Home Blog Page 66

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું નિધન

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 1970ની બેચના આઈપીએસ અધિકારી તરીકે ગુજરાત પોલીસમાં પ્રશંસનીય સેવાઓ આપી હતી. વર્ષ 2002ના રમખાણો બાદ કાયદો-વ્યવસ્થા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નિવૃત્તિ બાદ પણ વહીવટી જવાબદારીઓ સંભાળી હતી.

કોણ છે એ કે ભાર્ગવ
એ. કે. ભાર્ગવ ઉત્તર પ્રદેશના વતની હતા, પરંતુ 1970માં આઈપીએસ તરીકે પસંદગી પામ્યા બાદ તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસપી, રેન્જ આઈજી અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. તેમણે ગુનાખોરી નિયંત્રણ અને પોલીસ આધુનિકીકરણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ દાખલ કર્યા હતા.

રાજ્યના DGP તરીકેની કટોકટીભરી જવાબદારી
વર્ષ 2002 ના કોમી રમખાણો અને અક્ષરધામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એ. કે. ભાર્ગવને રાજ્યના પોલીસ વડા એટલે કે DGP તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવા માટે પક્ષપાત વગર કડક કદમ ઉઠાવ્યા હતા. પોલીસ દળના મનોબળને વધારવા માટે તેમણે કરેલા વહીવટી ફેરફારોની આજે પણ પ્રશંસા થાય છે.

વર્ષ 2005માં તેઓ ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થયા હતા. જોકે, તેમની વહીવટી કુશળતા અને સ્વચ્છ પ્રતિભાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ ચાલુ રાખી હતી. નિવૃત્તિ પછી તેમને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પદ પર રહીને તેમણે રાજ્યભરમાં પોલીસ પરિવારો માટે આધુનિક આવાસો અને પોલીસ સ્ટેશનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં સિંહફાળો આપ્યો હતો.

તેમની ત્રણ દાયકાથી વધુની પ્રશંસનીય સેવાઓ બદલ તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એ. કે. ભાર્ગવ આજે પણ ગુજરાત પોલીસના યુવા અધિકારીઓ માટે શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાના રોલ મોડેલ ગણાય છે.

ઉનાળાના વેકેશનમાં નેચર પાર્ક હાઉસફુલ, પ્રવાસીઓની સંખ્યાએ બનાવ્યો નવો રેકોર્ડ

ઉનાળુ વેકેશન દરમિયાન પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્થાનિક નેચર પાર્કમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 2026ના વેકેશન ગાળા દરમિયાન 1.09 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને નેચર પાર્કને 30 લાખથી વધુની આવક થઈ છે જે ગત વર્ષની સરખામણીએ વધુ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. ઉનાળા વેકેશન મોટી સંખ્યામાં મુલાકાતીઓ નેચર પાર્ક ખાતે આવ્યા હતા. ચાલુ વર્ષે 2026માં 4 મેથી 7 જૂન 2026 સુધીના વેકેશન ગાળા દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં કુલ 1,09,189 મુલાકાતીઓ નોંધાયા હતા, જેનાથી ઝૂને કુલ રૂ. 30,08,950ની આવક થઇ છે.

ગયા વર્ષેની સરખામણીએ આ વર્ષે વધુ મુલાકાતીઓ નોંધાયા છે, ગયા વર્ષે 5 મે 2025થી 8 જૂન 2026 સુધીના ઉનાળા વેકેશન ગાળા દરમ્યાન નેચર પાર્ક ખાતે 1,03,879 મુલાકાતીઓ નોંધાયા હતા અને નેચર પાર્કને 27,67,080 રૂપિયાની આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશન દરમ્યાન નેચર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. નેચર પાર્કમાં રહેલા સિંહ, વાઘ, દીપડા સહીતના પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

ગુજરાતમાં સ્કૂલ ઓટો-વાનના ભાડામાં વધારો: નવા શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયું રેટ લિસ્ટ

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની ગલીઓ સ્કૂલ બસ, યુનિફોર્મ અને બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બપોરે વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરાયો છે, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભાડા પત્રક સરખામણી કોષ્ટક

સ્કુલ રિક્ષાનું જુનુ ભાડું (2024)સ્કુલ રિક્ષા નવું ભાડું (2026)સ્કુલ વેન જુનુ ભાડું (2024)સ્કુલ વેન નવું ભાડું (2026)
1 કિલોમીટર (750 રૂપિયા)1 કિલોમીટર (850 રૂપિયા)1 કિલોમીટર (1200 રૂપિયા)1 કિલોમીટર (1400 રૂપિયા)
2 કિલોમીટર (850 રૂપિયા)2 કિલોમીટર (950 રૂપિયા)2 કિલોમીટર (1400 રૂપિયા)2 કિલોમીટર (1600 રૂપિયા)
3 કિલોમીટર (950 રૂપિયા)3 કિલોમીટર (1050 રૂપિયા)3 કિલોમીટર (1600 રૂપિયા)3 કિલોમીટર (1800 રૂપિયા)
4 કિલોમીટર (1050 રૂપિયા)4 કિલોમીટર (1150 રૂપિયા)4 કિલોમીટર (1800 રૂપિયા)4 કિલોમીટર (2000 રૂપિયા)
5 કિલોમીટર (1150 રૂપિયા)5 કિલોમીટર (1250 રૂપિયા)5 કિલોમીટર (2000 રૂપિયા)5 કિલોમીટર (2200 રૂપિયા)

‘હિટ મારનારા ગેરસમજમાં છે’: CJPને અવધ ઓઝાની સલાહ, ‘બંધારણ અને અહિંસાથી જીતો જંગ’

0

પ્રખ્યાત કોચિંગ શિક્ષક અને આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અવધ ઓઝાનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં છે. આ વીડિયોમાં અવધ ઓઝા તાજેતરમાં ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ને રાજકારણ અને આંદોલનમાં સફળતા મેળવવા માટે અનેક રસપ્રદ અને ગંભીર સૂચનો આપતા જોવા મળે છે. ચૂંટણી રાજકારણથી અંતર રાખનારા ઓઝાએ CJPને સ્પષ્ટ શબ્દોમાં હિંસા અને અરાજકતાથી દૂર રહેવાની સલાહ આપી છે અને સત્ય તથા અહિંસાના માર્ગે ચાલીને દેશ બદલવાનું ‘જ્ઞાન’ આપ્યું છે.

‘બંધારણીય રીતે કામ કરો, બચકાણી હરકતો ન કરો’
વીડિયોમાં અવધ ઓઝાએ કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને દેશના યુવાનોને સંબોધતા કહ્યું કે, “હું કોકરોચ જનતા પાર્ટીને કહેવા માંગું છું કે જે પણ કામ કરો, તે બંધારણીય રીતે કરો. કોઈના બહકાવા કે ઉશ્કેરાવામાં ન આવો. આ તમારો દેશ છે. તમે ખૂબ સરળતાથી બંધારણીય રીતે આ દેશને બદલી શકો છો. દરેક ઘરમાં કોકરોચ હોય છે. તેથી જો કોઈ એવું વિચારશે કે ‘હિટ’ (Hit – જંતુનાશક દવા) મારીને બધું સમાપ્ત કરી દેશે, તો તે ગેરસમજમાં છે. કોકરોચોની વાત તો સાંભળવી જ પડશે.”

ઓઝાએ પાર્ટીને લોકશાહી મર્યાદામાં રહીને કાર્ય કરવાની સલાહ આપતાં ચેતવણી આપી કે જો આંદોલનમાં કોઈપણ પ્રકારની અરાજકતા અથવા બચકાણી ભૂલ થશે, તો આ એક ઉત્તમ આંદોલન શરૂ થાય તે પહેલાં જ દબાવી દેવામાં આવશે.

જંતર-મંતર પર 100 લોકો બેસે: અવધ ઓઝા
6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના પ્રદર્શન બાદ અવધ ઓઝાએ પાર્ટીને અલગ પ્રકારની રણનીતિ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે મોટી ભીડ એકત્ર કરવાને બદલે પ્રતીકાત્મક આંદોલન વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

ઓઝાના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પર માત્ર 100 મુખ્ય લોકો અનશન પર બેસે, જ્યારે દેશભરના સમર્થકો પોતાના ઘરો પર કોકરોચના નિશાનવાળા ઝંડા લગાવે. તેમનું કહેવું છે કે લોકશાહીમાં સંખ્યાનું સૌથી વધુ મહત્વ હોય છે અને જો કોઈ શહેર અથવા જિલ્લામાં મોટી સંખ્યામાં ઘરો પર એક જ પ્રતીકવાળો ઝંડો દેખાવા લાગે, તો સ્થાનિક જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોનું ધ્યાન આપમેળે તે તરફ જશે.

ઓઝાએ દાવો કર્યો કે આવી સ્થિતિમાં નેતાઓ પર જનભાવનાઓને સમજવાનો અને પોતાની રાજકીય રણનીતિ પર પુનર્વિચાર કરવાનો દબાણ વધી શકે છે.

ઈરાનમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારની કડક એડવાઇઝરી, નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ

0

ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને ઈરાન મુસાફરી કરવાનું ટાળવા અને હાલમાં ત્યાં રહેલા લોકોને ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા વિનંતી કરી છે. ગઈકાલ રાતથી સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે, જેના કારણે દૂતાવાસે તેની અગાઉની ચેતવણીને પુનરાવર્તિત કરી છે. સલાહકાર ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ તેમની સલામતીને બીજા બધા કરતા વધુ પ્રાથમિકતા આપે.

‘X’ પર પોસ્ટ કરાયેલા એક કટોકટી એડવાઈઝરીમાં, ઈરાનમાં ભારતીય દૂતાવાસે અગાઉની સૂચનાઓનું પુનરાવર્તન કર્યું, જેમાં જણાવ્યું હતું કે તમામ ભારતીય નાગરિકોએ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

તેહરાનમાં ભારતીય દૂતાવાસે તેના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રદેશમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી કરવાનું ટાળવા માટે તેની અગાઉની સલાહનો પુનરાવર્તન કર્યું છે. હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને પણ ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.”

આ એડવાઈઝરી ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને લાગુ પડે છે, જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ઈરાન-યુએસ સંઘર્ષ વચ્ચે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ આ આઠમી એડવાઈઝરી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ સમાપ્ત
સોમવારે તેહરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાના બદલામાં ઈઝરાયલે મધ્ય અને પશ્ચિમ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા. 8 એપ્રિલે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો હતો, પરંતુ ત્યારથી બંને પક્ષો એકબીજા પર હુમલો કરીને દુશ્મનાવટ ફરી શરૂ થઈ ગઈ છે. આ હુમલાઓ મધ્ય પૂર્વમાં તણાવ વધારવાની ધારણા છે.

અગાઉ 7 એપ્રિલે ભારતે એક એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને આગામી 48 કલાક સુધી જ્યાં છે ત્યાં રહેવા કહ્યું હતું.

તે એડવાઈઝરી એપ્રિલમાં જારી કરવામાં આવી હતી જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પરનો નાકાબંધી હટાવશે નહીં તો “સમગ્ર સંસ્કૃતિનો નાશ થશે”. સત્તાવાર આંકડાઓ અનુસાર, સંઘર્ષ શરૂ થયો ત્યારે લગભગ 9,000 ભારતીય વિદ્યાર્થીઓ સહિત ઈરાનમાં હાજર હતા. અત્યાર સુધીમાં લગભગ 1,800 ભારતીયો ઘરે પરત ફર્યા છે.

ડાંગ-તાપી-નવસારીમાં વરસાદની શક્યતા, રાજ્યના મોટા ભાગમાં ગરમીનો પ્રકોપ યથાવત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બફારા અને કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. બીજી તરફ રાજ્યભરના ખેડૂતો અને નાગરિકો હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ભારતમાં 4 જૂનથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હોવાથી હવે રાજ્યમાં પણ તેના આગમનને લઈને આશા વધી છે. ખાસ કરીને ખેડૂતો વાવણીની તૈયારી સાથે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ 8, 9 અને 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મુખ્યત્વે શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

  • 8 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
  • 9 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
  • 10 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી બે-ત્રણ દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ તેમજ ઉત્તરપૂર્વ ભારતના વધુ વિસ્તારોમાં આગળ વધશે. ત્યારબાદના ચારથી પાંચ દિવસ દરમિયાન તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિતના વિસ્તારોમાં પણ ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

હાલ અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય છે અને ગોવાના તમામ વિસ્તારોને કવર કરી ચૂક્યું છે. તેમજ બંગાળની ખાડી તરફની બ્રાન્ચ પણ ઉત્તરપૂર્વના રાજ્યો સુધી પહોંચી ગઈ છે. જોકે, આંતરરાષ્ટ્રીય હવામાન મોડેલો અનુસાર ગુજરાતમાં 17-18 જૂન પહેલાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે.

હવામાન વિભાગના મોડેલો સૂચવે છે કે 12થી 14 જૂન દરમિયાન ગુજરાતની આસપાસ એક હવામાનીય સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમના પ્રભાવથી 18થી 19 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ તેજ બનવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે.

રાજ્યના ખેડૂતો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વરસાદની શરૂઆત સાથે જ ખરીફ પાકની વાવણીને વેગ મળશે અને ગરમીથી પણ રાહત મળશે.

KYC નિયમોના ઉલ્લંઘન બદલ કેનેરા બેંક પર RBIનો દંડ, ₹41.8 લાખની પેનલ્ટી ફટકારી

0

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નિયમોનું પાલન કરવામાં ખામી બદલ કેનેરા બેંક સામે કાર્યવાહી કરતાં ₹41.8 લાખનો દંડ ફટકાર્યો છે. બેંકની 31 માર્ચ, 2025 સુધીની નાણાકીય સ્થિતિના આધારે કરવામાં આવેલી સુપરવાઇઝરી ઇવેલ્યૂશન (ISE 2025) દરમિયાન કેટલીક ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી.

RBIના જણાવ્યા મુજબ, કેનેરા બેંકે કેટલાક ગ્રાહકોના KYC (નો યોર કસ્ટમર) રેકોર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં સેન્ટ્રલ KYC રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCR)માં અપલોડ કર્યા નહોતા. આ ઉપરાંત બેંકે કેટલાક ખાતાઓને ‘ઇનઓપરેટિવ’ તરીકે વર્ગીકૃત કર્યા હતા, જ્યારે તે ખાતાઓમાં ખાતાધારકો દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.

રિઝર્વ બેંકે આ ખામીઓને બેંકિંગ નિયમો અને માર્ગદર્શિકાના ઉલ્લંઘન તરીકે ગણાવી કાર્યવાહી કરી છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ દંડનો સંબંધ નિયમનકારી પાલનમાં થયેલી ખામી સાથે છે અને તેનો ગ્રાહકોના ખાતા અથવા વ્યવહારો પર કોઈ સીધો પ્રભાવ પડશે નહીં.

બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RBI સમયાંતરે બેંકોની કામગીરીની સમીક્ષા કરે છે અને નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં જરૂરી પગલાં લે છે.

પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખુશીઓનો માહોલ: ત્યજી દેવાયેલી બાળકી બની ‘કશિશ’

0

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ખાખી વર્દી પાછળ છુપાયેલા સંવેદનશીલ હૃદયનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશન એક પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું, કારણ કે રસ્તા પર ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી માટે સુરત પોલીસ ‘માવતર’ બનીને વહારે આવી છે.

‘કશિશ’ ને માવતર તરીકે મળી સુરત પોલીસ
પાંડેસરા પોલીસે ત્યજી દેવાયેલી બિનવારસી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે. વધુમાં, પાંડેસરા પોલીસ સ્ટેશનના પરિસરમાં જ બાળકીની ‘છઠ્ઠી’ ધામધૂમથી ઉજવી અને તેનું નામ રાખ્યું ‘કશિશ’. આમ, સુરત પોલીસ દ્વારા ફરી એકવાર અનોખું ઉદાહરણ પૂરું પાડતા સમાજ માટે માનવતાની મહેક પ્રસરાવી છે.

રસ્તા પરથી મળી હતી ત્યજી દેવાયેલી બાળકી
થોડા દિવસો અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ફૂલ જેવી માસૂમ બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને બાળકીને બચાવીને સારવાર અર્થે ડોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં 14 દિવસની સઘન સારવાર બાદ જ્યારે આ બાળકી બિલકુલ સ્વસ્થ થઈ, ત્યારે પોલીસ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ‘છઠ્ઠી’
દુનિયાની નજરે જે બાળકી અનાથ હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી હતી. હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે પોલીસ સ્ટેશનમાં જ ‘છઠ્ઠી વિધિ’ નું આયોજન કરવામાં આવ્યું ડતું. આ મંગલ પ્રસંગે પાંડેસરા પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી ઘરની જેમ જ શણગારવામાં આવ્યું. ACP ઝવેર દેસાઈ અને PI કે.ડી.જાડેજા સહિત તમામ કર્મચારીઓ એક પરિવારની જેમ પૂજામાં બેઠા હતા.

‘કશિશ’ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કર્યું નામકરણ
વિધિ દરમિયાન ગોર મહારાજના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું અત્યંત વહાલપૂર્વક “કશિશ” નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે કશિશને પહેલીવાર પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે તેના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને કંકુ પગલાં પણ પાડવામાં આવ્યા હતા. ACP, PI અને તમામ સ્ટાફે દીકરીને હીંચકામાં ઝુલાવી, જ્યારે મહિલા પોલીસકર્મીઓએ દીકરીને ખોળામાં રમાડીને હાલરડા ગાતા વાતાવરણ ભાવુક બની ગયું Sતું.

ફિલિપાઇન્સમાં ભૂકંપથી ઓછામાં ઓછા 15 લોકોનાં મોત, 129 ઘાયલ

ફિલિપાઇન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. દેશની સિવિલ ડિફેન્સ ઑફિસે આપેલી માહિતી મુજબ, ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 129થી વધુ લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સિવિલ ડિફેન્સ ઑફિસના ડાયરેક્ટર રોડ્રિગો સોસ્મેનાએ જણાવ્યું કે 15માંથી 12 લોકોનાં મોત સોકસ્કસર્જેન પ્રદેશમાં થયા છે. આ વિસ્તાર સાઉથ કોટાબેટો, સુલતાન કુદારાત, સારંગાની અને જનરલ સેન્ટોસ સિટી સહિત ચાર પ્રાંત અને એક શહેરમાં ફેલાયેલો છે. ભૂકંપના કારણે અનેક મકાનો અને માળખાંને નુકસાન પહોંચ્યું હોવાનું પણ જણાવાયું છે.

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ મિંડાનાઓના છ વિસ્તારોમાં સુનામીના મોજાં નોંધાયા હતા. સ્થાનિક સમય મુજબ સવારે 7:42થી 8:45 વાગ્યા દરમિયાન દરિયાકાંઠે સુનામીની અસર જોવા મળી હતી. સૌથી ઊંચું મોજું 1.4 મીટર (4.6 ફૂટ) સુધી પહોંચ્યું હતું.

ભૂકંપ બાદ ધરતી હજુ પણ શાંત થઈ નથી. સંસ્થાના અહેવાલ મુજબ સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 138 આફ્ટરશોક્સ નોંધાયા છે. આ આંચકાઓની તીવ્રતા 1.3થી લઈને 6.7 સુધીની રહી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. રાહત અને બચાવ ટીમો નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં ખડગેનો મોદી સરકાર પર પ્રહાર: કહ્યું “બંધારણ પર હુમલા ચાલુ છે”

0

આજે દિલ્હીમાં ભારત ગઠબંધનની બેઠક યોજાઈ રહી છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આયોજિત આ બેઠકમાં ત્રેવીસ પક્ષો ભાગ લઈ રહ્યા છે. ભારત ગઠબંધનની બેઠકમાં બોલતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે 17 એપ્રિલ, 2026 ના રોજ લોકસભામાં નિર્ણાયક રીતે એકતા દર્શાવી હતી, જ્યારે વિપક્ષે સરકારના બંધારણ સુધારા બિલને પસાર થવામાં અવરોધ ઉભો કર્યો હતો.” તેમણે કહ્યું કે સરકારના કુશાસનને કારણે દેશ સામેના પડકારોનો સામનો કરવા માટે આપણે એકતાની આ ભાવના ચાલુ રાખવી જોઈએ.

બંધારણ પર હુમલા ચાલુ છે, અને તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય વિરોધીઓને ડરાવવા માટે એક સાધન તરીકે થઈ રહ્યો છે. ખડગેએ કહ્યું કે બિન-ભાજપ સરકારો ભેદભાવનો સામનો કરી રહી છે, અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પરીક્ષા પ્રણાલીના ઘોર ગેરવહીવટને કારણે લાખો યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓ તૂટી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ તેના પર ભાર મૂક્યા બાદ આ બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે તે ભારત ગઠબંધનનો ભાગ નથી. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, “અમે ભારત ગઠબંધનનો ભાગ ન હોવાથી, આ બેઠકમાં ભાગ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી.” આ બેઠક બે વર્ષ પછી યોજાઈ રહી છે અને તેને વિપક્ષી એકતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.