Home Blog Page 292

આજથી બે દિવસ પીએમ મોદી ગુજરાતમાં, 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

0

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. કેવડીયા પહેલા તેઓ આજે સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો પીએમ બાય રોડ કેવડિયા જશે. બીજી તરફ SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.

પ્રધાનમંત્રી એકતા નગરમાં વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને વિસ્તારમાં ટકાઉ વિકાસ પહેલને પ્રોત્સાહન આપવાનો છે. રૂ.1,140 કરોડથી વધુના કુલ રોકાણ સાથે, આ પ્રોજેક્ટ્સ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આસપાસના વિસ્તારમાં ઇકો-ટુરિઝમ, ગ્રીન મોબિલિટી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી; ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ 1); વામન વૃક્ષ વાટિકા; સતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઇલેક્ટ્રિક બસો; નર્મદા ઘાટ એક્સટેન્શન; કૌશલ્યા પથ; એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીનો વોકવે (તબક્કો 2), સ્માર્ટ બસ સ્ટોપ (તબક્કો 2), ડેમ રેપ્લિકા ફુવારો, GSEC ક્વાર્ટર્સ વગેરે સામેલ છે.

31 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે પુષ્પાંજલિ અર્પણ કરશે
આ ઉપરાંત, પ્રધાનમંત્રી ભારતના રજવાડાઓના સંગ્રહાલય; વીર બાલક ઉદ્યાન; રમતગમત સંકુલ; વર્ષા વન પ્રોજેક્ટ; શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ; સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવલેટર્સ સહિત વિભિન્ન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રૂ.150ના મૂલ્યનો એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે.

એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે, પરેડનું નિરીક્ષણ કરશે
પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB તેમજ વિવિધ રાજ્ય પોલીસ દળોના જવાનોનો સામેલ થશે. આ વર્ષના મુખ્ય આકર્ષણોમાં રામપુર હાઉન્ડ્સ અને મુધોલ હાઉન્ડ્સ જેવા ભારતીય નસ્લના શ્વાન સાથે BSF માર્ચિંગ ટુકડી, ગુજરાત પોલીસની માઉન્ટેડ ટુકડી, આસામ પોલીસની મોટરસાઇકલ ડેરડેવિલ શો, અને BSF ઊંટ ટુકડી તેમજ ઊંટ સવારી બેન્ડ સામેલ થશે. આ પરેડમાં ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન અસાધારણ હિંમત દર્શાવનારા CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ અને BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી બદલ સન્માનિત કરવામાં આવશે.

મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરવામાં આવશે
આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરવામાં આવશે, જે “વિવિધતામાં એકતા” થીમ પર આધારિત છે. 900 કલાકારો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવતા શાસ્ત્રીય ભારતીય નૃત્યો રજૂ કરવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રી “આરંભ 7.0″ના સમાપન પર 100માં ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આરંભની 7મી આવૃત્તિ “શાસનની પુનઃકલ્પના” થીમ પર યોજાઈ રહી છે. 100માં ફાઉન્ડેશન કોર્સમાં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂટાનની 3 સિવિલ સર્વિસીસના 660 અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

બ્રાઝિલમાં પોલીસ કાર્યવાહી પર ઉગ્ર વિરોધ: 119 લોકોના મોત બાદપ્રદર્શન શરૂ

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ ગેંગ સામે પોલીસના દરોડામાં ઓછામાં ઓછા 119 લોકો માર્યા ગયા છે. આ મૃત્યુ બાદ બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનકારીઓએ રાજ્યપાલના રાજીનામાની માંગ કરી છે. બ્રાઝિલમાં આ તાજેતરની પોલીસ કાર્યવાહીને શહેરના ઇતિહાસમાં સૌથી ઘાતક માનવામાં આવી રહી છે.

લોકોએ મૃતદેહ રસ્તા પર મૂકીને પ્રદર્શન કર્યું
પોલીસ કાર્યવાહીમાં થયેલા મૃત્યુ બાદ, ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ રસ્તા પર મૃતદેહો મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધીઓએ પોલીસ પર ચોક્કસ જૂથના લોકોના નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. સરકારી મુખ્યાલયની સામે મોટી ભીડ એકઠી થઈ, સૂત્રોચ્ચાર કરી અને લાલ બ્રાઝિલના ધ્વજ લહેરાવ્યા.

સુપ્રીમ કોર્ટે માહિતી માંગી
મૃતકોની સંખ્યા અને મૃતદેહોની સ્થિતિ (વિચ્છેદન અને છરાના ઘા, વગેરે) અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ, ફરિયાદીઓ અને કાયદા ઘડનારાઓએ ગવર્નર કાસ્ટ્રોને ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપવા કહ્યું છે. મૃતકોની કુલ સંખ્યા અધિકારીઓ દ્વારા અગાઉ જણાવવામાં આવેલી સંખ્યા કરતા ઘણી વધારે છે. અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે 60 લોકો માર્યા ગયા છે, પરંતુ વાસ્તવિક સંખ્યા 100 થી વધુ છે.

“તેઓ દાણચોરો છે, પણ તેઓ માણસો છે.”
રિયો ડી જાનેરોમાં, લગભગ 2,500 પોલીસ અને સૈનિકોએ પેન્હા અને કોમ્પ્લેક્સો ડી અલેમાઓમાં દરોડા પાડ્યા. “તેઓ તેમને જેલમાં લઈ જઈ શક્યા હોત, તેઓ તેમને આ રીતે કેમ મારી રહ્યા છે? તેમાંના ઘણા જીવંત હતા અને મદદ માટે પોકાર કરી રહ્યા હતા. હા, તેઓ તસ્કરો છે, પરંતુ તેઓ માણસો છે,” પેન્હામાં 50 વર્ષીય સ્થાનિક રહેવાસી એલિસાંગેલા સિલ્વા સાન્તોસે જણાવ્યું. પોલીસ અને સૈનિકોએ “રેડ કમાન્ડ” ગેંગને નિશાન બનાવીને હેલિકોપ્ટર, સશસ્ત્ર વાહનો અને પગપાળા કાર્યવાહી શરૂ કરી.

રિયો ડી જાનેરોના ગવર્નરે શું કહ્યું?
રિયો ડી જાનેરોના ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ કહ્યું, “આપણે એક ભયંકર પડકારનો સામનો કરી રહ્યા છીએ. આ કોઈ સરળ ગુનો નથી. ડાબેરી કેદીઓના જૂથ તરીકે જે શરૂ થયું હતું તે હવે ડ્રગ હેરફેર અને ખંડણીમાં સામેલ આંતરરાષ્ટ્રીય ગેંગમાં પરિણમ્યું છે. આ ગેંગ વારંવાર હરીફ જૂથો અને સુરક્ષા દળો સાથે અથડામણ કરે છે.”

સુરતમાં નકલીની ભરમાર યથાવત્ઃ વરાછામાંથી 29.67 લાખના ડુપ્લિકેટ ગુટખા, તમાકુ સાથે એક પકડાયો

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વરાછના પદ્દાર આર્કેડ પાછળ આવેલી નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડી નકલી ગુટખા,તમાકુનો મોટો જથ્થો પકડી પાડ્યો

સુરતમાંથી સમયાંતરે અનેક વસ્તુ નકલી હોવાનું ફલિત થઈ ચૂક્યું છે. નકલી ઘી અને પનીરથી લઈ નકલી ઓફિસરો પણ અહીં પકડાયા છે. આ નકલીની ભરમાર સુરતમાં ચાલુ રહી છે. વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશ ગ્રુપની ટીમે વરાછામાંથી રૂ. 29,67,090ની કિંમતના નકલી ગુટખા અને તમાકુ પકડી પાડ્યા છે.

વરાછામાં પોદ્દાર આર્કેડ પાછળ આવેલી નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં એક વ્યક્તિ નકલી તમાકુ અને ગુટખાનો મોટો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ત્યાં બુધવારે બપોરના સમયે છાપો માર્યો હતો. જેમાં અઝીઝ ઇબ્રાહીમ અમીન આ નકલી ગુટખા અને તમાકુનું વેચાણ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે તેને પકડી પાડ્યો હતો.પકડાયેલા અઝીઝના કબજામાંથી ગુટખા અને તમાકુ મળી કુલ રૂ. 29,67,090નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

બાજરીની રોટલી બનાવવાની 2 સરળ ટ્રીક: હવે રોટલી ન તૂટે અને બને એકદમ ગોળ, તરત જ નોંધો આ રેસીપી

0

બાજરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર, બાજરી વજન ઘટાડવામાં મદદ કરે છે. બાજરી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જોકે, દરેક વ્યક્તિ બાજરીની રોટલી સરળતાથી બનાવી શકતી નથી. બાજરીની રોટલી સામાન્ય રીતે ફાટી જાય છે અથવા ઉપાડતી વખતે તૂટી જાય છે. જો રોટલી હાથથી બનાવવામાં આવે છે, તો તે થોડી વધીને પણ તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરવા માંગો છો, તો અમે તમને બાજરીની રોટલી બનાવવાની એક સરળ યુક્તિ જણાવી રહ્યા છીએ. આ સાથે, સંપૂર્ણ ગોળ બાજરીનો રોટલી ફાટ્યા વિના કે તૂટ્યા વિના તૈયાર થઈ જશે. બાજરીનો રોટલી બનાવવા માટે તમારી દાદીની આ ખાસ યુક્તિને ઝડપથી નોંધી લો.

બાજરાની રોટલી કેવી રીતે બનાવવી
પહેલી યુક્તિ
– બાજરીની રોટલી બનાવવા માટે, પહેલા લોટને ચાળી લો. શુદ્ધ બાજરીની રોટલી બનાવવી થોડી મુશ્કેલ છે. જો તમે તેમાં 1 મુઠ્ઠી ઘઉંનો લોટ પણ મિક્સ કરો તો સારું રહેશે. બાજરી અને ઘઉંનો લોટ મિક્સ કરો અને લોટ ભેળવો. તમારે થોડું થોડું પાણી ઉમેરીને નરમ લોટ ભેળવવો પડશે. બાજરીના લોટને વચ્ચેથી તોડીને ભેળવવો પડશે. બાજરીના લોટને ભેળવ્યા પછી તરત જ, તમારે તેમાંથી રોટલી બનાવવાનું શરૂ કરવું જોઈએ. આ લોટને સામાન્ય લોટની જેમ સેટ થવા દેવાની જરૂર નથી. હવે રોટલી બનાવવા માટે, લોટમાંથી એક ગોળો તોડીને તેને ગોળ બનાવો. તમારા હાથથી ગોળાને હળવા હાથે ફેલાવો, હવે સૂકા ઘઉંનો લોટ લગાવો અને નાની રોટલી બનાવો.

બીજી યુક્તિ: બાજરીના લોટની રોટલી બનાવવાની બીજી રીત એ છે કે તેને બટર પેપર અથવા પોલીથીનનો ઉપયોગ કરીને રોલ આઉટ કરો. આ કરવા માટે, કણકનો એક બોલ લો, તેને થોડો મોટો કરો, તેને સૂકા લોટમાં કોટ કરો, અને તેને સ્વચ્છ પોલીથીન શીટની મધ્યમાં મૂકો. હવે, કણકને બીજી પોલીથીન શીટથી ઢાંકી દો અને તેને રોલિંગ પિનથી વધુ રોલ કરો. બાજરીની રોટલી બનાવવા માટે પોલીથીન શીટને ધીમેથી રોલ કરો. આનાથી ફાટ્યા વિના સંપૂર્ણપણે ગોળ અને ક્રિસ્પી બાજરીની રોટલી બનશે. એક તવાને ગરમ કરો અને રોટલી ધીમેથી તવા પર ઉલટાવી દો. બાજરીના લોટની રોટલી મધ્યમ આંચ પર તળવા દો અને પછી તેને પલટાવો. રોટલી બંને બાજુ સારી રીતે રાંધો. હવે, રોટલી તવામાંથી કાઢીને ચૂલા પર મૂકો. રોટલી મધ્યમ આંચ પર ધીમેથી ફેરવો જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય. આ રીતે બધી રોટલી તૈયાર કરો. બાજરીની રોટલીને ઘીથી ઉદારતાથી ગ્રીસ કરો અને શાકભાજી અથવા શાકભાજી સાથે પીરસો.

સુરત સિવિલ ખાતે 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પટેલના અંગદાનથી ત્રણને નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 82મું સફળ અંગદાન થયું છે. મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહેતા 62 વર્ષીય બ્રેઈનડેડ દલપતભાઈ પ્રભુભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલના વતની અને સુરતના ઉધના વિસ્તારમાં રહીને સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા હતા. ત્યારે તા.24મી ઓક્ટોબરે બપોરે 12:00 વાગ્યે દલપતભાઈ પટેલને ચક્કર આવતા પડી ગયા હતા. પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં તરત જ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને 2/A વોર્ડમાં દાખલ કર્યા બાદ તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા.તા.28મી ઓક્ટોબરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પટેલ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલરે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ.દલપતભાઈના પત્ની હંસાબેન અને પુત્ર જયદીપભાઈ, દિકરીઓ પારૂલબેન દલપતભાઈ, અમરૂતાબેન દલપતભાઈ અને ઇલાક્ષીબેન દલપતભાઈ સહિત પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાથી ખત્રી સમાજ અને સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં મિલ ચલાવતા હતા
સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની અને પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણામાં આવેલ ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં “જે.પી. કાચીવાલા” નામથી પોતાની મિલ યુનિટ ચલાવતા હતા. આ યુનિટની જવાબદારી તેઓ પોતાના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. ઉદ્યોગપતિ દ્વારા આટલું આત્યાંતિક પગલું ભરાતા અનેક સવાલો ઉભા થયા છે.

ડિપ્રેશનનું ચોક્કસ કારણ હજુ રહસ્યમય
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈ અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા, પરંતુ આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસે હાલ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમેરિકામાં રહેલો પુત્ર દુઃખદ સમાચાર સાંભળી પરત ફરશે
મૃતક રશ્મિન કાચીવાલાનો એક જ પુત્ર છે, જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય માટે અમેરિકા ખાતે રહે છે. પિતાના આ અચાનક નિધનના સમાચાર મળતાં જ તે ટૂંક સમયમાં સુરત પરત ફરશે.

ઉદ્યોગ અને સમાજમાં શોકની લાગણી
ખત્રી સમાજના અગ્રણી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા રશ્મિન કાચીવાલાના આ પગલાને કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ અને સમાજ વર્તુળમાં ઊંડો શોક ફેલાયો છે. પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો તરીકે ધંધાકીય તણાવ, દેવું અથવા પારિવારિક તકલીફોની દિશામાં તપાસ શરૂ કરી છે.

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો સામે ગુનાહિત આરોપ, 40 ટકા કરોડપતિ, જુઓ લિસ્ટ

0

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. મતદાન પહેલા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને બિહાર ઇલેક્શન વોચના એક અહેવાલમાં જણાવાયું છે કે ચૂંટણી લડી રહેલા 32% ઉમેદવારો સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે, જેમાંથી 27% ઉમેદવારો પર હત્યા અને મહિલાઓ વિરુદ્ધ ગુના જેવા ગંભીર આરોપો છે. ADR રિપોર્ટમાં ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલી સંપત્તિનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે, જે ઉમેદવારોની વધતી સંપત્તિ તરફ નિર્દેશ કરે છે, જેમાં 519 (40%) કરોડપતિ છે, જેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે.

કેટલા ઉમેદવારો ગુનેગાર છે?
આ રીતે, ADR અને બિહાર ઇલેક્શન વોચે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ગુનાહિત અને નાણાકીય પૃષ્ઠભૂમિ વિશે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા 1,314 સોગંદનામામાંથી 1,303 ના વિશ્લેષણના આધારે, રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 423 ઉમેદવારો (32%) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 354 (27%) ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે. આમાંથી, 33 હત્યાના કેસનો સામનો કરી રહ્યા છે, 86 હત્યાના પ્રયાસના આરોપોનો સામનો કરી રહ્યા છે, અને 42 મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના આરોપોનો સામનો કરી રહ્યા છે. નોંધનીય છે કે, બે ઉમેદવારોએ તેમના સોગંદનામામાં બળાત્કારના આરોપો જાહેર કર્યા છે.

ઉમેદવારો કેટલા શિક્ષિત છે?
આ વખતે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, શૈક્ષણિક રીતે, 519 ઉમેદવારો (40%) એ ધોરણ 5 થી ધોરણ 12 ની વચ્ચેની તેમની લાયકાત જાહેર કરી છે, જ્યારે 651 ઉમેદવારો (50%) પાસે સ્નાતક અથવા ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી છે.

જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાઈત કેસો છે. BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાઈત કેસો દાખલ છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઈ (એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઈ અને સીપીઆઈ (એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાઈત કેસો દાખલ છે.

રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ: 38 વર્ષની ઉંમરે વિશ્વનો નંબર- 1 ODI બેટર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવાર, 29 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલ નવીનતમ ODI રેન્કિંગ મુજબ, ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 781 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર-1 બેટર બનવાનો ગૌરવ મેળવ્યો છે. 38 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવતા રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં એક નવી ઉપલબ્ધિ નોંધાવી છે. અગાઉ આ સ્થાન ભારતના યુવાબેટ્સમેન શુભમન ગિલ પાસે હતું, જે હવે 745 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે ખસી ગયો છે. અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝાદરાન 764 રેટિંગ સાથે બીજા ક્રમે છે.

રોહિત શર્માના રેન્કિંગમાં થયેલો ઉછાળો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે આવ્યો છે. તેમણે બીજી મેચમાં 73 રનની ફિફ્ટી અને ત્રીજી વન-ડેમાં અણનમ 121 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતને વિજય મળ્યો હતો. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રોહિતને ત્રીજી વન-ડેનો પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.બીજી તરફ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. ત્રીજી વન-ડેમાં તેમણે 74 રન બનાવી ટીમને જીત અપાવી હતી, પરંતુ અગાઉની બે મેચમાં સતત “ડક” પર આઉટ થવાને કારણે તેમનો રેટિંગ સ્કોર ઘટ્યો છે અને હવે તેઓ 725 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

નવા અપડેટ મુજબ, ટોપ-10 ODI બેટરોમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે — રોહિત શર્મા (1મો), શુભમન ગિલ (3મો), વિરાટ કોહલી (6મો) અને શ્રેયસ ઐય્યર (9મો). શ્રેયસ ઐય્યરને એક સ્થાનનો ફાયદો થયો છે, તેમ છતાં તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન તેમને ઈજા થતા હાલ તેઓ સારવાર હેઠળ છે.રોહિત શર્માની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે ગર્વનો વિષય છે. 38 વર્ષની ઉંમરે પણ તેમની સતત પ્રેરણાદાયક ફોર્મ સાબિત કરે છે કે સમર્પણ, ધૈર્ય અને આત્મવિશ્વાસથી કોઈપણ વયે શિખર સર કરી શકાય છે.

સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં..ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત

સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટરની બેદકારીના કારણે મહિલાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વધુમાં. ડો.અમિત શાહ દર્દીને ICUમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતની મેટાસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદકારીના કારણે 45 વર્ષીય રેખા બેન ગુપ્તાનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડો અમિત શાહના રેફરન્સથી દર્દીને દાખલ કર્યા હતા અને ડોક્ટર વિદેશ ફરવા નીકળી ગયા છે. જો ડોક્ટર વિદેશ જવાના હતા તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કેમ કર્યા જેવા સવાલો ઉઠાવી રહ્યા છે.

નોંધનીય છે કે, 45 વર્ષીય રેખા બેન ગુપ્તા 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. દર્દીને ઝાડા થયા હતા. છેલ્લા લાંબા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા. તેઓને છેલ્લા 10 દિવસથી ICUમાં દાખલ કર્યા હતા. દર્દીને તબિયત બરાબર છે કહી ડોક્ટર અમિત શાહ વિદેશ ચાલ્યા ગયા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે, શ્વાસ બંધ થતા મોત નિપજ્યું છે. પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવવા પહોચ્યા છે.

શિરડી દર્શન કરી પરત ફરતા સુરતના યુવાનોનો આકસ્માત, 3 નાં મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

સુરતના યુવાનો શિરડી (મહારાષ્ટ્ર)માં સાંઈબાબાનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નાસિક નજીક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના સાત યુવાનો શિરડીના દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત વતન તરફ નાસિક માર્ગે ફરી રહ્યા હતા ત્યારે યેવલા તાલુકાના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં તેમનાં ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો. ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા હતા. બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું.