Home Blog Page 31

ગીરનાર જવું હોય તો આ નિયમો જાણવા જરૂરી

ગીરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જિલ્લા તંત્ર દ્વારા નવી રજિસ્ટ્રેશન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ, ગીરનાર પર દર્શન માટે જતાં યાત્રાળુઓએ ઓનલાઈન અથવા ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાની સાથે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય કોઈપણ માન્ય સરકારી ઓળખપત્ર રાખવાનું રહેશે.
તંત્રના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા ગીરનાર પર આવતા યાત્રાળુઓનો રેકોર્ડ જાળવવા, ઇમરજન્સી સમયે ઝડપી મદદ પહોંચાડવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. જોકે, આ વ્યવસ્થા અંગેની વિગતવાર સત્તાવાર જાહેર સૂચના હજુ ઉપલબ્ધ થઈ નથી, તેથી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી નવી સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ, યાત્રાળુઓ ઓનલાઈન પોર્ટલ પર જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરી શકશે, જ્યારે સ્માર્ટફોન ન ધરાવતા અથવા ઓનલાઈન પ્રક્રિયા ન કરી શકતા લોકો માટે સ્થળ પર જ મફત ઓફલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો તમે આગામી દિવસોમાં ગીરનાર જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો પ્રવાસ પહેલાં માન્ય ઓળખપત્ર સાથે રાખો, રજિસ્ટ્રેશન સંબંધિત તાજેતરની સૂચનાઓ ચકાસો અને સ્થળ પર અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. તેનાથી યાત્રા વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બની રહેશે.

સુરત ગ્રામ્ય વિસ્તાર માં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ ૧૬ બાંગ્લાદેશીઑ ઝડપાયા

સુરત ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો સામે ચાલી રહેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત થોડા દિવસ પહેલાં ઝડપાયેલા 16 બાંગ્લાદેશી નાગરિકોને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના વતન બાંગ્લાદેશ પરત મોકલી દીધા છે.

પોલીસ તપાસ મુજબ આ તમામ વિદેશી નાગરિકો પશ્ચિમ બંગાળથી ગેરકાયદેસર આવી છેલ દોઢ વર્ષથી જિલ્લામાં છૂટક મજૂરી કરીને રહેતા હતા.

ઝડપાયેલા લોકોમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમોએ સંયુક્ત તપાસ અભિયાન ચલાવ્યું હતું. તપાસ દરમિયાન તેમની ઓળખ, દસ્તાવેજો અને અન્ય પુરાવાના આધારે તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તેમની બેંકિંગ વિગતો, મોબાઇલ રેકોર્ડ, ઓળખપત્રો અને બાંગ્લાદેશ સાથેના સંપર્કોની વિગતવાર તપાસ કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ગ્રામ્ય એસઓજીના પીઆઈ એલ. જી. ઓડેદરાના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટેનું અભિયાન હજુ પણ સતત ચાલુ છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

ઇતિહાસ રચાયો: ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ

0

ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ ટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત દેશનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શનિવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.

આ સફળ લોન્ચ સાથે ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જ્યાં ખાનગી કંપનીએ સ્વદેશી ટેક્નોલોજીથી ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યું છે. રોકેટે નિર્ધારિત માર્ગને અનુસરી પોતાના પેલોડને લો અર્થ ઓર્બિટ (LEO)માં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા.

‘વિક્રમ-1’ એક ત્રણ-સ્ટેજનું સોલિડ-ફ્યુઅલ રોકેટ છે, જે નાના ઉપગ્રહોને ઓર્બિટમાં પહોંચાડવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ મિશન દરમિયાન વિવિધ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન પેલોડ્સનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું.

આ સફળતા ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક મોટા માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે. આગામી સમયમાં સ્કાયરૂટ એરોસ્પેસ વૈશ્વિક સેટેલાઇટ લોન્ચિંગ બજારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત સરકાર અને ઇસરો (ISRO) દ્વારા ખાનગી ક્ષેત્રને અપાયેલા પ્રોત્સાહન બાદ દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સ માટે આ સિદ્ધિ નવી તકોના દ્વાર ખોલનારી સાબિત થઈ છે. ‘વિક્રમ-1’ની સફળતા ભારતના અવકાશ મિશનને નવી ઊંચાઈએ પહોંચાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવે બદ્રીનાથ મંદિર માં પણ દાન ચોરી, એક ની ધરપકડ

0

ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે વિશેષ તપાસ ટીમ (SIT)એ મંદિરના પૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. રાજેન્દ્ર ચૌહાણ 30 જૂને નિવૃત્ત થયા હતા અને લાંબી પૂછપરછ બાદ શુક્રવારે તેમની અટકાયત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મંદિરના ગણતરી કક્ષમાં લાગેલા CCTV ફૂટેજની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 22, 25 અને 29 જૂનના ફૂટેજમાં રાજેન્દ્ર ચૌહાણ કથિત રીતે ચઢાવાની રોકડ રકમ સાથે શંકાસ્પદ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં 22 જૂનની અન્ય CCTV ફૂટેજમાં પણ કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હોવાનું જણાવાયું છે. તપાસ અધિકારીઓ હવે ફૂટેજમાં દેખાતા અન્ય લોકોની ઓળખ અને તેમની સંભવિત ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા તમામ CCTV કેમેરાની રેકોર્ડિંગનું સતત વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

SITના જણાવ્યા મુજબ આ મામલે તપાસ હજુ ચાલુ છે અને જો વધુ પુરાવા સામે આવશે તો અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધરપકડ કરાયેલા પૂર્વ અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. મંદિરના ચઢાવાની રકમ સાથે જોડાયેલા આ કેસને લઈને સ્થાનિક સ્તરે પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં ફરી સક્રિય બન્યું ચોમાસું , આગામી પાંચ દિવસની જાણો આગાહી

0

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.હાલમાં સર્જાયેલા લો-પ્રેશર અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનોના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી દરિયો ઉગ્ર બની શકે છે.આવી સ્થિતિમાં માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.ભારે પવન અને વરસાદને કારણે કેટલીક જગ્યાએ સામાન્ય જનજીવન પર પણ અસર પડી શકે છે.

ખેતીની દૃષ્ટિએ આગામી દિવસોનો વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.રાજ્યના જે વિસ્તારોમાં હજુ વાવણી પૂર્ણ થઈ નથી અથવા પૂરતા વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યાં આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.સતત ભેજ મળવાથી ખરીફ પાકના વિકાસને પણ લાભ મળવાની આશા છે.

હાલના હવામાનના માહોલને જોતા જુલાઈ મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે. જો આગાહી મુજબ વરસાદ ચાલુ રહે તો જળાશયોમાં પાણીની આવક વધશે અને કૃષિ ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળશે.

8 સેકન્ડમાં 5 થપ્પડ! મહિલા PSIએ મહિલા ફરિયાદીને માર માર્યાનો વીડિયો વાયરલ, તપાસના આદેશ

0

ઉત્તર પ્રદેશના વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં મહિલા ઉપ-નિરીક્ષક (PSI) દ્વારા મહિલા ફરિયાદીને થપ્પડ માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા અધિકારી માત્ર 8 સેકન્ડમાં ફરિયાદીને સતત 5 થપ્પડ મારતી જોવા મળે છે.

માહિતી મુજબ, ગીતા દેવી નામની મહિલા પોતાના પતિ સાથે જોડાયેલા એક કેસ અંગે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પૂછપરછ દરમિયાન મહિલા PSI સાથે તેમની બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા મહિલા અધિકારીએ ફરિયાદીને થપ્પડ મારી હતી. ઘટનાસ્થળે હાજર રહેલા અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પોલીસ સ્ટેશનમાં હાજર કોઈ વ્યક્તિએ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.

બીજી તરફ, પોલીસે જણાવ્યું છે કે ફરિયાદી મહિલાએ લેખિતમાં જણાવ્યું છે કે તેમની પણ ભૂલ હતી અને તેઓ મહિલા PSI સામે કાર્યવાહી ઇચ્છતી નથી.

એસીપી વિનય દ્વિવેદીએ જણાવ્યું કે વાયરલ વીડિયો ગુરુવારનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સમગ્ર મામલે વીડિયોની સત્યતા અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સુમુલની સોનગઢ બેઠક પર ભાજપ ના વિજેતા કરતાં અમાન્ય બેઠક વધુ

સુમુલ ડેરી ની ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે પરિણામ જાહેર થતાં 15 બેઠકો ઉપર ભાજપ નો વિજય થયો હતો, જ્યારે એક બેઠક પર અપક્ષ નો વિજય થયો હતો. આ પહેલાં જ 8 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. બેઠક પ્રમાણે પરિણામ ઉપર નજર કરીએ તો ઓલપાડ બેઠક ઉપર ભાજપના ધનસુખ પટેલનો 27 મત મળતાં વિજય થયો હતો. જ્યારે માંડવી બેઠક પર ભાજપના રેશાભાઈ ચૌધરી ને 114 મત મળતાં, મહુવા તાલુકા ની બેઠક પર અપક્ષ ના ધનંજય પટેલનો 33 મત મળતાં, ઉમરપાડા બેઠક પર ભાજપના અમિષ વસાવાનો 56 મત મળતાં વિજય થયો હતો.
જ્યારે નિઝર બેઠક પર રસા કસી થઈ હતી. ફક્ત એક જ મતે ભાજપના યોગેશ રાજપૂતે કોંગ્રેસના ભરત પટેલને પરાજિત કર્યા હતા.જ્યારે કુકરમુંડા બેઠક પર ભાજપના સંજય સૂર્યવંશીને 19 મત મળતાં વિજય થયો હતો. એ બેઠક પર બળવાખોર મણિલાલ પટેલ નો ફક્ત એક મતે પરાજય થયો હતો, વ્યારા બેઠક પર ભાજપના હસમુખ ગામીતનો ફક્ત 2 મતે વિજય થયો હતો. સોનગઢ બેઠક પર ભાજપના કાંતિ ગામીતને 139 મત મળતાં વિજય થયો હતો. જો કે આ બેઠક પર સૌથી વધુ અમાન્ય મતો નોંધાયા હતા. આ બેઠક પર 175 મત અમાન્ય ઠર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના વિજેતા ઉમેદવાર કરતાં પણ અમાન્ય મતોની સંખ્યા વધુ છે. જ્યારે ડોલવણ બેઠક પર ભાજપના શૈલેશ પટેલને 42 મતો મળતાં વિજય થયો હતો.

Video : 12 વર્ષના બાળકને મગર જીવતો જ ખાઈ ગયો, ગ્રામજનોની આંખો સામે જ થયો કરુણ અંત

0

ઉત્તર પ્રદેશના બહેરાઈચ જિલ્લામાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધાનની રોપણીનું કામ પૂર્ણ કર્યા બાદ 12 વર્ષનો સુનીલ ઘાઘરા નદીમાં હાથ-પગ ધોવા ગયો હતો. એ દરમિયાન અચાનક એક મગરે તેના પર હુમલો કરીને પગ જડબામાં દબોચી લીધો અને નદીમાં ખેંચી ગયો.

બાળકે બચવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. તેના કાકા તેમજ ગ્રામજનોએ ઈંટ-પથ્થર ફેંકીને મગરને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરે બાળકને છોડ્યો નહીં. તેણે બાળકને અનેક વખત પાણીમાં પટક્યા બાદ ઊંડા પાણીમાં ખેંચી લીધો. ગ્રામજનોની આંખો સામે જ મગરે બાળકના શરીરનો મોટો ભાગ ખાઈ લીધો.

https://twitter.com/Deadlykalesh/status/2078057476935864778

ઘટનાના લગભગ પાંચ કલાક બાદ ગ્રામજનોએ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મગરે બાળકનો જમણો પગ અને કમર નીચેનો ભાગ ખાઈ લીધો હતો.

મૃતક સુનીલના માતા-પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હતું અને તે પોતાના કાકા સાથે રહેતો હતો. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને વન વિભાગે ઘટનાની પુષ્ટિ કરી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગ્યો, અપક્ષની એક બેઠક સિવાય તમામ 15 બેઠકો જીતી લીધી

સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. સત્તાવાર પરિણામ મુજબ ભાજપ સમર્થિત પેનલે કુલ 16માંથી 15 બેઠકો પર જીત મેળવીને ડેરીના સંચાલનમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ 7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીની બેઠકોના મતદાન બાદ પણ પક્ષને જંગી સફળતા મળી છે.

ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ મુકાબલો ઓલપાડ બેઠક પર જોવા મળ્યો હતો. અહીં ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર ધનસુખ પટેલ મેદાનમાં હતા. મતગણતરી પૂર્ણ થતાં ધનસુખ પટેલે માત્ર 15 મતના નજીવા અંતરથી જીત મેળવી હતી. આ પરિણામને કારણે ભાજપ તમામ 16 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવી શક્યું નથી, પરંતુ એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીતે સહકારી રાજકારણમાં ચર્ચા જગાવી છે.

બાકીની તમામ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોએ જીત મેળવી છે, જેના કારણે સુમુલ ડેરીના વહીવટ અને આગામી નિર્ણયોમાં ભાજપ સમર્થિત પેનલનું પ્રભુત્વ યથાવત રહેશે. ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

પરિણામ જાહેર થયા બાદ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચીને વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. હવે ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી સુમુલ ડેરીના નવા બોર્ડની રચના બાદ આગામી કાર્યકાળ દરમિયાન સંસ્થાના વિકાસ અને દૂધ ઉત્પાદકોના હિતને લગતા નિર્ણયો પર સૌની નજર રહેશે.

દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ: હરિયાણામાં દોડશે ગ્રીન ટ્રેન, ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો

ભારતે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ઉત્તર રેલવેના જીંદ-સોનીપત વચ્ચેના અંદાજે 89 કિમીના રૂટ પર દોડશે. આ સાથે ભારત હાઇડ્રોજન આધારિત ટ્રેન ચલાવનારા વિશ્વના પસંદગીના દેશોમાં સામેલ થયું છે.

હાઇડ્રોજન ટ્રેનમાં ડીઝલ એન્જિનના બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે, જે ટ્રેનને ચલાવે છે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ કે અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન થતું નથી અને માત્ર પાણીની વરાળ બહાર આવે છે. તેથી આ ટ્રેન પર્યાવરણમૈત્રી અને પ્રદૂષણમુક્ત પરિવહનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.

ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, 10 કોચ ધરાવતી આ ટ્રેનમાં અંદાજે 2,600 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનની મહત્તમ ગતિ કલાકે 110 કિલોમીટર છે, જ્યારે શરૂઆતમાં તે કલાકે લગભગ 75 કિલોમીટરની ઝડપે દોડશે. જીંદ ખાતે ખાસ હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સુવિધા પણ વિકસાવવામાં આવી છે, જેથી ટ્રેનનું સંચાલન સરળતાથી થઈ શકે.જીંદ ખાતે ખાસ હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સુવિધા પણ વિકસાવવામાં આવી છે, જેથી ટ્રેનનું સંચાલન સરળતાથી થઈ શકે.

હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટ ભારતીય રેલવેની ગ્રીન મોબિલિટી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આવી ટ્રેનોને અન્ય રૂટ પર પણ શરૂ કરવાની યોજના છે, જેથી સ્વચ્છ, આધુનિક અને ટકાઉ રેલ પરિવહનને વધુ પ્રોત્સાહન મળી શકે.