરોની તપાસમાં 80થી વધુ એવા લોન્ચ પેડની માહિતી સામે આવી છે, જેનો ઉપયોગ ચીનના વધતા મિસાઇલ લોન્ચર અને એર ડિફેન્સ બેટરીના કાફલા દ્વારા થઈ શકે છે. ત્રણ સુરક્ષા વિશ્લેષકોએ રોયટર્સને જણાવ્યું કે આ તસવીરોમાં એવી સુવિધાઓ પણ જોવા મળે છે, જે ઇલેક્ટ્રોનિક યુદ્ધ, સેટેલાઇટ કમ્યુનિકેશન અને કમાન્ડ ઓપરેશન માટે ઉપયોગી બની શકે છે.

ક્યાં બનાવાયું છે ચીનનું વિશાળ પરમાણુ લોન્ચ પેડ?
રણપ્રદેશમાં બનાવવામાં આવેલું આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઠ ભુજાવાળા બે માળખા પર આધારિત છે. તેને છેલ્લા છ વર્ષ દરમિયાન પૂર્વી શિનજિયાંગ પ્રાંતમાં બનાવવામાં આવ્યા છે. બંને માળખા હામી પરમાણુ ભંડાર વિસ્તારના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા છે. તેમાંનું એક લગભગ 140 કિલોમીટર દૂર છે, જ્યારે બીજું લગભગ 230 કિલોમીટર દૂર આવેલું છે.

આ માળખાઓમાં સૈનિકોના રહેવાની વ્યવસ્થા તેમજ મોટા સૈન્ય વાહનો રાખવાની સુવિધા ઉપલબ્ધ છે. અહીં એરપોર્ટ અને રેલવે લાઇનો પણ છે, જે આ માળખાઓને હામીના પરમાણુ ભંડાર સાથે જોડે છે.

ચીન જે મોટા પાયે નિર્માણ કરી રહ્યું છે તે તેના જમીન આધારિત પરમાણુ દળોની સુરક્ષા અને સંચાલન માટે તૈયાર કરાયેલા મજબૂત માળખાકીય વિસ્તરણ તરફ ઈશારો કરે છે. આ ચીનની “સેકન્ડ-સ્ટ્રાઈક” ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ સુધારો દર્શાવે છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે તાઇવાનને લઈને તણાવ વધી રહ્યો છે અને ચીને ટાપુની નજીક પોતાની સૈન્ય પ્રવૃત્તિઓ તેજ કરી છે.

સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાને મજબૂત કરવાની તૈયારી
રણપ્રદેશમાં આવેલા આ શસ્ત્ર ભંડારની સુરક્ષા ચીનના તે ઘોષિત લક્ષ્ય તરફનું પગલું છે, જેના હેઠળ તે એક વિશ્વસનીય પરમાણુ પ્રતિરોધક શક્તિ (ન્યુક્લિયર ડિટરન્ટ) તૈયાર કરવા માંગે છે. આ એવી નીતિ છે જે એ ક્ષમતા પર આધારિત છે કે જો તેના પર પહેલો હુમલો થાય તો તે અસરકારક જવાબી કાર્યવાહી કરી શકે.

જોકે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પનડૂબીઓ અને વિમાનોમાંથી પણ પરમાણુ હથિયારો છોડવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ શિનજિયાંગ અને ગાન્સુ પ્રાંતમાં આવેલા ભંડાર વિસ્તારો તેના પરમાણુ દળોનો મુખ્ય આધાર માનવામાં આવે છે.

ચીનની પરમાણુ નીતિનો મુખ્ય આધાર “પહેલા ઉપયોગ ન કરવાની” નીતિ છે. તેનો અર્થ એ થાય છે કે ચીની સેનાઓ ક્યારેય પરમાણુ યુદ્ધની શરૂઆત નહીં કરે. જોકે, સુરક્ષા વિશ્લેષકોનું માનવું છે કે તાઇવાનને લઈને કોઈ સંઘર્ષ સર્જાય તો બાહ્ય હસ્તક્ષેપને મર્યાદિત કરવા માટે ચીન પરમાણુ દબાણનો સહારો લઈ શકે છે.

ચીનના રાષ્ટ્રપતિ Xi જિનપિંગએ જ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત આપી હતી કે આ અંગે ચેતવણી આપવામાં આવી હતી કે તત્પર વિનિમયમાં આવે તો યોગ્ય રીતે ખતરનાક તત્પરતા લઈ શકે છે.

ગાંધીનગર રેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, આરોપીને આજીવન કેદ અને ₹10 લાખ વળતરનો આદેશ

ગાંધીનગરમાં ચાર વર્ષની બાળકી સાથે થયેલા જઘન્ય દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક અને ઐતિહાસિક ગણાવી શકાય એવો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવી તેના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. સાથે જ પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં ખાસ વાત એ રહી કે ઘટના બાદ માત્ર સાડા પાંચ મહિનાના સમયગાળામાં જ ટ્રાયલ પૂર્ણ કરીને ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.

માસૂમનું અપહરણ કરીને ઝાડીઓમાં લઈ ગયો
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, ડિસેમ્બર 2025માં ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી પોતાના પરિવાર સાથે ઘરમાં સૂતી હતી. આ દરમિયાન આરોપી રાત્રિના સમયે ઘરમાં ઘૂસ્યો હતો અને બાળકીને ઉઠાવીને નજીકના એક સૂમસામ વિસ્તારમાં લઈ ગયો હતો. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને ગંભીર હાલતમાં ત્યાં જ છોડી દીધી હતી. પ્રાથમિક રીતે તેને લાગ્યું હતું કે બાળકીનું મોત થઈ ગયું છે, જેના કારણે તે સ્થળ પરથી ભાગી ગયો હતો.

બાળકીએ બતાવી હિંમત, પરિવાર સુધી પહોંચી
ઘટના બાદ થોડા સમય પછી આરોપી ફરી એકવાર સ્થળ પર પાછો ફર્યો હતો. તે જોવા માંગતો હતો કે બાળકી જીવિત છે કે નહીં. પરંતુ આ દરમિયાન બાળકીમાં ચેતના આવતા તે કોઈક રીતે ઊભી થઈ અને લથડતા પગે પોતાના પરિવાર સુધી પહોંચી ગઈ હતી. પરિવારજનોએ બાળકીને આ હાલતમાં જોઈ તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળકીના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

10 દિવસથી કરી રહ્યો હતો રેકી
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી અગાઉથી જ બાળકીને ઓળખતો હતો. તે વિસ્તારની એક કરિયાણાની દુકાને આવતો-જતો હતો અને ત્યાંથી તેની નજર બાળકી પર પડી હતી. આરોપીએ ગુનો આચરવા માટે અગાઉથી જ યોજના બનાવી હતી અને લગભગ 10 દિવસ સુધી બાળકી તથા તેના પરિવારની હિલચાલ પર નજર રાખી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે ગુનો આચર્યા બાદ આરોપી પોતાના મૂળ વતન બિહાર ભાગી જવાની તૈયારીમાં હતો. જોકે પોલીસની ઝડપી કાર્યવાહી અને ટેકનિકલ સર્વેલન્સના કારણે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

પાંચ દિવસમાં આરોપી પોલીસ સકંજામાં
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પોલીસ દ્વારા ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી. મોબાઇલ લોકેશન, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. અંતે ગુનાના માત્ર પાંચ દિવસની અંદર જ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે લઈ જતાં ભાગવાનો પ્રયાસ
તપાસ દરમિયાન પોલીસ આરોપીને ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આ સમયે આરોપીએ અચાનક પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણ બહાર ન જાય તે માટે પોલીસે આત્મરક્ષાના ભાગરૂપે ફાયરિંગ કરવું પડ્યું હતું. ત્રણ રાઉન્ડ ફાયરિંગ દરમિયાન એક ગોળી આરોપીના પગમાં વાગી હતી, જેના કારણે તે વધુ આગળ ભાગી શક્યો નહોતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

13 દિવસમાં ચાર્જશીટ, ઝડપી ટ્રાયલ
ગાંધીનગર પોલીસ માટે આ કેસ પ્રાથમિકતા ધરાવતો હોવાથી તપાસ અત્યંત ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતો, વિવિધ તપાસ એજન્સીઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓની મદદથી મજબૂત કેસ તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના બાદ માત્ર 13 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને પાંચ મહિના દસ દિવસના સમયગાળામાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

કોર્ટે આપ્યો કડક સંદેશ
સ્પેશિયલ પોક્સો કોર્ટે તમામ પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને વૈજ્ઞાનિક અહેવાલોના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે બાળકી સામે આચરાયેલો ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે. આથી આરોપીને સામાન્ય આજીવન કારાવાસ નહીં પરંતુ જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે આદેશ આપ્યો છે કે આરોપીના મૃત્યુ બાદ જ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવે.

પીડિતાના પુનર્વસન માટે વળતર
ચુકાદા દરમિયાન કોર્ટે પીડિત બાળકીના ભવિષ્ય અને પુનર્વસનને ધ્યાનમાં રાખીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ રકમ બાળકીને સારવાર, શિક્ષણ અને અન્ય જરૂરી સહાય માટે ઉપયોગી બને તેવો કોર્ટે ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો. આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલાઓ સામેના ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાયના મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ભારત બની રહ્યું છે વૈશ્વિક લશ્કરી શક્તિ, અમેરિકન સંરક્ષણ સચિવે કર્યા મોટા વખાણ

0

અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ભારતીય સેનાની પ્રશંસા કરી છે. શનિવારે તેમણે ભારતના લશ્કરી આધુનિકીકરણના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે દેશને એક શક્તિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતાનો મુખ્ય સ્તંભ ગણાવ્યો હતો.

સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગમાં બોલતા હેગસેથે કહ્યું કે ભારત તેની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યું છે અને ઉચ્ચ કક્ષાના લશ્કરી કામગીરીને ટેકો આપવા માટે તેના ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ માળખાનો વિસ્તાર કરી રહ્યું છે.

ટ્રમ્પના નજીકના સહાયક પીટ હેગસેથે કહ્યું, “ભારત મજબૂત છે અને તેની સેનાને આધુનિક બનાવી રહ્યું છે. તે ઉચ્ચ કક્ષાના લશ્કરી કામગીરીને ટકાવી રાખવા માટે વિશાળ ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે.”

હેગસેથે કહ્યું, “અમે ક્ષમતાઓ વધારવા માટે ભારત સાથે સહ-ઉત્પાદન કરવાનું પણ વચન આપ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ તેના સંરક્ષણનું રાષ્ટ્રીય ઉત્પાદન વૈશ્વિકરણ કરી રહ્યું છે.” યુએસ સંરક્ષણ સચિવે ભારતને દક્ષિણ એશિયામાં એક મુખ્ય ભાગીદાર ગણાવ્યું અને કહ્યું કે એક મજબૂત ભારત જે પોતાના હિતમાં કાર્ય કરે છે તે પ્રાદેશિક સ્થિરતાના સહિયારા ધ્યેયને પણ આગળ ધપાવે છે.

પીટ હેગસેથે કહ્યું, “દક્ષિણ એશિયામાં રેખા જાળવી રાખવા માટે ભારત એક મહત્વપૂર્ણ એન્કર છે. એક મજબૂત ભારત જે પોતાના હિતમાં કાર્ય કરે છે તે સમગ્ર ક્ષેત્રમાં શક્તિનું સંતુલન જાળવવાના આપણા સહિયારા ધ્યેયને આગળ ધપાવે છે.”

પીટ હેગસેથે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે વધતા સંરક્ષણ સહયોગ તરફ ધ્યાન દોર્યું, જેમાં જેવેલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ હથિયાર જેવી અદ્યતન લશ્કરી પ્રણાલીઓનું સહ-ઉત્પાદન કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું, “અમે અમારી ક્ષમતાઓ વધારવા માટે ભારત સાથે સહયોગ કરવાનું પણ વચન આપ્યું છે.” તેમણે આવા પ્રયાસોને બંને દેશોના સશસ્ત્ર દળોની તૈયારી સુધારવા તરફ આવશ્યક પગલાં ગણાવ્યા.

હેગસેથે જાપાન, દક્ષિણ કોરિયા, આસિયાન અને ઓસ્ટ્રેલિયા સાથે સંરક્ષણ સંબંધિત સંબંધોનું પણ મૂલ્યાંકન કર્યું. સમગ્ર પ્રદેશના મહેમાનોને સંબોધતા, હેગસેથે જણાવ્યું કે ઈન્ડો-પેસિફિક વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્ર રહે છે. તેમણે અમેરિકાના સાથીઓ અને ભાગીદારોને તેમની સંરક્ષણ ક્ષમતાઓમાં વધુ રોકાણ કરવા વિનંતી કરી.

પીટ હેગસેથે પ્રાદેશિક સુરક્ષા જાળવવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે કોઈપણ દેશને એવું વર્ચસ્વ સ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં જે બીજાઓની સુરક્ષા માટે જોખમી હોય.