Home Blog Page 44

દિલ્હીમાં ભાડૂતોએ મકાનમાલિક મહિલા સાથે કરી રૂ. 18 કરોડની છેતરપિંડી

0

દેશની રાજધાની દિલ્હીમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાડૂતોએ પોતાના મકાનમાલિકનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ મહિલાના નામે નકલી દસ્તાવેજો તૈયાર કરીને અને તેની ઓળખનો દુરુપયોગ કરીને આશરે રૂ. 18 કરોડની લોન મેળવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ મહિલાના નામે ખોટા દસ્તાવેજો બનાવી વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મોટી રકમની લોન મેળવી હતી. ત્યારબાદ આ નાણાંને ટ્રેસ ન કરી શકાય તે માટે 11 અલગ-અલગ શેલ કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારપછી આ રકમ વિવિધ માધ્યમોથી ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.

આ સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. પૂર્વ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રહેતી 55 વર્ષીય ઉષા રાણી સેઠીએ પોતાના બે ફ્લેટ ભાડે આપવા માટે જાહેરાત કરી હતી. તે દરમિયાન સચિન અને સંજય નામના બે વ્યક્તિઓ ફ્લેટ ભાડે લેવા માટે તેમની પાસે આવ્યા હતા. સચિને પોતાને ધંધાર્થી ગણાવ્યો હતો અને ‘જગદંબા મેટલ્સ’ નામની કંપનીનો માલિક હોવાનો દાવો કર્યો હતો, જ્યારે સંજયે પોતાને તેનો બિઝનેસ પાર્ટનર હોવાનું જણાવ્યું હતું.

ઉષા રાણી સેઠીના જણાવ્યા અનુસાર તેમણે બીજા માળનો ફ્લેટ સચિનને માસિક આશરે રૂ. 47 હજારના ભાડે અને ત્રીજા માળનો ફ્લેટ સંજયને માસિક રૂ. 17 હજારના ભાડે આપ્યો હતો. બંને ફ્લેટ માટે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નિયમિત રીતે ભાડા કરાર પણ નોંધાવવામાં આવ્યા હતા. થોડા સમય બાદ બંને ભાડૂતો ફ્લેટ ખાલી કરીને ચાલ્યા ગયા હતા.

પરંતુ ત્યારબાદ મહિલાને ખબર પડી કે તેમના દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરીને આરોપીઓએ નકલી ઓળખ ઉભી કરી હતી અને તેના આધારે કરોડો રૂપિયાની લોન મેળવી હતી. આ સમગ્ર છેતરપિંડી બહાર આવતાં મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ

0

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. સુરત અને નવસારી સહિતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયો પણ તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

આજે 1 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 2 જુલાઈ માટે પણ સમાન આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ફરી એકવાર રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

બીજી તરફ દેશના અન્ય વિસ્તારોમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં જૂન મહિનામાં સામાન્ય વરસાદની સરખામણીએ આશરે 80 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે હવે જુલાઈની શરૂઆત સાથે જ ચોમાસું જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં જેસીબીની બેદરકારી બની જીવલેણ, કાટમાળ નીચે દબાતા મહિલાનું મોત, 2 ઈજાગ્રસ્ત

સુરત જિલ્લામાં ઓલપાડના અટોદરા ગામની સીમમાં જેસીબી ચાલકે દીવાલને ટક્કર મારતા દીવાલ તૂટી પડી હતી અને ત્યાં માટીનું પુરાણ કરતા મહિલા સહીત 3 શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જયારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે જેસીબી ચાલક સામે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

દિવાલ નીચે દબાતા મહિલાનું મોત
મળતી માહિતી મુજબ, અટોદરા ગામની સીમમાં આવેલ કાવેરી બીઝનેસ પાર્કમાં પ્લોટ નં.06 માં જેસીબી ચાલક આદિત્યકુમાર રામજીતરામએ દીવાલને ટક્કર મારી હતી. જેથી દીવાલ તૂટી પડી હતી અને ત્યાં માટીનું પુરાણ કરતા કૈલાશ વિશાલભાઈ દિનેશભાઈ ભુરીયા, શૈલેષ દિનેશભાઈ ખરાડી તથા શીતલ દિનેશભાઈ ખરાડી કાટમાળમાં દબાઈ ગયા હતા.

કાટમાળ નીચે દબાતા બે ઈજાગ્રસ્ત
ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી ગયી હતી. જેમાં કૈલાશ વિશાલભાઈ દિનેશભાઈને માથા સહીત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોય તેઓનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે લોકોને ખભા, માથા તથા કમરના ભાગે ઈજા થઈ હતી અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે ઓલપાડ પોલીસમ મથકમાં જેસીબી ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, હવે ED કરશે તપાસ

0

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે રામ મંદિરમાં સૌથી વધુ ચોરીઓ મહાકુંભ દરમિયાન થઈ હતી. અયોધ્યા પોલીસ આ મામલાની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને પણ લખશે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાંથી કેટલાક કુંભ પહેલા પણ નાની ચોરીઓમાં સંડોવાયેલા હતા.

જોકે, કુંભ મેળા દરમિયાન, મંદિરમાં દાન અને દાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેનો આરોપીઓએ લાભ ઉઠાવ્યો અને મોટી ચોરી કરવાનું કાવતરું ઘડ્યું. પોલીસનો દાવો છે કે આઠેય આરોપીઓએ સાથે મળીને ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે સાળાની જોડી, લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાએ સૌથી વધુ રકમ ચોરી કરી હતી.

સાળા-બનેવીની જોડીએ મહાપાપ કર્યું
પોલીસના જણાવ્યા મુજબ, આ જોડીએ ચોરાયેલા પૈસાથી સૌથી વધુ મિલકતો ખરીદી હતી. અત્યાર સુધીની તપાસમાં બંને સાથે જોડાયેલી અડધા ડઝનથી વધુ મિલકતો વિશે માહિતી મળી છે. અયોધ્યા પોલીસ આરોપીઓના નાણાકીય વ્યવહારો અને મિલકતોની સંપૂર્ણ તપાસ કરવા માટે આવકવેરા વિભાગની પણ મદદ લઈ રહી છે. તપાસ દરમિયાન, કેટલાક SBI કર્મચારીઓની ભૂમિકા પણ પોલીસ શંકાના દાયરામાં આવી છે.

ED હવે આ કેસની તપાસ કરશે.
અયોધ્યા પોલીસ આ મામલાની તપાસ કરવા માટે EDને પણ લખશે, જેથી પૈસાના ટ્રેલ અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરી શકાય. અવિનાશ શુક્લાના કહેવાથી સૌથી મોટી રકમ રોકડ મળી આવી હતી. દરમિયાન, ચંપત રાય અને અનિલ મિશ્રા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તપાસ હવે ટ્રસ્ટના કાર્યપ્રણાલી અને દાન વ્યવસ્થાપન પ્રણાલી સુધી પહોંચી ગઈ છે. પોલીસ હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

પ્રયાગરાજમાં મહાકુંભ 44-45 દિવસ ચાલ્યો.
પ્રયાગરાજમાં મહાકુંભ 13 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો અને 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થયો. તે કુલ 44-45 દિવસ ચાલ્યો. 600 મિલિયનથી વધુ લોકોએ પવિત્ર ડૂબકી લગાવી. શરૂઆતમાં, અંદાજ 400-450 મિલિયન હતો, પરંતુ આ આંકડો ધીમે ધીમે વધતો ગયો. અંતિમ દિવસે સૌથી મોટી ભીડ જોવા મળી, જે તેને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો બનાવ્યો. ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટીતંત્રે ખૂબ જ વ્યવસ્થિત રીતે બધી વ્યવસ્થા કરી હતી.

પાંચ દિવસમાં એક પછી એક ૭ દેશમાં 8 ભૂકંપ, વિશ્વભરમાં ચિંતાનો માહોલ

વિશ્વભરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન એક પછી એક શક્તિશાળી ભૂકંપોના આંચકાઓ નોંધાતા વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે. 24 જૂનથી 28 જૂન દરમિયાન કુલ સાત દેશોમાં આઠ મોટા ભૂકંપ નોંધાયા છે. સૌથી વધુ વિનાશ વેનેઝુએલામાં જોવા મળ્યો છે, જ્યાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 1450 સુધી પહોંચી ગયો છે, જ્યારે 50 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.

આ દરમિયાન અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે જાપાનના દરિયાકાંઠે 7.2ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બંને દેશોમાં સાવચેતીના પગલાં તરીકે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ભૂકંપનો સિલસિલો દક્ષિણ એશિયા સુધી પણ પહોંચ્યો હતો. પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં 5.5ની તીવ્રતાના ભૂકંપથી 100થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

આ ઉપરાંત ફિલિપાઈન્સમાં 6.5ની તીવ્રતાનો અને નેપાળમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સતત અલગ-અલગ દેશોમાં આવેલા આ ભૂકંપોને લઈને વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી છે કે તમામ ઘટનાઓ અલગ-અલગ ટેક્ટોનિક પ્લેટો પર બની હોવાથી તેમનો એકબીજા સાથે સીધો કોઈ સંબંધ નથી.

અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)ના નિષ્ણાત વિલિયમ બાર્નહાર્ટના જણાવ્યા મુજબ પૃથ્વી પર દરરોજ અનેક ભૂકંપો આવતા રહે છે, પરંતુ સતત કેટલાક દિવસો સુધી વસ્તીવાળા વિસ્તારોમાં મોટા ભૂકંપ અનુભવાવા એ માત્ર એક સંયોગ ગણાવી શકાય. જોકે, સતત વધી રહેલી ભૂકંપીય પ્રવૃત્તિએ વિશ્વભરમાં ચિંતા અને સતર્કતા બંને વધારી છે.

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે કોર્પોરેશનના 5 એન્જિનિયરો સસ્પેન્ડ

સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને ઊભા થયેલા વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર મામલાની તપાસ માટે નિમાયેલી વિશેષ સમિતિના અહેવાલના આધારે હવે તંત્ર દ્વારા વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસની પ્રક્રિયા સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને ફરજ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પગલાં હેઠળ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તેમજ જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયને ડિમોલિશન કેસમાં જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ વધુ જવાબદારી નક્કી કરીને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, આ ઓઇલ કંપનીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

0

વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે. નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બુધવાર (1 જુલાઈ, 2026)થી દેશભરના 7000 પેટ્રોલ પંપ પર નવા દર અમલમાં મૂક્યા છે. નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે અન્ય સરકારી ઓઇલ કંપનીઓ જેમ કે IOC, HPCL અને BPCLએ હાલ ફ્યુઅલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

રાજ્યો પ્રમાણે પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટ (VAT) અને અન્ય સ્થાનિક કર અલગ-અલગ હોવાથી દરેક રાજ્યમાં ગ્રાહકોને મળતી રાહતનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે.

સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર
નાયરા એનર્જી ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલ કંપની છે. છેલ્લાં બે વર્ષથી વધુ સમય પછી કોઈ પણ ઓઇલ કંપનીએ પ્રથમ વખત રિટેલ ફ્યુઅલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીના જણાવ્યાનુસાર પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેને કારણે ગ્રાહકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વના મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખૂલતાં ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો પુરવઠો સામાન્ય બન્યો છે. પરિણામે પુરવઠામાં અવરોધની આશંકા ઘટી અને વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવ પર દબાણ ઓછું થયું, જેનો લાભ હવે ગ્રાહકોને મળી રહ્યો છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ રાહત
જુલાઈની શરૂઆત એલપીજી ગ્રાહકો માટે પણ રાહતના સમાચાર લઈને આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 183.50 સુધીનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી હોટેલ, રેસ્ટોરાં, ઢાબા અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓને મોટો લાભ મળશે. જોકે 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેના દર અગાઉની જેમ યથાવત્ રાખવામાં આવ્યા છે.

પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી! ઉધના ગામ પાસે રોડ ધસી પડતા ST બસ ફસાઈ

સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ઉધના ગામ નજીક આવેલા મુખ્ય માર્ગનો એક ભાગ અચાનક ધસી પડતાં રસ્તા પર મોટો ભુવો પડ્યો હતો. ઘટનાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ST બસ રસ્તો બેસી જતાં ફસાઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુખ્ય માર્ગ પર પડેલા ભુવાને કારણે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

ગંભીર સવાલો ઊભા થયા
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું, છતાં પ્રથમ વરસાદમાં જ રસ્તો બેસી જતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોએ આક્ષેપ કર્યો કે માર્ગના નિર્માણ દરમિયાન ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી છે.

સ્થાનિકોએ કરી છે માગ
જોકે, આ ઘટનાએ ફરી એકવાર પ્રિ-મોન્સૂન તૈયારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સ્થાનિકોની માગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જામલિયા પાસે ધરમપુર-પાલનપુર ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત, પાંચ ઘાયલ

વાંસદા તાલુકાના જામલિયા વળાંક પાસે ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ સામેથી આવતી ટ્રક સાથે વરસાદ અથડાતા ટ્રકમાં સવાર ક્લીનર અને એસટી બસમાં સવાર અજાણ્યા મુસાફર અને ટ્રકના ક્લિનરના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ થી વધુ મુસાફરો ને ઓછો વતી ઈજાઓ થઈ હતી.

વાંસદા તાલુકાના જામલિયા વળાંક પાસે ધરમપુરથી પાલનપુર જતી ST બસ નં. GJ-18-ZT-3151 અને સોનગઢથી કપરાડા તરફ જતી ટ્રક નં. GJ-15-AV-7518 વરસાદને કારણે બસના પાછલા ભાગે અથડાતા બસના એક અજાણ્યા મુસાફરને ગંભીર ઈજાઓ થતાં વલસાડ રિફર કરાયો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકના ક્લીનર સોનગઢના વિજય ગામીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રક ચાલક શૈલેષ ગામીત સહિત પાંચને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી ‌ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

0

સગીરા પર બળાત્કાર કેસમાં આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું કે, આસારામને તાત્કાલિક જામીન આપી શકાય નહીં. તે પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સાંભળશે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નોટિસ જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “અમે હાલમાં આસારામને જામીન આપી શકતા નથી. પહેલા રાજસ્થાન સરકારનો પક્ષ સાંભળવો જોઈએ. આસારામ એક પ્રભાવશાળી પદ ધરાવે છે; જામીન અરજીની સુનાવણી કરતી વખતે આપણે આનો પણ વિચાર કરવો પડશે.”

સુપ્રીમ કોર્ટે આસારામની વિનંતી ફગાવી
આસારામની અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને શીલ નાગુની સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમની સજા સ્થગિત કરવાનો ઇનકાર કર્યો. બેન્ચે નિર્દેશ આપ્યો કે, અરજદારની તબીબી સેવાઓ જેલમાં ચાલુ રાખવામાં આવે. કોર્ટે કહ્યું કે, જો ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ હોય તો જ જામીન પર વિચાર કરવામાં આવશે.

સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કરીને જામીન માગ્યા
જસ્ટિસ સુંદરેશએ કહ્યું કે, “અમે સજા સ્થગિત કરવાનો વિચાર કરી રહ્યા નથી.” “જો કોઈ ગંભીર કટોકટી હોય, જેમ કે જીવને ખતરો હોય તો જ…શું અમે તેના પર વિચાર કરીશું.” તેમણે રાજ્યને આનો ઉકેલ લાવવા કહ્યું. રાજ્યના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે તેમને 2 જૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની તબિયત સારી છે.

આસારામનું પ્રતિનિધિત્વ કરતા દામા શેષાદ્રિ નાયડુએ જણાવ્યું હતું કે, તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે અને અનેક બીમારીઓથી પીડાય છે. નાયડુએ દાવો કર્યો હતો કે, અરજદાર “સોશિયલ મીડિયા ટ્રાયલ”નો ભોગ બન્યા છે. પીડિતાના વકીલે આ દલીલને નકારી કાઢી હતી, અને નિર્દેશ કર્યો હતો કે, આ કેસમાં સગીર પીડિતાઓ પણ સામેલ છે.

આસારામે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો
આસારામે 2013ના બળાત્કાર કેસમાં તેમને દોષિત ઠેરવવા અને આજીવન કેદની સજા ફટકારવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. તેમની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને, આસારામે વચગાળાની જામીનની પણ માંગ કરી છે.

હાઈકોર્ટે આજીવન કેદની સજાને આપ્યું સમર્થન
મે મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામને ગેંગરેપ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કેટલીક જોગવાઈઓમાંથી મુક્ત કર્યા હતા, જ્યારે તેમના સહ-આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે, બળાત્કાર કેસમાં તેમના ગુનાના નોંધપાત્ર પુરાવાઓને ટાંકીને, નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું.