Home Blog Page 77

અમેરિકામાં U-વિઝા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંદ્રકાંત પટેલ દેશનિકાલના ભય હેઠળ

અમેરિકામાં ગુજરાતી મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. ઘણા લોકો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા બાદ ત્યાં રહેવા માટે અવનવાં ગતકડાં કરતા હોય છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકાથી પ્રકાશમાં આવ્યો હતો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવાના એક ગંભીર ષડયંત્રમાં બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 10 પાટીદારો સામે વિધિવત્ રીતે ગુનો નોંધ્યો હતો.

અમેરિકામાંથી દેશનિકાલ થતા બચાવવા માટે ત્યાંના ‘U-વિઝા વિક્ટિમ-પ્રોટેક્શન પ્રોગ્રામ’નો દુરુપયોગ કરનાર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંદ્રકાંત ઉર્ફે ‘લાલા’ પટેલ હવે ખુદ દેશનિકાલનો સામનો કરી રહ્યો છે. ચંદ્રકાંત પટેલે કોર્ટમાં કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના ગુનાની કબૂલાત કરી હતી. પ્લી એગ્રીમેન્ટ (ગુનાની કબૂલાતના કરાર) અંતર્ગત પટેલ પોતાના બહુવિધ બેંક ખાતાઓ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, વાહનો, મોંઘી જ્વેલરી, કિંમતી ધાતુઓ અને લુઇસિયાનાના ઓકડેલમાં આવેલી પાંચ પ્રોપર્ટીઝ જપ્ત કરવા માટે સહમત થયો હતો.

15 વર્ષની જેલ અને કરોડો રૂપિયાના દંડની શક્યતા
કોર્ટ દસ્તાવેજો અનુસાર, પટેલને કાવતરાના ગુનામાં 5 વર્ષ અને મની લોન્ડરિંગના ગુનામાં 10 વર્ષ સહિત કુલ 15 વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત તેને 5 લાખ ડોલર (આશરે ₹4.15 કરોડ) સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. અંતિમ સજા ફેડરલ કોર્ટ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે.

ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી ઉઘરાવતો હતો હજારો ડોલર
પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, ગુજરાતના કલોલમાં જન્મેલા ચંદ્રકાંત પટેલે અનેક ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી હજારો ડોલર વસૂલ્યા હતા. તે અરજદારોને સશસ્ત્ર લૂંટફાટ અથવા અન્ય ગંભીર ગુનાઓના પીડિત તરીકે ખોટી રીતે રજૂ કરતો હતો અને તેના આધારે U-વિઝા મેળવવાની પ્રક્રિયા ગોઠવતો હતો.

U-વિઝા મેળવવા માટે બનાવતા હતા નકલી કેસ
તપાસમાં ખુલ્યું છે કે અરજદારો માટે નકલી ગુનાના કેસો ઉભા કરવામાં આવતા હતા અને ત્યારબાદ તે બનાવટી ઘટનાના આધારે U-વિઝા માટે અરજી કરવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડથી પટેલ અને તેના સાથીદારોને કરોડો રૂપિયાની ગેરકાયદે કમાણી થઈ હોવાનું સામે આવ્યું છે.

2025માં સામે આવ્યો હતો કૌભાંડ
આ મામલો પ્રથમ વખત 2025માં પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન લુઇસિયાનાના ત્રણ વર્તમાન અથવા ભૂતપૂર્વ પોલીસ ચીફ અને ઓકડેલના એક માર્શલનું નામ પણ સામે આવ્યું હતું. આરોપ છે કે પટેલે નકલી પોલીસ રિપોર્ટ તૈયાર કરાવવા અને U-વિઝા સંબંધિત દસ્તાવેજોને પ્રમાણિત કરાવવા માટે અધિકારીઓને પ્રતિ કેસ આશરે 5,000 ડોલરની લાંચ આપી હતી.

શું છે U-વિઝા પ્રોગ્રામ?
U-વિઝા અમેરિકી કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ માનવતાવાદી ઇમિગ્રેશન કાર્યક્રમ છે. તેનો હેતુ ગંભીર ગુનાઓના ભોગ બનેલા લોકોને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકાર આપવા પ્રોત્સાહિત કરવાનો છે. આ વિઝા હેઠળ પાત્ર વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી, દેશનિકાલથી રક્ષણ અને ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવાની તક મળે છે.

તપાસમાં મોટી સફળતા
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રકાંત પટેલની ગુનાની કબૂલાત દાયકાથી વધુ સમયથી ચાલતી તપાસમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. હવે કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂકને મંજૂરી, ન્યાયતંત્રને મળશે નવી મજબૂતી

0

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા પાંચ ન્યાયાધીશોના નામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ નિમણૂકો બાદ સુપ્રીમ કોર્ટ તેની સંપૂર્ણ મંજૂર ન્યાયિક ક્ષમતા સાથે કાર્યરત બનશે.

કેન્દ્રીય કાયદા મંત્રાલયે સોમવારે પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું. નવા નિયુક્ત ન્યાયાધીશોમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વી. મોહના, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરુણ પલ્લીનો સમાવેશ થાય છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આ નામોની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ હવે આ ન્યાયાધીશો દેશની સર્વોચ્ચ અદાલતમાં પોતાની નવી જવાબદારીઓ સંભાળશે. પડતર કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ નિમણૂકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વી. મોહના બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર 11મા વ્યક્તિ બનશે. પૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા બાદ આ સિદ્ધિ મેળવનાર તેઓ બીજી મહિલા છે. તેઓ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા રહ્યા છે અને મહિલા અધિકારીઓને સેનામાં કાયમી કમિશન આપવાના ઐતિહાસિક કેસમાં અગ્રણી વકીલ તરીકે પણ જાણીતા છે.

જસ્ટિસ શીલ નાગુ હાલમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનું મૂળ કાર્યક્ષેત્ર મધ્યપ્રદેશ હાઇકોર્ટ રહ્યું છે. તેઓ તાજેતરમાં જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા રોકડ વિવાદ કેસની તપાસ માટે રચાયેલી ઇન-હાઉસ સમિતિના સભ્ય પણ રહ્યા હતા.

જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અગાઉ ઝારખંડ હાઇકોર્ટમાં સેવા આપી ચૂક્યા છે અને હાલમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ સંજીવ સચદેવ મૂળ દિલ્હી હાઇકોર્ટમાંથી આવ્યા છે અને હાલમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે.

જસ્ટિસ અરુણ પલ્લી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં લાંબી સેવા આપી ચૂક્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કાર્યરત રહ્યા છે.

આ પાંચેય ન્યાયાધીશોની નિમણૂકથી સુપ્રીમ કોર્ટને વિવિધ હાઇકોર્ટોમાંથી મળેલા તેમના સમૃદ્ધ ન્યાયિક અનુભવ અને વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિનો લાભ મળશે. ન્યાયતંત્રને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવવા માટે આ નિમણૂકોને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

મ્યાનમારમાં ભીષણ વિસ્ફોટમાં 46 લોકોના મોત, 74 ઘાયલ; 100થી વધુ ઘરોને નુકસાન

મ્યાનમારના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં રવિવારે એક ઇમારતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 45થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જે ઇમારતમાં વિસ્ફોટ થયો હતો ત્યાં ખનન પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અને બચાવકર્મીઓએ જણાવ્યું કે આ ઘટના નામખામ શહેરના કાઉંગટુપ ગામમાં બની હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

વિસ્ફોટ સ્થળે પહોંચેલા એક બચાવકર્મીએ જણાવ્યું કે રવિવાર સાંજ સુધીમાં છ બાળકો સહિત કુલ 46 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલી દેવામાં આવ્યા છે. સુરક્ષા કારણોસર બચાવકર્મીએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી.

74 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ
બચાવ દળના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 74 લોકોને નામખામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ અને રાહતકર્મીઓ સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છે.

100થી વધુ ઘરોને નુકસાન
એક અન્ય બચાવકર્મીએ જણાવ્યું કે વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ઇમારતની આસપાસ આવેલા 100થી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. કાઉંગટુપ ગામ ચીનની સરહદથી આશરે 20 કિલોમીટર દક્ષિણ તરફ આવેલું છે. આ વિસ્તાર તઆંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA)ના નિયંત્રણ હેઠળ છે. TNLA મ્યાનમારની સૈન્ય સમર્થિત કેન્દ્ર સરકાર સામે લડી રહેલું એક જાતિઆધારિત સશસ્ત્ર સંગઠન છે.

વિસ્ફોટના કારણોની તપાસ શરૂ
અધિકારીઓએ ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટ ખનન માટે સંગ્રહિત વિસ્ફોટક સામગ્રીના કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ભાવ વધારો, જાણો કેટલો મોંધો થયો

0

પેટ્રોલ, ડીઝલ અને CNG બાદ હવે LPG ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ₹42 સુધીનો વધારો જાહેર કર્યો છે. સાથે જ 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરના ભાવમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે ઘરેલુ ગ્રાહકોને રાહત મળી છે.

દિલ્હી-કોલકાતામાં નવા ભાવ અમલમાં
નવી કિંમતો અનુસાર દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹3,113.50 થઈ ગઈ છે, જ્યારે કોલકાતામાં તેની કિંમત ₹3,255.50 સુધી પહોંચી છે. 5 કિલોગ્રામના નાના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં વધીને ₹821.50 થઈ છે.

હોટલ-રેસ્ટોરાંના ખર્ચમાં વધારો
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ વધતા હોટલ, રેસ્ટોરાં, ઢાબા, કેટરિંગ અને અન્ય ખાદ્ય વ્યવસાયોના ખર્ચમાં સીધી અસર થશે. વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર આવવાની શક્યતા છે, જેના કારણે બહારના ખોરાકના ભાવમાં વધારો થઈ શકે છે.

સતત સાતમી વખત ભાવ વધારો
આ વર્ષે સતત સાતમી વખત 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ ₹1,533 એટલે કે આશરે 97 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વમાં વધેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે LPG પુરવઠા પર દબાણ વધ્યું છે.

ઘરેલુ ગ્રાહકોને રાહત
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. હાલમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹913, કોલકાતામાં ₹939, મુંબઈમાં ₹912.50 અને ચેન્નાઈમાં ₹928.50 છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચે કરવામાં આવ્યો હતો, જ્યારે ₹60નો વધારો કરવામાં આવ્યો હતો.

મે મહિનામાં પણ થયો હતો મોટો વધારો
ઉલ્લેખનીય છે કે 1 મેના રોજ પણ તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹993નો જંગી વધારો કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં તેની કિંમત ₹2,078.50થી વધીને ₹3,071.50 થઈ હતી. તે સમયે 5 કિલોગ્રામના નાના સિલિન્ડરમાં પણ ₹261નો વધારો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલની નિકાસ ડ્યુટીમાં રાહત
રવિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નવા દરો આજથી અમલમાં આવ્યા છે. પેટ્રોલની નિકાસ પર ₹1.5 પ્રતિ લિટર, ડીઝલ પર ₹13.5 પ્રતિ લિટર અને ATF પર ₹9.5 પ્રતિ લિટરની ડ્યુટી નક્કી કરવામાં આવી છે. જોકે, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ પર લાગુ એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી સામાન્ય ગ્રાહકો પર તેની સીધી અસર નહીં થાય.

પાકિસ્તાનને મોટો ઝટકો! ચિનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ માટે ભારતે નક્કી કરી 2029ની ડેડલાઇન

0

કેન્દ્ર સરકારે ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિન તરફ વાળવા માટે 31 જુલાઈ 2029ની સમયમર્યાદા નક્કી કરી છે. આશરે ₹2352 કરોડના ખર્ચે તૈયાર થનારી આ મહત્ત્વાકાંક્ષી ચિનાબ-બિયાસ લિંક ટનલ યોજના હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લામાં સ્થિત છે. 8.7 કિલોમીટર લાંબી આ ટનલ દ્વારા ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિન સિસ્ટમ તરફ વાળવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહમાં ઘટાડો થશે. નોંધનીય છે કે ચિનાબ પશ્ચિમ તરફ વહેતી નદી છે, જેના પર સિંધુ જળ સંધિ હેઠળ ભારતને મર્યાદિત અધિકારો પ્રાપ્ત હતા. પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદથી ભારતે આ સંધિના નિયમોને અનુસરવાનું બંધ કર્યું છે.

લાહૌલ-સ્પીતીમાં બનશે વિશાળ જળ પરિવહન ટનલ
એક અહેવાલ અનુસાર, લિંક-3 પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લાના લાહૌલ ખીણ વિસ્તારમાં ચિનાબ નદી પર પ્રસ્તાવિત છે. હાલની યોજના મુજબ ચિનાબ નદી પર 19 મીટર ઊંચો બેરેજ, ઇન્ટેક સ્ટ્રક્ચર અને લગભગ 8.7 કિલોમીટર લાંબી જળ પરિવહન ટનલનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, પ્રોજેક્ટના બીજા તબક્કામાં જળવિદ્યુત ઉત્પાદનની પણ સંભાવના છે.

સરકારના આ નિર્ણયનો હેતુ શું છે?
જળ પરિવહન સ્થળ કોસ્કર ગામ નજીક અને અટલ ટનલ રોહતાંગના ઉત્તર પ્રવેશદ્વારથી ઉપરની તરફ આવેલું છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ યોજના માત્ર જળવિદ્યુત ઉત્પાદન અથવા એન્જિનિયરિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ પશ્ચિમ તરફ વહેતી નદીઓના પાણીનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો પણ તેનો મુખ્ય હેતુ છે.

પાકિસ્તાન માટે મોટો ફટકો
સિંધુ જળ સંધિ રદ થયા બાદ પાકિસ્તાન તરફ વહેતા પાણીનો ઉપયોગ પોતાના હિત માટે કરવાની દિશામાં ભારતનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત વધુ પાણીનો ઉપયોગ કરી શકશે, જ્યારે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહમાં ઘટાડો થશે.

ભારત સરકારના આ નિર્ણયથી આશરે 4000 મેગાવોટ વધારાની જળવિદ્યુત ઊર્જાનું ઉત્પાદન શક્ય બનશે. સાથે જ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં સિંચાઈ તથા પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.

સિંધુ જળ સંધિ પછી ભારતને થઈ રહ્યો છે ફાયદો

  • 1960ની સિંધુ જળ સંધિ હેઠળ ચિનાબ નદીનું મોટાભાગનું પાણી પાકિસ્તાનના હિસ્સામાં ફાળવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ તે પોતાની વિશાળ નહેર પ્રણાલીઓ દ્વારા સિંચાઈ માટે કરતું હતું.
  • પરંતુ પહેલગામ હુમલા બાદ સંધિ અસરહીન બનતા હવે ભારત પોતાની સીમામાં ચિનાબના પાણીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. ભારત વધારાના પાણીને ટનલ મારફતે પોતાના વિસ્તારમાં વાળવા માટે વિવિધ યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
  • આ પ્રોજેક્ટના અમલીકરણથી ભારતની જળ સુરક્ષા અને ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે, જ્યારે પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આંધ્રપ્રદેશમાં હૃદયદ્રાવક દુર્ઘટના, સગીરાને બચાવવા જતાં 5 લોકોનું ડૂબી જવાથી મોત

0

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં તુંગભદ્રા નદીમાં એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં 5 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ બહાદુરીના પ્રયાસમાં સગીરાનો જીવ તો બચી ગયો છે, પરંતુ તેને બચાવવા ગયેલા તમામ પાંચેય લોકોના નદીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

શું છે આ સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત શનિવારે સાંજે અંદાજે 4:30 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. એક સગીર બાળકી તુંગભદ્રા નદીના કિનારે પગ ધોઈ રહી હતી. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે ઊંડા પાણીમાં તણાવવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર પાંચ લોકો તેને બચાવવા માટે તાત્કાલિક નદીના પાણીમાં કૂદી પડ્યા હતા.

સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે અને નદીની ઊંડાઈનો અંદાજ ન આવતા આ પાંચેય લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, સ્થાનિકો અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી બાળકીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને SDRF ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. નદીના તેજ પ્રવાહમાં લાપતા થયેલા લોકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નદીમાંથી તમામ મૃતકોના શવ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકો આસપાસના ગામના અને સગા-સંબંધીઓ હતા, જેઓ એક પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.

IMDની ચેતવણી: ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા

0

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ત્યારે આજે 1 જૂને પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે.

આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે.

1 જૂનથી 2 જૂન: વાવાઝોડું અને ભારે વરસાદ
સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો (રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ)માં પણ 40થી 50 કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં આ દિવસે ભારે વરસાદ થવાની સંભાવના છે.

દેશમાં ચોમાસા ક્યાં પહોચ્યું?
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ધોળા દિવસે રાજસ્થાનમાં અંધકાર, વાવાઝોડા-વરસાદથી ઉત્તર ભારતમાં તબાહી; 48નાં મોત

0

ઉત્તર ભારતના રાજ્યોમાં શનિવારે અચાનક હવામાનમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો. પાકિસ્તાન તરફથી આવેલા ધૂળભર્યા વાવાઝોડા અને પશ્ચિમ વિક્ષોભના પ્રભાવથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ ધોળા દિવસે જ અંધારું છવાઈ ગયું હતું અને દૃશ્યતા લગભગ શૂન્ય જેવી બની ગઈ હતી.

રાજસ્થાનમાં ધૂળના તોફાનથી દિવસમાં રાત જેવું દૃશ્ય
રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર અને સીકર જિલ્લામાં શનિવારે બપોર બાદ અચાનક ધૂળના તોફાન સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ કારણે આકાશમાં ધૂળના ઘન પડળ છવાઈ ગયા અને દિવસ દરમિયાન જ અંધારું છવાઈ ગયું. લોકોએ જણાવ્યું કે આ દૃશ્ય એટલું ભયંકર હતું કે વાહનોને દિવસમાં પણ હેડલાઇટ ચાલુ કરવી પડી. રસ્તાઓ પર અચાનક ધૂળ ઉડતા લોકો દોડીને ઘરો અને દુકાનોમાં છુપાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો અને ઘરનાં દરવાજા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.

શ્રીગંગાનગરમાં સવારે 11 વાગ્યાની આસપાસ વાવાઝોડું શરૂ થયું હતું, જે થોડા જ સમયમાં શહેરને ધૂળથી ઢાંકી ગયું. ચુરુ અને બિકાનેરમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી. સીકર જિલ્લાના ફતેહપુર અને લક્ષ્મણગઢ વિસ્તારમાં ધૂળના વંટોળે દૃશ્યતા સંપૂર્ણ રીતે ઘટાડીને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાં સવારે વરસાદ પણ નોંધાયો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

હવામાન વિભાગે રાજ્યના લગભગ 30 જિલ્લાઓમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે. પશ્ચિમ વિક્ષોભ સક્રિય થતા રાજ્યભરમાં હવામાન અસ્થિર બની ગયું છે. શુક્રવારે પણ ચુરુ, હનુમાનગઢ, બિકાનેર, સીકર, અલવર, જયપુર, ભરતપુર, ઝુનઝુનુ અને કરૌલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા. અનેક જગ્યાએ તાપમાનમાં અચાનક 8થી 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગરમીમાંથી અચાનક રાહત મળી છે.

ભારતના ચાર મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદે સામાન્ય જનજીવનને સંપૂર્ણ રીતે ખોરવી નાખ્યું છે. અનેક જગ્યાએ અંધારું છવાઈ જવાથી લોકોમાં ભયનો માહોલ છે, જ્યારે પ્રશાસન તરફથી એલર્ટ જાહેર કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. રાજસ્થાનમાં 30 જિલ્લાઓમાં વાવાઝોડા, કરા અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અનેક વિસ્તારોમાં કરા પડતાં તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી ગયું છે. મધ્યપ્રદેશમાં પણ ગ્વાલિયર સહિત 9 જિલ્લાઓમાં કરા અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ભોપાલ સહિત અનેક શહેરોમાં ગરમીથી રાહત મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 31 લોકોના મોત થયા છે.

રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં આજે પણ વરસાદનું એલર્ટ યથાવત છે. બીજી તરફ બિહારમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં 17 લોકોના જીવ ગયા છે. ખરાબ હવામાનના કારણે પટનામાં 4 ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી અને 18 ફ્લાઇટ મોડેથી ઉડાન ભરી હતી, જ્યારે અનેક ટ્રેનો પણ કલાકો સુધી અટવાઈ રહી હતી. સમગ્ર વિસ્તારમાં બદલાયેલા હવામાનને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2026: વિનેશ ફોગાટને હરાવનાર મીનાક્ષી ગોયત કોણ? સેમિફાઇનલમાં કર્યો મોટો ઉલટફેર

0

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવાનું સપનું શનિવારે અધૂરું રહી ગયું. નવી દિલ્હીના આઈજીઆઈ સ્ટેડિયમમાં યોજાયેલા એશિયન ગેમ્સની પસંદગી ટ્રાયલ્સ દરમિયાન સેમિફાઇનલ મુકાબલામાં તેમને નિરાશાજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

53 કિલોગ્રામ વજન વર્ગની સેમિફાઇનલ મેચમાં મીનાક્ષી ગોયતે વિનેશ ફોગાટને 6-4ના સ્કોરથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ હાર સાથે વિનેશ ફોગાટની એશિયન ગેમ્સ 2026માં રમવાની આશાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

મહત્વનું છે કે વિનેશ ફોગાટ ભારતની સૌથી સફળ મહિલા કુસ્તીબાજોમાંની એક માનવામાં આવે છે, પરંતુ આ મહત્વપૂર્ણ ટ્રાયલ્સમાં સેમિફાઇનલ સુધીનો જ તેમનો સફર રહ્યો હતો. મીનાક્ષી ગોયતના શાનદાર પ્રદર્શનના કારણે વિનેશને બહારનો રસ્તો જોવો પડ્યો હતો.

50 ડિગ્રી ગરમીથી બચવા લોકો પહાડોમાં પહોંચ્યા, મનાલીમાં કલાકો લાંબો ટ્રાફિક જામ

0

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. દેશના અનેક શહેરોમાં તાપમાન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. ગરમીથી રાહત મેળવવા માટે લાખો લોકો હવે પહાડી વિસ્તારો તરફ રવાના થઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના મનાલી અને રોહતાંગ પાસથી લઈને ઉત્તરાખંડના નૈનીતાલ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ઓલી અને જોશીમઠ સુધી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી રહી છે. પરંતુ વધતી ભીડ હવે સ્થાનિક વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની રહી છે. પ્રવાસન સ્થળો પર હોટલો હાઉસફુલ થઈ ગઈ છે, પાર્કિંગની જગ્યાઓ ઓછી પડી રહી છે અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબા ટ્રાફિક જામ જોવા મળી રહ્યા છે.

મનાલી-રોહતાંગ માર્ગ પર મહાજામ
હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પણ રોહતાંગ પાસ ખાતે બરફ જોવાની ઘેલછા પ્રવાસીઓને આકર્ષી રહી છે. સમુદ્ર સપાટીથી આશરે 13 હજાર ફૂટની ઊંચાઈએ આવેલો રોહતાંગ પાસ હાલ બરફની ચાદરથી ઢંકાયેલો છે.

પરંતુ વધતી ભીડના કારણે મનાલી-રોહતાંગ રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. શનિવારે આ માર્ગ પર મહાજામની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એવી હતી કે સવારે 6 વાગ્યે મનાલીથી નીકળેલા પ્રવાસીઓ બપોરે 1 થી 2 વાગ્યાની આસપાસ રોહતાંગ પહોંચી શક્યા હતા. સામાન્ય રીતે 50 કિલોમીટરની આ સફર પૂરી કરવામાં 7 થી 8 કલાકનો સમય લાગી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ મઢીથી ગ્રામફૂ વચ્ચે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રસ્તાની બાજુમાં વાહનો પાર્ક કરી દે છે, જેના કારણે ટ્રાફિક જામ વધુ ગંભીર બની જાય છે.

નૈનીતાલમાં પ્રવાસીઓની ભારે ભીડ
સરોવરોના શહેર તરીકે ઓળખાતા નૈનીતાલમાં પણ પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વીકેન્ડ દરમિયાન માલ રોડ, સ્નો વ્યુ, ચિડીયાઘર અને કેવ ગાર્ડન જેવા સ્થળો પ્રવાસીઓથી ખચોખચ ભરાયેલા હતા. નૈની તળાવમાં બોટિંગનો આનંદ માણવા માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પહાડોની ઠંડી હવા અને સુહાવના વાતાવરણથી લોકો આકર્ષાઈ રહ્યા છે. વધતી ભીડને કારણે હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટે સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

કૈંચીધામમાં સ્થાપના દિવસને લઈ વધતી ભીડ
બીજી તરફ, બાબા નીમ કરૌલી મહારાજના પ્રસિદ્ધ કૈંચીધામ આશ્રમમાં પણ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આગામી દિવસોમાં કૈંચીધામ સ્થાપના દિવસના કાર્યક્રમો યોજાનાર હોવાથી અહીં ભીડમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચારધામ યાત્રાના કારણે જોશીમઠમાં 20 કિમી લાંબો જામ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચારધામ યાત્રા હાલ ચરમસીમા પર પહોંચી છે. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની યાત્રાની સાથે મોટી સંખ્યામાં લોકો ઓલી તેમજ નીતિ-માણા ઘાટી તરફ જઈ રહ્યા છે. આ કારણે જોશીમઠ વિસ્તાર સૌથી વધુ ટ્રાફિક દબાણનો સામનો કરી રહ્યો છે. મારવાડીથી ગોવિંદઘાટ અને જોશીમઠથી સેલંગ સુધીના માર્ગો પર 15 થી 20 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ જોવા મળી રહ્યા છે. વહીવટીતંત્રે વન-વે સિસ્ટમ લાગુ કરી હોવા છતાં વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ગેટ ખુલવાની રાહમાં 2 થી 3 કલાક સુધી ઉભા રહેવું પડે છે.

લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ પણ હળવો વરસાદ અને બરફવર્ષા ચાલુ છે, છતાં ભક્તોની આસ્થા અડગ છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે, જ્યારે સમગ્ર ચારધામ યાત્રામાં કુલ યાત્રીઓની સંખ્યા 24 લાખને પાર પહોંચી ગઈ છે.

ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી
રેકોર્ડબ્રેક ભીડ વચ્ચે બદ્રીનાથ ધામ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની તબિયત બગડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોની અતિશય ગરમીમાંથી લોકો સીધા જ ઊંચાઈવાળા ઠંડા વિસ્તારોમાં પહોંચી જાય છે. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ, થાક અને એક્યુટ માઉન્ટેન સિકનેસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે પ્રવાસીઓએ સીધા ઊંચા સ્થળોએ જવાને બદલે થોડો સમય તળેટી વિસ્તારોમાં રોકાવું જોઈએ જેથી શરીર નવા વાતાવરણને અનુકૂળ થઈ શકે.

ભવિષ્યમાં કાયમી ઉકેલની જરૂર
વધતી ભીડને જોતા નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં પહાડી પ્રવાસન સ્થળો પર કાયમી પાર્કિંગ વ્યવસ્થા, સુવ્યવસ્થિત ટ્રાફિક પ્લાનિંગ અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. હાલની સ્થિતિ દર્શાવે છે કે પ્રવાસનના વધતા દબાણને પહોંચી વળવા માટે આધુનિક સુવિધાઓ વિકસાવવી સમયની માંગ બની ગઈ છે.