Home Blog Page 260

બિહારમાં રાબડી દેવીને ઝાટકો: સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાનો અપાયો આદેશ

0

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે નવી NDA સરકાર સત્તામાં આવી છે. ફરી એકવાર નીતિશ કુમાર બિહારના મુખ્ય પ્રધાન બની ગયા છે. પરંતુ આ પરિવર્તન સાથે જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા રાબડી દેવીને મોટો ફટકો પડ્યો છે. રાબડી દેવી લાંબા સમયથી જ્યાં રહેતા હતા, તે નિવાસસ્થાનને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ પાછળનું કારણ શું છે, આવો જાણીએ.

19 વર્ષથી રાબડી દેવીનું હતું નિવાસસ્થાન
2005માં નીતિશ કુમારની સરકાર સત્તામાં આવ્યા પછી 16 જાન્યુઆરી, 2006 થી 10 સર્ક્યુલર રોડ પર આવેલું નિવાસસ્થાન સત્તાવાર રીતે રાબડી દેવીને સોંપવામાં આવ્યું હતું. રાબડી દેવીએ સતત 19 વર્ષ સુધી આ નિવાસસ્થાને વસવાટ કર્યો હતો, પરંતુ હવે તેઓને આ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મકાન બાંધકામ વિભાગે તેમને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતાના ક્વોટા હેઠળ 39 હાર્ડિંગ રોડ પર નવું નિવાસસ્થાન ફાળવ્યું છે.

સત્તાપરિવર્તનના કારણે થયો ફેરફાર
મકાન બાંધકામ વિભાગના સંયુક્ત સચિવ-કમ-રિયલ એસ્ટેટ અધિકારી શિવ રંજને આ અંગેનો ઔપચારિક પત્ર જારી કર્યો છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ તરત કરવામાં આવેલો આ ફેરફાર લાલુ પરિવાર માટે એક મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે નવી સરકારમાં ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળ્યું છે, અને આ નિર્ણય તેનો સંકેત હોવાનું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.

રાબડી દેવીએ તાત્કાલિક ઘર ખાલી કરવું જોઈએ
આ ફેરફારને લઈને ભાજપે લાલુ પરિવાર પર આકરી ટીકા કરી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના પ્રવક્તા નીરજ કુમારે જણાવ્યું હતું કે, “જો રાબડી દેવીને 10 સર્ક્યુલર રોડ ખાતેનું નિવાસસ્થાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તો તેમણે તાત્કાલિક તે ખાલી કરવું જોઈએ. મને આશા છે કે આ વખતે તેઓ પોતાના પરિવારના ટ્રેક રેકોર્ડથી વિપરીત કોઈ સરકારી મિલકતમાંથી ચોરી કરશે નહીં અથવા નુકસાન પહોંચાડશે નહીં. તેઓ બાથરૂમની પાઈપ પણ ખોલી શકશે નહીં, કારણ કે અમે તેમના પર બાજ નજર રાખીશું.”

26 નવેમ્બર 2025, બુધવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

મેષ
આજે કામકાજમાં જવાબદારી વધતી દેખાશે અને અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન મળવાની શક્યતા છે. પરિવારની કોઈ વાતને કારણે થોડું માનસિક ભારણ અનુભવાઈ શકે, તેથી શાંતિથી પ્રતિસાદ આપવો ઉત્તમ. નાણાકીય નિર્ણયોમાં સંભાળપૂર્વક ચાલવું અને ઉતાવળ ન કરવી જરૂરી રહેશે. કાર્યક્ષેત્રે તમારી ધીરજ તથા નિયમિત પ્રયત્નો લાભ આપશે. દિવસના અંતે થાક અથવા માનસિક તણાવ વધી શકે, તેથી આરોગ્યની ખાસ કાળજી રાખશો.

વૃષભ

આજે કાર્યક્ષેત્રે નવા અવસરના દ્વાર ખુલતા દેખાશે અને દૂરનાં પ્રવાસ અથવા અધ્યયન સાથે જોડાયેલા કાર્યોમાં શુભતા છે. સંબંધોમાં સમજદારી રાખશો તો સકારાત્મક પરિણામ મળશે. નાણાકીય આયોજન મજબૂત બનવાની સંભાવના સાથે વ્યવહારિક નિર્ણયોથી ફાયદો થશે. કાર્યમાં સમયપાલન અને એકાગ્રતા રાખશો તો પ્રગતિ ઝડપી થશે. માનસિક શાંતિ માટે ધ્યાન અથવા શાંત જગ્યાએ સમય વિતાવવો લાભદાયક રહેશે.

મિથુન

આજે નાની-મોટી અડચણોનો સામનો કરવો પડી શકે, પરંતુ તમારી બુદ્ધિ અને સંચાર કુશળતા તેને પાર કરી દેશે. ભાગીદારીના કાર્યોમાં સ્પષ્ટતા જરૂરી છે, નહીં તો ગેરસમજ સર્જાઈ શકે. નાણાકીય મામલાઓમાં ઉતાવળ હિતમાં નહીં રહે, તેથી તપાસ કર્યા બાદ જ નિર્ણય લો. ભાવનાત્મક બાબતોમાં સ્થિરતા અપનાવવી જરૂરી છે. ઓફિસમાં તમારા વિચારોને માન્યતા મળશે, પણ સ્વાસ્થ્યમાં પાચનતંત્રની સંભાળ રાખવી રહેશે.

કર્ક

સબંધો અને ભાગીદારી બાબતોમાં આજે કોઈ મહત્ત્વજનક નિર્ણય લેવાની ફરજ પડી શકે. જીવનસાથી સાથે ખુલ્લો સંવાદ રાખશો તો ગેરસમજ દૂર થશે. વ્યવસાયમાં નવી ગતિ અને સહયોગ મળવાની શક્યતા છે. નાણાકીય લાભ ધીમે ધીમે વધશે, પરંતુ અનાવશ્યક ખર્ચ ટાળવા યોગ્ય રહેશે. માનસિક શાંતિ માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. દિવસના અંતે થાક અથવા તણાવ થવાની શક્યતા હોવાથી આરામ જરૂરી બનશે.

સિંહ

આજે રોજિંદા કાર્યોમાં નિયમિતતા અને શિસ્ત રાખશો તો સફળતા પ્રાપ્ત થશે. કાર્યસ્થળે જવાબદારી વધારી શકે છે, તેથી તૈયારી સાથે આગળ વધવું સારું. સહકર્મીઓ સાથે મતભેદ ટાળો અને શાંતિથી વાતચીત કરો. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે અચાનક ખર્ચ થઈ શકે. દિવસનું યોગ્ય આયોજન તમને તણાવથી દૂર રાખશે. આરોગ્યમાં નાની તકલીફો અથવા થાક અનુભવાઈ શકે.

કન્યા

આજે સર્જનાત્મકતા વધશે અને નવા વિચારો કાર્યક્ષેત્રે મદદરૂપ થશે. બાળકો સંબંધિત મુદ્દે આનંદદાયક સમાચાર મળી શકે છે. રોકાણ બાબતોમાં સમય અનુકૂળ છે અને નવા પ્રોજેક્ટ માટે વિચાર કરી શકાય. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને આપ-લેના ભાવને પ્રોત્સાહન મળશે. કાર્યસ્થળે પ્રગતિ તથા પ્રશંસા મળવાની શક્યતા છે. આરોગ્યમાં ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા અનુભવાશે.

તુલા

આજે ઘર-પરિવારને સમય આપવા જેવી પરિસ્થિતિ સર્જાશે અને ઘર-વાતાવરણમાં બદલાવ અથવા પરિવર્તનની સંભાવના છે. નાણાકીય ખર્ચ થોડો વધશે, પરંતુ મહત્વના કાર્યો માટે કરાયેલ ખર્ચ ફાયદાકારક બનશે. કાર્યસ્થળે ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે, નહીં તો ભૂલો થઈ શકે. પરિવારીક જવાબદારીઓમાં સહકાર મળશે, જેના કારણે માનસિક શાંતિ મળશે. આરોગ્યમાં ગરમી અથવા શારીરિક થાક અનુભવાઈ શકે છે, તેથી પાણી અને આરામ પર ધ્યાન આપવું.

વૃશ્ચિક

આજે સંચાર અને મુલાકાતોના કાર્યોમાં ઉત્તેજના રહેશે અને નવી માહિતી પ્રાપ્ત થવાથી કાર્યક્ષેત્રે નવી દિશા મળશે. ટૂંકા પ્રવાસ માટે સમય શુભ છે. નાણાકીય બાબતોમાં સુખદ પરિણામ મળી શકે છે, પરંતુ દસ્તાવેજો અને કાયદાકીય બાબતોમાં સાવચેતી જરૂરી છે. સંબંધોમાં સ્પષ્ટતા રાખશો તો તણાવ ઓછો રહેશે. આરોગ્યમાં ગળા અથવા શ્વાસ સંબંધિત તકલીફ થઈ શકે, તેથી સાવધાની રાખવી.

ધનુ

આજે નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે અને આવકનાં નવા સ્ત્રોત વિકસશે. તમારા પ્રયત્નોનું યોગ્ય ફળ મળે તેવી શક્યતા છે. પરિવાર સાથેનું વાતાવરણ સકારાત્મક રહેશે. કાર્યક્ષેત્રે તમારી વાતને મહત્વ મળશે. રોકાણ સંબંધિત નિર્ણયો માટે સમય અનુકૂળ છે. આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ અનિયમિતતા ટાળશો.

મકર

ચંદ્ર તમારી રાશિમાં હોવાથી આજે આત્મવિશ્વાસ વધશે, પરંતુ સાથે ભાવનાત્મક સંવેદનશીલતા પણ રહેવાની શક્યતા છે. નવી જવાબદારીઓ અથવા નવા કાર્યોનો પ્રારંભ થઈ શકે છે. નાણાકીય બાબતોમાં સ્થિરતા ધીમે ધીમે વધશે. સંબંધોમાં સંયમ રાખવો જરૂરી છે. કાર્યસ્થળે તમારા નિર્ણયોને સમર્થન મળશે. આરોગ્યમાં ઠંડક અથવા સાંધાના દુખાવાની શક્યતા હોવાથી કાળજી રાખવી.

કુંભ

આજે મન થોડું અંતર્મુખ બનશે અને તમે તમારા વિચારોને ગોઠવવા માંગશો. અધૂરી બાબતો પૂર્ણ કરવા ઉત્તમ સમય છે. નાણાકીય બાબતોમાં કોઈ છુપાયેલો ખર્ચ બહાર આવી શકે છે. સંબંધોમાં રહેલા મતભેદ ઉકેલવાની તક મળશે. આધ્યાત્મિકતા અથવા ધ્યાન તરફ મન આકર્ષિત થશે. આરોગ્યમાં નિંદ્રા કે તણાવની સમસ્યા થઈ શકે.

મીન

આજે મિત્રતા અને સામાજિક વર્તુળ દ્વારા નવા અવસર મળી શકે છે. ટીમ વર્કમાં સફળતા દેખાશે. નાણાકીય લાભની સંભાવના છે, ખાસ કરીને લાંબા ગાળાના કાર્યોમાં. સંબંધોમાં સમર્થન અને સમજણ વધશે. કાર્યક્ષેત્રે તમારી પ્રતિભા ધ્યાન ખેંચશે. આરોગ્ય સારું રહેશે, પરંતુ પાણી વધુ પીવું લાભદાયક.

જ્વાળામુખી ઇથોપિયામાં ફાડ્યો, તો પછી 4500 કિમી દૂર દિલ્હી સુધી કેમ પહોંચી રાખ? જાણો તમામ માહિતી

0

ઇથિયોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના વિસ્ફોટ બાદ ઊઠેલો રાખ, જેણે સોમવારે મોડી રાત્રે દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા હિસ્સાને પ્રભાવિત કર્યો હતો, તે હવે ભારતીય વાયુક્ષેત્રમાંથી દૂર થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આ ‘એશ ક્લાઉડ’ હવે પૂર્વ દિશામાં ચીન તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે ભારતીય હવાઈ ક્ષેત્ર પર તેની અસર ઝડપથી ઘટી રહી છે. આઇએમડીના જણાવ્યા અનુસાર, મંગળવાર સાંજ સુધીમાં એટલે કે સાંજે 7:30 વાગ્યા સુધીમાં આ રાખનો ધૂવાળો ભારતમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે.

હેલી ગુબ્બી જ્વાળામુખી, જેને લગભગ 10,000 વર્ષથી નિષ્ક્રિય માનવામાં આવતો હતો, તે રવિવારે અચાનક ફાટ્યો હતો. આ વિસ્ફોટના કારણે લગભગ 14 કિલોમીટર (45,000 ફૂટ)ની ઊંચાઈ સુધી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડનો ગાઢ વાદળ ઊઠ્યો હતો. આ વાદળ રેડ સી પાર કરીને અરબ પ્રાયદ્વીપ થઈને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ ખૂબ ઝડપથી આગળ વધ્યો હતો. IMD સતત સેટેલાઇટ ડેટા અને ‘વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર’ના માધ્યમથી સ્થિતિની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યું હતું, જેના આધારે આ માહિતી આપવામાં આવી છે.

જ્વાળામુખીની રાખથી સર્જાયેલી આ સ્થિતિના પગલે દેશના અનેક એરપોર્ટ્સ પર SIGMET એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. વિમાનન નિષ્ણાતોના મતે, જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિન, વિન્ડશિલ્ડ અને સેન્સર સિસ્ટમ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, એરલાઈન કંપનીઓએ અનેક ઉડ્ડયનોને રદ કરવા અથવા તેમના રૂટમાં ફેરફાર (Re-route) કરવા પડ્યા હતા. એર ઇન્ડિયા એ ગઈકાલથી આજ સુધીમાં 11 ફ્લાઇટ્સ રદ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, IMD દ્વારા સ્થિતિ સામાન્ય બની રહી હોવાની જાણકારી મળ્યા છતાં, એરલાઇન કંપનીઓ હજી પણ સાવધાની જાળવી રહી છે અને મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પર નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ અચૂક ચેક કરી લે.

રાજકોટની SNK સ્કૂલના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત

0

નાની ઉંમરમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં આકાશવાણી ચોકમાં આવેલી SNK સ્કૂલમાં વોલીબોલ રમતી વેળાએ ધોરણ 12 નો વિધાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. સારવારમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક લાડકવાયાના દીકરાના મોતથી માતા- પિતા શોકમાં ગરક થઈ ગયા હતા.

આ અંગની વિગતો મુજબ, ક્રિસ્ટલ મોલ પાછળ આવેલી પ્લેટિનિયમ હેરિટેજ નામનો બિલ્ડિંગમાં રહેતો એસ.એન કે સ્કૂલમાં ધોરણ 12 અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી ( ઉંમર 18) નામનો યુવક રવિવારે સાંજના સમયે સ્કૂલના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો. દરમિયાન અચાનક જ આદિત્ય બેભાન થઈ જતા સાથી મિત્રોએ સ્કૂલની સામે જ આવેલી શાંતિ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે અહીં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો તેમજ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરિવારજનો પાસેથી જાણવા મળ્યા મુજબ, મૃતકના પિતા અલ્કેશભાઈને મેટોડામાં ફેક્ટરી છે. અને આદિત્ય તેમનો એકનો એક દીકરો હતો. આદિત્યને સ્પોર્ટ્સમાં રુચિ હોય જેથી તે જુદી જુદી ગેમ રમતો અને રવિવારે પણ મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા માટે ગયો હતો. તે એકદમ ફીટ હતો અને તેને નખમાં પણ રોગ ન હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે હાલ પોલીસે હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જો કે મોતનું સચોટ કારણ તો પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, મેદસ્વીતા તેમજ આધુનિક લાઇફ સ્ટાઇલમાં ખોરાકમાં લેતા જંક ફૂડથી યુવાનોમાં હાર્ટ એટેક આવાનું એક કારણ હોય શકે પણ સ્પોર્ટ્સમેન તેમજ રોજ શારીરિક કસરત કરતા યુવાનોમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અંગે સરકારે જરૂરી રિસર્ચ કરાવી લોકોને જાગૃત કરવા એ સમયની માંગ વર્તાય આવે છે.

નકલી IAS બનીને 6 મહિનાથી ફાઈવ-સ્ટાર હોટલમાં રહેતી મહિલા ઝડપાઈ

0

રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં જાલના રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિલાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લગભગ છ મહિના સુધી શંકાસ્પદ રીતે ત્યાં રહીને સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ઉભી કરી છે. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ કલ્પના ત્ર્યંબકરાવ ભાગવત (45) તરીકે થઈ છે, જે પડેગાંવના ચિનાર ગાર્ડનની રહેવાસી છે. પોલીસ તપાસમાં તેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંબંધો પણ બહાર આવ્યા છે.

મહિલાના ફોનમાંથી સંવેદનશીલ ફોટોગ્રાફ્સ મળ્યા
સિડકો પોલીસના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં રહેતા તેના બોયફ્રેન્ડ અશરફ ખલીલ અને પાકિસ્તાનમાં રહેતા તેના ભાઈ અવેદ ખલીલના ખાતામાંથી મહિલાના બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહિલાના મોબાઇલ ફોનમાંથી બંને વિદેશીઓના પાસપોર્ટ, વિઝા અને ભારત આવવાની અરજી નકલો સહિતના સંવેદનશીલ ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા.

મહિલાનુ આધાર કાર્ડ પણ નકલી
મહિલા છેલ્લા છ મહિનાથી જાલના રોડ પર આવેલી હોટલ એમ્બેસેડરમાં રોકાઈ હતી, અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારી હોવાનો દાવો કરતી હતી. 22 નવેમ્બરની રાત્રે પોલીસને હોટલમાં એક વરિષ્ઠ અધિકારી શંકાસ્પદ રીતે રોકાયા હોવાની માહિતી મળી હતી. દસ્તાવેજોની તપાસ કરતાં, તેનું આધાર કાર્ડ પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું.

પોલીસે તેના રૂમની તપાસ કરી, ત્યારે મહિલાએ શરૂઆતમાં રોફ બતાવીને પૂછપરછથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની બેગમાંથી UPSC 2017 પસંદગી યાદીની નકલ અને ભારતીય વહીવટી સેવા (IAS) નિમણૂક પત્રની બનાવટી ફોટોકોપી મળી આવી. આ દસ્તાવેજો જોતાં, પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી.

ATS અને IB દ્વારા પૂછપરછ
મહિલા વિરુદ્ધ CIDCO પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટે તેને 26 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસની ગંભીરતાને જોતાં, ATS અને IB એ પણ મહિલાની સઘન પૂછપરછ શરૂ કરી છે.

સુરતની જાણીતી ડેરીના માલિકની ધરપકડ, દરરોજ 1 હજાર કિલો ભેળસેળ પનીરની સપ્લાયનો ભંડાફોડ

સુરતની નામાંકિત સુરભી ડેરીના પનીરના નમૂના ફેલ થતાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવામાં આવેલી પનીરના નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ અને નકલી હોવાનું બહાર આવતા સમગ્ર ડેરી વ્યવસાયમાં હલચલ મચી ગઈ છે. જમણ માટે વખણાતા સુરતમાં હવે લોકો ભાર ખાતા ડરી રહ્યા છે.

754 કિલો પનીર સીઝ કરાયું
SOG પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને સુરભી ડેરીના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન લગભગ 700 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ અન્ય સ્થળો પરથી મળીને કુલ 754 કિલો પનીર જપ્ત કરાયું હતું. આ પનીરને હોટલ, રેસ્ટોરન્ટ અને વિવિધ લારીઓમાં સસ્તા ભાવે સપ્લાય કરવામાં આવતું હતું, જે લોકોના આરોગ્ય સાથે મોટા પ્રમાણમાં છેડછાડ હતી. SOG એ લેબોરેટરી રિપોર્ટમાં પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થતાં ખટોદરા પોલીસ મથકમાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોગ્ય સાથે ચેડાં, ભેળસેળયુક્ત અને નકલી પદાર્થ વેચાણ, તેમજ છેતરપીંડીના ગુનાઓ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
પોલીસે કાર્યવાહી કરતાં ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જ્યારે ડેરીના અન્ય માલિક કૌશિક પટેલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, તેની શોધખોળ ચાલુ છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, સુરભી ડેરી દ્વારા દરરોજ લગભગ એક હજાર કિલો જેટલું પનીર બજારમાં પુરું પાડવામાં આવતું હતું. આમાંનો મોટો હિસ્સો નીચી ગુણવત્તાવાળું અથવા નકલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે અનેક લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા ઊભી થઈ છે. સુરતમાં નકલી ખાદ્ય સામગ્રીઓ ઝડપવાના બનાવો ઝડપથી સામે આવી રહ્યા છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ગંભીર મુદ્દો છે.

સદીઓના ઘા હવે ભરાઈ રહ્યા છે: રામ મંદિર ધ્વજારોહણ સમારંભમાં PM મોદીનુ ઉદ્દબોધન

0

ધ્વજારોહણ કરતા પહેલા, PM મોદીએ મોહન ભાગવત સાથે મંદિરના પહેલા માળે રામ દરબારમાં પૂજા અને આરતી કરી. ત્યારબાદ તેમણે રામલલ્લાના દર્શન કર્યા. પીએમ રામલલ્લા માટે વસ્ત્રો લઈને પહોંચ્યા હતા. પીએમએ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધીનો 1.5 કિમી લાંબો રોડ શો પણ કર્યો હતો.

આ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ કાફલા પર ફૂલોનો વરસાદ કર્યો અને વિવિધ સ્થળોએ મહિલાઓએ તેમનું સ્વાગત કર્યું. અગાઉ એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઓને ધ્વજવંદન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આવ્યું નહીં.

મંદિર સંકુલમાં ચાર શંકરાચાર્યો સિવાય દેશભરના મઠોના સંતો હાજર હતા. શહેરને 1,000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં 5-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ATS, NSG, SPG, CRPF અને PAC ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. રામલલ્લાએ આજે ​​સોના અને રેશમના દોરાથી ભરતકામ કરેલા પીતાંબર વસ્ત્ર પહેર્યા હતા.

આજે 500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય…’ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, કે ‘આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.

મોદીએ કહ્યું- સત્યનો વિજય, અસત્યનો નહીં
પીએમ મોદીએ કહ્યું, “ધ્વજ ‘સત્યમેવ જયતે’ના નારાને જગાડશે, જેનો અર્થ છે કે સત્યનો વિજય, અસત્યનો નહીં. આ ધ્વજ એ વાતનું પ્રતીક હશે કે સત્ય બ્રહ્મનું સ્વરૂપ છે.” ધર્મ સત્ય પર આધારિત છે. આ ધ્વજ આપણને આપણને પ્રેરણા આપશે, કે પ્રાણ જાય પણ વચન નહીં. ભારતના કણ-કણમાં રામ છે. દરેક ખૂણે ગુલામીની માનસિકતા ઘર કરી ગઈ છે. નૌકાદળના ધ્વજ પર એવા પ્રતીકો બન્યા હતા, જેનો આપણા વારસા સાથે કોઈ સંબંધ નહોતો. આપણે ગુલામીના પ્રતીકને હટાવ્યું છે. રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવતાની સાથે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધ્વજને નમન કર્યું હતું.

2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક સેક્ટર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌ કોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું જ પડશે. આપણે આગામી 1 હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ રહેશે.

સીએમ યોગી બોલ્યા- પેઢીઓની પ્રતીક્ષા સાકાર થઈ
સીએમ યોગીએ કહ્યું કે ધ્વજારોહણ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગનો શુભારંભ છે. ભાજપ સરકાર બન્યા પછી 2014માં જે સંભાવના, સંકલ્પ અને વિશ્વાસનો સૂર્યોદય થયો હતો, આજે તે જ તપસ્યા અને અગણિત પેઢીઓની પ્રતીક્ષા સાકાર થઈ. શ્રીરામ મંદિર પર ફરકતો કેસરિયો ધ્વજ ધર્મ, મર્યાદા, સત્ય-ન્યાય અને રાષ્ટ્રધર્મનું પણ પ્રતીક છે. સંકલ્પનો કોઈ વિકલ્પ હોતો નથી.

બધાએ 11 વર્ષમાં બદલાતા ભારતને જોયું છે. 500 વર્ષમાં સામ્રાજ્યો બદલાયા, પેઢીઓ બદલાઈ, પરંતુ શ્રદ્ધા અડગ રહી. શ્રદ્ધા ન ઝૂકી, ન અટકી. જન-જનનો વિશ્વાસ અટલ હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનના હાથમાં કમાન આવી ત્યારે દરેક મોઢેથી એક જ ઉદ્ઘોષ નીકળતો હતો- રામલલ્લા અમે આવીશું, મંદિર ત્યાં જ બનાવીશું. લાકડીઓ-ગોળીઓ ખાઈશું, પણ મંદિર ત્યાં જ બનાવીશું.’

સિંગર ઝુબિન ગર્ગનું મોતમાં મોટો ખુલાસો: આસામના CMએ કહ્યું—અકસ્માત નહીં, હત્યા

0

જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

સિંગાપોરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મોતનું કારણ
નોંધનીય છે કે શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના કારણે મોતનું કારણ આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં આસામ સરકારે પોતાની રીતે અલગથી તપાસ શરૂ કરી હતી.

મુખ્યમંત્રીનો દાવો: ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ થશે
આસામના મુખ્યમંત્રીએ હવે વિધાનસભામાં કહ્યું છે કે, ‘અમને આશંકા હતી જ કે આ હત્યાનો કેસ છે. આરોપીઓમાંથી એકે હત્યા કરી અને અન્યોએ તેની મદદ કરી છે. ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.’

આસામ સરકારે SIT અને ન્યાયિક આયોગની રચના કરી
નોંધનીય છે ઝુબિનનું મોત 19 સપ્ટેમ્બર સિંગાપોરમાં એક ફેસ્ટિવમાં થયું હતું. તેઓ તરવા માટે પાણીમાં ઉતર્યા અને અચાનક ડૂબી ગયા. ત્યારે એવો દાવો કરાયો હતો કે તેમણે લાઈફ જેકેટ નહોતું પહેર્યું. જોકે પરિવાર અને ચાહકોએ આ મોત મામલે સવાલ ઉઠાવ્યા હતા. આ દબાણ બાદ આસામ સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) અને એક સદસ્યીય ન્યાયિક આયોગની રચના કરી. ભારત સરકારે પણ સિંગાપોર પાસેથી તપાસમાં મદદ મેળવવા માટે MLAT(મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી) પ્રક્રિયા શરૂ કરી છે.

પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, મેનેજર સિદ્ધાર્થ શર્મા, કેટલાક બેન્ડ સભ્યો, ઝુબિનના કઝિન ભાઈ અને તેમના સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. વધુમાં, સુરક્ષાકર્મીઓના બેન્ક ખાતાઓમાં ₹1.1 કરોડથી વધુની શંકાસ્પદ રકમ મળી આવ્યા બાદ હવે નાણાકીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

બીજી ઑટોપ્સી રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઝુબિનનું મૃત્યુ ઝેરથી નથી થયું, તેમ છતાં મોડેથી મળેલી સારવાર, સંભવિત ષડયંત્ર, વિરોધાભાસી નિવેદનો અને નાણાકીય વ્યવહારોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે. જોકે સિંગાપોર પોલીસ હજી પણ આ ઘટનાને અકસ્માત માની રહી છે, પણ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટપણે તેને હત્યા ગણાવીને જલદી ચાર્જશીટ દાખલ કરવાની વાત કહી છે.

ACBનો સપાટો: અપ્રમાણસર મિલકત અંગે ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ

નવસારીમાં ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીનાં ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે. 62.13% અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો. નવસારી ACBએ સંદીપ મધકુર ખોપકર, તત્કાલીન મદદનીશ ભૂતત્વશાસ્ત્રી (હાલ નિવૃત), GIS-2, ખાણ ખનીજ વિભાગની અપ્રમાણસર મિલ્કતનો મોટો ગોટાળો બહાર પાડ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે 2009 થી 2018 દરમિયાન રૂ. 1,02,46,949 ની અપ્રમાણસર મિલ્કત હોવાનું સામે આવ્યું. કાયદેસર આવકની સરખામણીએ 62.13% વધારે સંપત્તિ. ગેરકાયદેસર રીતે નાણાં મેળવી મિલ્કત તથા વિવિધ રોકાણ કર્યાનો ખુલાસો. પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. સમગ્ર મામલાને લઈ સુરત એસીબીના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.

ACBની તપાસમાં અનેક રોકાણના રાજ ખુલ્યાં
વર્ષ 2021માં તેઓ નિવૃત્ત થયા હતા, જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓએ મકાન, LIC, પીપીએફ (PPF) એકાઉન્ટ અને પર્સનલ બેંક એકાઉન્ટ પરથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું.

આરોપીની કમાણીથી મિલકત 62.13 ટકા વધુ
એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેકટર આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે, જેની રકમ 1,02,46,949 થાય છે. સરકાર તરફથી બી.ડી. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી ACB પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે નવસારી ACB પોલીસ સ્ટેશનમાં મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)ઇ ગુનો નોંધાયો છે. ACB દ્વારા આક્ષેપિત સંદિપ મધુકર ખોપકરની 24 નવેમ્બરનાના રોજ ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી ગુનામાં સામેલ 31,840 આરોપીઓનું વેરીફિકેશન

ગુજરાત પોલીસે ૧૦૦ કલાકની અંદર રાષ્ટ્રવિરોધી કેસોમાં આરોપીઓની ચકાસણી પૂર્ણ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓની ઓળખ અને ચકાસણી કરવામાં આવી હતી. દિલ્હી બોમ્બ ધડાકા પછી ગુજરાત પોલીસે આ પહેલ શરૂ કરી હતી.

રાજ્ય પોલીસના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ટાડા, એનડીપીએસ, શસ્ત્રો અને વિસ્ફોટકો અધિનિયમ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ૩૦ વર્ષના ડેટાબેઝની તપાસ કરવામાં આવી હતી, અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને રોજગાર વિગતો ચકાસવામાં આવી હતી.

તપાસ દરમિયાન, પોલીસે શોધી કાઢ્યું હતું કે ૩૧,૮૩૪ આરોપીઓમાંથી ૩,૭૪૪ લોકોએ તેમના સરનામાં બદલ્યા હતા. તેથી, આ નવા સરનામાંના આધારે ચકાસણી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, ૪,૫૦૬ આરોપીઓ ગુજરાત બહારના છે.

ડીજીપીએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં, રાજ્યની બહારના આરોપીઓની ચકાસણી માટે એક ખાસ SOP વિકસાવવામાં આવશે, અને તેમના ડોઝિયર તૈયાર કરવામાં આવશે, અને સઘન કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા વધારવા માટે લેવાયેલા પગલાં
ગુજરાત ATS દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયારો અને ઘાતક હથિયારો સાથે પકડવાની દુ:ખદ ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોને ગંભીરતાથી લેતા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક એક એક્શન પ્લાન બનાવ્યો હતો. તેમણે રાજ્યમાં સતર્કતા વધારવાની યોજના બનાવી અને જરૂરી આદેશો જારી કર્યા છે.

રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, વિકાસ સહાયે 17 નવેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને તમામ શહેરો અને જિલ્લાઓના પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન ચકાસણી અને દસ્તાવેજોની તૈયારી આગામી 100 કલાકમાં પૂર્ણ કરે.

પોલીસ આ આરોપીઓના ઘરે પહોંચી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોએ આ પરિણામલક્ષી કાર્ય સમયસર પૂર્ણ કર્યું છે. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી છે અને કુલ 31,834 આરોપીઓની ઘરે ઘરે તપાસ હાથ ધરી છે.

આ ચકાસણી પ્રક્રિયામાં મુખ્યત્વે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), આતંકવાદી વિક્ષેપકારક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (TADA), NDPS અધિનિયમ, શસ્ત્ર અધિનિયમ, વિસ્ફોટક અધિનિયમ અને નકલી ભારતીય ચલણ જેવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થતો હતો.

2326 આરોપીઓના મૃત્યુ
પોલીસે આ આરોપીઓની તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને રોજગાર વિગતો વિશે પૂછપરછ કરી. વિકાસ સહાયે જણાવ્યું હતું કે કુલ 31,834 આરોપીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 11,880, અથવા આશરે 37 ટકા, ઓળખાઈ ગયા હતા.

આ બધા આરોપીઓના દસ્તાવેજો પૂર્ણ થઈ ગયા છે. વધુમાં, 2,326 આરોપીઓ હવે જીવિત નથી. 3,744 આરોપીઓએ તેમના સરનામાં બદલ્યા છે; ચકાસણી તેમના નવા સરનામાં પર કરવામાં આવશે. 4,506 આરોપીઓ ગુજરાત બહારના છે.

ગુજરાત પોલીસ બીજો તબક્કો શરૂ કરશે
ગુજરાત પોલીસે ચકાસણીનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં, રાજ્ય બહારના આરોપીઓની તપાસ કરવા અને તેમના દસ્તાવેજો તૈયાર કરવા માટે ખાસ SOP સ્થાપિત કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વોને કાયમી ધોરણે મજબૂત નિયંત્રણમાં રાખી શકાય.