Home Blog Page 48

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન: મુખ્ય આરોપી ટિન્નુ યાદવ સહિત 8ની ધરપકડ

0

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના મામલે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ-પ્રોફાઈલ દાન ચોરી કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ આઠ નામજદ આરોપીઓની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આખી રાત ચાલેલી પૂછપરછ બાદ શુક્રવારે સવારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

એક્શન પાછળનું કારણ: કોણે નોંધાવી હતી FIR?
રામ મંદિરના દાન અને ચઢાવાની રકમમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. SITના અહેવાલ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહને પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો.

કોણ છે ધરપકડ કરાયેલા આ ૮ આરોપીઓ?

ધરપકડ કરાયેલા તમામ લોકો મંદિરના દાન અને ચઢાવાની રકમની ગણતરી અને વ્યવસ્થાપન સાથે સીધા જોડાયેલા હતા. તેમના નામ નીચે મુજબ છે:

  • રમાકાંત ઉર્ફે ટિન્નુ યાદવ (સુપરવાઈઝર)
  • સુભાષ શ્રીવાસ્તવ (ઇન્ચાર્જ/મોનિટરિંગ)
  • અનુકલ્પ મિશ્રા (કેશિયર)
  • લવકુશ મિશ્રા (કેશિયર)
  • અવિનાશ શુક્લા (કેશિયર)
  • કરુણેશ પાંડે (કેશિયર)
  • મનીષ યાદવ (કેશિયર)
  • રમાશંકર મિશ્રા (કેશિયર)

આ આરોપીઓમાંથી છ લોકો કેશ કાઉન્ટિંગનું કામ સંભાળતા હતા, જ્યારે સુભાષ શ્રીવાસ્તવ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખતો હતો. ટિન્નુ યાદવ કેશ કાઉન્ટિંગની કામગીરીનું સુપરવિઝન કરી રકમને બેંક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવતો હતો.

ઓટો ડ્રાઈવરથી ₹50 કરોડનો આસામી બનેલો ‘ટિન્નુ યાદવ’ છે મુખ્ય વિલન!
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દાનની રકમમાં કથિત ગેરરીતિનો મુખ્ય આરોપી ટિન્નુ યાદવ હોવાનું માનવામાં આવે છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, દાનપેટીઓની ચાવીઓ તેની પાસે રહેતી હતી અને કેશ કાઉન્ટિંગ સંબંધિત મોટાભાગના નિર્ણયો તેના દ્વારા લેવામાં આવતા હતા. મંદિરના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની નિમણૂકથી લઈને કેશ મેનેજમેન્ટ સુધીના અનેક મહત્વપૂર્ણ કામોમાં તેનો પ્રભાવ હોવાનું કહેવાય છે.

ટિન્નુ યાદવનો ઇતિહાસ:
ટિન્નુ યાદવનો પરિવાર સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેના પિતા અયોધ્યામાં ચાની લારી ચલાવતા હતા અને ટિન્નુ પોતે એક સમયે ઓટો રિક્ષા ચલાવતો હતો. બાદમાં તે રામ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં આવ્યો અને ધીમે-ધીમે મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળવા લાગ્યો.

તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, આજે ટિન્નુ યાદવ અયોધ્યા અને લખનઉમાં કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે. અયોધ્યા એરપોર્ટ નજીક તેની હોસ્ટેલ, વૈભવી રહેણાંક મિલકતો, મોંઘી ગાડીઓ તેમજ હોટેલ અને રેસ્ટોરાં વ્યવસાયમાં ભાગીદારી હોવાના દાવાઓ પણ તપાસ હેઠળ છે.

હવે FIR નોંધાયા બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ કથિત નાણાકીય ગેરરીતિ, સંપત્તિના સ્ત્રોતો અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. કેસમાં આગળ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડ-હિમાચલ બોર્ડર પર તણાવ: નિહંગ શીખોને રોકતા હોબાળો, બેરિકેડ તોડવાનો પ્રયાસ

0

ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં નિહંગ શીખ અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા વિવાદ બાદ હિમાચલ-ઉત્તરાખંડ બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. કૂલ્હાલ બોર્ડર પર મોટી સંખ્યામાં પહોંચેલા નિહંગ સીખોને પોલીસે રોકતા ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન નિહંગોએ જોરદાર નારેબાજી કરી હતી અને આરોપ છે કે કેટલાક લોકોએ બેરિકેડિંગ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો.

કર્ણપ્રયાગ વિવાદ બાદ ઉત્તરાખંડ કૂચના એલાનને ધ્યાનમાં રાખીને કૂલ્હાલ બોર્ડર સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. વધારાની પોલીસ ફોર્સ, ITBP અને વહીવટી અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

બીજી તરફ, મામલાનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવા માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રશાસન સાથે નિહંગ સીખોના પ્રતિનિધિઓ વચ્ચે પોંટા સાહિબ સ્થિત ગુરુદ્વારામાં ચર્ચા ચાલી રહી છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત 16 જૂનના રોજ કર્ણપ્રયાગમાં થઈ હતી, જ્યારે નિહંગ સીખો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ચાર સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. મામલામાં પોલીસે ચાર નિહંગોને ધરપકડ કરી હતી. ત્યારબાદ નિહંગોએ નગરાસૂ સ્થિત ગુરુદ્વારા પર કબજો જમાવ્યો હતો. જોકે, સ્થાનિક પ્રશાસન અને પંજાબના પ્રતિનિધિમંડળની મધ્યસ્થતા બાદ ગુરુદ્વારાને મુક્ત કરાવવામાં આવ્યું હતું.

બોર્ડર પર પહોંચેલા નિહંગ શીખોએ જણાવ્યું કે તેઓ કાયદો અને વ્યવસ્થા બગાડવા માંગતા નથી. તેઓ માત્ર શાંતિપૂર્ણ રીતે ‘સત્નામ વાહેગુરુ’નો જાપ કરતા હેમકુંડ સાહિબ જવા માંગે છે. સાથે જ તેમણે માંગ કરી હતી કે ધરપકડ કરાયેલા તેમના ચાર સાથીઓને મુક્ત કરીને પંજાબ મોકલવામાં આવે. નિહંગોએ કહ્યું કે જ્યાં સુધી તેમના સાથીઓને છોડવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પરત નહીં ફરે.

આ મામલે ગઢવાલના ઇન્સ્પેક્ટર જનરલ રાજીવ સ્વરૂપે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં આ વિવાદ નિહંગ શ્રદ્ધાળુઓ અને ગુરુદ્વારા મેનેજમેન્ટ વચ્ચેનો હતો. લંગરને લઈને થયેલી બોલાચાલી બાદ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચતા કેટલાક નિહંગો ગભરાઈ ગયા હતા અને ઇમારતની છત પર જઈને બંધ થઈ ગયા હતા. ત્યારબાદ તેમની સાથે અનેક તબક્કાની વાતચીત કરવામાં આવી હતી.

રામ મંદિર દાન વિવાદ પર ઓવૈસીનો સવાલ: ‘બુલડોઝર ચાલશે કે ગોળી? FIR હજુ સુધી કેમ નહીં?’

0

રામ મંદિરમાં કથિત દાન ચોરીનો મામલો હવે રાજકીય નિવેદનોનું કેન્દ્ર બનતો જઈ રહ્યો છે. રાજકારણ શરૂ થઈ ગયું છે. એક તરફ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની અનેક ભલામણો સ્વીકારવામાં આવી છે. આ કેસમાં છ વ્યક્તિઓ સામે FIR દાખલ કરવામાં આવશે. ટ્રસ્ટે CEO ની નિમણૂક કરવા માટે પણ સંમતિ આપી છે. દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સમગ્ર વિવાદ અંગે અવાજ ઉઠાવી રહ્યું છે. VHP એ આ ઘટનાને દુ:ખદ ગણાવી છે.

ક્યારે ગોળી મારવામાં આવશે, ક્યારે બુલડોઝર ચલાવવામાં આવશે
આ મુદ્દે હવે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ પ્રતિક્રિયા આપી છે. રામ મંદિરના દાન વિવાદ અંગે બોલતા તેમણે સરકાર અને પ્રશાસનની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. ઓવૈસીએ કહ્યું, “મને ખબર નથી, પરંતુ અમે તો એ રાહ જોઈ રહ્યા છીએ કે FIR ક્યારે નોંધાશે અને ત્યારબાદ કોનું ઘર તોડવામાં આવશે. શું બુલડોઝર ચલાવવામાં આવશે કે પછી ગોળી ચલાવવામાં આવશે?

તેમણે વધુમાં કહ્યું કે, “આસ્થાના આધારે તમે બધું જ કરી દીધું. હવે શું આસ્થાના નામે આ બાબત પણ સહન કરવામાં આવશે? આ બાબતે શું કાર્યવાહી કરવી તે હવે સરકારે નક્કી કરવાનું છે.”

કાર્યવાહી કેમ નથી થઈ રહી?
ઓવૈસીએ સરકારને પ્રશ્ન કર્યો છે કે આ કેસમાં હજુ સુધી FIR કેમ નોંધાઈ નથી. જો FIR દાખલ થાય છે, તો શું આરોપીઓના પગમાં ગોળી મારવામાં આવશે કે ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે? કારણ કે આવી કાર્યવાહી તો અત્યાર સુધી માત્ર મુસ્લિમો સામે જ જોવા મળી છે. તમે જુઓ, રસ્તા પર નમાજ અદા કરવી નહીં. ધાર્મિક રેલી દરમિયાન દુકાનો બંધ કરાવવી. ઉત્તર પ્રદેશમાં, સરકાર કાયદાના શાસનને ભૂલીને બંદૂકથી શાસન ચલાવી રહી છે. તો, આ કેસમાં શું થઈ રહ્યું છે? અમને કહો.

VHP એ FIR નોંધાવવાની માંગ કરી
VHPના અધ્યક્ષ આલોક કુમારે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે, “આવી ગેરરીતિની કોઈ શક્યતા ન રહે તેવી મજબૂત અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. કેટલાક લોકોને મળેલી છૂટછાટના કારણે તેઓ કથિત રીતે ચોરી કરવામાં સફળ રહ્યા.” આલોક કુમારે વધુમાં કહ્યું કે, “આ મામલે પોલીસે તાત્કાલિક FIR નોંધવી જોઈએ અને કોઈપણ પ્રકારના દબાણ વિના નિષ્પક્ષ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.”

હોર્મુઝ સ્ટ્રેટ ફરી સામાન્ય: ભારત તરફના 30 જહાજો સુરક્ષિત પસાર, 26 હજુ રાહમાં

0

મધ્ય પૂર્વથી ભારત તરફ આવનારા કુલ 30 જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય 26 જહાજો હજુ પણ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. શિપિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષિત રીતે પસાર થયેલા જહાજોમાંથી લગભગ અડધા જહાજો LPG અને LNG જેવા ઊર્જા ઉત્પાદનોનું પરિવહન કરી રહ્યા હતા. આ ઉપરાંત આઠ જહાજો બલ્ક કાર્ગો અને સાત જહાજો ક્રૂડ ઓઇલ લઈ જઈ રહ્યા હતા.

ઈરાન-યુએસ કરારની અસર
અધિકારીઓના જણાવ્યા મુજબ 1 માર્ચથી 17 જૂન દરમિયાન કુલ 19 જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. જોકે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાર થયા બાદ વધુ 11 જહાજોએ પણ સુરક્ષિત રીતે આ માર્ગ પાર કર્યો છે. ભારત તરફ આવી રહેલા અથવા ભારતીય બંદરો તરફ જતાં આ 30 જહાજોમાંથી 17 વિદેશી ધ્વજવાળા છે. તેમાં માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ સંચાલિત પાંચ જહાજોની સંખ્યા સૌથી વધુ છે.

અખાતમાં 26 જહાજોની સ્થિતિ
અહેવાલો અનુસાર ભારતીય હિતો સાથે સંકળાયેલા 26 જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમ તરફ આવેલા પર્શિયન ગલ્ફ વિસ્તારમાં હાજર છે. તેમાં ભારતીય તેમજ વિદેશી ધ્વજવાળા જહાજોનો સમાવેશ થાય છે, જે ભારત તરફ આવી રહ્યા છે.

આ 26 જહાજોમાંથી ત્રણ ઊર્જા ઉત્પાદનો, 10 ખાતર અને બાકીના 13 વિવિધ પ્રકારના કાર્ગોનું પરિવહન કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક ઊર્જા પુરવઠાનો લગભગ પાંચમો હિસ્સો પસાર થાય છે. ભારત માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે, કારણ કે LNG અને LPG માટે દેશ મોટા પ્રમાણમાં અખાતના દેશો પર નિર્ભર છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ફરી સામાન્ય બની રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 17 જૂન પછી ભારત સાથે સંકળાયેલા 11 જહાજો સુરક્ષિત રીતે આ માર્ગમાંથી પસાર થયા છે, જેમાં ત્રણ ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કરનો પણ સમાવેશ થાય છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હાલમાં 10 ભારતીય ધ્વજવાળા જહાજો પર્શિયન ગલ્ફ વિસ્તારમાં કાર્યરત છે, જ્યારે બે અન્ય ભારતીય જહાજો તાજેતરમાં આ વિસ્તારમાં પ્રવેશ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં ખુલ્લું છે અને જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે.

20 વર્ષ પછી ફરી મળશે રેન્ચો-ફરહાન-રાજુ? ‘3 ઈડિયટ્સ’ની સિક્વલ પર મોટું અપડેટ

0

આમિર ખાન, આર. માધવન, શરમન જોશી, કરીના કપૂર ખાન અને બોમન ઈરાની જેવા દિગ્ગજ કલાકારોના અભિનયથી સજ્જ ફિલ્મ “3 Idiots” ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. રાજકુમાર હિરાનીના શાનદાર દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ લગભગ 17 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009 માં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. હવે સિનેમાપ્રેમીઓ માટે એક ખૂબ જ રોમાંચક સમાચાર સામે આવ્યા છે કે ડાયરેક્ટર રાજકુમાર હિરાની સત્તાવાર રીતે આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે આ બીજા ભાગની વાર્તા અને તેના પાત્રો વિશે કેટલીક રસપ્રદ વિગતો શેર કરી છે.

‘3 ઇડિયટ્સ 2’ ના પાત્રો અંગે મોટો ખુલાસો
મોટા પડદા પર અદભૂત સફળતા મેળવ્યા બાદ, રાજકુમાર હિરાની હવે તેમની આગામી વેબ સિરીઝ “પ્રેમ પેડ્રો” દ્વારા OTT ની દુનિયામાં કદમ મૂકવા જઈ રહ્યા છે. આ સિરીઝથી તેમનો પુત્ર વીર હિરાની એક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં અરશદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં છે. હિરાનીએ સ્પષ્ટ કર્યું કે ‘3 ઇડિયટ્સ 2’ માં કોઈ નવા ચહેરા નહીં પરંતુ બધા જ જૂના અને લોકપ્રિય પાત્રો જોવા મળશે. તેમણે જણાવ્યું કે, આ વાર્તામાં 20 વર્ષનો સમયગાળો આગળ બતાવવામાં આવશે. પાત્રો હવે કોલેજમાં નહીં હોય, પરંતુ તેઓ પરિપક્વ થઈને નોકરી-ધંધો કરતા હશે, તેમના લગ્ન થઈ ગયા હશે અને બાળકો પણ હશે. તે તમામના જીવનમાં હવે શું નવું ઘટે છે, તે જોવું રસપ્રદ રહેશે.

સ્ક્રિપ્ટિંગનું કામ ચાલુ
રાજકુમાર હિરાનીએ વધુમાં જણાવ્યું કે તેઓ હાલમાં લેખક અભિજાત જોશી સાથે મુંબઈ બહાર એક શાંત જગ્યાએ ફિલ્મની પ્રારંભિક સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે. આ વાર્તાનો પ્રારંભિક ડ્રાફ્ટ સુપરસ્ટાર આમિર ખાનને સંભળાવવામાં આવ્યો છે અને તેને તે ખૂબ જ પસંદ પણ આવ્યો છે. આગામી 2 મહિનામાં આ સ્ક્રિપ્ટનું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રેંચો, રાજુ અને ફરહાનની દોસ્તી પર બનેલી આ ફિલ્મ માત્ર ₹55 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી. તેણે ભારતીય બોક્સ ઓફિસ પર ₹202 કરોડથી વધુનું અને વિશ્વભરમાં કુલ ₹350 કરોડનું રેકોર્ડબ્રેક કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો હતો.

ગુજરાતના 17 GAS અધિકારીઓને મોટી ભેટ, IAS તરીકે પ્રમોશનની કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના GAS કેડરના અધિકારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ગુજરાતના 17 GAS કેડરના અધિકારીઓને પ્રમોશન આપીને તેમની IASમાં નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી પ્રતીક્ષિત આ પ્રમોશન પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યના વહીવટી તંત્રમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

17 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન
આ અધિકારીઓને તેમની કામગીરીના આધારે IAS કેડરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં કાર્યરત વરિષ્ઠ અધિકારીઓને મોટી રાહત અને પ્રોત્સાહન મળ્યું છે. આ ફેરફારથી વહીવટી કામગીરીમાં વધુ ગતિશીલતા આવશે.કારણ કે હવે આ અધિકારીઓ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય હોદ્દાઓ પર સીધી જવાબદારી સંભાળી શકશે.

નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો નવો ચાર્જ સંભાળશે
સરકારના આ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, પ્રમોશન પામેલા આ અધિકારીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો નવો ચાર્જ સંભાળવાનો રહેશે. આગામી દિવસોમાં આ અધિકારીઓને રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં નવી પોસ્ટિંગ આપવામાં આવશે તેવી શક્યતા છે. આ પ્રક્રિયા દ્વારા વહીવટી તંત્રમાં અનુભવી અધિકારીઓની સંખ્યામાં વધારો થશે જેનો સીધો લાભ સરકારી યોજનાઓના અમલીકરણ અને નાગરિકોની સુવિધા માટેના કામોમાં જોવા મળશે.

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS ની ધરપકડ

અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરોની સુરક્ષા માટે તૈનાત રહેતી રેલવે પોલીસ ક્યારેક કાયદાનો ભંગ કરનારા સામાન્ય લોકોની સાથે-સાથે વગદારોના ટાર્ગેટ પર પણ આવતી હોય છે. આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો અમદાવાદ રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો હતો, જ્યાં એક માથાભારે શખ્સે કાયદાના રક્ષકો પર જ પોતાનો ખોટો પાવર બતાવવાનો લાઈવ પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ કે ડેપો વિસ્તારમાં સામાન્ય બાબતે ફરજ પરના પોલીસકર્મીઓ સાથે આ શખ્સે બબાલ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે આરોપી પોતાને IPS અધિકારી ગણાવી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફર કરાવી દેવાની ધમકીઓ આપતો હતો. તેની વાતચીત અને વર્તનથી શરૂઆતમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયા હતા, પરંતુ બાદમાં તેની ઓળખ અંગે શંકા જતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.

ફરજમાં અવરોધ ઉભો કરતાં કાર્યવાહી
પોલીસે જણાવ્યું કે આરોપી દ્વારા અસલી પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હતો. ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી અને સત્તાનો ખોટો દેખાવ કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રહલાદનગરના જોન ડેનિયલની ધરપકડ
આ કેસમાં પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા John Daniel ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી IPS તરીકે ઓળખ આપી હતી, કોઈને છેતર્યા છે કે નહીં અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

વધુ તપાસ શરૂ
પોલીસ હવે આરોપીના મોબાઇલ ફોન, દસ્તાવેજો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી રહી છે. સાથે જ તેણે નકલી ઓળખના આધારે કોઈ લાભ મેળવ્યો હતો કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાન પર દેખાતા આ લક્ષણોને ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે કેન્સરના સંકેત

0

સ્કિન કેન્સરમાં લોકો શરીરના બાકી હિસ્સા પર ધ્યાન આપે છે, પરંતુ કાનને ભૂલી જાય છે. કાનની અંદર થનાર કેન્સરથી અલગ આ કેન્સર કાનની બહારની ત્વચા કે અંદરની ત્વચા પર ઉદ્ભવી શકે છે, પરંતુ કાનની એકદમ અંદરના સ્ટ્રક્ચરથી શરૂ થતું નથી. આ કેન્સરને સ્કિનના કેન્સરની સાથે-સાથે કાનનું કેન્સર પણ કહેવામાં આવે છે. તો કાનના અંદરના ભાગમાં થનાર કેન્સર જ કાનનું કેન્સર હોય છે. તેવામાં જાણો સ્કિન કેન્સર કાન પર થવા અને કાનની અંદરમાં થનાર અસલ ઇયર કેન્સરના શું લક્ષણ હોય છે અને આ લક્ષણોને કઈ રીતે ઓળખી શકાય છે.

કાનના કેન્સરના શું લક્ષણ હોય છે
કાનના કેન્સરના શરૂઆતના લક્ષણોમાં કાનની ત્વચા પર ગાંઠ, દાણા કે અસામાન્ય નિશાન દેખાવા, સાંભળવામાં તકલીફ પડવી, કાનમાંથી લોહી કે અન્ય પ્રવાહી નીકળવું અને ત્વચાના રંગમાં ફેરફાર થવો સામેલ છે. કેટલાક દર્દીઓને કાન કે તેની આસપાસ સતત દુખાવો રહેતો હોય છે. ઉપરાંત કાનમાં સતત અવાજ સંભળાવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી થવી અને ચહેરાના ભાગમાં નબળાઈ અનુભવવી પણ કાનના કેન્સરના સંકેતો હોઈ શકે છે.

કાનનું કેન્સર કેટલા પ્રકારના હોય છે

કાનનું કેન્સર મુખ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે – બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને મેલાનોમા.

બેઝલ સેલ કાર્સિનોમા:
આ પ્રકારનું કેન્સર ત્વચાના બેઝલ સેલ સ્તરમાં શરૂ થાય છે. શરૂઆતમાં તે ધીમે વધે છે, પરંતુ સારવાર ન મળે તો શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.

સ્ક્વામસ સેલ કાર્સિનોમા:
આ કેન્સર ત્વચાના ઉપરના સ્તર એટલે કે સ્ક્વામસ સેલ્સમાં વિકસે છે. તે કાનથી લસિકા ગ્રંથિઓ (લિમ્ફ નોડ્સ) સુધી ફેલાઈ શકે છે.

મેલાનોમા:
મેલાનોમા સૌથી ગંભીર પ્રકારનું સ્કિન કેન્સર માનવામાં આવે છે. તે ત્વચાને રંગ આપતા કોષોમાં વિકસે છે અને ઝડપથી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. કાનની ત્વચાના રંગમાં ફેરફાર અથવા તલના આકારમાં બદલાવ તેના મુખ્ય લક્ષણો છે.

આ ઉપરાંત મિડલ ઇયર, ઇનર ઇયર અને ટેમ્પોરલ બોનમાં પણ કેન્સર થઈ શકે છે, જોકે આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ હોય છે.

ક્યા લોકો આ કેન્સરની ઝપેટમાં આવી શકે
જે લોકો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહે છે, વારંવાર કાનમાં ચેપનો ભોગ બને છે અથવા જેમના પરિવારમાં સ્કિન કેન્સરનો ઇતિહાસ છે, તેઓમાં કાનના કેન્સરનું જોખમ વધુ હોઈ શકે છે. રેડિએશનના સંપર્કમાં આવનારા લોકોમાં પણ આ બીમારી થવાની શક્યતા વધી શકે છે.

ક્યારે કાનની તપાસ કરાવવી
જો કાનની ત્વચા પર કોઈ અસામાન્ય નિશાન, તલ, દાણા અથવા ગાંઠ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કાનની ત્વચાના રંગ કે આકારમાં ફેરફાર જણાય અથવા લાંબા સમય સુધી કોઈ સમસ્યા રહે તો તેની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહેતા હોય તેમણે નિયમિત સ્કિન અને કાનની સ્ક્રીનિંગ કરાવવી જોઈએ, જેથી કેન્સરની વહેલી તકે ઓળખ થઈ શકે.

વેનેઝુએલામાં હાહાકાર: 40 સેકન્ડમાં બે ભૂકંપના ઝટકા, રાષ્ટ્રીય કટોકટી જાહેર

0

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતે વિનાશક તાંડવ મચાવ્યું છે. દેશની ધરતી એક જ મિનિટની અંદર બે વખત પ્રચંડ ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠતા સર્વત્ર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમેરિકાની ભૂસ્તર વૈજ્ઞાનિક સંસ્થા યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી, જ્યારે માત્ર 40 સેકન્ડ બાદ વધુ શક્તિશાળી 7.5 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ ભયંકર કુદરતી આપત્તિને પગલે સમગ્ર દેશમાં તાત્કાલિક રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.

પ્રારંભિક અંદાજો મુજબ ભૂકંપના કારણે મોટા પાયે જાનહાનિ અને મિલકતોને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોન્ટાલબાન અને મોરોન વિસ્તારની નજીક જમીનની અંદર લગભગ 10થી 22 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આ વિસ્તાર દેશની મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનરીઓ માટે પણ જાણીતો હોવાથી ચિંતામાં વધારો થયો છે.

રાષ્ટ્રીય રજાના દિવસે જ સર્જાયો મહાવિનાશ
આ વિનાશક ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે દેશમાં 1821ના ઐતિહાસિક સૈન્ય વિજયની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. રજાના કારણે મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આંચકા એટલા પ્રચંડ હતા કે અનેક બહુમાળી ઇમારતો પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી.

રાજધાની કરાકાસમાં આવેલી 22 માળની એક ગગનચુંબી ઇમારત સંપૂર્ણપણે તૂટી પડી હોવાનું જાણવા મળ્યું છે. તેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, કરાકાસના પાલોસ ગ્રાન્ડેસ અને અલ્તામિરા જેવા વિસ્તારોમાંથી પણ ભારે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.

ચારેય તરફ આક્રંદ અને અંધારપટ્ટ
ભૂકંપના કારણે દેશના સાતથી વધુ રાજ્યોમાં વીજ પુરવઠો, ટેલિફોન સેવાઓ તેમજ પેટ્રોલ અને ગેસ સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રાજધાની કરાકાસની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવતા તબીબી તંત્ર પર ભારે દબાણ સર્જાયું છે.

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. કાટમાળ નીચે ફસાયેલા પોતાના સ્વજનોને શોધવા માટે લોકો આક્રંદ કરી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે તેની અસર પડોશી દેશ કોલંબિયામાં પણ અનુભવાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આંતરરાષ્ટ્રીય મદદની અપીલ
વેનેઝુએલાના ગૃહ પ્રધાન ડિયોસદાદો કેબેલો અને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, સેના અને અન્ય તમામ બચાવ એજન્સીઓને તાત્કાલિક કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. બચાવકર્મીઓ કાટમાળ હટાવીને જીવતા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે.

સરકારે આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને મિત્ર દેશો પાસેથી આર્થિક તેમજ તકનીકી સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. શરૂઆતમાં સુનામીની સંભાવનાને લઈને ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તે પાછી ખેંચી લેવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વર્ષ 1967 પછી દેશે અનુભવેલો આ સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.

શરીરથી જોડાયેલા ટ્વિન બાળકોનો જન્મ, સારવાર પહેલાં જ બંનેએ તોડ્યો દમ

0

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના તિમાલપુર ગામમાં એક દુર્લભ અને કરુણ ઘટના સામે આવી છે. યશોદા દેવીએ એક ખાનગી હોસ્પિટલમાં શરીરથી જોડાયેલા ટ્વિન બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોની સ્થિતિ જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જન્મેલા બંને બાળકોના માથા અને હાથ અલગ હતા, પરંતુ તેઓ પેટના ભાગેથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેમના આંતરિક અવયવો કેટલા અલગ અને કેટલા એકસાથે જોડાયેલા હતા તે શરૂઆતમાં સ્પષ્ટ થઈ શક્યું નહોતું. આ અનોખા બાળકોને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

ખાસ વાત એ હતી કે યશોદા દેવીએ સામાન્ય પ્રસૂતિ દ્વારા આ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ બંને બાળકોની તબિયત અત્યંત નાજુક હતી. તેઓ સ્વતંત્ર રીતે દૂધ પી શકતા નહોતા અને તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખીને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ સહિતની સારવાર આપવામાં આવી હતી.

તમામ પ્રયાસો છતાં જન્મના થોડા કલાકોમાં એક બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બીજા બાળકને બચાવવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું હતું. નિષ્ણાતોના મતે બીજા બાળકને બચાવવા માટે તાત્કાલિક સર્જરી કરીને શરીરને અલગ કરવું જરૂરી હતું, પરંતુ તે ખૂબ જ જટિલ અને જોખમી પ્રક્રિયા હતી.

આ માટે બાળકને વધુ સારવાર માટે પ્રયાગરાજની એક મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે નિષ્ણાતો કોઈ નિર્ણય લઈ શકે તે પહેલાં જ બીજા બાળકનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્લભ ઘટનાએ પરિવાર સાથે તબીબી જગતને પણ શોકમાં મૂકી દીધું છે.