Home Blog Page 68

જલગાંવમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત 4 ગુજરાતી સહિત 6 લોકોનાં કરુણ મોત

0

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. કાર અને મોટરસાઈકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરે અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત જલગાંવ જિલ્લાના અમલનેર વિસ્તારમાં આવેલા લોંધે ફાટા નજીક સવારે લગભગ 7 વાગ્યે સર્જાયો હતો. કાર અને મોટરસાઈકલ વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં સવાર લોકો ગુજરાતના રહેવાસી હતા અને તેઓ મહારાષ્ટ્રમાં યોજાયેલા એક સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. જોકે, લોંધે ફાટા નજીક પહોંચતા જ તેમની કાર સામેથી આવી રહેલી મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માતની ગંભીરતા એટલી હતી કે અથડામણ બાદ મોટરસાઈકલ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક પાછળથી આવી રહેલી રાજ્ય પરિવહનની બસ સાથે પણ અથડાઈ ગઈ હતી. પરિણામે ઘટનાસ્થળે જ છ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.

મૃતકોમાં કારમાં સવાર ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તેમની ઓળખ નંદલાલ મહાજન, અનિતા મહાજન, સુરેશ મહાજન અને નિર્મલા મહાજન તરીકે થઈ છે. જ્યારે મોટરસાઈકલ પર સવાર નિલેશ તાવડે અને ફાલ્ગુની ભોઈના પણ અકસ્માતમાં મોત થયા છે.

આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ બંને પરિવારોમાં શોકનો માહોલ સર્જ્યો છે, જ્યારે સગાઈ સમારોહમાં જવા નીકળેલા પરિવાર માટે ખુશીનો પ્રસંગ પળવારમાં દુઃખમાં ફેરવાઈ ગયો છે.

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મચારીઓના મોત

0

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે સર્જાયેલી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનામાં ઓછામાં ઓછા આઠ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પ્લાન્ટના હીટ યુનિટમાં બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, એક વિશાળ ક્રેન દ્વારા પીગળેલું સ્ટીલ ભરેલો લેડલ ઊંચકીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક લેડલમાંથી મોટા પ્રમાણમાં પીગળેલું સ્ટીલ લીક થઈ ગયું અને નીચે કામ કરી રહેલા શ્રમિકો પર પડ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પીગળેલા સ્ટીલનું તાપમાન અંદાજે 1600 ડિગ્રી સેલ્સિયસ હતું. અત્યંત ગરમ સ્ટીલના સંપર્કમાં આવતાં શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દુર્ઘટના બાદ CCD યુનિટમાં ભીષણ આગ પણ ફાટી નીકળી હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઘટનામાં કર્મચારીઓના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામ કરીને બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા તથા ઘાયલોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને કાર્યસ્થળ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

જયપુરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 3લોકોના મોત, 5 ઘાયલ

0

જયપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. આગ શહેરના ‘ખો નાગોરિયાન’ વિસ્તારમાં લાગી હતી, જ્યાં હાલ રેસ્ક્યૂ ઓપરેશન (બચાવ કામગીરી) ચાલુ છે અને ફાયર બ્રિગેડ તેમજ સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે.

આ દુર્ઘટના જયપુરના ખો નાગોરિયાન વિસ્તારમાં બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક રહેણાંક મકાનની અંદર ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.

આગ લાગ્યા બાદ એક પછી એક મોટા ધડાકા થતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

જયપુરના કલેક્ટર સંદેશ નાયકે ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી છે. જ્યારે પાંચ ઘાયલોને સારવાર માટે જયપુરિયા હોસ્પિટલ અને SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાંથી ત્રણ લોકોને SMS હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેઓ 50થી 70 ટકા સુધી દાઝી ગયા હોવાથી તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે.

ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કાટમાળમાં કોઈ અન્ય વ્યક્તિ ફસાયો છે કે કેમ તે અંગે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓએ મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા નકારી નથી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી અને તેના માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને સુરક્ષા નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ખાન સરને કોર્ટમાંથી મોટી રાહત: ફાયરિંગ કેસમાં ધરપકડ પર લગાવી રોક

0

પટણાની એક કોર્ટે લોકપ્રિય યુટ્યુબર ફૈઝલ ખાન, જેને ખાન સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને કોચિંગ સેન્ટરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં રાહત આપી છે. મંગળવારે પટણા જિલ્લા અદાલતે ખાન સરની ધરપકડ પર રોક લગાવી છે. ખાન સર વિરુદ્ધ ફાયરિંગ કેસમાં હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના આરોપો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.

ખાન સરના વકીલ દ્વારા પટણા જિલ્લા અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અધિકારીઓ આ કેસમાં ખાન સરની પૂછપરછ કરી શકે છે, પરંતુ વચગાળાના રક્ષણ અમલમાં હોય ત્યાં સુધી તેમની સામે ધરપકડ સહિત કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાતી નથી.

ખાન સરના વકીલની દલીલો સાંભળ્યા પછી કોર્ટે તેમને વચગાળાની રાહત આપી. કોર્ટે આ કેસમાં અન્ય આરોપી રોશન આનંદની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પાછલી કાર્યવાહી દરમિયાન, કોર્ટે પોલીસને કેસમાં એકત્રિત કરાયેલ કેસ ડાયરી અને પુરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પટનાના મુસલ્લાહપુર વિસ્તારમાં ફૈઝલ ખાન ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ફૈઝલ ખાને આરોપ લગાવ્યો હતો કે 2 જૂને તેમની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જ્ઞાન બિંદુ એકેડેમીના ડિરેક્ટર રોશન આનંદ પર ગોળીબાર કરવાનો આરોપ હતો. પોલીસે રોશન આનંદ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. રોશન આનંદે દાવો કર્યો હતો કે ખાને પોતે જ આ ઘટનાનું આયોજન કર્યું હતું.

સુરક્ષા ગાર્ડ્સની જુબાની બાદ FIR દાખલ
પોલીસે ગોળીબાર કરવા બદલ ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બે સુરક્ષા ગાર્ડની અટકાયત કરી. સુરક્ષા ગાર્ડે પોલીસને જણાવ્યું હતું કે ફૈઝલ ખાને તેમને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. સુરક્ષા ગાર્ડના નિવેદન બાદ પોલીસે ખાન વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં બે ગાર્ડ ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. આ ગાર્ડ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના પ્રદીપ કુમાર (38) અને કાસગંજ જિલ્લાના તાલેબર સિંહ (34) છે.

હોર્મુઝ ખાડી નજીક અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ, ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ટ્રમ્પે આપી મોટી જાણકારી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ ખાડી નજીક અમેરિકી સેનાનું એક અપાચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે દુર્ઘટનામાં સામેલ બંને પાયલોટ સુરક્ષિત છે અને તેમને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, હોર્મુઝ જલમાર્ગ નજીક અમેરિકી સૈન્યનું AH-64 અપાચે હેલિકોપ્ટર ટેકનિકલ અથવા અન્ય કોઈ કારણસર ક્રેશ થયું હતું. ઘટના બનતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બંને પાયલોટને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે સતત હુમલા અને પ્રતિહુમલાઓ ચાલી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ બની ગયો છે. આવા સમયે અમેરિકી હેલિકોપ્ટરના અકસ્માતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે.

જોકે હેલિકોપ્ટર દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકી સૈન્ય અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે AH-64 અપાચે વિશ્વના સૌથી આધુનિક અને શક્તિશાળી હુમલાખોર હેલિકોપ્ટરોમાંનું એક માનવામાં આવે છે. અમેરિકી એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા નિર્મિત આ હેલિકોપ્ટરને ‘ફ્લાઈંગ ટેન્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અદ્યતન રડાર, મિસાઈલ અને હથિયાર પ્રણાલીઓથી સજ્જ અપાચે દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને ચોક્કસ નિશાન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતે પણ પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે અપાચે હેલિકોપ્ટરોની ખરીદી કરી છે. તાજેતરમાં ભારત સરકારે અંદાજે ₹4,168 કરોડના ખર્ચે છ નવા અપાચે હેલિકોપ્ટર ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને અમેરિકી સૈન્ય દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતના કારણો સ્પષ્ટ થઈ શકશે.

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું નિધન

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 1970ની બેચના આઈપીએસ અધિકારી તરીકે ગુજરાત પોલીસમાં પ્રશંસનીય સેવાઓ આપી હતી. વર્ષ 2002ના રમખાણો બાદ કાયદો-વ્યવસ્થા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નિવૃત્તિ બાદ પણ વહીવટી જવાબદારીઓ સંભાળી હતી.

કોણ છે એ કે ભાર્ગવ
એ. કે. ભાર્ગવ ઉત્તર પ્રદેશના વતની હતા, પરંતુ 1970માં આઈપીએસ તરીકે પસંદગી પામ્યા બાદ તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસપી, રેન્જ આઈજી અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. તેમણે ગુનાખોરી નિયંત્રણ અને પોલીસ આધુનિકીકરણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ દાખલ કર્યા હતા.

રાજ્યના DGP તરીકેની કટોકટીભરી જવાબદારી
વર્ષ 2002 ના કોમી રમખાણો અને અક્ષરધામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એ. કે. ભાર્ગવને રાજ્યના પોલીસ વડા એટલે કે DGP તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવા માટે પક્ષપાત વગર કડક કદમ ઉઠાવ્યા હતા. પોલીસ દળના મનોબળને વધારવા માટે તેમણે કરેલા વહીવટી ફેરફારોની આજે પણ પ્રશંસા થાય છે.

વર્ષ 2005માં તેઓ ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થયા હતા. જોકે, તેમની વહીવટી કુશળતા અને સ્વચ્છ પ્રતિભાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ ચાલુ રાખી હતી. નિવૃત્તિ પછી તેમને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પદ પર રહીને તેમણે રાજ્યભરમાં પોલીસ પરિવારો માટે આધુનિક આવાસો અને પોલીસ સ્ટેશનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં સિંહફાળો આપ્યો હતો.

તેમની ત્રણ દાયકાથી વધુની પ્રશંસનીય સેવાઓ બદલ તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એ. કે. ભાર્ગવ આજે પણ ગુજરાત પોલીસના યુવા અધિકારીઓ માટે શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાના રોલ મોડેલ ગણાય છે.

ઉનાળાના વેકેશનમાં નેચર પાર્ક હાઉસફુલ, પ્રવાસીઓની સંખ્યાએ બનાવ્યો નવો રેકોર્ડ

ઉનાળુ વેકેશન દરમિયાન પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્થાનિક નેચર પાર્કમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 2026ના વેકેશન ગાળા દરમિયાન 1.09 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને નેચર પાર્કને 30 લાખથી વધુની આવક થઈ છે જે ગત વર્ષની સરખામણીએ વધુ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. ઉનાળા વેકેશન મોટી સંખ્યામાં મુલાકાતીઓ નેચર પાર્ક ખાતે આવ્યા હતા. ચાલુ વર્ષે 2026માં 4 મેથી 7 જૂન 2026 સુધીના વેકેશન ગાળા દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં કુલ 1,09,189 મુલાકાતીઓ નોંધાયા હતા, જેનાથી ઝૂને કુલ રૂ. 30,08,950ની આવક થઇ છે.

ગયા વર્ષેની સરખામણીએ આ વર્ષે વધુ મુલાકાતીઓ નોંધાયા છે, ગયા વર્ષે 5 મે 2025થી 8 જૂન 2026 સુધીના ઉનાળા વેકેશન ગાળા દરમ્યાન નેચર પાર્ક ખાતે 1,03,879 મુલાકાતીઓ નોંધાયા હતા અને નેચર પાર્કને 27,67,080 રૂપિયાની આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશન દરમ્યાન નેચર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. નેચર પાર્કમાં રહેલા સિંહ, વાઘ, દીપડા સહીતના પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

ગુજરાતમાં સ્કૂલ ઓટો-વાનના ભાડામાં વધારો: નવા શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયું રેટ લિસ્ટ

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની ગલીઓ સ્કૂલ બસ, યુનિફોર્મ અને બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બપોરે વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરાયો છે, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભાડા પત્રક સરખામણી કોષ્ટક

સ્કુલ રિક્ષાનું જુનુ ભાડું (2024)સ્કુલ રિક્ષા નવું ભાડું (2026)સ્કુલ વેન જુનુ ભાડું (2024)સ્કુલ વેન નવું ભાડું (2026)
1 કિલોમીટર (750 રૂપિયા)1 કિલોમીટર (850 રૂપિયા)1 કિલોમીટર (1200 રૂપિયા)1 કિલોમીટર (1400 રૂપિયા)
2 કિલોમીટર (850 રૂપિયા)2 કિલોમીટર (950 રૂપિયા)2 કિલોમીટર (1400 રૂપિયા)2 કિલોમીટર (1600 રૂપિયા)
3 કિલોમીટર (950 રૂપિયા)3 કિલોમીટર (1050 રૂપિયા)3 કિલોમીટર (1600 રૂપિયા)3 કિલોમીટર (1800 રૂપિયા)
4 કિલોમીટર (1050 રૂપિયા)4 કિલોમીટર (1150 રૂપિયા)4 કિલોમીટર (1800 રૂપિયા)4 કિલોમીટર (2000 રૂપિયા)
5 કિલોમીટર (1150 રૂપિયા)5 કિલોમીટર (1250 રૂપિયા)5 કિલોમીટર (2000 રૂપિયા)5 કિલોમીટર (2200 રૂપિયા)

‘હિટ મારનારા ગેરસમજમાં છે’: CJPને અવધ ઓઝાની સલાહ, ‘બંધારણ અને અહિંસાથી જીતો જંગ’

0

પ્રખ્યાત કોચિંગ શિક્ષક અને આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અવધ ઓઝાનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં છે. આ વીડિયોમાં અવધ ઓઝા તાજેતરમાં ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ને રાજકારણ અને આંદોલનમાં સફળતા મેળવવા માટે અનેક રસપ્રદ અને ગંભીર સૂચનો આપતા જોવા મળે છે. ચૂંટણી રાજકારણથી અંતર રાખનારા ઓઝાએ CJPને સ્પષ્ટ શબ્દોમાં હિંસા અને અરાજકતાથી દૂર રહેવાની સલાહ આપી છે અને સત્ય તથા અહિંસાના માર્ગે ચાલીને દેશ બદલવાનું ‘જ્ઞાન’ આપ્યું છે.

‘બંધારણીય રીતે કામ કરો, બચકાણી હરકતો ન કરો’
વીડિયોમાં અવધ ઓઝાએ કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને દેશના યુવાનોને સંબોધતા કહ્યું કે, “હું કોકરોચ જનતા પાર્ટીને કહેવા માંગું છું કે જે પણ કામ કરો, તે બંધારણીય રીતે કરો. કોઈના બહકાવા કે ઉશ્કેરાવામાં ન આવો. આ તમારો દેશ છે. તમે ખૂબ સરળતાથી બંધારણીય રીતે આ દેશને બદલી શકો છો. દરેક ઘરમાં કોકરોચ હોય છે. તેથી જો કોઈ એવું વિચારશે કે ‘હિટ’ (Hit – જંતુનાશક દવા) મારીને બધું સમાપ્ત કરી દેશે, તો તે ગેરસમજમાં છે. કોકરોચોની વાત તો સાંભળવી જ પડશે.”

ઓઝાએ પાર્ટીને લોકશાહી મર્યાદામાં રહીને કાર્ય કરવાની સલાહ આપતાં ચેતવણી આપી કે જો આંદોલનમાં કોઈપણ પ્રકારની અરાજકતા અથવા બચકાણી ભૂલ થશે, તો આ એક ઉત્તમ આંદોલન શરૂ થાય તે પહેલાં જ દબાવી દેવામાં આવશે.

જંતર-મંતર પર 100 લોકો બેસે: અવધ ઓઝા
6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના પ્રદર્શન બાદ અવધ ઓઝાએ પાર્ટીને અલગ પ્રકારની રણનીતિ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે મોટી ભીડ એકત્ર કરવાને બદલે પ્રતીકાત્મક આંદોલન વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

ઓઝાના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પર માત્ર 100 મુખ્ય લોકો અનશન પર બેસે, જ્યારે દેશભરના સમર્થકો પોતાના ઘરો પર કોકરોચના નિશાનવાળા ઝંડા લગાવે. તેમનું કહેવું છે કે લોકશાહીમાં સંખ્યાનું સૌથી વધુ મહત્વ હોય છે અને જો કોઈ શહેર અથવા જિલ્લામાં મોટી સંખ્યામાં ઘરો પર એક જ પ્રતીકવાળો ઝંડો દેખાવા લાગે, તો સ્થાનિક જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોનું ધ્યાન આપમેળે તે તરફ જશે.

ઓઝાએ દાવો કર્યો કે આવી સ્થિતિમાં નેતાઓ પર જનભાવનાઓને સમજવાનો અને પોતાની રાજકીય રણનીતિ પર પુનર્વિચાર કરવાનો દબાણ વધી શકે છે.

ઈરાનમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારની કડક એડવાઇઝરી, નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ

0

ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને ઈરાન મુસાફરી કરવાનું ટાળવા અને હાલમાં ત્યાં રહેલા લોકોને ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા વિનંતી કરી છે. ગઈકાલ રાતથી સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે, જેના કારણે દૂતાવાસે તેની અગાઉની ચેતવણીને પુનરાવર્તિત કરી છે. સલાહકાર ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ તેમની સલામતીને બીજા બધા કરતા વધુ પ્રાથમિકતા આપે.

‘X’ પર પોસ્ટ કરાયેલા એક કટોકટી એડવાઈઝરીમાં, ઈરાનમાં ભારતીય દૂતાવાસે અગાઉની સૂચનાઓનું પુનરાવર્તન કર્યું, જેમાં જણાવ્યું હતું કે તમામ ભારતીય નાગરિકોએ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

તેહરાનમાં ભારતીય દૂતાવાસે તેના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રદેશમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી કરવાનું ટાળવા માટે તેની અગાઉની સલાહનો પુનરાવર્તન કર્યું છે. હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને પણ ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.”

આ એડવાઈઝરી ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને લાગુ પડે છે, જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ઈરાન-યુએસ સંઘર્ષ વચ્ચે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ આ આઠમી એડવાઈઝરી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ સમાપ્ત
સોમવારે તેહરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાના બદલામાં ઈઝરાયલે મધ્ય અને પશ્ચિમ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા. 8 એપ્રિલે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો હતો, પરંતુ ત્યારથી બંને પક્ષો એકબીજા પર હુમલો કરીને દુશ્મનાવટ ફરી શરૂ થઈ ગઈ છે. આ હુમલાઓ મધ્ય પૂર્વમાં તણાવ વધારવાની ધારણા છે.

અગાઉ 7 એપ્રિલે ભારતે એક એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે ત્યાં રહેવા કહ્યું હતું.

તે એડવાઈઝરી એપ્રિલમાં જારી કરવામાં આવી હતી જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પરનો નાકાબંધી હટાવશે નહીં તો “સમગ્ર સંસ્કૃતિનો નાશ થશે”. સત્તાવાર આંકડાઓ અનુસાર, સંઘર્ષ શરૂ થયો ત્યારે લગભગ 9,000 ભારતીય વિદ્યાર્થીઓ સહિત ઈરાનમાં હાજર હતા. અત્યાર સુધીમાં લગભગ 1,800 ભારતીયો ઘરે પરત ફર્યા છે.