Home Blog Page 223

પુતિનના નિવાસ પર ડ્રોન હુમલા બાદ રશિયા આક્રમક બન્યું, ઓરેશ્નિક પરમાણુ મિસાઇલો સક્રિય

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કર્યો હતો. જેની બાદ રશિયાએ પણ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા તૈયારી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ રશિયાએ પ્રથમ વાર પરમાણુ-સક્ષમ ઓરેશ્નિક મિસાઇલો સક્રિય કરી છે. જેનાથી યુક્રેન પર વિનાશક પરમાણુ હુમલો થવાની આશંકા વધી ગઈ છે.

મિસાઇલો પાડોશી બેલારુસમાં તૈનાત કરવામાં આવી
આ અંગે રશિયન સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે રશિયાની પરમાણુ-સક્ષમ ઓરેશ્નિક મિસાઇલ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મિસાઇલો પાડોશી બેલારુસમાં તૈનાત કરવામાં આવી છે. સૈનિકોને તેની જાણ કરવા નાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. જો કે, રશિયાએ કેટલી મિસાઇલો તૈનાત કરી છે તે જાહેર નથી કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહીને ખોટી ગણાવી
પુતિને યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા વિશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ માહિતી આપી હતી. ત્યારબાદ ટ્રમ્પે યુક્રેનની કાર્યવાહીને ખૂબ જ ખરાબ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ ખોટું છે. હું આનાથી ખૂબ ગુસ્સે છું.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ શાંતિ પ્રક્રિયા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પુતિને યુક્રેનને ચેતવણી આપી હતી કે જો યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓ શાંતિ વાટાઘાટો દરમિયાન રશિયાની માંગણીઓને નકારે તો યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી તેજ કરવામાં આવશે. આ જાહેરાત રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો માટે નિર્ણાયક સમયે આવી છે.

ધુરંધર-સૈયારા પાછળ રહી ગયા, 2025માં ‘લાલો’ રહી સુપરહિટ ફિલ્મ, હજારો ગણો નફો કમાવ્યો

વર્ષ 2025 ભારતીય સિનેમા માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે હિન્દી સિનેમામાં ‘સૈયારા’, ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે, તો દક્ષિણ ભારતની ‘કાંતારા ચેપ્ટર 1’ એ પણ ધૂમ મચાવી છે, પરંતુ આ બધાની વચ્ચે એક ગુજરાતી ફિલ્મે એવો ઈતિહાસ રચ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

50 લાખનું બજેટ અને રેકોર્ડબ્રેક કમાણી
અંકિત સખીયા દ્વારા નિર્દેશિત ગુજરાતી ભક્તિ ડ્રામા ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. નવાઈની વાત એ છે કે આ ફિલ્મ માત્ર ₹50 લાખના બજેટમાં બની હતી. જેમાં કોઈ મોટા સુપરસ્ટાર્સ નહોતા, ન તો કોઈ આઈટમ સોંગ્સ કે ન તો મોંઘા એક્શન સીન્સ. છતાં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹120 કરોડની જંગી કમાણી કરીને ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે.

હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો પણ પાછળ છૂટી
વર્ષ 2025માં ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મની સફળતા એટલી પ્રચંડ રહી છે કે તેણે ભારતીય સિનેમામાં નફાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ₹50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે તેના ખર્ચ કરતા અકલ્પનીય 24,000% પ્રોફિટ મેળવીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ આંકડાની સરખામણી કરીએ તો, વર્ષની અન્ય સુપરહિટ ફિલ્મ ‘સૈયારા’એ 1350% નફો કર્યો હતો, જ્યારે ‘ધુરંધર’ જેવી મોટા બજેટની ફિલ્મે જો ‘લાલો’ જેટલો પ્રોફિટ રેશિયો હાંસલ કરવો હોય, તો તેણે ₹30,000 કરોડની કમાણી કરવી પડે, જે હોલિવૂડની ‘અવતાર’ કે ‘એવેન્જર્સ’ જેવી ફિલ્મોના વર્લ્ડવાઈડ કલેક્શન કરતા પણ વધુ છે. અગાઉ આ રેકોર્ડ ‘સીક્રેટ સુપરસ્ટાર'(6000% પ્રોફિટ) અને 1975માં આવેલી ક્લાસિક ફિલ્મ ‘જય સંતોષી મા’ના નામે હતો, પરંતુ હવે ‘લાલો’ ભારતીય ફિલ્મ ઈતિહાસની સૌથી વધુ નફો કરનારી ફિલ્મ બની ગઈ છે.

શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મ એક રિક્ષા ડ્રાઈવરની વાર્તા છે, જે એક ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે. અહીં તેને ભગવાન કૃષ્ણના દિવ્ય દર્શન થાય છે. ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી અને મિષ્ટી કડેચાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ જેવા દિગ્ગજોએ આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કર્યો છે.

ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લો: બેદરકારી બની શકે ઘાતક, PM મોદીની મહત્વપૂર્ણ અપીલ

0

દેશના અનેક લોકો સામાન્ય બીમાર પડ્યા બાદ ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પોતાના નજીકના દવાના સ્ટોર પર જતા હોય છે અને તેઓ દુકાનદારને બીમારીની માહિતી આપી દવા લેતા હોય છે, જોકે આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. દવા લેવાની આ પદ્ધતિને ધ્યાને લઈને વિજ્ઞાનીઓએ પણ ચેતવણી આપી છે કે, ભારત ધીમે ધીમે નવી મહામારી તરફ આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ઉપયોગને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ખૂબ જ નુકસાનકારક
જ્યારે બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવીઓ સમય જતાં બદલાય છે અને તેમની સામે વપરાતી દવાઓ (જેમ કે એન્ટિબાયોટિક્સ) તેમના પર અસર કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે સ્થિતિને એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. જે બીમાર લોકો તાત્કાલિક બીમારી દૂર કરવા માટે ડોક્ટર પાસે જવાના બદલે દુકાનમાંથી એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ ખરીદીને તુરંત સાજા થવા માંગે છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે આવી રીતે જ એન્ટિબાયોટિક્સ લેવાના કારણે આજે ભારત એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સના સૌથી ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

દુકાનદાર પાસે જઈને એન્ટિબાયોટિક્સ દવા લેવી જોખમી
વાસ્તવમાં દિલ્હીના 11 જિલ્લામાં એક સર્વે હાથ ધરાયો હતો, જેમાં બીમાર લોકો દ્વારા પોતાની જાતે દવા લેવાની આદતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘણીવાર એવું બને છે કે, જ્યારે વ્યક્તિગત ઉપચારથી કામ થતું નથી, ત્યારે આપણે સૌથી પહેલા આપણા નજીકના ફાર્મસીનો સંપર્ક કરીએ છીએ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે સૌપ્રથમ ડોક્ટર પાસે જવાના બદલે દવાની દુકાને પહોંચી જઈએ છીએ. આમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી અને માત્ર બીમારી કહેવામાં આવે, તો દવા મળી જાય છે. આ દરમિયાન બીમાર વ્યક્તિના મનમાં માત્ર એવું હોય છે કે, તેણે જલ્દી સાજા થવું હોય છે અને તે વિચારતો પણ નથી કે, તેને થયેલી બીમારી વાઇરલ છે કે બેક્ટેરિયલ… તેઓ એ પણ જાણતા નથી કે, દુકાનદારે આપેલી એન્ટિબાયોટિક્સ વાઇરસ દૂર કરશે કે નહીં. જોકે આવી ભૂલ માત્ર બીમાર વ્યક્તિને જ નહીં અન્ય લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

દવાનો અધૂરો કોર્સ છોડી દેનારા સાવધાન
આવી રીતે એન્ટિબાયોટિક્સ લીધા બાદ આપણે બે દિવસમાં સાજા થઈ જઈએ છીએ. આ દરમિયાન આપણે ડોક્ટરના બદલે દુકાનદાર પાસે જઈને દવા લેવાની બાબતને યોગ્ય માની લઈએ છીએ. એટલું જ નહીં પછી દવા પણ છોડી દઈએ છીએ, કોર્સ પણ પૂરો કરતા નથી. જોકે આપણે એ જાણતા જ નથી કે, અધૂરા કોર્સના કારણે બેક્ટેરિયા મરતા નથી, પરંતુ તે એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને વધુ મજબૂત બનાવે છે, એટલે કે બેક્ટેરિયાની લડવાની શક્તિ વધારે છે. આવી એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને દવાથી બચવાની રીત શિખવાડે છે.

એન્ટિબાયોટિક્સ લઈને બીમારી દૂર કરનાર વ્યક્તિમાં જ્યારે ફરી બીમારી આવે ત્યારે નવા કીટાણુને તે એન્ટિબાયોટિક્સ મારવામાં સક્ષમ રહેતી નથી. તેથી જ તેને શક્તિશાળી કીટાણુ (સુપર બગ) કહેવામાં આવે છે. આમ આ રીતે દવા લેવાની આદત માત્ર પોતાના માટે જ નહીં, અન્ય લોકો માટે પણ ખતરો ઊભો કરે છે.

ડોક્ટર પાસે કેમ જવું જરૂરી?
બીમાર પડ્યા બાદ ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ડૉક્ટર વ્યક્તિનું ચેક અપ કરીને તેને કેટલા ડોઝની કઈ દવાની જરૂર છે, તે પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે છે. આ દરમિયાન ડોક્ટર દર્દીને કોર્સ પણ પૂરો કરવાની સલાહ આપતા હોય છે. જોકે આપણે તાત્કાલિક બીમારી દૂર કરવા માટે સ્ટ્રોંગ દવા લેવાની ઈચ્છા રાખીએ છીએ, તેથી આપણે દુકાનદાર પાસે પહોંચી જઈ છે. જ્યારે ડૉક્ટર કોર્સ મુજબ દવા આપતા હોય છે, ત્યારે તે બીમારીને ધીમે ધીમે દૂર કરવાની હોય છે, જો તાત્કાલિક હેવી ડોઝ આપીને બેક્ટેરિયા દૂર કરવામાં આવે તો બેક્ટેરિયા તે હેવી ડોઝ સામે લડવાની ક્ષમતા બનાવી લે છે, જેના કારણે પછીના સમયમાં હેવી ડોઝ પણ કામ આવતો નથી, જેના કારણે ચેપ ફેલાવવાનું જોખમ વધવાની સાથે દવા બેઅસરનું જોખમ પણ વધે છે.

એન્ટિબાયોટિક્સનો પહેલેથી જ ઉપયોગ પણ નુકસાનકારક
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સાધારણ બીમારી કે દુખાવો દૂર કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરાય, કારણ કે તે છેલ્લું હથિયાર છે. પરંતુ જો આપણે આ છેલ્લા હથિયારને પહેલેથી જ ઉપયોગ કરીશું તો બેક્ટેરિયા છેલ્લા હથિયાર સાથે લડવામાં સક્ષમ થઈ જશે. આ પાસાઓને જોતા વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, જો એન્ટિબાયોટિક્સ દવાઓનો આવી રીતે ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં ઓપરેશન, ડિલિવરી, સામાન્ય ઈન્ફેક્શન સહિતની બીમારી દૂર કરવામાં મોટું જોખમ ઊભું થશે.

સુપર બગ કેટલા ખતરનાક હોય છે?
જ્યારે આપણે વારંવાર અયોગ્ય રીતે દવાઓ (એન્ટિબાયોટિક્સ) લઈએ છીએ, તો બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવી કીટાણુઓ પોતાને એન્ટિબાયોટિક્સ સામે લડવા માટે વધુ સક્ષમ બનાવે છે. જેના કારણે પછી એન્ટિબાયોટિક્સ દવાઓથી પણ બીમારી દૂર થતી નથી. સાયન્સની ભાષામાં આવા અજેય કીટાણુઓને જ સુપર બગ કહેવામાં આવે છે. ભારતમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગના કારણે આવા કેટલાક કીટાણુઓ હવે લડવામાં સક્ષમ બની ગયા છે, જેના કારણે શરીર પર દવાની અસર થવાની સંભાવનાઓ ઘટી ગઈ છે.

‘સુપર બગ જીન’ તરીકે ઓળખાતું એનડીએમ-1 શરીરમાં બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ થઈ ગયું હોવાનું કહેવાય છે, જેના કારણે કોઈપણ દવાની કોઈ અસર થતી નથી. આના કારણે યુરિન ઇન્ફેક્શન અથવા ન્યુમોનિયા જેવા રોગ સામાન્ય દવાથી દૂર થતા નથી અને દર્દીને આઈસીયુમાં ભરતી કરવા પડે છે.

કોણ છે અવીવા બેગ? ગાંધી-વાડ્રા પરિવારની થનારી વહુ વિશે Aથી Z જાણકારી

0

હાલમાં ગાંધી અને વાડ્રા પરિવારમાં અત્યારે ઉત્સાહ, ઉમંગ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઈ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

સોશિયલ મીડિયા પર રેહાન અને અવીવાના ફોટો વાઈરલ થયા બાદ લોકોમાં કુતૂહલ જાગ્યું છે કે કોણ છે આખરે અવીવા બેગ, જે વાડ્રા પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે. ચાલો તમને અહીં જણાવીએ-

કોણ છે અવીવા બેગ?
સૌથી પહેલાં તો એ જાણીએ કે આખરે કોણ છે આ અવીવા બેગ? તમારી જાણકારી માટે કે રેહાન વાડ્રા અને અવીવા બેગ છેલ્લા લગભગ સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ પોતપોતાના ફિલ્ડમાં કરિયરની બનાવવાની સાથે રિલેશનશિપને પણ ખૂબ જ મેચ્યોરિટી સાથે હેન્ડલ કરી છે.

હાલમાં જ અવીવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામ પર રેહાન સાથેની એક ક્લોઝ તસવીર શેર કરી હતી, જેને તેણે ‘હાઈલાઈટ્સ’ સેક્શનમાં ત્રણ હાર્ટ ઇમોજી સાથે મૂકીને આ સંબંધ પર મહોર મારી દીધી છે.

બેગ પરિવાર અને ગાંધી પરિવારનો જૂનો સંબંધ
અવીવા જે ‘બેગ ખાનદાન’ માંથી આવે છે, જેનો ગાંધી પરિવાર સાથે પેઢીઓ જૂનો સંબંધ છે. કહેવાય છે કે બેગ પરિવારનો પરિચય ઇન્દિરા ગાંધીના સમયથી ગાંધી પરિવાર સાથે રહ્યો છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા સાથે પણ આ પરિવારની સારી ફ્રેન્ડશિપ છે, આ મિત્રતા હવે પારિવારિક સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે.

શું કરે છે અવીવા બેગ?
અવીવા બેગ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર તો છે જ છે પણ તે ટ્રાવેલિંગની પણ ખૂબ જ શોખીન છે. તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ લંડન, બાર્સેલોના, ફ્રાન્સ, ક્રોએશિયા અને બેંગકોક જેવી ફોરેન સિટીની મુલાકાક લીધી છે. આ સિવાસ અવીવાએ ભારતમાં દિલ્હી, લદ્દાખ, નાગપુર અને બનારસ જેવા શહેરોના સુંદર ફોટા પણ પોતાની પ્રોફાઈલ પર શેર કર્યા છે.

એટલું જ નહીં, તેણે વાયનાડની પણ મુલાકાત લીધી છે, જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો ગઢ ગણાય છે. ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગ સિવાય અવીવા બેગ એક સારી ફૂટબોલર પણ છે. તે નેશનલ લેવલની ખેલાડી રહી ચૂકી છે.

અવીવા બેગ નામનો શું થાય છે અર્થ?
અવીવા નામ ખૂબ જ રેર છે. એટલે તેના નામનો ઈતિહાસ ખણખોદ કરતાં ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ માહિતી જાણવા મળી હતી. ‘અવીવા’ શબ્દના મૂળિયા હિબ્રૂ કે અરબી સાથે જોડાયેલા છે અને એનો અર્થ ‘જીવન’, ‘પ્રકાશ’ અથવા ‘સકારાત્મક ઊર્જા’ એવો થાય છે.

વાત કરીએ બેગ અટકની તો તે તુર્કી અને ફારસી મૂળની છે, જેનો પરંપરાગત અર્થ ‘શ્રીમાન’ અથવા ‘સન્માનનીય વ્યક્તિ’ થાય છે. મધ્ય એશિયા અને મુસ્લિમ સમાજમાં આ અટક પ્રતિષ્ઠા અને રાજવી ઓળખનું પ્રતીક માનવામાં આવે છે.

ફેશન અને બ્યુટીમાં આપે બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર
જ્યારથી અવીવા બેગ અને રેહાન વાડ્રાના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે ત્યારથી લોકોએ અવીવાનો ઈતિહાસ, ભૂગોળ જાણવા માટે ઈન્ટરનેટ પર ખણખોદ કરવાનું શરૂ કરી દીધું છે. અવીવાના ફોટો જોતાં જ ખ્યાલ આવે છે કે તે સુંદરતા અને ફેશન સેન્સના મામલામાં બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે.

અંબાલાલ પટેલની કડક ચેતવણી: આગામી 24 કલાકમાં માવઠાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીને લઈ આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે રાજયમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જેથી તાપમાનમાં ત્રણ ડીગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, ભર શિયાળામાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. રાધનપુર, સુઈગામ, મહેસાણા,પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા,ગાંધીનગર,અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં વાતાવરણમા પલટો આવશે. 6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 11થી 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડશે.

રાજ્યમાં માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે. ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ મુસાફરીમાં વિલંબ થશે. વિઝિબિલિટી ઘટતાં અકસ્માતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉત્તરાયણ આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના દિવસે બપોર પછી પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ફેરફાર થશે.

બંગાળમાં ઘૂસણખોરી પર અમિત શાહની ગર્જના, મમતા પર કર્યા પ્રહારો

0

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ઘૂસણખોરીના મુદ્દા પર મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે, જો ભાજપ બંગાળમાં સરકાર બનાવે છે તો સુરક્ષા વ્યવસ્થા એટલી મજબૂત હશે કે, “એક પક્ષી પણ ઉડી શકશે નહીં.”

બંગાળ સાથે ભાજપ કનેક્શન
અમિત શાહે કહ્યું કે, ભાજપની સ્થાપના બંગાળમાં થઈ હતી અને તેથી આ રાજ્ય પાર્ટી માટે ખાસ મહત્વ ધરાવે છે. તેમણે સમજાવ્યું કે 2014 માં પાર્ટીએ બંગાળમાં ફક્ત 2 બેઠકો અને 17% મત જીત્યા હતા પરંતુ 2019માં તે વધીને 18 બેઠકો અને 41% મત સુધી પહોંચી ગયું. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો અને 38% મત જીત્યા.

શાહે આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જી સરકારના શાસન હેઠળ બંગાળમાં ઘૂસણખોરી થઈ રહી છે. તેમણે કહ્યું કે, આસામ, ત્રિપુરા અને ગુજરાત જેવા રાજ્યોમાં આવી સમસ્યાઓ નથી. તેમણે દાવો કર્યો કે બંગાળને ઘૂસણખોરી રોકવા માટે દેશભક્ત સરકારની જરૂર છે.

અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે એક મંત્રીના ઘરેથી ₹27 કરોડની વસૂલાત છતાં સરકાર પોતાને ગરીબ ગણાવી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી બંગાળ ભય, ભ્રષ્ટાચાર અને કુશાસનનો ભોગ બન્યું છે.

શાહે કહ્યું કે, જો ભાજપ બંગાળમાં સરકાર બનાવશે તો રાજ્યમાંથી વિકાસની નદી વહેશે અને ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે ઘૂસણખોરીને રોકવા માટે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ બનાવવામાં આવશે જેથી “એક પક્ષી પણ તેના પર ઉડી શકશે નહીં.”

સુરત: AAP ના કાર્યકરે દુકાનદારને ધમકી આપી રૂ.1 લાખ પડાવ્યા, જાણો સમગ્ર મામલો

સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતાં પરિવારને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિત નિલેશ મહાદુભાઇ મોરે દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી વિગતવાર ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનું જણાવતા શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરીએ મળીને ધમકી, બદનામી અને ખોટા વિડિયો વાયરલ કરવાની ભય બતાવી એક લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી.
ઘટના શું છે?

ફરિયાદ મુજબ, નિલેશ મોરે પોતાની માતા સિંધુબેન મોરેના નામે ચાલતી સરકાર માન્ય રેશન દુકાન (લાયસન્સ નં. 973/96) પર ઓપરેટર તરીકે કામ કરે છે. તારીખ 13-10-2025ના રોજ સવારે દુકાન પર અનાજ વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે શ્રવણ જોશી નામનો વ્યક્તિ એક અજાણ્યા સાથી સાથે દુકાને આવ્યો અને દુકાનમાં કાળાબજાર થતો હોવાના ખોટા આરોપો લગાવ્યા.

આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વીડિયો ઉતારી લેતા હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. સાગરીત સંપત ચૌધરીએ અન્ય એક વીડિયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોષીના કહેવા પર જ 25-25 હજારના હપ્તા લેવા જતો હતો, જેના આધારે પોલીસે આ હપ્તાખોર ટોળકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા
આરોપી શ્રવણ જોષી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા હતા. વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગેહાથ પકડવાનું આયોજન કર્યું હતું. જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો, ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયોમાં સંપત ચૌધરી પીળા રંગના ટી-શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે.

દુકાનદાર પાસેથી દર મહિને 25,000નો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો
શ્રવણ જોષી પર આરોપ છે કે તેણે એકસાથે 10 જેટલા દુકાનદારો પાસેથી ખંડણી વસૂલવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. એક અનાજની દુકાનદાર પાસેથી દર મહિને 25,000 રૂપિયાનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો. કુલ 10 દુકાનો માટે સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વેપારીઓને ડરાવવા માટે શ્રવણ જોષી ‘આપ’નો ખેસ પહેરીને દુકાને જતો અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપીને વીડિયો બનાવતો હતો, જેથી વેપારીઓ ગભરાઈને પૈસા આપવા તૈયાર થઈ જાય.

DCP રાજદીપસિંહ નકુમે વધુમાં જણાવ્યું હતું કે, તેમની આ ખંડણીની માંગણીથી કંટાળીને અનાજ દુકાનદાર એસોસિએશનના સભ્યો તેમની પાસે ગયા હતા, જ્યાં આરોપીઓએ 10 દુકાનો દીઠ સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તે સમયે એક લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને બાકીના પૈસા પછી આપવાની વાત થઈ હતી. આ રકમ લેતી વખતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ લોકો ખંડણી વસૂલવા માટે સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. હાલ આ મામલે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં સૌથી મજબૂત પુરાવો વેપારીએ પોતે તૈયાર કર્યો
સંપત ચૌધરીએ વેપારી પાસે દર મહિને 50 હજાર રૂપિયાના હપ્તાની માંગણી કરી હતી. વાટાઘાટો બાદ, ગોડાદરા વિસ્તારના એક હોલ પાસે 16મી ડિસેમ્બરે સંપત ચૌધરી પૈસા લેવા આવ્યો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સંપત ચૌધરી પીળા રંગની ટી-શર્ટ પહેરીને બાઈક પર બેઠો છે. તે દરમિયાન વેપારી તેને રોકડા રૂ. 1,00,000 આપી રહ્યો છે. વીડિયોમાં 10 જેટલી દુકાનો પાસેથી કુલ 3.5 લાખ રૂપિયા ખંડણી પેટે વસૂલવાની વાતચીત પણ સંભળાય છે.

પૈસા આપ્યા બાદ પણ ફરીથી ધમકીઓ શરૂ થતાં આખરે પીડિતે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શ્રવણ જોશી, સંપત ચૌધરી અને એક અજાણ્યા સાગરીત સામે ગેરકાયદેસર ઉઘરાણી, ધમકી, બદનામી અને ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

0

ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાંના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મંગળવારે (30મી ડિસેમ્બર) સવારે ભીકિયાસૈન-રામનગર માર્ગ પર આવેલા શિલાપાની પાસે સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિલાપાની પાસે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એસડીઆરએફ (SDRF)ની ટીમને જાણ કરી હતી. અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે.

બસમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અન્ય કોઈ મુસાફરો દબાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

બાંગ્લાદેશના પહેલા મહિલા વડાપ્રધાન ખાલિદા શેખનું નિધન

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ X પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા.

નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતાં હતા. જોકે હાલમાં જ તેઓ 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે.

શેખ હસીના સાથે રાજકીય દુશ્મનાવટ હતી
બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધના મુખ્ય પાત્રો હતા બે શક્તિશાળી મહિલા નેતા: શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયા (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP). એક સમયે બંને સામૂહિક રીતે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ સત્તાની લાલચમાં બંને એકબીજાની દુશ્મન બની બેઠી. જોકે હવે શેખ હસીના ભારતમાં છે જ્યારે આજે ખાલિદા ઝિયાનું નિધન થયું છે. એવામાં હવે બાંગ્લાદેશમાં નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળશે.

ખલિદા ઝિયાએ પતિના નિધન બાદ રાજકારણમાં પગ મૂક્યો હતો
30 મે, 1981ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.

જ્યારે શેખ હસીના અને ખાલિદા ઝિયા એક થયા હતા!
વર્ષ 1978માં જનરલ ઝિયાઉર રહેમાન દ્વારા બાંગ્લાદેશ સેનાના પ્રમુખ બનાવાયેલા હુસૈન મુહમ્મદ ઇર્શાદને ઝિયાઉર રહેમાનની હત્યા બાદ સત્તાલાલસા જાગી. તેમણે 1982માં સૈન્ય તખ્તાપલટ કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકાર ગબડાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બનીને સંપૂર્ણ અધિકારો હાંસલ કરી લીધા. માર્શલ લૉ લાદીને તેમણે રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, રાજકીય પક્ષો ભંગ કર્યા અને વિરોધી નેતાઓને જેલમાં ધકેલી દીધા. પોતાની સરમુખત્યારશાહી પર ઢાંકપિછોડો કરવા તેમણે 1983માં ‘જાતીય પક્ષ’ નામની પાર્ટીની સ્થાપના કરી. ઇર્શાદને સત્તા પરથી હટાવવા માટે શેખ હસીના વાજેદ અને ખાલિદા ઝિયા એક થયા. 1987માં શરુ થયેલા આ આંદોલનને વ્યાપક લોકસમર્થન મળ્યું. આખરે 4 ડિસેમ્બર 1990ના રોજ ઇર્શાદે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવું પડ્યું. 1991માં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ.

શેખ હસીના અને ખાલિદા ઝિયા વચ્ચે સત્તા માટે લડાઈ
ઇર્શાદના પતન પછી બંને બેગમો વચ્ચે સત્તા માટે સીધી હરીફાઈ શરુ થઈ, જેમાં બંનેએ વારાફરતી સત્તા મેળવી.

  • 1991માં ખાલિદા ઝિયા (BNP) બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • 1996માં શેખ હસીના (અવામી લીગ) પહેલીવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા.
  • ખાલિદા ઝિયા 2001થી 2006 સુધી ફરી સત્તામાં રહ્યા.
  • શેખ હસીનાએ 2009થી 2024 સુધી સતત 15 વર્ષ સુધી સત્તા ભોગવી. તેઓ 2009, 2014 અને 2018માં સતત ત્રણ ચૂંટણી જીત્યા હતા.

ખાલિદા ઝિયાને જેલ થઈ, પુત્ર પહેલા જ લંડન ભાગી ગયા હતા
વર્ષ 1991થી 2024ના દરમિયાન બંને બેગમોના પક્ષની દુશ્મનાવટ ઉગ્ર બની. બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચાર, આપખુદ શાસન અને હિંસા ફેલાવવાના આરોપ મૂક્યા. 2004માં શેખ હસીના પર ગ્રેનેડ હુમલો થયો, જેમાં 24 લોકો માર્યા ગયા. હસીનાએ આ હુમલા માટે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને દોષી ઠેરવ્યા. હસીના સરકાર જેલમાં નાંખી દેશે એવા ડરથી તારિક 2008માં લંડન ભાગી ગયા. 2018માં હસીના સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ખાલિદા ઝિયાને જેલમાં ધકેલી દીધા.

2024ના વિદ્યાર્થી આંદોલને કર્યું હસીનાના શાસનનું પતન
2024ના ઉનાળામાં સરકારી નોકરીઓમાં જૂની ‘ક્વોટા સિસ્ટમ’ બંધ કરવા માટે શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન શરુ થયું, જે પછીથી શેખ હસીના સરકાર સામે વ્યાપક વિરોધ બની ગયું. આંદોલનકારીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે સરકાર પર લોકશાહીનું દમન, મીડિયા દમન અને ચૂંટણીમાં ગોટાળાના આરોપ મૂક્યા. જુલાઈ-ઑગસ્ટમાં થયેલી હિંસક ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા. દબાણ વધતું જતાં 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. જીવ પર ખતરો લાગતા તેમણે ભારતમાં શરણ લીધી.

પતન બાદ બાંગ્લાદેશમાં આવેલા રાજકીય પરિવર્તનો

  • ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરાયા.
  • નોબેલ વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવાયા.
  • અવામી લીગ પર પ્રતિબંધ મૂકાયો. હસીના પર માનવતા વિરુદ્ધના ગુના માટે કેસ ચાલ્યો.
  • નવેમ્બર 2025માં ટ્રિબ્યુનલે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા ફટકારી.
  • શેખ હસીના હજુ પણ ભારતમાં છે. તેમના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ સરકારની માંગણીનો ભારતે હજુ સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

વાંસદામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા

દક્ષિણ ગુજરાતના વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 62 km દુર નોંધાયું. સવારે 9:24 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય