Home Blog Page 356

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાને કારણે 60 લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF) અને અર્ધસૈનિક દળો બચાવ કાર્યમાં લાગેલા છે. અત્યાર સુધીમાં 167 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

કેવી રીતે બની ઘટના

આ ઘટના કિશ્તવાડથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા ચશોટી ગામના મચૈલ માતા મંદિર પાસે બની હતી. આ મંદિર આશરે 9000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે આઠ કિલોમીટર પગપાળા ચઢાણ કરવું પડે છે. દુર્ઘટના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં તંબુઓમાં રોકાયા હતા. અચાનક વાદળ ફાટવાથી ભયંકર પૂર આવ્યું અને લોકો કંઈ સમજે તે પહેલાં જ લોકો તણાઈ ગયા.

અધિકારીઓએ જણાવ્યું કે સેનાએ પણ શોધ અને બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે વધારાની ટુકડીઓ તૈનાત કરી છે. નેશનલ રાઈફલ્સના જવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે. કુલ 300 જવાનો, જેમાં 60-60 જવાનોની પાંચ ટુકડીઓ, વ્હાઇટ નાઇટ કોરની મેડિકલ ટુકડીઓ સાથે, પોલીસ, SDRF અને અન્ય નાગરિક એજન્સીઓ સાથે મળીને લોકોને બચાવવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.

200થી વધુ લોકો હજુ પણ ગુમ

જોકે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓમાં અવરોધ આવ્યો છે, જેના કારણે ટીમો ઉધમપુરથી માર્ગ દ્વારા આવી છે. વાદળ ફાટવાને કારણે પુલ અને રસ્તાઓને પણ વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે બચાવકર્મીઓને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. હજુ પણ હજારો લોકો મચૈલ ગામમાં ફસાયેલા હોવાની માહિતી છે અને ગુમ થયેલા લોકોની શોધ માટે ઓપરેશન શરૂ કરવામાં આવશે. કેટલાક અહેવાલો મુજબ 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

બેંગલુરુમાં ભીષણ સિલિન્ડર બ્લાસ્ટ, ધડાકામાં 1નો મોત, 12 ઘાયલ, અનેક ઈમારતોને ભારે નુકસાન

0

બેંગલુરુના ચિન્નૈયનપલ્યા, વિલ્સન ગાર્ડન વિસ્તારમાં શુક્રવાર સવારે થયેલા ભીષણ સિલિન્ડર વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો. ઘટનામાં એક માસૂમનું મોત થયું છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે અસરગ્રસ્ત મકાનની પહેલી માળની છત અને દિવાલો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ. સાથે જ આસપાસના ત્રણથી વધુ ઘરોને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે.

વિસ્ફોટથી મચ્યો હડકંપ

આ અકસ્માત શુક્રવાર સવારે અંદાજે 8:25 વાગ્યે બન્યો. અડુગોડી પોલીસ સ્ટેશનના હદમાં આવતાં ચિન્નૈયનપલ્યા વિસ્તારમાંથી કન્ટ્રોલ રૂમને સિલિન્ડર વિસ્ફોટની જાણકારી મળી. જાણકારી મળતાં જ માત્ર એક મિનિટમાં, 8:26 વાગ્યે, બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે માટે રવાના થઈ ગયા. પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગની પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત થઈ છે કે ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાના કારણે આ વિસ્ફોટ થયો. વિસ્ફોટ થતા જ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો ઘરોમાંથી બહાર દોડ્યા અને આસપાસના મકાનોના કાચ તૂટી ગયા.

માસૂમનું મોત, અનેકની હાલત ગંભીર

વિસ્ફોટમાં મૃત્યુ પામેલા માસૂમની ઓળખ મુબારક (ઉંમર 8 વર્ષ) તરીકે થઈ છે. ઘાયલ થયેલા 12 લોકોનેમાંથી સાતની હાલત ગંભીર છે અને તેમને નજીકના હોસ્પિટલો ખાતે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સ્રોતોના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી અનેકને ગંભીર દાઝ અને હાડકાં તૂટી જવાની ઈજાઓ થઈ છે.

મકાનના મલબામાં ફસાયા લોકો

વિસ્ફોટના કારણે અસરગ્રસ્ત મકાન ઉપરાંત આસપાસના ત્રણ અન્ય મકાનો પણ ગંભીર રીતે નુકસાન પામ્યા છે. અનેક લોકો મલબામાં દટાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને બચાવ દળે તાત્કાલિક અભિયાન શરૂ કર્યું. રાહતકર્મીઓએ JCB મશીન અને અન્ય સાધનોની મદદથી મલબો દૂર કરીને ઘાયલોને બહાર કાઢ્યા.

વરિષ્ઠ અધિકારીઓએ સંભાળી કમાન

ઘટનાસ્થળે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને આપદા વ્યવસ્થાપન દળના સભ્યો હાજર રહ્યા. તેમણે બચાવ અને રાહત કામગીરીની દેખરેખ રાખી. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા હેતુસર ઘેરાબંધી કરી દેવામાં આવી છે જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે.

પ્રાથમિક તપાસમાં સિલિન્ડર લીકેજની આશંકા

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આશંકા છે કે ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરમાં લીકેજ થઈ રહ્યું હતું, જેના કારણે આ વિસ્ફોટ થયો. તેમ છતાં, ફોરેન્સિક ટીમ અને તકનીકી નિષ્ણાતો ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે જેથી સાચા કારણો બહાર આવી શકે.

ગુજરાતમાં પાકિસ્તાની મહોલ્લાનું બદલાયું નામ, જાણો- હવે ક્યા નામથી ઓળખાશે?

આઝાદી મળ્યા 78 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગરના પાકિસ્તાની મહોલ્લામાં રહેતા સેકડો સિંધિ પરિવારોને હવે જઈને પોતાની સાચી ઓળખ મળી છે. હવે આ વિસ્તારને સત્તાવાર રીતે “હિંદુસ્તાની મહોલ્લા” નામથી ઓળખવામાં આવશે.

સુરત પશ્ચિમના વિધાયક અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના અખૂટ પ્રયત્નોથી આ ઐતિહાસિક ફેરફાર શક્ય બન્યો છે. આ અવસરે હિંદુસ્તાની મહોલ્લા નામના નવા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું, જેને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ખુશી અને ગર્વની લાગણી છવાઈ ગઈ.

આ અમારાં માટે ગર્વનો ક્ષણ છે” – પૂર્ણેશ મોદી

પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારનું નામ બદલવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હતા. વર્ષ 2018માં નામ પરિવર્તનનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયો હતો, પરંતુ હવે જઈને તે અમલમાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ અમારાં માટે ગર્વનો ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે હવે આ મહોલ્લાના રહેવાસીઓ ગર્વથી કહી શકશે કે તેઓ હિંદુસ્તાની મહોલ્લામાં રહે છે. આવનારા દિવસોમાં રહેવાસીઓના દસ્તાવેજોમાંથી જૂનું નામ કાઢીને હિંદુસ્તાની મહોલ્લા દાખલ કરવા માટે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

સ્થાનિક લોકોમાં ઉત્સાહ

સ્થાનિક રહેવાસીઓમાં આ ફેરફારને લઈને ભારે ઉત્સાહ છે. સુદામા લાલ ભોલાણીએ કહ્યું, “પહેલાં અમને અમારા પતાનું ઉલ્લેખ કરતાં સંકોચ અનુભવાતો હતો, પરંતુ હવે અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમે હિંદુસ્તાની મહોલ્લાના રહેવાસી છીએ.

“સાગર પટેલે આ ફેરફારને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે આ પગલું સમાજને નવી ઊર્જા આપશે. આ ફેરફાર માત્ર નામનો બદલાવ નથી, પરંતુ સેકડો પરિવારોની લાગણીઓ અને ગર્વ સાથે જોડાયેલું એક એવું પગલું છે, જે તેમને પોતાની ભારતીયતાનો ગર્વ અનુભવવાનો નવો અવસર આપે છે.

દિલ્હી: લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કર્યું મિશન ‘સુદર્શન ચક્ર’નું એલાન

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રને સંબોધતાં ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાને નિશાન બનાવનારાં સશસ્ત્ર દળોની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતના આક્રોશનું પ્રતીક છે.મને ખૂબ ગર્વ છે કે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિંદૂરના નાયકોને નમન કરવાની તક મળી. આપણા બહાદુર જવાનોએ દુશ્મનને એની કલ્પનાથી પણ વધારે સજા આપી.

તેમણે જણાવ્યું હતું કે 22 એપ્રિલે સરહદ પારથી આતંકવાદીઓ પહલગામ આવ્યા અને લોકોનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી દીધી. ભારત આક્રોશિત હતું અને આખી દુનિયા આ નરસંહારથી સ્તબ્ધ હતી. ઓપરેશન સિંદૂર એ જ આક્રોશની અભિવ્યક્તિ છે. પહલગામ હુમલા પછી સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ છૂટ આપી હતી.

તેમણે કહ્યું હતું કે સિંઘુ જળ સંધિ ભારત માટે અન્યાયપૂર્ણ અને એકતરફી છે. તેમણે જણાવ્યું કે સિંઘુ નદીના જળ પર માત્ર ભારત અને તેના ખેડૂતોનો અધિકાર છે. ભારતની નદીઓ દુશ્મન દેશને સિંચાઈ પૂરી પાડી રહી હતી જ્યારે અમારા ખેડૂત પાણીથી વંચિત હતા. હવે ભારતના હિસ્સાના પાણી પર માત્ર ભારતનો જ અધિકાર હશે.

તેમણે કહ્યું હતું કે આજે 140 કરોડ દેશવાસીઓનો એક જ મંત્ર હોવો જોઈએ – સમૃદ્ધ ભારત. સ્વદેશીનો ઉપયોગ મજબૂરીમાં નહીં, પણ શક્તિ માટે કરવો જોઈએ.તેમણે કહ્યું હતું કે આ દિવાળી નેક્સ્ટ જનરેશન GST સુધાર’ આવશે અને સામાન્ય માણસની જરૂરિયાતના ટેક્સ ઘણા ઓછા કરવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણથી પ્રેરણા લઇને ‘સુદર્શન ચક્ર મિશન’ શરૂ થશે. 2035 સુધી તમામ મહત્વના સ્થળોને ટેક્નોલોજીકલ સુરક્ષા કવચ આપવામાં આવશે. ઘુસણખોરોને લઈને કડક ચેતવણી આપતાં ‘હાઇ પાવર ડેમોગ્રાફી મિશન’ની જાહેરાત કરવામાં આવી. અંતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એકતાથી સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પિત થવાનું આહવાન કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દાયકામાં ભારત વિકાસ અને સુરક્ષામાં સોનાનો યુગ જોશે.

કિશ્તવાડમાં વાદળ ફાટ્યું : CISFના બે જવાન સહિત 50થી વધુ લોકોના મોત

0

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યાના એક અઠવાડિયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુદરતે કહેર મચાવ્યો છે. કિશ્તવાડ જિલ્લામાં માચૈલ માતા યાત્રાના રૂટ પર વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરમાં ભારે વિનાશ સર્જાયો છે. આ ઘટનામાં અત્યાર સુધી 50થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં CISFનાં બે જવાનો પણ સામેલ છે. ઘણા ઘરો અને પુલોને પાણીમાં નુકસાન થયું છે.

હજી પણ ઘણા લોકો ફસાયેલા હોવાથી રાહત અને બચાવ કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે. ચોસીટી ગામમાં રાત પડતાં બચાવકર્તાઓએ ભારે જહેમત બાદ કાટમાળના ઢગલા નીચેથી 167 લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

માચૈલ માતા મંદિર તરફ જવાના માર્ગ પર આવેલા ચોસીટી ગામમાં ગુરુવારે બપોરે 12થી 1 વાગ્યાની વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હતી. 25 જુલાઈથી શરૂ થયેલી અને 5 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થનારી વાર્ષિક માચૈલ માતા યાત્રા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત મંદિર સુધીનો 8.5 કિલોમીટરનો ટ્રેક ચોસીટીથી જ શરૂ થાય છે. આ દુર્ઘટના બાદ માચૈલ માતાના મંદિરની વાર્ષિક યાત્રા સ્થગિત કરવામાં આવી છે. એટલું જ નહીં, સીએમ ઓમર અબ્દુલ્લાએ પોતાના કાર્યક્રમો રદ કર્યા છે. અબ્દુલ્લાએ જણાવ્યું કે, અમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ‘એટ હોમ’ ચા પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ભાષણ વગેરે યોજના મુજબ થશે.

ચોસીટી ગામ કિશ્તવાડ શહેરથી લગભગ 90 કિલોમીટર દૂર છે. વાદળ ફાટવાના કારણે યાત્રા રૂટ પર લંગર લેતા ભાવિકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં, દુકાનો અને સુરક્ષા ચોકી સહિત અન્ય માળાખાઓને મોટું નુકસાન થયું હતું. કાટમાળના તીવ્ર પ્રવાહમાં રસ્તામાં આવેલી દરેક વસ્તુઓ નાશ પામી હતી. ઘરો પત્તાના ઢગલાની જેમ ધરાશાયી થયા હતા. મોટા પથ્થરો ખસીને નીચે આવ્યા હતા અને રસ્તા અવરોધિત કર્યા હતા. ભૂસ્ખલનને કારણે લીલોછમ વિસ્તાર થોડીવારમાં જ કાદવમાં ફેરવાઈ ગયો હતો.

લોકો સાથે મારી સંવેદના અને પ્રાર્થના: પીએમ મોદી

પીએમ મોદીએ X પર જણાવ્યું કે, કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના અને પ્રાર્થના છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે હું અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે ગુમ થયેલા લોકો જલ્દી મળે.

સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદી ‘ભગવા’ રંગે રંગાયા, પાઘડી અને જેકેટે ખેંચ્યું સૌનું ધ્યાન

0

આજે સમગ્ર ભારતવર્ષ ગૌરવભેર દેશનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12મી વાર લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો. તેમણે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત પણ કર્યું. આ દરમિયાન પીએમ મોદી ભગવા રંગે રંગાયા હતા. જાણો આ વર્ષે તેમનો લુક કેવો રહ્યો.

પીએમ મોદીનો ભગવો અંદાજ

પીએમ મોદી આ વખતે સંપૂર્ણ ભગવા રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા. તેમણે સફેદ કુર્તા-પાયજામા સાથે તેઓ કેસરિયા એટલે કે નારંગી રંગનું નેહરુ જેકેટ પહેરેલા દેખાયા.

પીએમ મોદીના આઉટફિટને તેમની નારંગી રંગની પાઘડીએ વધુ કેસરિયો બનાવ્યો હતો. પીએમ મોદીની પાઘડી તેમના જેકેટ સાથે બરાબર મેચ થઈ રહી હતી.

આ સાથે જ તેમણે ગળામાં ભારતીય ધ્વજના ત્રિરંગા રંગનો એક ગમછો પહેર્યો હતો, જેના બોર્ડર પર કેસરિયા, સફેદ અને લીલા રંગની પટ્ટીઓ હતી.

પીએમ મોદી છેલ્લા 11 વર્ષથી દર વખતે સ્વતંત્રતા દિવસે અલગ-અલગ અંદાજમાં નજર આવ્યા છે. વર્ષોથી તેઓ તેમના પોશાક અને પાઘડીથી ભારતની સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિવિધતા અને દેશભક્તિની ભાવનાને રજૂ કરે છે.

40 હજાર સૈનિકો, 1000 CCTV. 15 ઓગસ્ટે દિલ્હીમાં આ રીતે રહેશે કડક સુરક્ષા

0

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હી, ખાસ કરીને લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ બાદ, સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કર્યું છે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને શુક્રવારે દિલ્હી અને શાહદરા વચ્ચેનો રેલ વ્યવહાર થોડા સમય માટે બંધ રહેશે.

આતંકવાદી, ખાલિસ્તાની સંગઠનો તરફથી ધમકી

દિલ્હી હંમેશા જૈશ અને લશ્કર માટે એક મુખ્ય લક્ષ્‍ય રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને TRF જેવા આતંકવાદી સંગઠનો દ્વારા હુમલાઓ કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાલિસ્તાની સંગઠનો તરફથી પણ ધમકી છે.

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની આતંકવાદી સંગઠનો, વૈશ્વિક જેહાદી જૂથો, સ્થાનિક આતંકવાદી સંગઠનો, શીખ આતંકવાદી જૂથો અને પૂર્વોત્તરના આતંકવાદી સંગઠનો તરફથી ખતરાની આશંકા વ્યક્ત કરી છે. સૂત્રો કહે છે કે VIP, ભીડભાડવાળા અને મુખ્ય સ્થળો આ આતંકવાદી સંગઠનોથી જોખમમાં મુકાઈ શકે છે.

સખત સુરક્ષા તૈયારીઓ

40 હજારથી વધુ અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ 1,000 CCTV કેમેરા સાથે દેખરેખ રાખવામાં આવશે. 7 સ્થળોએ NSG કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. 15 સ્થળોએ તેમના સ્નાઈપર્સ પણ હાજર રહેશે. હવાઈ હુમલાઓથી બચાવવા માટે 8 એર ડિફેન્સ ગન લગાવવામાં આવી છે. લાલ કિલ્લાના 9 કિમીના ત્રિજ્યામાં તમામ રસ્તાઓ પર પોલીસ કડક નજર રાખશે. લાલ કિલ્લાની આસપાસની ઊંચી ઇમારતો પર 270 થી વધુ દિલ્હી પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

આજે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ, PM મોદીનું લાલ કિલ્લા પરથી દેશજોગ સંબોધન

0

ભારત દેશ આઝાદ થયો તેને 79 વર્ષ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવેથી સતત 12મા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યો.

વડાપ્રધાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને પછી પોતાનું ભાષણ આપ્યું. લાલ કિલ્લા પરથી સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. તેમણે 2024 માં 98 મિનિટનું ભાષણ આપ્યું હતું.

પીએમ મોદી 12મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘આજે મને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો છે. આપણા સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે. 22 એપ્રિલે પહેલગામમાં સરહદ પારથી આતંકવાદીઓએ જે પ્રકારનો નરસંહાર કર્યો હતો. લોકોનો ધર્મ પૂછીને માર્યા હતા.

તેમણે કહ્યું, ‘આખું ભારત ગુસ્સાથી ભરાઈ ગયું હતું. આ હત્યાકાંડથી આખી દુનિયા ચોંકી ગઈ હતી.

ઓપરેશન સિંદૂર એ ગુસ્સાની અભિવ્યક્તિ છે. અમે સેનાને છૂટ આપી. અમારી સેનાએ એવું કંઈક કર્યું જે ઘણા દાયકાઓ સુધી ભૂલી શકાય નહીં. તેમણે દુશ્મનના ક્ષેત્રમાં સેંકડો કિલોમીટર ઘૂસીને આતંકવાદીઓને નષ્ટ કરી દીધા. પાકિસ્તાન હમણાં જ તેની ઊંઘમાંથી જાગ્યું છે. પાકિસ્તાનમાં વિનાશ એટલો મોટો છે કે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

પીએમ મોદીએ લાલ કિલ્લા પર 12મી વખત તિરંગો ફરકાવ્યો

રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ફ્લાઈંગ ઓફિસર રસિકા શર્મા પ્રધાનમંત્રી સાથે હાજર રહ્યા હતા. 1721 ફિલ્ડ બેટરીના બહાદુર તોપચાલકોએ 21 તોપોની સલામી આપી. આ ઔપચારિક બેટરી, જેમાં સ્વદેશી 105mm લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ થતો હતો, તેનું કમાન્ડ મેજર પવન સિંહ શેખાવત દ્વારા કરવામાં આવ્યું હતું. નાયબ સુબેદાર અનુતોષ સરકાર ગન પોઝિશન ઓફિસર હતા. પીએમ એ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી, મહાત્મા ગાંધીને પીએમ નરેન્દ્ર મોદીનું નમન

આપણે આત્મનિર્ભરતામાં શ્રેષ્ઠ બનવું પડશે – વડા પ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભર બનવા માટે, આપણે શ્રેષ્ઠ બનવું પડશે. આ સમયની જરૂરિયાત છે, તેથી જ હું આજે વારંવાર આગ્રહ કરી રહ્યો છું અને દેશના તમામ ઇનફ્લુએન્સરને કહેવા માંગુ છું કે, આ કોઈ રાજકીય પક્ષનો એજન્ડા નથી. ભારત આપણા બધાનો છે. આપણે સાથે મળીને વોકલ ફોર લોકલ મંત્રને સાકાર કરવાનો છે. આવનારો યુગ EVનો છે. ‘દામ કમ, દમ જ્યાદા’નો મંત્ર હોવો જોઈએ. આપણે પ્રોડક્શનનો ખર્ચ પણ ઘટાડવો પડશે.

પીએમ મોદીએ કહ્યું કે લોકો મુદ્રા યોજનામાંથી લોન લઈને વ્યવસાય કરી રહ્યા છે. સરકારી નિયમો બદલવા પડશે. 2047 દૂર નથી, દરેક ક્ષણ કિંમતી છે અને આપણે એક પણ ક્ષણ ગુમાવવા માંગતા નથી. આ આગળ વધવાની તક છે. મોટા સપના જોવાની તક છે. આ સંકલ્પ પ્રત્યે સમર્પિત થવાની તક છે અને જ્યારે સરકાર અને હું પોતે તમારી સાથે હોઈશું, ત્યારે આપણે એક નવો ઇતિહાસ રચી શકીશું. દુનિયા આપણા MSME ની તાકાતને ઓળખે છે. આપણે વિશ્વ બજારમાં આપણી તાકાતને ઓળખ અપાવવી પડશે. આપણે ગુણવત્તામાં સતત નવી ઊંચાઈઓ પર પહોંચવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે, ટેકનોલોજીના કારણે કેટલાક દેશો ટોચ પર પહોંચ્યા છે. આપણે સમુદ્ર મંથન તરફ આગળ વધી રહ્યા છીએ. નેશનલ ડીપ વોટર મિશન જલ્દી શરૂ થશે. સમુદ્રમાં ગેસ અને તેલના ભંડાર છુપાયેલા છે. આપણે ઓપરેશન ગગનયાનની તૈયારી કરી રહ્યા છીએ. સ્પેસ સેક્ટરમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આપણે સ્પેસમાં પોતાનું સ્પેસ સેન્ટર બનાવીશું. તેમણે કહ્યું કે હું લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના યુવાનો, ઇજનેરો અને વ્યાવસાયિકોને અપીલ કરું છું કે શું આપણું પોતાનું મેડ ઇન ઇન્ડિયા ફાઇટર જેટ એન્જિન ન હોઈ શકે? હોવું જોઈએ. ફાઇટર પ્લેન માટે આપણું પોતાનું એન્જિન હોવું જોઈએ.

કિશ્તવાડમાં વાદળ ફાટતા પરિસ્થિતિ ગંભીર, વહીવટી તંત્રએ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા

0

કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરને કારણે અસરગ્રસ્ત લોકો અને યાત્રાળુઓને મદદ કરવા માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે એક કંટ્રોલ રૂમ કમ હેલ્પ ડેસ્ક સ્થાપ્યો છે. ચિશોટી ગામથી લગભગ 15 કિમી દૂર પદ્દરમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાં આ આપત્તિ આવી હતી. કંટ્રોલ રૂમ માટે 4 અધિકારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

સહાય માટે આ નંબરો જારી કરવામાં આવ્યા છે.

  • ૯૮૫૮૨૨૩૧૨૫
  • ૬૦૦૬૭૦૧૯૩૪
  • ૯૭૯૭૫૦૪૦૭૮
  • ૮૪૯૨૮૮૬૮૯૫
  • ૮૪૯૩૮૦૧૩૮૧
  • ૭૦૦૬૪૬૩૭૧૦

આ ઉપરાંત, જિલ્લા નિયંત્રણ ખંડના નંબર ૦૧૯૯૫-૨૫૯૫૫૫ અને ૯૪૮૪૨૧૭૪૯૨ છે, જ્યારે કિશ્તવાડ પોલીસ નિયંત્રણ ખંડનો નંબર ૯૯૦૬૧૫૪૧૦૦ છે.

સીએમ ઓમર અબ્દુલ્લાએ અમિત શાહ સાથે વાત કરી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદની પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી ધીમે ધીમે સચોટ માહિતી મળી રહી છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મેં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે વાત કરી છે અને તેમને કિશ્તવાડની પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. સમાચાર ગંભીર છે અને વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાંથી ધીમે ધીમે નક્કર માહિતી આવી રહી છે. બચાવ કામગીરી માટે જમ્મુ અને કાશ્મીરની અંદર અને બહારથી તમામ સંસાધનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ટીવી ચેનલો કે સમાચાર એજન્સીઓ સાથે વાત કરશે નહીં. શક્ય હોય ત્યારે સરકાર સમયાંતરે માહિતી શેર કરશે. વાદળ ફાટવાથી અડધું ગામ નાશ પામ્યું, રસ્તાઓ ડૂબી ગયા… બચાવ કામગીરી મુશ્કેલી સાથે ચાલી રહી છે.

જે વિસ્તારમાં આ દુર્ઘટના બની છે ત્યાં બચાવ કામગીરી હાથ ધરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામમાં મોટી વસ્તી છે, વાદળ ફાટવાની ઘટના બાદ ગામનો અડધાથી વધુ ભાગ ધોવાઈ ગયો છે. રસ્તાઓ નાશ પામ્યા છે, જેના કારણે બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન હવાઈ ફાયરિંગ, ત્રણ લોકોના મોત

પાકિસ્તાનના કરાચીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હવાઈ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ પુરુષ અને આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેરના વિવિધ ભાગોમાં ઉજવણી દરમિયાન થયેલા ગોળીબારને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે ઉજવણી સુરક્ષિત રીતે કરવા અપીલ કરી છે. આ ઘટનાઓ લિયાકતાબાદ, બલદિયા, કોરંગી, કેમારી, લ્યારી, અખ્તર કોલોની, મહમૂદાબાદ, જેક્સન, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં બની હતી.

પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ૧૪ ઑગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ કરાચીમાં આ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. હકીકતમાં, બેકાબૂ હવાઈ ગોળીબારમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. મૃત્યુ પામેલા લોકોમાં એક વૃદ્ધ પુરુષ અને આઠ વર્ષની એક માસૂમ છોકરીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ગોળીઓથી 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટનાઓ શહેરના વિવિધ ભાગોમાં બની હતી, જ્યાં લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા.

ભીષણ ગોળીબારમાં અનેક લોકોના જીવ ગયા

ઘડિયાળમાં રાતના બાર વાગ્યાની સાથે જ પાકિસ્તાનના કરાચીનું આકાશ ફટાકડા અને ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર થયો, જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા.

પોલીસે લોકોને સલામત રીતે ઉજવણી કરવાની અપીલ કરી છે. કરાચીના અઝીઝાબાદ બ્લોક-8માં આઠ વર્ષની બાળકીને અચાનક ગોળી વાગી હતી. ત્યારબાદ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેને હૉસ્પિટલ લઈ જવાની કોઈ તક મળી ન હતી. બીજી તરફ, કોરંગીમાં, સ્ટીફન નામના વ્યક્તિનું રસ્તા પર ગોળી વાગવાથી મોત થયું હતું. હવાઈ ફાયરિંગને કારણે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું.

અનેક શહેરોમાં ઘટના

ઓઅહેવાલો અનુસાર, ગોળીબારથી 64 લોકો ઘાયલ થયા હતા અને તેમને શહેરની વિવિધ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાઓ લિયાકતાબાદ, બલદિયા, કોરંગી, કેમારી, લ્યારી, અખ્તર કોલોની, મહમૂદાબાદ, જેક્સન, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં બની હતી.

તાજેતરમાં, પાકિસ્તાન અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં એવી જાહેરાત કરી હતી કે બન્ને દેશો આતંકવાદી સંગઠનો સામેની લડાઈમાં સહયોગને વધુ ગાઢ બનાવશે. આ નિવેદનમાં અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈ માટે અને શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. અમેરિકા દ્વારા પાકિસ્તાનસ્થિત BLAને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યાના એક દિવસ પછી મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી દ્વિપક્ષીય આતંકવાદવિરોધી વાટાઘાટો દરમ્યાન આ કરાર થયો હતો. આ કરારમાં કહેવાયું છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), ઇસ્લામિક સ્ટેટ ખોરાસન અને તાલિબાન સહિતનાં મુખ્ય આતંકવાદી સંગઠનો સામે લડવા માટે પાકિસ્તાન અને અમેરિકા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયાં છે.