ઘરમાં અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, વૃદ્ધને મૃત માની તુલસી-ગંગાજળ પણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરના એક વાક્યે આખા પરિવારની આંખોમાં શોકની જગ્યાએ ખુશીના આંસુ લાવી દીધા—“બાબા તો હજુ જીવિત છે.” ઉત્તર પ્રદેશના બલિયામાં બનેલી આ ઘટના હાલ ચર્ચામાં છે.
બલિયા જિલ્લાના શિવપુર દિયરી નંબરી ગામમાં 65 વર્ષીય વિશ્વનાથ પાલ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમના શરીરમાં હલનચલન ન થતાં તેમજ બોલચાલ અને હાથ-પગની ગતિવિધિ બંધ થતાં પરિવારજનોને તેઓનું મોત થયું હોવાનું લાગ્યું હતું. પરિવાર તરફથી તેમને મૃત માની તુલસી અને ગંગાજળ પણ આપવામાં આવ્યું હતું. આ વાત ફેલાતાં ગામમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ વિશ્વનાથ પાલને એક વખત હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. પરિવારજનોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા ત્યારે તબીબી તપાસ બાદ જાણવા મળ્યું કે તેઓ જીવિત હતા. આ સમાચાર સાંભળતાં જ પરિવારના શોકમાં અચાનક ખુશી છવાઈ ગઈ. વિશ્વનાથ પાલને હાલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
વિશ્વનાથ પાલના પુત્ર દયાશંકર પાલે જણાવ્યું કે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનો રડી રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેમને પણ લાગ્યું હતું કે પિતાનું અવસાન થઈ ગયું છે. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે જીવિત હોવાની જાણ કરતાં તેઓ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
આ ઘટના એ પણ યાદ અપાવે છે કે કોઈ વ્યક્તિને મૃત માનતા પહેલાં તબીબી તપાસ કરાવવી કેટલી જરૂરી છે.





