Home Blog Page 262

મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક

0

મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં તાજેતરમાં એક અત્યંત કરુણ અને ભયાનક માર્ગ અકસ્માત નોંધાયો છે, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. એક કારના ડ્રાઇવરને અચાનક ડ્રાઇવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા કાર સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જતી રહી હતી, જેના કારણે તે 4 થી 5 વાહનો સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 4 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે દ્રશ્યોની ભયાનકતા દર્શાવે છે.

આ ભયાનક ઘટના અંબરનાથના એક વ્યસ્ત ફ્લાયઓવર પર બની હતી. ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા કાર બેકાબૂ બની, ડિવાઇડર ઓળંગી ગઈ અને સામેના ટ્રેક પર આવીને વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક બાઇકસવાર હવામાં ઉછળીને ફ્લાયઓવર પરથી નીચે પટકાયો હતો. મૃત્યુ પામનાર 4 લોકોમાં કારના ડ્રાઇવર પોતે, તેમજ અન્ય 3 રાહદારીઓ/વાહનચાલકોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના
મળી રહેલા અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે શિવસેનાના ઉમેદવાર કિરણ ચૌબે તેમના ડ્રાઇવર લક્ષ્મણ શિંદે સાથે ચૂંટણી પ્રચાર માટે બુવા પાડા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. ફ્લાયઓવર પર પહોંચતા જ ડ્રાઇવર લક્ષ્મણ શિંદેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે કાર બેકાબૂ થઈ ગઈ અને તે પછી તેણે રસ્તા પર ભયંકર કહેર મચાવ્યો.

આ ભયાનક અકસ્માતમાં ડ્રાઇવર લક્ષ્મણ શિંદેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અન્ય મૃતકોમાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કર્મચારી ચંદ્રકાંત અનારકે, અને સ્થાનિક રહેવાસીઓ સુમિત ચેલાની અને શૈલેષ જાધવનો સમાવેશ થાય છે. ચંદ્રકાંત અનારકે બાઇકસવાર હતા, જે ટક્કર બાદ નીચે પટકાયા હતા.

કેનેડાથી દિલ્હી આવતી ફ્લાઈટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

0

કેનેડાના વાનકુવરથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટનું કોલકાતા ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાનકુવર થી દિલ્હી આવતી ફ્લાઈટ કોલકાતા થઈને આવતી હોય છે. આ દરમિયાન દિલ્હીના એક 70 વર્ષીય મુસાફર દલબીર સિંહની હાલત અચાનક બગડી ગઈ હતી. છાતીમાં દુખાવો શરૂ થયો હોવાના કારણે કોલાકાતા એરપોર્ટ પર રાત્રે 09:15 વાગ્યે મેડિકલ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરને ઉતારીને બાકીના 176 મુસાફરો સાથે વિમાન ફરી 10:10 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થઈ ગયું હતું.

તબીબોએ મુસાફર દલબીર સિંહને મૃત જાહેર કર્યાં
મળતી વિગતે પ્રમાણે, દલબીર સિંહને વિમાનમાંથી ઉતાર્યાં બાદ સત્વરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ અહીં હાલત વધારે ગંભીર થતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ સમગ્ર મામલે પોલીસે મૃતકના પરિવારને જાણ કરી દીધી છે. આ સાથે સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરજી કર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરિવાર દિલ્હીથી કોલકાતા આવવા માટે રવાના થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

રિસિન ઝેર કેસ: આરોપીઓ ‘ગુમનામ કેવી રીતે રહેવું’, ATS તપાસમાં ખુલ્યા રાજ

0

ગુજરાત એટીએસ જે અત્યંત ઘાતક ઝેર “રિસિન” નો ઉપયોગ કરીને એકસાથે સેંકડો લોકોને મારવાના આતંકવાદી કાવતરાની તપાસ કરી રહી છે, તેને એક આરોપી અને તેના હેન્ડલર વચ્ચેની સોશિયલ મીડિયા વાતચીતમાંથી ડિજિટલ સાહિત્ય મળ્યું છે, જે “ગુમનામ કેવી રીતે રહેવું” વિશે જાણકારી આપે છે. તપાસ એજન્સીએ એક જ આરોપીને અમદાવાદની એક હોટલમાંથી બહાર નીકળતો દર્શાવતો વીડિયો ફૂટેજ પણ મેળવ્યા છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં બીજા આરોપીના ઘરેથી કાળો ઝંડો મળી આવ્યો હતો.

9 નવેમ્બરના રોજ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ત્રણ આરોપીઓ: ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ ખાનને એક મોટા આતંકવાદી હુમલામાં કથિત સંડોવણી બદલ શસ્ત્રો અને રસાયણો સાથે ધરપકડ કરી હતી.

શુક્રવારે માહિતી આપતા ATSના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ 7 નવેમ્બરના CCTV ફૂટેજ મેળવ્યા છે, જેમાં શંકાસ્પદ આતંકવાદી અહેમદ સૈયદ અમદાવાદના મિર્ઝાપુર રોડ પર સૈયદ મસ્જિદ નજીક હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી બહાર નીકળતો દેખાય છે. તેમણે એમ પણ કહ્યું કે યુપીના અન્ય એક આરોપી સુહેલ ખાનના ઘરેથી કાળો ઝંડો મળી આવ્યો છે. વધુમાં અધિકારીએ કહ્યું, “સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૈયદ અને તેના હેન્ડલર વચ્ચેની વાતચીતમાં અમને ‘ગુમનામ કેવી રીતે રહેવું’ શીર્ષક ધરાવતું ડિજિટલ સાહિત્ય પણ મળ્યું છે.”

અધિકારીઓએ સૈયદના સોશિયલ મીડિયા ડિસ્પ્લે પ્રોફાઇલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જેમાં સુહેલના ઘરેથી મળેલો એ જ કાળો ઝંડો દર્શાવવામાં આવ્યો છે. ATSએ 9 નવેમ્બરના રોજ ત્રણેયની ધરપકડ સાથે એક શંકાસ્પદ આતંકવાદી સિન્ડિકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સૈયદ કથિત રીતે ઝેર ‘રિસિન’ તૈયાર કરી રહ્યો હતો, અને તેનો હેન્ડલર ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) સાથે જોડાયેલો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓમાંથી સૈયદ હૈદરાબાદ (તેલંગાણા) નો રહેવાસી છે, જ્યારે આઝાદ અને સુહેલ ઉત્તર પ્રદેશના છે. હૈદરાબાદનો રહેવાસી સૈયદ MBBS ડોક્ટર છે. આતંકવાદી કાવતરાની તપાસ દરમિયાન ATS એ હૈદરાબાદમાં સૈયદના ઘરની તપાસ કરી અને અજાણ્યા રસાયણો અને કાચો માલ જપ્ત કર્યો. ઉત્તર પ્રદેશમાં રહેતા બે આરોપીઓની તેમના ઘરે તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર પર 19 વર્ષીય યુવતી સાથે અડપલાંનો આરોપ, પીડિતાએ 181 પર કરી ફરિયાદ

પીઆઈ બરકતઅલી ચાવડા આ પહેલા પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, જ્યારે તેઓ PSI હતા, પરંતુ એમાં સમાધાન થઈ ચૂક્યું છે. હાલ પીઆઈ સામે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી બાજુ ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

New Labour Code: શું નવી શ્રમ સંહિતાથી તમને ફાયદો થશે? સરળ શબ્દોમાં સમજો

0

દેશની કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ની પહેલની આગળ ધપાવવા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે શ્રમ (લેબર) સાથે જોડાયેલા 29 કાયદાઓને હટાવી દીધા છે અને તેના બદલે નવા 4 કાયદાઓ ઘડ્યા છે. 21 નવેમ્બરથી નવા 4 લેબર લો અમલમાં આવ્યા છે. જે દેશમાં રોજગારી અને ઔદ્યોગિક વ્યવસ્થાની નવી પરિભાષા આપે છે. જે કર્મચારીઓ માટે પણ ફાયદાકારક છે. લેબર લોના નવા 4 કાયદાઓ કામદારો માટે કેવી રીતે લાભદાયી છે, આવો જાણીએ.

દેશમાં લઘુત્તમ વેતન લાગુ થશે
જૂનો લેબર લો 1930થી 1950 વચ્ચેનો હતો. જે ઇકોનોમી ફ્રેન્ડલી ન હતો. તેમા ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્ક, માઇગ્રન્ટ લેબર જેવી ટર્મ ન હતી. નવા લેબર લોમાં આ તમામને આવરી લેવામાં આવ્યા છે. નવા લેબર લો મુજબ હવેથી દરેક નોકરીદાતાએ હવે નિમણૂકપત્ર આપવું ફરજિયાત છે. દરેક કામદારો લઘુત્તમ વેતનની શ્રેણીમાં આવશે. દેશમાં સમાન રીતે લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે. જેથી કોઈનો પગાર એટલો પણ ઓછો ન હોય જેનાથી તેનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જાય. સાથોસાથ નોકરીદાતાએ કામદારોને સમયસર વેતનની ચૂકવણી કરવાની રહેશે.

નવા લેબર લોમાં કર્મચારીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 40 વર્ષથી ઉપરના કર્મચારીઓને મફત વાર્ષિક હેલ્થ-ચેકઅપની સુવિધા મળશે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ આ લાભ મળશે. ખાણ, કેમિકલ, કંસ્ટ્રક્શન જેવા જોખમી ક્ષેત્રો સાથે જોડાયેલા કામદારોને 100 ટકા હેલ્થ સિક્યુરિટીની ગેરંટી મળશે. નવા નિયમોમાં મહિલાઓને પણ સમાન વેતન અને સન્માનની ગેરંટી આપવામાં આવી છે. ટ્રાન્સઝેન્ડરને પણ કામમાં સમાન હક મળશે. કંપની કે સંસ્થા તરફથી સુરક્ષાની ખાતરી સાથે મહિલાઓ નાઇટ શિફ્ટમાં પણ કામ કરી શકશે.

પહેલા વર્ષે મળી જશે ગ્રેચ્યુઇટીનો લાભ
નવા લેબર લોમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કની પણ પરિભાષા આપવામાં આવી છે. જેથી આ નવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પહેલીવાર કાયદેસરની ઓળખાણ મળી છે. આવા કર્મચારીઓને પણ હવેથી PF, વીમો, પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભ મળી શકશે. એગ્રીગેટર્સને તેમના ટર્નઓવરના 1-2 ટકા આપવા પડશે, જે મહત્તમ 5 ટકા સુધી રહેશે. સાથોસાથ કર્મચારીનું EPFO અકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે. જેનાથી અન્ય રાજ્યના કર્મચારીઓને પણ પોર્ટેબિલિટી હેઠળ જોડવામાં આવશે.

ગ્રેચ્યુઇટીને લઈને પણ નવા લેબર લોમાં મહત્ત્વની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષ નોકરી પૂરી કર્યા બાદ કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ મળતો હતો. પરંતુ નવા લેબર લોમાં કરેલી જોગવાઈ મુજબ હવે કર્મચારીઓને 5 વર્ષની રાહ જોવી પડશે નહીં. તેઓને માત્ર 1 વર્ષમાં ગ્રેચ્યુઇટીનો લાભ મળી જશે. નવા નિયમોમાં ઓવરટાઈમ કરવા પર બમણું વેતન આપવાની ગેરંટી પણ આપવામાં આવી છે.

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી મંગાવવામાં આવેલા હથિયારો કરાયા જપ્ત

0

આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે મોટી સફળતા મેળવતા, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સીધા જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરીમાં આંતરરાજ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલના ચાર મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

ગેરકાયદેસર વિતરણ માટે બનાવાયેલ અદ્યતન વિદેશી બનાવટના શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીપી સંજીવ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પોલીસે પુષ્ટિ આપી છે કે હથિયારો ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી દેશમાં દાણચોરી કરવામાં આવ્યા હતા, જે સરહદ પાર ઘૂસણખોરીની અત્યંત આધુનિક અને ચિંતાજનક પદ્ધતિ તરફ ઈશારો કરે છે.

ચાર તસ્કરોની પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કેટલાક તસ્કરો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી પહોંચવાના છે. જેને લઈને ક્રાઇમ બ્રાંચે રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હથિયારો લઈને આવતા તસ્કરો ફસાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયારોની તસ્કરી કરતી ગેંગના ચાર લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં આધુનિક હથિયારો જપ્ત કર્યો હતા. જેમાં તુર્કિયે અને ચીનમાં બનેલા હાઈ-ટેક હથિયારોનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પંજાબ અને યુપીના રહેવાસી છે.

દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે આ હથિયારોનું કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું. જેને તસ્કરોની ગેંગ દિલ્હીમાં સપ્લાઈ કરવાની હતી. આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બમબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ સુધી પહોંચવાના હતા.

‘જો હિન્દુ નહિ રહે તો દુનિયા જ નહિ રહે’: RSS પ્રમુખ મોહન ભાગવત

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે સમાજનું એક એવું નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે. મણિપુરની મુલાકાતે પહોંચેલા ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ પરિસ્થિતિનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવી અને જતી રહી. તેમાં કેટલાક દેશોનો નાશ થઈ ગયો. જેમ કે, ગ્રીસ, ઈજિપ્ત અને રોમ બધા નાશ પામ્યા. આપણામાં કંઈક તો ખાસ છે કે આપણું અસ્તિત્વ નાશ નથી પામતું.

ભારતને ગણાવ્યો એક અમર સમાજ
મોહન ભાગવતે કહ્યું કે ભારત એક અમર સમાજ, એક અમર સિવિલાઈઝેશનનુ નામ છે. બાકી તો બધા આવ્યા, ચમક્યા અને જતા પણ રહ્યા. આપણે તેમનો ઉદય અને પતન જોયો છે. આપણે હજું પણ છીએ અને રહીશું કારણ કે આપણે આપણા સમાજનું બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહી રહેશે તો દુનિયા જ નહીં રહેશે. ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન વિશ્વને સમય-સમય પર હિન્દુ સમાજ જ આપે છે. આ આપણને ઈશ્વર દ્વારા આપવામાં આવેલું કર્તવ્ય છે.

બ્રિટિશ સામ્રાજ્યનું આપ્યું ઉદાહરણ
RSS પ્રમુખે કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય અસ્ત નહોતો થતો, પરંતુ ભારતમાં તેમના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 1857 થી 1947 સુધી એમ 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા હતા. આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. તે અવાજને આપણે ક્યારેય દબાવા ન દીધો. ક્યારેક ઓછો થયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય તેને દબાવા ન દીધો. દરેક સમસ્યાનો અંત શક્ય છે. તેના માટે તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સમાજે નક્કી કર્યું કે તે હવે સહન નહીં થાય, ત્યારે તેનો અંત પણ આવી ગયો.

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર મચી છે. શોપિંગ મોલમાં 9માં માળે આવેલા કેફેમાંથી નીચે ઝંપલાવ્યું. લગ્નના બે મહિના પહેલા ડોક્ટરે જીવન ટૂંકાવ્યું. પોલીસે આપઘાતનો ભેદ ઉકેલવા વધુ કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એક 27 વર્ષિય ડોક્ટરે આપઘાત કરી લીધો છે. શુક્રવારે(21 નવેમ્બર) સાંજે 7 વાગ્યે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. એકાએક પગલું ભરતાં લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. એકાએક કરેલા આપઘાતથી પરિવારમાં ભારે દુઃખ માહોલ છવાઈ ગયો છે.

જાણવા મળ્યું છે કે મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની સગાઈ 6 મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા. જો કે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આપઘાત પાછળનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો, ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાની આગાહી

ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય ઉચકાયો છે. જેના પગલે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશથી બિહાર અને મધ્યપ્રદેશ સુધી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જશે અને ગ્રામીણ વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. દરમિયાન, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જવાને કારણે બર્ફીલા પવનો ઠંડીનું કારણ બનશે.

સ્કાયમેટ વેધરની આગાહી છે કે આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ઓછા દબાણનો વિસ્તાર બની શકે છે, જે સોમવાર સુધીમાં ચક્રવાત (સાયક્લોન સેન્યાર) માં તીવ્ર બની શકે છે, જેના પરિણામે ચક્રવાતી વાવાઝોડું અને ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં તોફાન જેવી સ્થિતિ સર્જાશે, જેમાં વાવાઝોડા અને વીજળી પડવા સાથે સામાન્ય જનજીવન ખોરવાઈ જશે, સાથે જ મુશળધાર વરસાદ પણ પડશે. પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હવામાન પ્રવૃત્તિની પણ અપેક્ષા છે.

શહેરલઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ16.7
ડિસા14.4
ગાંધીનગર16.4
વિદ્યાનગર16.8
વડોદરા14.6
સુરત18.8
દમણ17.4
ભૂજ15.6
નલિયા11.2
કંડલા પોર્ટ16.7
કંડલા એરપોર્ટ13.6
અમરેલી16.6
ભાવનગર16.8
દ્વારકા18.2
ઓખા22.6
પોરબંદર14.4
રાજકોટ14.2
વેરાવળ18.9
દીવ16.5
સુરેન્દ્રનગર16.6
મહુવા15.5
કેશોદ14.0

ચક્રવાતી પરિભ્રમણને કારણે, આગામી 24 કલાકમાં તમિલનાડુના કુડ્ડલોર અને મયિલાદુથુરાઈ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ હવામાન પ્રવૃત્તિઓ આગામી અઠવાડિયા સુધી દક્ષિણના હવામાનને અસર કરશે. તેની અસર ઉત્તર-પૂર્વ સુધી જોવા મળશે. IMD એ કહ્યું છે કે ઉત્તરમાં ચોમાસા પછી આ બીજી મોટી ખલેલ હશે. આ વાવાઝોડાનું નામ સેન્યાર રાખવામાં આવશે.

વડોદરામાં કામગીરી દરમિયાન BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોત, હાર્ટ એટેકની આશંકા

વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શુ પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે. ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.