Home Blog Page 365

સુરતમાં ઇન્ડસ્ટ્રીઝ સંચાલક દ્વારા ગેરકાયદેસર ગેસ જોડાણથી 43.80 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

સુરત શહેરના ભાઠેના-આંજણા વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે ગેસનું જોડાણ લઈને કરોડોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ઉદ્યોગના સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી છે. તેમની સામે રૂ. 43.80 લાખની ગેસ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, વિશાલ મહેશકુમાર પટેલ ભાઠેના-આંજણામાં આવેલી ધન લક્ષ્‍મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 10 પર તપેલા ડાઇંગનો વ્યવસાય ચલાવે છે. 2007માં તેમણે કાયદેસર કોમર્શિયલ ગેસ કનેક્શન લીધું હતું, પરંતુ 2022માં ગેસ ચોરી પકડાતાં કંપનીએ તેમનું કનેક્શન કાપી નાખ્યું હતું.

જોકે, કનેક્શન કપાઈ ગયા બાદ પણ વિશાલે ગુપ્ત રીતે ચોરી ચાલુ રાખી હતી. તેમણે કંપનીની જાણ બહાર જ મુખ્ય ગેસ લાઈન કાપીને તેમાં ‘T’ લગાવીને બારોબાર સપ્લાઈ મેળવવાનું શરૂ કરી દીધું હતું. આ ગેરકાયદેસર જોડાણથી તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવતા હતા. કંપની દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ મોટો ભાંડો ફૂટ્યો હતો.

કંપનીના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જીવંત લાઈનમાં કાપ મૂકીને જોડાણ કરવું અત્યંત જોખમી છે અને તે કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. આ રીતે ચોક્કસાઈપૂર્વક જોડાણ કરવા પાછળ ગેસ લાઈનના કોઈ જાણકાર કર્મચારીની મદદ હોઈ શકે છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

આગામી સાત દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગનું એલર્ટ

0

ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 13 ઓગસ્ટથી રોજ ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓ વધી શકે છે.

13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો તબક્કો શરૂ થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના 44 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશના 44 જિલ્લાઓમાં 13 અને 14 ઓગસ્ટના રોજ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ યુપીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના વરસાદને વધુ તીવ્ર બનાવી શકે છે.

ભારે વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પંજાબ, સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તેલંગાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડી શકે છે.

ઇટાલી: લેમ્પેડુસા દરિયાકાંઠે નૌકાદુર્ઘટના, 26 સ્થળાંતરકારોના કરુણ મોત, અનેક લાપતા

ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આ ઘટના અંગે માહિતી આપી હતી.

60 સ્થળાંતર કરનારાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા 60 લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. લિબિયાથી નીકળતી વખતે હોડીમાં 92 થી 97 લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક 26 છે, પરંતુ આ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે. અત્યારે બચાવકાર્ય ચાલી રહ્યું છે.બે બોટમાં 95 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું.

આ દુર્ઘટનામાં જેટલા લોકોનો જીવ બચી ગયો છે તેમના નિવેદનો લેનામાં આવ્યાં છે. આ નિવેદનોના આધારે જાણવા મળ્યું છે કે, બે બોટમાં 95 લોકો સવાર હતા અને તે લીબિયાથી નીકળ્યાં હતા. જ્યારે બેમાંથી એક બોટમાં પાણી ભરવાનું શરૂ થયું, ત્યારે બધા મુસાફરોને બીજી બોટમાં ખસેડવામાં આવ્યા જે ફાઇબરગ્લાસથી બનેલી હતી અને તે વધુ વજનને કારણે પલટી ગઈ હતી. જેથી 26 લોકોનું અકાળે મોત થયું છે.

DRDO ગેસ્ટ હાઉસ મેનેજર નીકળ્યો પાકિસ્તાની જાસૂસ, ISIએ ગુપ્ત માહિતી લીક કરવા બદલ કરી ધરપકડ

0

દેશની મહત્વપૂર્ણ સંરક્ષણ સંસ્થાઓમાંની એક, DRDOના ગેસ્ટ હાઉસ મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ નજીક DRDOમાં કોન્ટ્રાક્ટ પર ગેસ્ટ હાઉસ મેનેજર તરીકે તૈનાત હતા. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ પર દેશની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે.

15 ઓગસ્ટ અંગે સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયપુરના પોલીસ મહાનિરીક્ષક CID (સુરક્ષા) ડૉ. વિષ્ણુકાંતે જણાવ્યું હતું કે, આગામી રાજ્ય સ્તરના સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ રાજ્યમાં વિદેશી એજન્ટો દ્વારા કરવામાં આવતી રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે.

આરોપી કોને ગુપ્ત માહિતી આપી રહ્યો હતો?

આ દેખરેખ દરમિયાન એવું જાણવા મળ્યું કે DRDO ગેસ્ટ હાઉસ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ જેસલમેરમાં કોન્ટ્રાક્ટ મેનેજર તરીકે કામ કરતો ઉત્તરાખંડના અલ્મોડાના પલ્યુનનો રહેવાસી મહેન્દ્ર પ્રસાદ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે અને પાકિસ્તાની હેન્ડલર્સને મિસાઇલ અને અન્ય શસ્ત્રોનું પરીક્ષણ કરવા માટે ફાયરિંગ રેન્જમાં આવતા DRDO વૈજ્ઞાનિકો અને ભારતીય સૈન્ય અધિકારીઓની હિલચાલ સંબંધિત ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો છે.

CID ઇન્ટેલિજન્સ, રાજસ્થાન દ્વારા ધરપકડ

આ પછી જયપુરમાં વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મહેન્દ્ર પ્રસાદની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી હતી. તેના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે તે DRDO અને ભારતીય સૈન્ય સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની હેન્ડલરોને પૂરી પાડી રહ્યો હતો. આ અંગે 12 ઓગસ્ટના રોજ મહેન્દ્ર પ્રસાદ, પુત્ર ચનિરામ, ઉંમર 32 વર્ષ વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને CID ઇન્ટેલિજન્સ, રાજસ્થાન દ્વારા જાસૂસીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

ટેકનિકલ ખામી સર્જાતા એર ઇન્ડિયાની ભુજ-મુંબઇ ફ્લાઇટ રદ કરાઈ

અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અનેક વખત ટેકનિકલ કારણોને કારણે આ કંપનીની ફ્લાઈટો રદ કરવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. કચ્છમાં ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ કારણોને કારણે રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતાં.

ટેકનિકલ ખામી હતી તો મુસાફરોનો જીવ કેમ જોખમમાં મૂક્યો?

અંતરંગ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, 13મી ઓગસ્ટ, બુધવારે સવારે એર ઇન્ડિયાનું વિમાન ભુજ મોડું પહોંચ્યું હતું. જેના કારણોમાં એમ જાણવા મળ્યું હતું કે, આ વિમાનમાં તકનીકી ખામી હતી. કેટલાકે એવા સવાલ ઉઠાવ્યા હતા કે, ટેકનિકલ કારણોસર જો મોડું પ્લેન આવ્યું હોય તો શા માટે મુંબઇથી ઉડાન ભરાવી હતી. મુસાફરોનો જીવ શા માટે જોખમમાં મૂકાયો.

ભુજથી ફ્લાઇટ કેન્સલ કરાઇ: મુસાફરો મુશ્કેલીમાં

દરમિયાન, સવારે 8.30 બદલે 9.30 વાગ્યે ભુજ પહોંચ્યા બાદ આ વિમાન મુંબઇ જવા માટે કેન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી. વિમાનની રાહ જોઇ બેઠેલા 182 મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો તકનિકી કારણોસર કેન્સલ કરવામાં આવ્યું હોય તો હવે મુંબઇ સુધીની મુસાફરી કેવી રીતે કરવી એ સવાલ સામે આવ્યા હતા. મોંઘા ભાડા ખર્ચીને રાજકોટ સહિતના સેન્ટર સુધી જવાનો કેટલાક મુસાફરોને વારો આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.

જન્માષ્ટમીના તહેવાર પર GSRTC નો મોટો નિર્ણય, 1200 એક્સ્ટ્રા બસો દોડાવાશે

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, જન્માષ્ટમી તહેવાર માટે કુલ 1,200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

આ વધારાની બસો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા વિભાગોમાં દોડાવવામાં આવશે. ખાસ કરીને, જન્માષ્ટમીના તહેવાર માટે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જતાં મુસાફરો માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તેમજ દાહોદ, ગોધરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જવા માટે પણ વધારાની બસો ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આ રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન 6,000 થી વધુ ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેનો લાભ 3.15 લાખથી વધુ મુસાફરોએ લીધો હતો. આ વર્ષે પણ GSRTC એ વધુ મુસાફરોને સુવિધા આપવા માટે આયોજન કર્યું છે.

સ્પેનના ટાપુ ઇબિઝા પાસે સુપર યાટમાં ભયંકર આગ, કાબુ બહાર જઈ સમુદ્રમાં સમાઈ ગઈ

સ્પેનના પ્રખ્યાત ટાપુ ઇબિઝા નજીક એક વિશાળ અને મોંઘી યાટ (સુપર યાટ) માં આગ લાગી. આગ એટલી ભયંકર હતી કે તેને કાબુમાં લઈ શકાયો નહીં અને અંતે તે સમુદ્રમાં ડૂબી ગઈ.સ્પેનની બચાવ ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા હૃદયદ્રાવક વીડિયોમાં, આ યાટ આગની જ્વાળાઓમાં લપેટાયેલી જોવા મળે છે. ઘેરા ભૂરા ધુમાડાનો એક વિશાળ વાદળ આકાશમાં ઉછળતો જોવા મળે છે.

સ્પેનની દરિયાઈ બચાવ એજન્સી, સાલ્વામેન્ટો મારિટીમોએ જણાવ્યું હતું કે યાટ પરના તમામ સાત ક્રૂ સભ્યોને “સુરક્ષિત” રીતે બચાવી લેવામાં આવ્યા હતા. દા વિન્સી નામની આ યાટ, જ્યારે અકસ્માત થયો ત્યારે ઇબિઝા નજીક એક નાના ટાપુ, ફોર્મેંટેરાથી 7.3 માઇલ (લગભગ 11.7 કિલોમીટર) દૂર હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં એજન્સીએ જણાવ્યું હતું કે: “CCS પાલ્માએ બચાવ જહાજો ગાર્ડામર કોન્સેપ્સિયન એરેનલ અને સાલ્વામર નાઓસને ઘટનાસ્થળે મોકલ્યા હતા, જેમાં અગ્નિશામકોને પણ લઈ જવામાં આવ્યા હતા. નાઓસ જહાજ દ્વારા સાત ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવી શકાયો ન હતો અને આખરે યાટ ડૂબી ગઈ હતી. ગાર્ડામર જહાજ હજુ પણ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારમાં કાટમાળ સાફ કરી રહ્યું છે.”

રાજસ્થાન: દૌસામાં ભક્તોને લઈ જતું પિકઅપ વાહન ટ્રક સાથે અથડાઈ, 11 લોકોના મોત

0

રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. ખાટુ શ્યામજી અને સાલાસર બાલાજીના દર્શન કરીને પોતાના વતન ઉત્તર પ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કુલ 11 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 7 માસૂમ બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમાંથી અનેક લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.પિકઅપ ગાડીના ફુરચા ઉડી ગયા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ ચીસો સંભળાવા લાગી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ગાડીના સંપૂર્ણપણે ફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી અને રાહત તથા બચાવ કામગીરીમાં પોલીસને મદદ કરી હતી. પિકઅપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

પોલીસે જણાવ્યું છે કે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.. હાલ અકસ્માત કયા કારણોસર થયો અને ભૂલ કોની હતી, તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને દુર્ઘટનાનો ભોગ બનેલા ઈજાગ્રસ્તોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

કાળા જાદુથી પરિણીતાને વશમાં રાખી ભુવા દ્વારા અવારનવાર દુષ્કર્મ

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મૂળ બોટાદની 25 વર્ષની પરિણીતા ઉપર કાળો જાદુ કરી તેને વશમાં રાખી છેલ્લા દોઢ વર્ષથી બોટાદના ચિરોડામાં મઢ ધરાવતા ભુવાએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.છેલ્લા પાંચ દિવસથી પરિણીતા ભુવા પાસે હોય તેના પતિએ અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે 52 વર્ષના ભુવાને વિધિ માટે બોલાવી વશમાં કર્યા બાદ પરિણીતાને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આથી અડાજણ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદની વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંતાન સુખ નહીં મળતા અને પિતૃદોષ પણ હોય તેની વિધિ માટે પરિણીતા પતિ સાથે ગત જાન્યુઆરી 2024 માં બોટાદ ગઢડાના ચિરોડામાં મઢ ધરાવતા અને પોતાને હનુમાન ભક્ત ગણાવતા ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીને ત્યાં ગઈ હતી. ગંગારામે વિધિ શરૂ કરી હતી.પણ સાથે તેણે કાળો જાદુ કરી પરિણીતાને વશમાં રાખવાનું પણ શરૂ કર્યું હતું. બાદમાં પરિણીતાને તે એકલો બોલાવતો હતો અને વિધિના બહાને તેની સાથે છૂટછાટ લેવા લાગ્યો હતો. બે અઠવાડીયા અગાઉ પરિણીતા વિધિ માટે ચિરોડા રોકાઈ હતી ત્યારે ગંગારામે દુષ્કર્મ આચરી બાદમાં ગત ત્રીજી અને પાંચમીએ ફરી દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા પાંચ દિવસથી ચિરોડા રોકાયેલી પરિણીતા પરત નહીં આવતા તેના પતિએ અડાજણ પોલીસને જાણ કરી હતી. અડાજણ પોલીસે ભુવા ગંગારામને સુરત બોલાવવા માટે છટકું ગોઠવ્યું હતું અને વિધિના બહાને તેને સુરત બોલાવ્યો ત્યારે તે પરિણીતાને સાથે લઈને આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લીધો ત્યારે પણ પરિણીતા તેના કાળા જાદુના વશમાં હતી.પોલીસે ભુવા પાસે કાળો જાદુ દૂર કરાવી પરિણીતાને પૂછતાં તેણે તમામ હકીકત જણાવી હતી. એટલું જ નહીં તેઓ સુરત આવતા હતા ત્યારે પણ ભુવા ગંગારામે લકઝરી બસમાં રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું.અડાજણ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભુવા ગંગારામ વિરુદ્ધ દુષ્કર્મ અને નવા ગુજરાત માનવ બલિદાન નિવારણ અને નાબુદી અને અન્ય અમાનવિય દુષ્ટ અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ અધિનિયમ-2024ની શેડ્યુલ-2 ની કલમ-3 (બી) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.52 વર્ષીય ગંગારામ બે સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત: મોટા વરાછામાં વેપારીના ફ્લેટ પર કબ્જો જમાવનાર ભાડુઆત સામે ગુનો નોંધાયો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મોટા વરાછા અબ્રામા રોડ પર ફ્લેટ આવેલો છે. જે ફ્લેટ તેઓએ ભાડે આપ્યો છે. જોકે વેપારીએ પોતાનો ફ્લેટ ખાલી કરવા માટે જણાવતા યુવકે ફ્લેટ ખાલી નહીં કરી મારા ઘરે આવશો તો તમને છેડતી ના ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો.

જેથી આખરે ભોગ બનનાર વેપારીએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગેરકાયદેસર કબજાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભક્તિ નંદન ચોક પાસે સ્કાય લાઈન પર્લ ખાતે રહેતા હિતેશભાઈ પોપટભાઈ પાઘડાર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક પાસે યમુના પેલેસમાં બી 105 નંબરનો ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ તેઓએ હિરેનભાઈ અમરશીભાઈ અસલાલીયા (મૂળ ગામ ચમાડી, તાલુકો બાબરા, જીલ્લો અમરેલી)ને ભાડેથી આપ્યો છે. જોકે ત્યારબાદ હિતેશભાઈએ ઓક્ટોબર 2022 માં હિરેન અસલાલીયાને ફ્લેટ ખાલી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ જે તે સમયે હિરેનભાઈએ અમારી પાસે હાલ મકાનની સગવડ ન હોવાથી અમોને બે ત્રણ મહિના રહેવા દો અને ત્યાં સુધી સગવડ કરી લઈશું અને જ્યાં સુધી રહીશું ત્યાં સુધીનું ભાડું પણ ભરી દઈશું તેવી ખાતરી આપી હતી. પરંતુ ઓક્ટોબર 2022 થી ભાડું પણ નહીં ભરી અને ફ્લેટ પર પણ ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ હિતેશભાઈ ફરીથી તેમના મકાન ખાલી કરવા માટે જણાવતા હિરેને હવે પછી મારા ઘરે આવશો તો તમને છેડતી ના ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. જેથી આખરે ભોગ બનનાર હિતેશભાઈએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફ્લેટ પર ગેરકાયદે કબ્જાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.