Home Blog Page 386

રિલાયન્સ જિયો ડાઉન! આ શહેરોમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત

0

રિલાયન્સ જિયોના ગ્રાહકો કનેકિટવિટી સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા હોવાના અહેવાલ છે. વપરાશકર્તાઓ કોલ કરી શકતા નથી અને મોબાઇલ ઇન્ટરનેટની પણ સમસ્યાઓનો સામનો આસપાસ આઉટેજ શરૂ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, ગુજરાત, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોચી જેવા શહેરોમાં સેવા આઉટેજ એક કલાકમાં ઉકેલાઈ ગયો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિક્ષેપ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં 5G વપરાશકર્તાઓને અસર કરે છે.

આ એક મહિના કરતાં ઓછા સમયમાં Jio માટે ત્રીજી મોટી આઉટેજ છે. અગાઉ 16 જૂને કેરળ, 29 જૂને ગુજરાતમાં અને 1 જુલાઈએ મધ્યપ્રદેશમાં બ્લેકઆઉટ થયું હતું.

ડાઉનડિટેકટરના એક અહેવાલ મુજબ, આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ આઉટેજના કલાકોમાં 11,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. લગભગ 81% વપરાશકર્તાઓ મોબાઇલ સિગ્નલમાં સમસ્યા અનુભવી રહ્યા છે, જ્યારે 13% વપરાશકર્તાઓ મોબાઇલ ઇન્ટરનેટમાં સમસ્યા અનુભવી રહ્યા છે અને 6% વપરાશકર્તાઓ મોબાઇલ ફોનમાં સમસ્યા અનુભવી રહ્યા છે.

મોટા શહેરોમાં રિલાયન્સ જિયો વપરાશકર્તાઓ માટે બંધ
ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પણ આ આઉટેજની જાણ કરી. વપરાશકર્તાઓના અહેવાલ મુજબ, મુંબઈ, દિલ્હી, ગુજરાત, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોચીમાં રિલાયન્સ જિયોના વપરાશકર્તાઓને જિયો સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

“ગઈકાલે રાત્રે 8:15 વાગ્યાથી અચાનક જ Jio નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કલાકો સુધી નેટવર્ક કવરેજ નહોતું. તમે કૉલ પણ કરી શકતા નહોતા કે ટેકસ્ટ મેસેજ પણ મોકલી શકતા નહોતા,” X પર એક યુઝરે પોસ્ટ કરી.

“Jio બંધ છે! હમણાં જ ભારે આઉટેજ થયો – કોલ કરી શકાતો નથી, સિગ્નલ બિલકુલ નથી. સ્પાઇક બધું કહી રહ્યું છે,” બીજા યુઝરે પોસ્ટ કરી.

રિલાયન્સ જિયોએ હજુ સુધી સેવા આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

કેદારનાથ યાત્રા પર વિરામ: ભારે વરસાદથી સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રિકો ફસાયા

0

કેદારનાથ યાત્રા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં શ્રદ્ધાળુઓને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાં 7 અને 8 જુલાઈ, 2025 માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક થયું છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. જોકે, નદી હજુ ખતરાના નિશાનથી નીચે છે, પરંતુ વધતું પાણીનું સ્તર ચિંતાનો વિષય બન્યું છે. આ સ્થિતિ યાત્રીઓ અને સ્થાનિક લોકોઓ માટે જોખમ વધારે છે, કારણ કે નદીના કિનારે આવેલા રસ્તાઓ પણ પાણી અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે, જેનાથી ચાર ધામ યાત્રા પર નોંધપાત્ર અસર પડી છે. ગૌરીકુંડમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર ફસાયેલો કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેથી યાત્રા શક્ય તેટલી જલદી ફરી શરૂ થઈ શકે. આ પ્રક્રિયા દરમિયાન, શ્રદ્ધાળુઓને સલામત સ્થળોએ રાખવામાં આવ્યા છે.

બદ્રીનાથ હાઇવે બંધ
ચમોલી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમટ્ટામાં ટેકરી પરથી કાટમાળ પડવાથી બદ્રીનાથ હાઇવે બંધ છે, જ્યારે 66 KV પાવર લાઇનમાં ખામી સર્જાવાથી જ્યોતિર્મઠ વિસ્તારમાં ગઈકાલ રાતથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા બંધ કરવામાં આવી છે.

સોમવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર

0

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ છે. જેની અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છએ. આ વચ્ચે સોમવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના લેટેસ્ટ ભાવ જાહેર કર્યા છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશના કેટલાક મોટો શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ખાસ વધારો થયો નથી.

ઇરાનના એનર્જી ક્ષેત્રો પર ઇઝરાયલ દ્વારા હુમલો કરાતા ક્રૂડ ઓઇલમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેંટનો ભાવ 75 ડોલરની પાસે પહોંચ્યો છે. ઇરાની મીડિયા અનુસાર સપ્તાહના અંતમાં ઇઝરાયલી ડ્રોન દ્વારા ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો. જેનાથી બે પ્રાકૃતિક ગેસ પ્રોસેસિંગ યુનિટને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત તેહરાન નજીક મેઇન ઓઇલ ડેપોને નિશાન બનાવાયુ.

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.11 91.77
જામનગર 94.11 89.78
રાજકોટ 94.27 89.94
સુરત 94.37 90.06
વડોદરા 94.11 89.78

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ પણ છલકાયો છે. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 1.80 મીટર ખોલાયા છે. ડેમનું લેવલ 70.70 મીટરે પહોંચ્યું છે. ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 58044 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જેના કારણે નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે.

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના 6 ગામમાં ભારે વરસાદને કારણે ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઇ છે. સતત પાણીની આવકને કારણે ડેમના 10 દરવાજા બે મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જેને કારણે દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે.

નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વલસાડના 13 ગામ, દાદરાનગર હવેલીના 14 ગામ અને દમણના 10 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે રોડને પણ મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના પંચાયતના 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે.

અમેરિકાની રાજનીતિમાં ઉથલપાથલ: ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી ” અમેરિકા પાર્ટી ” ની જાહેરાત કરી દીધી છે. જ્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ટેસ્લાના વડાને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન ગણાવ્યા અને કહ્યું કે ત્રીજા પક્ષની જાહેરાત કરીને તે પાટા પરથી ઉતરી ગયા છે.

લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે
જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલ પસાર થયા બાદ ઇલોન મસ્કે જાહેરાત કરી હતી કે લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે. આ નિર્ણય અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ અંગે લોકોના અસંતોષ વચ્ચે આવ્યો છે.

અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા
ટ્રુથ સોશિયલ પર, ટ્રમ્પે લખ્યું, ” ઇલોન મસ્કને સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયેલા જોઈને દુઃખ થયું છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં તે ટ્રેન ભંગારમાં ફેરવાઈ ગઇ છે. તે ત્રીજો રાજકીય પક્ષ પણ શરૂ કરવા માંગે છે. અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા છે. એવું લાગે છે કે સિસ્ટમ તેના માટે રચાયેલ નથી. યુએસ રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ત્રીજો પક્ષ નાણાંનો વ્યપ અને અરાજકતા તરફ દોરી જાય છે અને વોશિંગ્ટનમાં કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ જેમણે પોતાનો આત્મવિશ્વાસ અને મન ગુમાવી દીધું છે તેમની સાથે ઘણું થઇ ચૂક્યું છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે મસ્ક નાખુશ છે કારણ કે બિલ ઇવી મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનો માટે ગ્રીન-એનર્જી ક્રેડિટ્સ સમાપ્ત થઈ ગઇ છે. તેમણે કહ્યું, બીજી બાજુ, રિપબ્લિકન એક સરળ ચાલતું ‘મશીન’ છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં તેના પ્રકારનું સૌથી મોટું બિલ પસાર કર્યું છે. આ એક મહાન બિલ છે. પરંતુ કમનસીબે ઇલોન માટે તે હાસ્યાસ્પદ ઇલેક્ટ્રિક વાહન મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી દરેકને ટૂંકા સમયમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ફરજ પડી હોત.

વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, આખી કોર્ટ ખાલી કરાવાઈ

ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બૉમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આજે (7 જુલાઇ) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને આજે વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઇમેલ મળતાં જ તેમણે સુરક્ષા એજન્સીને જાણ કરી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ભયનો માહોલ છવાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્ટમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

સુરતમાં દરવર્ષે રંઝાડતા ખાડીપૂર અને ઝિંગા તળાવની સમસ્યાનો ઉકેલ કેમ આવતો નથી? વારંવારના ઉધામા કેમ શાંત થઈ જાય છે?

  • ખાડીની સફાઈ, આધુનિકીકરણ સહિત વિવિધ બહાને કરોડોનું આંધણ કરવા છતાં મનપાના જાંબાઝ અધિકારીઓ, શાસકો પાસે કોઈ જ ઉકેલ નથી, કારણ…
  • ખાડીનું પુરાણ, ખાડીકાંઠે ગેરકાયદે બાંધકામો આ બધું કોની મહેરબાનીથી થાય છે? પૂર ટાણે વિરોધ કરવા નીકળી પડતા કહેવાતા લોકપ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામો તોડવામાં હંમેશાં ‘આડાપગ’ કરતા આવ્યા છે
  • સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સજ્જન છે, પરંતુ સક્ષમ નથી; તંત્ર પાસે કામ કરાવવામાં નિષ્ફળ રહ્યા
  • દરવર્ષે ચોમાસાના દિવસોમાં સેંકડો પરિવારોના ઘરમાં પૂરના પાણી ફરી વળે છે, વહીવટી તંત્ર સામે તાયફા કરાય છે, વિરોધ રેલી પણ નીકળે છે, પરંતુ પૂરના પાણી બંધ થતા નથી
  • વાતવાતમાં પક્ષના નેતૃત્વના નામે પોતાની નિષ્ફળતા ક્યાં સુધી ઢાંકી શકાશે, મળેલી બંધારણીય સત્તાનો ઉપયોગ કરતા આવડતું ના હોય તો અધિકારી પણ ક્યાંથી ગાંઠવાના? સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યા હતા, પરંતુ તંત્રને ખડેપગે રાખવામાં માહિર હતાં
  • ઝિંગા તળાવ સુરતની કાયમી સમસ્યા છે, તળાવો તોડી પાડવા માટે વર્ષોથી ઉધામા થતા આવે છે, પરંતુ કેટલાં તળાવ તૂટ્યાં? ઘણી વખત તો ઉધામા કરનારાઓ પણ ખોવાઈ જાય છે, કહેવાની જરૂર નથી કે ઉધામા કરનારા કેમ ચૂપ થઈ જાય છે

લગભગ દરવર્ષે સુરતના ખાડી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી ‍વળે છે, પરંતુ આજ પર્યંત ખાડીપૂરની સમસ્યા દૂર કરવામાં મહાપાલિકા અને સિંચાઈ વિભાગ સતત નિષ્ફળ રહેતાં આવ્યાં છે. પ્રતિવર્ષ ખાડીની સફાઈ, બાંધકામ, બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. હવે આ કરોડો રૂપિયા ખરેખર ખાડીની સફાઈ અને આધુનિકીકરણ માટે ખર્ચ કરવામાં આવે છે તો પછી દરવર્ષે ખાડીના પૂર કેમ ફરી વળે છે? મતલબ ખાડી સફાઈના નામે નર્યું ‘તૂત’ ચલાવવામાં આવે છે. વળી શાસકો અને ચૂંટાયેલા પ્રતિનિધિ‌ઓ દરવર્ષે ખાડીકાંઠાના વિસ્તારોનું ઉપરાણું લઈને મહાપાલિકા અને કલેક્ટરની સંકલન બેઠકમાં ઉધામા મચાવીને પોતે લોકોના ઉદ્ધારક હોવાની અને ‘હીરો’ બનવાની કોશિશ કરે છે.

આ લોકોને ચોક્કસ ખાતરી હોય છે કે, ચોમાસાના દિવસો પૂરા થઈ જતા બધું જ ભુલાઈ જશે અને ખાડીકાંઠાના ગેરકાયદે બાંધકામો તૂટતાં રોકવા ફરી આ કહેવાતા લોક પ્રતિનિધિઓ જ આડા ઊભા રહી જાય છે. મતલબ ખાડીના પૂરની સમસ્યા માટે બીજું કોઈ નહીં. ખાડીકાંઠે દબાણ અને બાંધકામ કરનારા લોકો અને ખુદ નગરસેવકો જ જવાબદાર છે.

સુરત દરિયાકાંઠાનું શહેર હોવાથી દરિયાને મળતા નદી, નાળા અને ખાડીના પાણી સુરત શહેરની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યાં છે. અલબત્ત આ કુદરતી વહેણને ડાયવર્ટ કરવા કે નિયંત્રણમાં રાખવાનું કામ કપરું નથી, પરંતુ શાસકોની દાનત નથી. ખાડીકિનારે વસતા લોકો શિયાળો, ઉનાળાના દિવસોમાં કુદરતી વહેણને અવરોધતાં બાંધકામો કરે છે અને આવા બાંધકામો રોકવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે જે તે વિસ્તારના પ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામ કરનારાઓનું ઉપરાણું લઈને અધિકારીઓને દબડાવતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ચોમાસાનો વરસાદ પડતા ખાડીપૂરની પીડા આકાર પામે છે. ત્યારે ગેરકાયદે બાંધકામો અને દબાણો કરનારાઓ ભૂલી જવાય છે.

આ ઘટનાઓથી શાસકો કે વહીવટી અધિકારીઓ અંધારામાં નથી, પરંતુ ખાડીની સફાઈ અંગે ગંભીર નથી. સ્વચ્છતામાં નંબર વન ગણાતા સુરતની વરસાદી ગટર લાઈનોમાં બારેમાસ ગંદા પાણીનો ધોધ વહેતો રહે છે. આ કોના કારણે અને કોની બેદરકારીને કારણે થઈ રહ્યું છે? લાંબું વિચારવાની જરૂર નથી. થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં એક-બે વર્ષનો બાળક ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે ગટરમાં પડી ગયો અને માસૂમ બાળકનાં મોતની અત્યંત ગંભીર ઘટના પછી પણ દેશમાં સ્વચ્છ ગણાતા સુરત શહેરના શાસકોનું રૂવાડું ફરક્યું નથી. બાળકની શોધખોળના અંતે લાશ મળી. પરંતુ સાથે-સાથે એ પણ બહાર આવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ઘરના મળ, મૂત્ર અને ગંદા પાણીની લાઈનોનું મેલું વહેતું હતું!પરંતુ થોડા દિવસના કકળાટના અંતે આખો મામલો ભુલાઈ ગયો અને માત્ર અમરોલી નહીં, શહેરભરની વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે.

સુરતના કમનસીબે એક નિષ્ફળ કહી શકાય એવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. સુરતને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ભૂતપૂર્વ IAS અધિકારીઓએ દિવસ-રાત એક કર્યા હતા અને હવે મેડમ ક્રેડિટ લઈ રહ્યાં છે. સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યાં હતાં, પરંતુ આખું શહેર તેમના પગ નીચે રહેતું હતું. શહેરના કોઈપણ ખૂણામાં કોઈક ઘટના આકાર પામે એટલે ગણતરીની મિનિટોમાં મેડમના કાન સુધી વાત પહોંચી જતી હતી. એ સમયે પણ રાજકીય જૂથબંધી હતી, પરંતુ શહેરનો વિકાસ અને છેવાડા માણસની સમસ્યાઓનો તાકીદે ઉકેલ આવી જતો હતો. પરંતુ સુરત મહાપાલિકાની વર્તમાન હાલત ‘લંગડા ઘોડા’ જેવી છે. દોડતો નથી અને તંત્રને દોડવા પણ દેતો નથી!

સદ્‍નસીબ કહો કે કમનસીબ, વર્તમાન શાસકોના અંતિમ પડાવમાં મેયર દક્ષેશ માવાણી અને સ્ટે‌િન્ડંગ ચેરમેન રાજન પટેલ બંને તરવરિયા યુવાનો છે, પરંતુ વહીવટી તંત્ર પાસે કામ કરાવવામાં સરિયામ નિષ્ફળ રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય. એવું કહેવામાં આવે છે કે, આ બંને શોભાના ગાંઠિયા જેવા છે અને પોતાની નિષ્ફળતા ઢાંકવા ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલને બદનામ કરવામાં આવે છે.

કોઈ નીતિવિષયક નિર્ણય લેવાનો હોય ત્યારે સ્વાભાવિક પક્ષના શીર્ષ નેતૃત્વને પૂછવાનું હોય! આ રાજકીય પક્ષોની પ્રણાલી છે, પરંતુ રોડ-રસ્તા રિપેર કરવાના, ગંદકીની સમસ્યા દૂર કરવા કે મહાપાલિકાની રોજબરોજની કામગીરીનો અમલ કરાવવા માટે ભાજપ અધ્યક્ષને પૂછવાની જરૂર નથી, પરંતુ તંત્રની અને પોતાની નિષ્ફળતાનો દોષ સી.આર. પા‌િટલના માથે ઢોળવામાં આવે છે અને ચિત્ર એવું ઊભું કરવામાં આવે છે કે, સુરત મહાપાલિકાની રોજબરોજની કામગીરીમાં પણ પક્ષના નેતૃત્વની ઇચ્છા વગર કંઈપણ થતું નથી.અલબત્ત, આ હળાહળ જુઠ્ઠાણું છે. સુરત મહાપાલિકામાં એવા પણ ઘણા કામો ચાલતાં રહે છે, જેની પક્ષના નેતૃત્વને જાણ સુધ્ધાં હોતી નથી.

ખેર, મૂળ વાત ઉપર આવીએ તો પાછલા ત્રણ વર્ષ દરમિયાન શહેરમાંથી પસાર થતી ખાડીઓની પાણીની વહનક્ષમતા વધારવા પાછળ લગભગ છ કરોડનો ખર્ચ કરાયો હતો! હવે આ છ કરોડ કઈ કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવ્યા તેનો કાગળ ઉપર ચોક્કસ હિસાબ હશે. પરંતુ સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો છ કરોડના ખર્ચના આંકડા સાથે મેળ નહીં બેસે. પરંતુ મહાપાલિકાની તિજોરીમાંથી છ કરોડનો ખર્ચ કરાયો છે એ હકીકત છે અને છતાં ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એ પણ નજર સામેની હકીકત છે! તંત્રની ખરેખર દાનત હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગેરકાયદે બાંધકામો તૂટતા રોકવા કે ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે તો ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ચપટી વગાડવા જેવું છે. પરંતુ સુરતના કમનસીબે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દાનત નથી.ખાડી જેવી જ સમસ્યા ઝિંગા તળાવની છે. બધા જ જાણે છે કે ઝિંગા તળાવને કારણે પાણીના કુદરતી વહેણ અવરોધાય છે અને પૂરની સમસ્યા વર્ષોવર્ષ પેદા થાય છે, પરંતુ એકપણ શાસક ઝિંગા તળાવોનાં બાંધકામો તોડવામાં સફળ રહ્યો નથી. એવું કહેવાય છે કે, ઝિંગા તળાવ કરોડોનો ધંધો છે અને જ્યાં ‘ધંધા’ની વાત આવે ત્યાં શાસકોના હાથ હેઠા પડવાના જ.

થોડા દિવસ પહેલા ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પા‌િટલે પાણીના વહેણને અવરોધતા ઝિંગા તળાવો તોડી પાડવાનો આદેશ કર્યો હતો, પરંતુ પરિણામ શું આવ્યું? કેટલા ઝિંગા તળાવ તોડી પાડવામાં આવ્યા?વળી તંત્ર દ્વારા મહાપાલિકા પાસે તળાવો તોડી પાડવા સાધન સહાય માંગીને નવો ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો. બસ આવું જ ચાલ્યા કરશે અને ચોમાસુ પતી જતાની સાથે જ ખાડીપૂર સહિતનો આખો મામલો ભુલાઈ જશે અને સ્વાભાવિક તંત્રના વાહકો પણ આવું જ ઇચ્છતા હશે. સુરત માટે ખાડીપૂર જેટલા જોખમી છે એટલાં જ ઝિંગા તળાવ પણ જોખમી છે. એરપોર્ટ ઉપર ઝિંગા તળાવને કારણે જ ‘બર્ડ હીટ’ એટલે કે વિમાન સાથે પક્ષી અથડાવાનું જોખમ રહેલુ છે પરંતુ આ સમસ્યાની કોને અને શા માટે પડી હોય! દરવર્ષે ચોમાસુ આવવાનું જ, સંકલન બેઠકો મળવાની, અધિકારીઓ સામે ‘તડાફડી’ના ડ્રામા થવાના, પરંતુ વર્ષોનો અનુભવ કહે છે કે સરવાળે ‘પીડા’નો કોઈ જ ઉકેલ આવવાનો નથી.

ટેક્સાસમાં પૂર: સમર કેમ્પમાંથી ઓછામાં ઓછા 24 લોકોના મોત, 20 થી વધુ છોકરીઓ ગુમ

ટેક્સાસ હિલ કન્ટ્રીમાં રાતોરાત ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું, જેમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ગુમ થયા, જેમાં સમર કેમ્પની 20 થી વધુ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. કલાકોમાં 10 ઇંચ (25 સે.મી.) થી વધુ વરસાદ પડ્યા પછી મધ્ય કેર કાઉન્ટીમાં આવેલા પૂરને કારણે ગુઆડાલુપ નદી હિંસક રીતે છલકાઈ ગઈ.

કેર કાઉન્ટી શેરિફ લેરી લીથાએ શુક્રવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે “લગભગ 24” લોકો મૃત્યુ પામ્યા છે. બચાવકર્તાઓએ અત્યાર સુધીમાં 237 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે, જેમાંથી 167 હેલિકોપ્ટર દ્વારા છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

ગુમ થયેલા લોકોમાં કેમ્પ મિસ્ટિકની 20 થી વધુ છોકરીઓનો સમાવેશ થાય છે, જ્યાં લગભગ 750 લોકો હાજર હતા. ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે પુષ્ટિ આપી કે શુક્રવારે બપોર સુધીમાં છ થી 10 મૃતદેહો મળી આવ્યા છે. “કેટલાક પુખ્ત વયના છે, તો કેટલાક બાળકો છે,” તેમણે કહ્યું. કેમ્પર્સના પરિવારો પુનઃમિલન કેન્દ્રો પર એકઠા થયા હતા, ઘણા લોકો અધિકારીઓ તરફથી સંદેશની રાહ જોતા આંસુમાં હતા.

750 બાળકોમાંથી 23 છોકરીઓ ગુમ

હંટ ખાતે આવેલો કેમ્પ મિસ્ટિક, એક ખાનગી ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ, આ પૂરની ઝપેટમાં આવ્યો. સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે 750 બાળકોમાંથી 23 છોકરીઓ ગુમ છે, અને તેમની શોધ માટે બચાવકર્મીઓ કામે લાગ્યા છે. કેમ્પે માતાપિતાને જાણ કરી કે, જે બાળકો સુરક્ષિત છે તેમના પરિવારોને સૂચિત કરાયા છે, પરંતુ વીજળી અને રસ્તાઓ ખોરવાતા બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ ગુરુવારે ફ્લેશ ફ્લડ ચેતવણી જારી કરી હતી, પરંતુ વરસાદની તીવ્રતા અણધારી હતી. ગવર્નર ગ્રેગ એબોટે તમામ ઉપલબ્ધ સંસાધનો બચાવ માટે ફાળવ્યા છે.

ગુજરાતના સુરત સહિત 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

0

ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર અને રવિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ગુજરાતના 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે રાજકોટ, બોટાદ, આણંદ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પણ નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

આજથી ચાર દિવસ ક્યા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

  • 5 જુલાઈ 2025 – બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા
  • 6 જુલાઈ 2025 – સાબરકાંઠા, સુરત અને અરવલ્લી
  • 7 જુલાઈ 2025 – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હેવીલ
  • 8 જુલાઈ 2025 – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ

ભારતના ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ભારત માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ 2025 ના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સંયુક્ત રીતે દાખલ કરાયેલ પ્રત્યાર્પણ વિનંતીના આધારે કરવામાં આવી છે.

નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ
નેહલ મોદી પર આરોપ છે કે પીએનબી કૌભાંડમાં તેણે પોતાના ભાઈ નીરવ મોદીની મદદથી કૌભાંડમાં કમાયેલા હજારો કરોડ બ્લેક મનીને વ્હાઈટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. નેહલ મોદીએ કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં અને તેને શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા વ્હાઈટ કરવામાં નીરવ મોદીને મદદ કરી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કરવામાં આવી ધરપકડ
અમેરિકી ન્યાય વિભાગે પુષ્ટિ કરી છે કે નેહલ મોદીની ધરપકડ ભારત સરકારના આગ્રહ પર કરવામાં આવી છે. નેહલ મોદી પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો આરોપ છે એટલે કે તેણે ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને વિવિધ માધ્યમો દ્વારા કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો. આથી ભારતીય દંડ સંહિતાની કલમ 120-B અને 201 હેઠળ ગુનાહિત કાવતરું અને પુરાવાઓનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ભારતની તપાસ એજન્સીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું
નીરવ મોદી પોતે હાલમાં બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસની આગામી સુનાવણી 17 જુલાઈ, 2025 ના રોજ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટેટસ રિવ્યૂ થશે. આ સુનાવણી દરમિયાન નેહલ મોદી જામીન માટે પણ અરજી કરી શકે છે. આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.