Home Blog Page 209

નવી સિવિલમાં પતંગોત્સવ સાથે અંગદાન મહાદાનનો સંદેશ: 5000 પતંગો દ્વારા જનજાગૃતિ અભિયાન

0

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 18 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરી નવી સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ ઘાતક દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલમાં મેયર દક્ષેશભાઈ માવાણી અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, નિર્દોષ અને અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસ દિવસીય ‘કરુણા અભિયાન’ યોજવામાં આવે છે, જે માનવતા અને જીવદયાની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અંગદાન મહાદાન’ અભિયાન પણ માનવ જીવન બચાવવાની સર્વોચ્ચ સેવા છે, જેમાં એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે. સમાજમાં જીવદયા અને માનવતાની આ ભાવના વધુ વિસ્તરે તે માટે આવા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે.

મેયરએ નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 18 વર્ષથી હેલ્પલાઈન સેવાની જ્યોત પ્રજ્વલિત રાખવા બદલ પ્રશંસા વ્યક્ત કરી અને સુરતવાસીઓને પક્ષી સંરક્ષણ સાથે સાથે અંગદાન જેવા મહાન કાર્ય માટે પણ આગળ આવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓના રક્ષણ-સારવારની સાથોસાથે અંગદાન-મહાદાન અભિયાનને જોડવામાં આવ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખ દ્વારા નવી સિવિલમાં અંગદાન મહાનદાનના સ્લોગન અંકિત કરેલા 5000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ દરેક લોકોને પંતગ આપી અંગદાનના મહત્વ વિશેની સમજ અપાઈ છે. અંગદાન મહાદાન અભિયાન થકી લોકોના જીવ બચાવવાનો ઈશ્વરીય હેતુ છે. મારા 34મા જન્મદિવસે ૩૫ લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ કરી, ફોર્મ ભરી અંગદાનના અભિયાનને વેગ આપવાનું કાર્ય કર્યું છે, એવી જ રીતે દરેક યુવાનો અંગદાનના અભિયાન જોડાઈને સમાજહિત માટે આગળ આવવું જોઈએ.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતાથી કાર્યરત આ હેલ્પલાઈન સેવાનું સમગ્ર આયોજન કરીએ છીએ. ઉત્તરાયણના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીઓ, ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર સેવા કરવામાં આવે છે. આ સાથે અંગદાન મહાદાનના અભિયાનને વેગવાન બનાવીશું. અંગદાનથી અનેક લોકોનો જીવ બચી શકે છે, જેથી આ મહત્વપૂર્ણ અભિયાનમાં સૌએ અવશ્ય જોડાવવું જોઈએ.

ઓલપાડના નાયબ મામલતદાર હિનીષા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ

સુરતના રાંદેર વિસ્તારમાં આજે (12 જાન્યુઆરી 2026) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય હિનીષા પટેલે પોતાના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બાદ પરિવારજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીષા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ પણ ઓલપાડ પ્રાંત કચેરીમાં જ ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા કરી તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પ્રાથમિક તપાસમાં પારિવારિક તણાવ, કાર્યસ્થળનું દબાણ કે અન્ય માનસિક કારણો હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. રાંદેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પતિ તથા અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની પરીક્ષા પાસ ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા શરૂ

0

ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા, આગામી 21 જાન્યુઆરીથી શરૂ થનાર છે. પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, Ojas વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર શરૂ થયેલ છે.

અમદાવાદના મેમકો બ્રિજ પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, બે લોકો ગંભીર રીતે દાઝ્યા

0

શહેરના મેમકો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં આજે બપોરના સમયે એક લાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં હાજર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

ઘટનાની વિગત અને ફાયર વિભાગની કામગીરી
અમદાવાદ ચીફ ફાયર ઓફિસરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને અંબિકા એસ્ટેટની એક ત્રણ માળની ઇમારતમાં આગ લાગી હોવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. આગની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ગોડાઉનમાં લાકડાનો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.”

ગોડાઉન સંચાલકનું નિવેદન
ગોડાઉન સંચાલકે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ એકમ ભાડે રાખીને ચલાવે છે. અંબિકા એસ્ટેટ અંદાજે ૪૦ વર્ષ જૂનું છે. બ્રિજેશ મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, “હું બે દિવસ પહેલા મારા એસ્ટેટના કામ અર્થે દિલ્હીના સહરાનપુર ગયો હતો. મારા કામના સિલસિલામાં બે વ્યક્તિઓ શનિવારે જ અમદાવાદ આવ્યા હતા. બપોરના સમયે જ્યારે તેઓ ગોડાઉનમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે જ આગ લાગવાની આ દુર્ઘટના ઘટી હતી.”

ઈજાગ્રસ્તોની સ્થિતિ
આગ લાગતા જ ગોડાઉનમાં રહેલા બંને વ્યક્તિઓ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે એફએસએલ (FSL) ની તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે.

સુરતમાં SOGની મોટી કાર્યવાહી: નકલી ચલણી નોટો સાથે સુરતનો રત્નકલાકાર ઝડપાયો

સુરત SOG પોલીસ ટીમે ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો સાથે એક રત્નકલાકારને ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 5 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો (Duplicate notes) જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 1 વર્ષમાં આરોપી 25 લાખની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નકલી નોટો સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ સુરતમાં SOG પોલીસની ટીમે વરાછા રોડ સાધના ચેમ્બર્સ પાસેથી 27 વર્ષીય આરોપી પરેશભાઈ પુનાભાઈ ડડિયાને ઝડપી પાડયો હતો. આરોપી અમરેલી જિલ્લાનો વતની છે, અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી પાસેથી 5 લાખ રૂપિયા કિંમતની ભારતીય ચલણી બનાવટી નોટો (Counterfeit notes) જપ્ત કરી હતી.

પોલીસે આરોપી પાસેથી 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે. પોલીસ નકલી નોટોનો જથ્થો આરોપી કયાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા એ દિશામાં તપાસ કરી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.

DCP રાજદિપસિંહ નકુમે જણાવ્યું હતું કે, પોલીસ ટીમે નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી પાડયું છે. આરોપી પરેશ હડિયાને વરાછા મીની બજાર વિસ્તારમાંથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બીજા પાર્ટનર રાજુ વાઘમશી પાસેથી આ નોટો લાવતો હતો.
લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી.

લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી
આ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ વાળી નકલી નોટો છે, અને એક જ સીરીઝ નંબર વાળી છે. એટલે આરોપી નોટની ઝેરોક્ષ કરીને બજારમાં ભીડભાડ વાળી જગ્યા, પાનના ગલ્લા, શાકભાજીની લારી અને ખાણીપીણીની દુકાનો પર જ્યાં ભીડ હોય ત્યાં વટાવતો હતો. મોટાભાગે વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં નોટો વટાવવાનું કામ કરતો હતો.

આગામી 20-30 વર્ષમાં ભારત હિંદુ રાષ્ટ્ર બનશે: RSS પ્રમુખ મોહન ભાગવત

0

આગામી 20-30 વર્ષોમાં ભારત વિશ્વ ગુરુ બનશે અને એક હિન્દુ રાષ્ટ્ર બનશે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું. મોહન ભાગવતે વૃંદાવનમાં સુદામા કુટી આશ્રમ દ્ધારા રામાનંદી સંપ્રદાયના સ્થાપક રામાનંદાચાર્યની 726મી જન્મજયંતિ અને સુદામા કુટીના સ્થાપક સંત સુદામા દાસના વૃંદાવનમાં આગમનની શતાબ્દી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.

તેમણે હિન્દુઓમાં વિભાજન સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુઓમાં વિભાજનના કારણે જ પરાજય થાય છે. ભારતની ભક્તિ પરંપરાનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં ભક્તિમાંથી પ્રાપ્ત અમૃતની શક્તિ છે અને રાક્ષસો અને રાજાઓની શક્તિઓ તેને નુકસાન પહોંચાડી શકતી નથી. તૈયારીના અભાવે સમસ્યાઓ ઊભી થાય છે.

મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે, “હિન્દુઓ ક્યારેય દુશ્મનની બહાદુરી, વીરતા અથવા શક્તિને કારણે હાર્યા નથી. જ્યારે પણ તેઓ હાર્યા છે, ત્યારે તે ફક્ત આંતરિક વિખવાદને કારણે હાર્યા છે, પરંતુ તે ચિંતા કરવાની કોઈ વાત નથી. આપણે ચારથી પાંચસો વર્ષ સુધી મુઘલોના અત્યાચાર સહન કર્યા છે. છતાં સનાતન ધર્મ નબળો પડ્યો નથી. બધી તકલીફો સહન કરવા છતાં તે ફરીથી મજબૂત બનીને ઉભરી આવ્યો છે.

ભાગવતે કહ્યું હતું કે, “એટલા માટે જ હું કહું છું કે આગામી વીસથી ત્રીસ વર્ષોમાં ભારત એક વિશ્વ ગુરુ બનીને સુખ-શાંતિથી જીવન જીવનારો રાષ્ટ્ર બનશે, હિન્દુ રાષ્ટ્ર બનીને ઉભરશે. ભારતનો જન્મ આ જ કારણસર થયો હતો અને આ હેતુ આપણી સમક્ષ હાજર છે. આપણે તેની તૈયારી કરવામાં થોડા મોડા પડ્યા છીએ. આપણે તેના માટે એક થવું જોઈએ.”

ભાગવતે કહ્યું હતું કે આપણી વિરુદ્ધ કામ કરતી આ શક્તિઓ આપણને નુકસાન પહોંચાડી શકતી નથી. જોકે, તેમણે તૈયારીના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું હતું કે આપણે જે રીતે તૈયારી કરવી જોઈએ તે રીતે તૈયારી કરી નથી.
ઇતિહાસનો ઉલ્લેખ કરતા આરએસએસના વડાએ કહ્યું હતું કે આપણે આક્રમણકારો અને સુલતાનોના જુલમ વચ્ચે બલિદાન દ્વારા આપણી શક્તિ જાળવી રાખી છે. આ શક્તિ ભક્તિમાંથી પ્રાપ્ત થાય છે અને તે હંમેશા કાર્ય કરે છે.

સામાજિક એકતા પર ભાર મૂકતા મોહન ભાગવતે એમ પણ કહ્યું કે હિન્દુ સમાજ વિભાજનને કારણે પરાજિત થાય છે. શક્તિ નબળાઓ પર જુલમ કરે છે. તે નબળાઓ પર વધુ જુલમ કરે છે. જ્યારે શક્તિ હોય છે ત્યારે તે સમગ્ર વિશ્વ પર જુલમ કરે છે, પરંતુ ભારતનો ઇતિહાસ આવો નથી. આપણી પાસે અમૃતની શક્તિ છે.

આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ, જર્મન ચાન્સેલર સાથે ચગાવ્યો પતંગ

0

આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે આ આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે. આ તકે વડાપ્રધાન મોદી પણ પતંગબાજ બન્યા અને તેમણે પણ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો હતો.

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક ગળામાં નયનરમ્ય કલાત્મક ડિઝાઈનનો દુપટ્ટો નાખેલો જોવા મળ્યા. જે ખાસ પાટણના પ્રખ્યાત પટોળામાંથી બનાવવામાં આવ્યો છે. જે જર્મન ચાન્સેલરને ભેટ આપવામાં આવ્યો છે. અમદાવાદના પતંગ મહોત્સવને જોઈને જર્મન ચાન્સેલર ઘણા ઉત્સાહિત જણાયા હતા.

અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના ચાન્સેલરે પોતાની ઉપસ્થિતિ આપી હતી. જેના કારણે આ ઉત્સવને વૈશ્વિક ઓળખ મળી છે.

રિવરફ્રન્ટ પર યોજાનારા આ પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજોએ ભાગ લીધો છે. કુલ 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ઉત્સવમાં સામેલ થયા છે. આ સાથે જ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગરસિયાઓ આ રંગીન મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદનું આકાશ દેશી-વિદેશી રંગબેરંગી અને અનોખા આકારના પતંગોથી શોભી ઉઠ્યું. પતંગોમાં વિવિધ સંસ્કૃતિઓ, કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આત્મિયતાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની મહત્વની તક પણ છે.

જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝની સાબરમતી આશ્રમ મુલાકાત, જાણો વિઝિટર બુકમાં શું લખ્યું ?

0

જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.

જર્મન ચાન્સેલરે વિઝિટર બુકમાં લખ્યું, મહાત્મા ગાંધીજીનો આઝાદીની શક્તિ અને દરેક વ્યક્તિની ગરિમામાં જે દ્રઢ વિશ્વાસ હતો, તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમનો આ અમૂલ્ય વારસો આજે એવી દુનિયામાં ભારતીયો અને જર્મનોને એક કરે છે, જેને ગાંધીજીના વિચારોની પહેલા કરતાં આજે વધુ જરૂર છે.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે આ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. મોદી અને જર્મન ચાન્સેલરે હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે, તેની સ્થાપના 1917માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. 1917 થી 1930 સુધી તે ગાંધીજીનું નિવાસસ્થાન હતું અને ભારતની આઝાદીની લડતના મુખ્ય કેન્દ્રોમાંના એક તરીકે સેવા આપી હતી.

હિમાચલના સોલનમાં ભીષણ ગેસ બ્લાસ્ટ: આગમાં બાળકીનું કરુણ મોત, 8-9 મોતની આશંકા

0

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રવિવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અર્કી બજાર વિસ્તારમાં મધરાતે આશરે 2:30 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક બાળકી જીવતી સળગી ગઈ છે. તેમજ આ ભયાનક દુર્ઘટનામાં હજુ પણ 8-9 લોકોના મોતની આશંકા છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા બજારને બાનમાં લીધું હતું, જેના કારણે 6થી વધુ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને અનેક દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

એક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લીધું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ એક રહેણાંક મકાનમાં આગી હતી, તેમજ ઘરમાં રાખેલા એલપીજી સિલિન્ડરો એક પછી એક ફાટવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાંકડી ગલીઓ અને સતત થતા ધડાકાઓને કારણે ફાયર બ્રિગેડ માટે બચાવ કામગીરી કરવી અત્યંત પડકારજનક બની હતી. ગભરાયેલા રહીશો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરો, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોની કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બજારનો મોટો હિસ્સો રાખમાં ફેરવાઈ ગયો હતો.

સર્ચ ઓપરેશન તેજ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટ મુખ્ય કારણ જણાય છે. હાલમાં મૃત્યુ પામેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર અર્કી પંથકમાં શોક અને ભયનો માહોલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારોને રાહત પહોંચાડવાની કામગીરી અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

ISROને મોટો ઝટકો: PSLV-C62 મિશન નિષ્ફળ, 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાયા

0

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના વર્ષ 2026ના પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. PSLV-C62 રોકેટનું લોન્ચિંગ સફળતાપૂર્વક થયું હોવા છતાં, તે તેના મુખ્ય સેટેલાઇટ ‘અન્વેષા’ (EOS-N1)ને નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ત્રીજા તબક્કામાં આવેલી ખામીને કારણે રોકેટે તેની દિશા બદલી નાખી, જેના કારણે સમગ્ર મિશન નિષ્ફળ ગયું અને તમામ 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાઈ ગયા.

આ મિશન 12 જાન્યુઆરીએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય DRDO દ્વારા વિકસિત અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ‘અન્વેષા’ને ઓર્બિટમાં સ્થાપિત કરવાનો હતો.

મિશનમાં ક્યાં આવી ખામી?
લોન્ચિંગના શરૂઆતના તબક્કાઓ સફળ રહ્યા હતા. જોકે, ત્રીજા સ્ટેજ (PS3)ના અંતમાં એક ગંભીર ખામી સર્જાઈ. આના કારણે લોન્ચનું ડેટા આવવામાં વિલંબ થવા લાગ્યો અને મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો. ત્રીજા સ્ટેજ પછી, ચોથો સ્ટેજ શરૂ તો થયો પરંતુ તે પછી કોઈ અપડેટ મળ્યું નહીં અને સેટેલાઇટ રોકેટથી અલગ થઈ શક્યો નહીં.

મિશન નિષ્ફળ ગયા બાદ ISROના ચીફે એક નિવેદન જારી કરીને જણાવ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને દિશામાં પરિવર્તન થઈ ગયું. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જે પણ અપડેટ આવશે તે જણાવવામાં આવશે.” ISROએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને જણાવ્યું કે, “PSLV-C62 મિશનમાં PS3 સ્ટેજના અંતમાં એક ગરબડ થઈ. તેની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે.”

‘અન્વેષા’ ઉપરાંત, આ મિશનમાં ભારતના ભવિષ્યના સ્પેસ પ્રોગ્રામ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અન્ય ઉપગ્રહો પણ હતા, જે આ નિષ્ફળતાને કારણે નષ્ટ થઈ ગયા.

આયુલસેટ (AayulSAT): જેને અવકાશમાં ‘પેટ્રોલ પંપ’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો હતો, તે ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો હતો.

MOI-1: ભારતની પ્રથમ ઓર્બિટલ AI-ઇમેજ લેબોરેટરી અને વિશ્વનો સૌથી હલકો સ્પેસ ટેલિસ્કોપ પણ આ મિશનનો ભાગ હતો.

આમ, ISROના 2026ના પ્રથમ મિશનની નિષ્ફળતા માત્ર એક સેટેલાઇટની નિષ્ફળતા નથી, પરંતુ તે ભવિષ્યની અનેક નવીન ટેકનોલોજીઓ માટે પણ એક મોટો આંચકો છે.